જો રૂપાલાની ટિકિટ બદલાઈ તો? વાંચો સૌરાષ્ટ્રમાં પાટીદાર vs ક્ષત્રિયનો બે દાયકાનો રાજકીય ઇતિહાસ
રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ થવી જોઇએ તેવી ક્ષત્રિય સમાજની માગ છે. રાજકોટ સહિત ગુજરાતના રાજકારણમાં એવો ગણગણાંટ છે કે ક્ષત્રિય સમાજને શાંત પાડવા માટે રૂપાલાને બદલવા સુધીનો ભાજપ નિર્ણય લઇ શકે છે. જો કે ખુદ પરશોત્તમ રૂપાલાએ આ વાતનો રદિયો આપ્યો છે અને આ બેઠક પર તેઓ ઉમેદવારી કરશે અને જીતશે પણ તેવો દાવો કર્યો છે.
![જો રૂપાલાની ટિકિટ બદલાઈ તો? વાંચો સૌરાષ્ટ્રમાં પાટીદાર vs ક્ષત્રિયનો બે દાયકાનો રાજકીય ઇતિહાસ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/04/Parshottam-Rupala-and-political-history-of-Patidars-vs-Kshatriyas-in-Saurashtra-.jpg?w=1280)
રાજ્યમાં ઠેર ઠેર થઈ રહેલા રૂપાલા વિરુદ્ધના વિરોધમાં ક્ષત્રિય સમાજની માગ હવે રાજ્યવ્યાપી અને ત્યાંથી દેશવ્યાપી બની રહી છે. તેવામાં ભારતીય જનતા પાર્ટી માટે આ રૂપાલાને બદલવા કે નહિ તે ગળામાં ફસાયેલા હાંડકા જેવી નોબત થઇ ગઇ છે.
ભાજપના આંતરિક સૂત્રોનું માનીએ તો રૂપાલાને બદલવામાં ક્યાંક પાટીદાર સમાજ નારાજ ન થઇ જાય તેનો ડર સતાવી રહ્યો છે.આમ પણ સૌરાષ્ટ્રમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચેના સામાજિક યુદ્ધની વાત બે દાયકાઓ જુની છે ત્યારે જો પરશોત્તમ રૂપાલાને બદલવામાં આવે તો આ લડાઇ ભાજપની મુશ્કેલી વધારી શકે છે.
ક્ષત્રિયો કરતા પાટીદારો પરિણામ માટે વધુ નિર્ણયક
પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવાની માંગ પ્રબળ બની છે પરંતુ ભાજપ માટે આ નિર્ણય ખુબ જ અઘરો સાબિત થઇ શકે છે. ક્ષત્રિય સમાજનો દાવો છે કે જો ભાજપ દ્રારા આ નિર્ણય પરત ખેંચવામાં નહિ આવે તો ગુજરાતની 8 સીટો પર તેઓ નિર્ણયક ભુમિકા ભજવશે પરંતુ આ વાત થોડી અતિ શયોક્તિ ભરેલી છે. લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ સીધી રીતે કોઇ સીટ પર ભાજપને મોટું નુકસાન કરે તેવી શક્યતા ખુબ ઓછી છે પરંતુ રૂપાલાની ટિકીટ રદ્દ થવાથી પાટીદાર સમાજ નારાજ થાય તો ભાજપને મોટું નુકસાન વેઠવું પડે તેવી શક્યા છે.
સૌરાષ્ટ્ર,મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કડવા પાટીદાર અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં લેઉવા પાટીદાર સમાજની વસ્તી વધારે છે. કેટલીક સીટો પર પાટીદાર સમાજ નિર્ણયાક ભુમિકામાં છે જો ભાજપ દ્રારા રૂપાલાને હટાવવામાં આવે અને તેનો મેસેજ પાટીદાર સમાજમાં ભાજપ વિરોધી જાય તો ભાજપ માટે 26 લોકસભા સીટ જીતવા માટે કપરાં ચઢાણ બને તેમાં કોઇ સવાલ નથી.રાજકોટ લોકસભા બેઠકમાં 22 લાખ મતદારો છે જેની સામે ક્ષત્રિય સમાજના મતદારો અંદાજિત 1.80 લાખ છે જેની સામે પાટીદાર સમાજના વોટ 7 લાખથી વધારે છે જે ખૂબ જ સૂચક છે.
સૌરાષ્ટ્રમાં પાટીદાર vs ક્ષત્રિયોનો બે દાયકાનો ઇતિહાસ
1985ની વિધાનસભાની ચૂંટણીમાં પોપટભાઇ સોરઠિયા કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવ્યા. સત્તાનાં નવાં સમીકરણમાં ક્ષત્રિયોનું કદ વધ્યું હતું અને પાટીદારોનું કદ ઘટ્યું હતું, જેની સીધી અસર જ્ઞાતિ-જાતિનાં સમીકરણોથી ગ્રસ્ત સૌરાષ્ટ્રમાં જોવા મળી હતી. અહીં પાટીદારો અને ક્ષત્રિયો વચ્ચે હિંસક અથડામણો થઈ હતી.
