Breaking News : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેનું હેલિકોપ્ટર ખરાબ હવામાન-ભારે પવનથી તૂટતા બચ્યું
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેનું હેલિકોપ્ટર કલ્યાણ નજીક ખરાબ હવામાનને કારણે ફસાઈ ગયું હતું. પાયલટની સમજદારીને કારણે હેલિકોપ્ટરને મુંબઈના જુહુ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું હતું. હેલિકોપ્ટરમાં સવાર બધા લોકો સુરક્ષિત છે. ખરાબ હવામાનને કારણે, પાયલોટે આગળ ના વધવાનો નિર્ણય લીધો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી જવા પામી હતી.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને લઈને ઉડેલુ હેલિકોપ્ટર કલ્યાણ નજીક ખરાબ હવામાન અને ભારે પવન વચ્ચે ફસાઈ ગયું હતું. પરિસ્થિતિની ગંભીરતા પારખી ગયેલા અનુભવી પાયલટે ખૂબ જ સાવચેતી અને સાવધાની દર્શાવીને, હેલિકોપ્ટર સુરક્ષિત રીતે પાછુ વાળ્યું હતું. આ હેલિકોપ્ટર મુંબઈના જુહુ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. હેલિકોપ્ટરમાં સવાર બધા લોકો સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.
ભારે પવન અને પ્રતિકૂળ હવામાનને કારણે, પાયલોટે સાવચેતીના પગલા તરીકે, હેલિકોપ્ટરને આગળ ન લઈ જવાનો નિર્ણય લીધો અને તરત જ હેલિકોપ્ટરને મુંબઈ તરફ પાછું વાળ્યું હતું.
અહેવાલો અનુસાર, એકનાથ શિંદે મુંબઈના મહાલક્ષ્મી હેલિપેડથી કલ્યાણથી આગળ આવેલા મુરબાડ ખાતે યોજાઈ રહેલા એક લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે પ્રવાસ કરી રહ્યા હતા. રસ્તામાં અચાનક હવામાન બગડ્યું, જેના કારણે એકનાથ શિંદેના હેલિકોપ્ટરને પરત લાવવાની ફરજ પડી.
ખરેખર શું થયું?
નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે આજે ગુરુવારે નિર્ધારિત પ્રવાસ પર નીકળ્યા હતા. તેમણે મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સ ખાતેના હેલિપેડથી હેલિકોપ્ટરમાં ઉડાન ભરી હતી. એકનાથ શિંદેના પ્રવાસ કાર્યક્રમમાં કલ્યાણ અને મુરબાડ પ્રદેશોની મુલાકાતનો સમાવેશ થતો હતો. શરૂઆતમાં, બધું સરળ ચાલતું રહયું હતું; જોકે, હેલિકોપ્ટર કલ્યાણ વિસ્તારની નજીક પહોંચતા જ તેને અચાનક પ્રકૃતિના પ્રકોપનો સામનો કરવો પડ્યો. જ્યારે હેલિકોપ્ટર હવામાં હતું, ત્યારે કલ્યાણ ક્ષેત્રમાં અચાનક, ઝડપી પવન ફૂંકાવા લાગ્યો. પવનની ગતિ એટલી તીવ્ર હતી કે, હેલિકોપ્ટર તેમાં ફસાઈ ગયું. આવા મુશ્કેલ સંજોગોમાં, હેલિકોપ્ટરને નિયંત્રિત કરવું એક પડકારજનક કાર્ય સાબિત થયું.
જોકે, હેલિકોપ્ટરના પાયલોટે પોતાની સંપૂર્ણ વ્યાવસાયિક કુશળતાનો ઉપયોગ કરીને, હેલિકોપ્ટરને તોફાની પવનની અસર ક્ષેત્રથી તાત્કાલિક દૂર લઈ ગયા. કોઈ પણ બિનજરૂરી જોખમ ના લેતા, પાયલોટે હેલિકોપ્ટરને પાછુ જુહુ એરપોર્ટ તરફ વાળ્યું, જ્યાં તેમણે ખૂબ જ સુરક્ષિત ઉતરાણ કર્યું.
હેલિકોપ્ટરમાં કોણ સવાર હતું?
આ પ્રવાસ દરમિયાન, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે તેમના ખાસ સાથીઓ સાથે હતા. હેલિકોપ્ટરમાં કુલ આઠ લોકો સવાર હતા, જેમાં તેમના અંગત સહાયક પ્રભાકર કાલે, મુખ્ય જનસંપર્ક અધિકારી વિનાયક પાત્રુડકર, OSD રાજપૂત અને મુખ્ય સુરક્ષા અધિકારીનો સમાવેશ થાય છે. થોડા સમય માટે, બધાએ મોતના ભયનો સામનો કરવો પડ્યો, પરંતુ હેલિકોપ્ટર ઉતર્યા પછી બધાએ રાહતનો શ્વાસ લીધો.
સદનસીબે, આ ઘટનામાં, હેલિકોપ્ટરમાં હાજર દરેક વ્યક્તિ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે, બધા અધિકારીઓ અને સ્ટાફ સહિત – સંપૂર્ણપણે સુરક્ષિત છે. જુહુ એરપોર્ટ પર ઉતરાણ પછી દરેકનું તબીબી તપાસ કરવામાં આવ્યું. પ્રતિકૂળ હવામાનને કારણે પ્રવાસ થોડા સમય માટે રોકી દેવામાં આવ્યો હોવા છતાં, પાર્ટીના કાર્યકરોએ શિંદેની સલામતીના સમાચાર સાંભળીને રાહત અને ખુશી વ્યક્ત કરી.