રાજ્ય કૃષિવિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરી સહાય ચુકવવાના કર્યા આદેશ

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદમાં ખેડૂતોને ગયેલા નુકસાનનો સર્વે કરવાના રાજ્ય કૃષિવિભાગે આદેશ આપ્યા છે. નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને સહાય યોગ્ય સહાય ચુકવવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2022 | 10:04 AM

રાજ્યમાં પડેલા ભારે વરસાદને કારણે ખેતીના પાકને પણ વ્યાપક નુકસાન પહોંચ્યુ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત (South Gujarat) અને સૌરાષ્ટ્રમાં (Saurashtra)થયેલ અતિવૃષ્ટિને (Heavy Rain) કારણે ખેતીના પાકોને પારાવાર નુકસાન થયુ છે. જેને લઈને હવે રાજ્યના કૃષિ વિભાગે ખેતીના પાકને થયેલા નુકસાનીનો સર્વે કરવાનો આદેશ આપ્યો છે. દક્ષિણ ગુજરાતમાં બાગાયતી પાકને થયેલા નુકસાનીનો સર્વે હાથ ધરાશે. રાજ્યભરમાં ભારે વરસાદને કારણે અનેક ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે.

ખરીફ પાકને પણ ભારે નુકસાન થયુ છે. ત્યારે કૃષિવિભાગ દ્વારા નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને નુકસાની અંગે સહાય ચુકવવામાં આવશે. આપને જણાવી દઈએ કે ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વરસાદથી વધુ પ્રભાવિત જિલ્લાની ડેશબોર્ડથી સમીક્ષા કરી છે. નવસારી સહિત ૬ જિલ્લાની બચાવ, રાહત અને રેસ્કયૂ કામગીરીની સમીક્ષા કરી હતી. ગુજરાતમાં હવે વરસાદી પાણીના નિકાલ માટે ‘ઓપરેશન નિરામયા’હાથ ધરાશે. પાણીના નિકાલ અને રોગ નિયંત્રણ માટે દવાનો છંટકાવ કરાશે. રાજયમાં વરસાદનું જોર ઘટતા સ્તાઓની મરામત અને પૂર્વવત કરવામાં આવશે. નુકસાનીનો સરવે બાદ સહાય ચૂકવી દવા છંટકાવ કરાશે.

કૃષિ વિભાગના અધિકારીઓ કરશે સર્વે

રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદને પગલે સમગ્ર નવસારી જિલ્લો જાણે જળમગ્ન બન્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. લોકોના જાનમાલને પારાવાર નુકસાન ગયુ છે. કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિને પગલે આસપાસમાં રહેતા લોકોના ઘરોથી લઈને તમામ ઘરવખરી તણાઈ ગઈ છે. NDRF દ્વારા લોકોનુ ઍર રેસક્યુ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આ સ્થિતિમાં ખેડૂતોએ ખેતરોમાં વાવેલો પાક પણ સંપૂર્ણ નાશ પામ્યો છે.

ખેતરો માથાડૂબ પાણીમાં ગરકાવ થતા ખેતીનો પાક પણ ધોવાઈ ગયો છે. નવસારી સહિતના આસપાસના વિસ્તારોમાં ખેડૂતો મુખ્યત્વે બાગાયતી પાક લે છે. પરંતુ ભારે વરસાદને કારણે તમામ પાક ધોવાઈ ગયો છે. જેને લઈને હવે કૃષિ મંત્રાલયે અધિકારીઓને મૌખિક સૂચનો આપ્યા છે. જેમા અસરગ્રસ્ત જિલ્લાઓમાં જેવો વરસાદ વિરામ લે અને પાણી ઉતરે એટલે તાત્કાલિક ધોરણે ખેતીનો સર્વે હાથ ધરવાનો આદેશ કરવામાં આવ્યો છે. સર્વે કામગીરી કરી ખેડૂતોના પાકને થયેલા નુકસાનીનો સર્વે રિપોર્ટ તૈયાર કરી સબમિટ કરવા જણાવવામાં આવ્યુ છે.

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં કરાશે ખેતીના નુકસાનનો સર્વે

આ તરફ સૌરાષ્ટ્રના ગીરસોમનાથ, જુનાગઢ અને રાજકોટ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડતા ખેડૂતોને ભારે નુકસાન થયુ છે. વાવણીની સિઝન હોવાથી અનેક ખેડૂતોએ ખરીફ પાકોની વાવણી કરી દીધી હતી, પરંતુ આકાશમાંથી આફત બનીને વરસેલા વરસાદમાં સંપૂર્ણ વાવણી નાશ પામી છે. ખેતરો જળમગ્ન બનતા તમામ પાક ધોવાઈ જવા પામ્યો છે. આ ખેડૂતોની વહારે હવે સરકાર આવશે અને કૃષિ વિભાગ દ્વારા ઝડપથી સર્વેની કામગીરી પૂર્ણ કરી ખેડૂતોને યોગ્ય વળતર ચુકવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">