આ અરસામાં જામનગર જિલ્લાની કાલાવડ બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય ભીમજીભાઈ પટેલની એસટી બસ-સ્ટેશન ખાતે સરાજાહેર છરીના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી હતી અને તેમાં એક ક્ષત્રિય યુવક દોષિત ઠર્યો હતો. આ ઉપરાંત ભાવનગર જિલ્લાના ચૌમલ ગામ ખાતે પટેલોના હાથે ત્રણ ગરાસિયાની હત્યા થઈ હતી, જેનું વેર વાળવા લૌકિકક્રિયામાંથી પરત ફરી રહેલા પાટીદારોના ટ્રેક્ટરને માનગઢ (ભાવનગર) ખાતે નિશાન બનાવવામાં આવ્યું હતું, જેમાં 11 પાટીદારોની લોથ ઢળી ગઈ હતી. જેના કારણે પાટીદારો અને ક્ષત્રિયો વચ્ચેની ખાઈ પહોળી થઈ હતી.
કોંગ્રેસના ધારાસભ્યની થઈ હતી સરાજાહેર હત્યા
એ પછી તા. 15 ઑગસ્ટ, 1988ના રોજ ગોંડલની સંગ્રામસિંહ હાઈસ્કૂલમાં સ્વતંત્રતા દિવસનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, ત્યારે 22 વર્ષના ક્ષત્રિય યુવક અનિરુદ્ધસિંહ જાડેજાએ (રીબડાવાળા) પૉઇન્ટ-બ્લેન્ક રેન્જથી કોંગ્રેસના ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની સરાજાહેર હત્યા કરી નાખી હતી.
હત્યાના આરોપ લાગ્યા તે યુવકનું નામ પણ અનિરુદ્ધસિંહ
પોપટભાઇ સોરઠિયાની હત્યાના એક વર્ષ બાદ તા. 26 નવેમ્બર, 1989ના દિવસે દિગ્ગજ પાટીદાર નેતા અને પૂર્વ આરોગ્ય મંત્રી વલ્લભભાઈ પટેલની પડધરીના હડમતિયા ગામ ખાતે હત્યા કરી દેવામાં આવી હતી. યોગાનુયોગ જેની ઉપર હત્યાના આરોપ લાગ્યા તે યુવકનું નામ પણ અનિરુદ્ધસિંહ હતું. એ પછી 15મી એપ્રિલ, 1995ના દિવસે આશાપુરા ડેમ પાસથી જેન્તીભાઈ વાડોદરિયાની હત્યા કરી દેવાયેલી લાશ મળી આવી હતી. તેઓ યુવા અને આશાસ્પદ પાટીદાર નેતા હતા. જે બેઠક પર પાટીદાર ધારાસભ્યની હત્યા થઈ તે કાલાવડ, ગોંડલ અને ટંકારા બેઠક પરથી ચૂંટણી લડીને કેશુભાઈએ પોતાને પાટીદાર નેતા તરીકે પ્રસ્થાપિત કર્યા અને મુખ્ય મંત્રીપદે પણ પહોંચ્યા.
બંન્ને સમાજના મતદારો ભાજપની પરંપરાગત વોટ બેંક
વર્ષોથી સૌરાષ્ટ્રના રાજકારણમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે કોલ્ડવોર ચાલતી આવે છે. આજે પરિસ્થિતિઓ બદલાઇ છે પરંતુ હજુ પણ જુની વાતો લોકોના હ્રદયમાં જીવંત છે. સમય જતા પાટીદારો અને ક્ષત્રિય સમાજને ભાજપ સમજાવવામાં સફળ રહ્યું છે અને બંન્ને સમાજના મતદારોને ભાજપ પોતાની પરંપરાગત વોટ બેંક માની રહી છે. ક્ષત્રિય સમાજના સમર્થનમાં ભાજપ કોઇ નિર્ણય લે તો પાટીદાર સમાજ તેનાથી નારાજ થવાની પુરી શક્યતા છે જે ભાજપને મોટી અસર કરી શકે છે.
ભાજપે દાવો કર્યો છે કે 26 માંથી એક પણ બેઠક પર હવે ભાજપ તેના ઉમેદવાર નહિ બદલે ત્યારે પરસોત્તમ રૂપાલાના ઉમેદવાર તરીકે બદલવાનો સવાલ આવી રહ્યો નથી. જો કે બીજી તરફ ભાજપ તેની પરંપરાગત અને તેની સમર્થિત વોટબેંક એવા ક્ષત્રિય સમાજને કઇ રીતે મનાવશે તે પણ એક મોટો સવાલ છે. ભાજપ માટે આ સ્થિતિ ગળામાં ફસાયેલા હાડકાં જેવી થઇ છે જેને ગળી પણ શકાતું નથી અને થૂંકી પણ શકાતું નથી. જોવાનું રહેશે ભાજપ આ અંગે શું નિર્ણય લે છે.