Breaking News : રાજ્યસભાની બેઠકો માટે 50થી વધુ નામોની યાદી દિલ્હી મોકલાઈ, અંજલી રૂપાણી, નીતિન પટેલનું પણ નામ સામેલ
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન બાદ તેમની પત્ની અંજલી રૂપાણીનું નામ પણ ચર્ચામાં છે. આ ઉપરાંત, ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ઉદ્યોગપતિ ગૌતમ ગેડિયા અને જાહ્નવી વ્યાસના નામો પણ સંભવિત ઉમેદવારોમાં ગણાઈ રહ્યા છે.
ગુજરાતમાંથી રાજ્યસભાની ખાલી પડનારી બેઠકો માટે ઉમેદવારોની પસંદગીને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 50થી વધુ સંભવિત ઉમેદવારોના નામોની યાદી દિલ્હી મોકલવામાં આવી છે. હવે આ તમામ નામો પર વિચારણા કર્યા બાદ અંતિમ નિર્ણય દિલ્હી સ્થિત પાર્ટી હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવશે.
ખાલી પડનારી બેઠક માટે રાજકીય વર્તુળો તેજ
સૂત્રો મુજબ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન બાદ તેમની પત્ની અંજલી રૂપાણીનું નામ પણ ચર્ચામાં છે. આ ઉપરાંત, ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ઉદ્યોગપતિ ગૌતમ ગેડિયા અને જાહ્નવી વ્યાસના નામો પણ સંભવિત ઉમેદવારોમાં ગણાઈ રહ્યા છે. રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં સક્રિય ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલનું નામ પણ ચર્ચાના કેન્દ્રમાં છે.
લોકસાહિત્યકાર અને હાસ્ય કલાકારોના નામ પણ સામેલ
રાજકારણ ઉપરાંત કલાજગતમાંથી પણ કેટલાક જાણીતા ચહેરાઓના નામ સામે આવ્યા છે. લોકસાહિત્યકાર અને હાસ્ય કલાકાર સાંઈરામ દવે તેમજ જાણીતા અભિનેતા મનોજ જોશીને રાજ્યસભામાં મોકલવા અંગે ચર્ચાઓ ચાલી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ કારણે ઉમેદવારોની પસંદગીને લઈને રાજકીય વર્તુળોમાં અનેક અટકળો ચાલી રહી છે.
અંજલી રૂપાણીનું નામ પણ ચર્ચામાં
સૂત્રોનું માનવું છે કે વિજય રૂપાણીના નિધન બાદ તેમની પત્ની અંજલી રૂપાણીનું નામ પણ ચર્ચામાં છે. અન્ય કોઈ રાજ્યના વરિષ્ઠ નેતાને ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય લેવામાં નહીં આવે, તો ગુજરાતના સ્થાનિક નેતાઓ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓને તક મળી શકે છે. જોકે, ઉમેદવારોના નામોને લઈને ચાલી રહેલી તમામ ચર્ચાઓ વચ્ચે આખરી નિર્ણય કેન્દ્રીય નેતૃત્વ દ્વારા જ જાહેર કરવામાં આવશે. હાલ રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે અને સૌની નજર હવે હાઈકમાન્ડના નિર્ણય પર ટકેલી છે.
