Gujarat Top News: કોરોનાની ત્રીજી લહેર પહેલાની તૈયારી કે પછી વરસાદ અંગેના મહત્વના સમાચાર જાણો માત્ર એક ક્લિકમાં
રાજ્યમાં કોરોનાની બીજી લહેર મુદે મુખ્યપ્રધાને શું આપ્યું નિવેદન, નરસિંહમહેતા યુનિવર્સિટીનો કેટલામો પદવી સમારોહ યોજાયો, ક્યા શહેરોમાં થશે મેઘ મહેર,તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં
1. આગામી 5 દિવસ સુધી રાજ્યભરમાં વરસાદ (Rain)ની સંભાવના, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ (Met Department) દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી પાંચ દિવસમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. મહત્વનું છે કે દક્ષિણ ગુજરાત તરફ સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેના કારણે 24 જુલાઈ સુધી રાજ્યભરમાં મેઘમહેર રહેવાની શક્યતા છે.
2. મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું નિવેદન, ગુજરાતમાં ઓક્સિજનની અછતથી એક પણ મોત નહીં
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઓક્સિજન અછતથી મોતના મુદ્દે નિવેદન આપ્યું છે કે રાજ્યમાં ઓક્સિજન અછતથી એક પણ મોત થયું નથી. આ સાથે જ વિપક્ષ પર નિશાન સાધ્યું કહ્યું કે, વિપક્ષ પાસે કોઈ મુદ્દો નથી એટલે વિપક્ષ લોકોને ભ્રમિત કરવાનો પ્રયત્ન કરી રહી છે.
3.બનાસ ડેરીની વાર્ષિક સાધારણ સભા, પશુપાલકો માટે કરાઈ અનેક લાભકારી જાહેરાત
બનાસકાંઠામાં આવેલી બનાસ ડેરીની આજે વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલી જુદી-જુદી પ્રવૃત્તિઓની માહિતી આપવામાં આવી હતી. સાથે જ ડેરી સાથે જોડાયેલા 5.5 લાખથી વધારે પશુપાલકો માટે અનેક લાભકારી જાહેરાત કરવામાં આવી હતી.
4. નરસિંહ મહેતા યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ, CMના હસ્તે 54 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા
આજે જુનાગઢમાં આવેલી ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો પદવીદાન સમરોહ યોજાયો હતો. વર્ષ 2015માં સ્થાપના થયેલ BKNMUનો આ પ્રથમ પદવીદાન સમારોહ હતો. જેમાં CM વિજય રૂપાણીના હસ્તે 54 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ યુનિવર્સિટીમાં જુનાગઢ, ગીર-સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની162 કોલેજોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
5. સુરતના પાંચ ઝોનમાંથી કોરોના થયો ગાયબ, રિકવરી રેટ 100 ટકાની નજીક
કોરોનાને લઈને સુરત શહેરમાંથી સારા સમાચાર સામે આવી રહ્યા છે. લાંબા સમય બાદ સુરત વહીવટી તંત્રને કોરોનાના કેસોને કાબુમાં કરવામાં સફળતા મળી છે. સુરતમાં કોરોનાના કેસોની વાત કરીએ તો હવે દૈનિક કોરોનાના કેસો સિંગલ ડિજીટમાં જ જોવા મળતા શહેરીજનોએ રાહત અનુભવી છે.
આ સમાચાર વિગતવાર વાંચો: Good News : સુરતના પાંચ ઝોનમાંથી કોરોના થયો ગાયબ, રિકવરી રેટ 100%ની નજીક
6. અમદાવાદમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર પહેલા તંત્ર સજ્જ, ટેસ્ટિંગ ડોમ વધારવામાં આવ્યા
અમદાવાદ શહેરમાં સંભવિત કોરોનાની ત્રીજી લહેરને લઈને તંત્ર સજ્જ થયું છે. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ઘટતા મોટાભાગના ટેસ્ટિંગ ડોમ બંધ કરવામાં આવ્યા હતા. પરંતુ કોરોનાની સંભવિત ત્રીજી લહેરના પગલે ટેસ્ટિંગ ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરની શક્યતાના પગલે ફરી ટેસ્ટિંગ ડોમ શરૂ કરવામાં આવ્યા છે.
7. CBSE કે ગુજરાત બોર્ડની માન્યતા ન હોવાથી અમદાવાદની DPS EAST સ્કુલને બંધ કરવા આદેશ
અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા DPS EAST સ્કૂલને તાત્કાલિક ધોરણે બંધ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. મહત્વનું છે કે પૂર્વ DPS સ્કુલ પાસે CBSE અને ગુજરાત બોર્ડની માન્યતા ન હોવાથી બંધ કરવા આદેશ કરવામાં આવ્યો છે. હાલ, શાળમાં અભ્યાસ કરતા 360 વિદ્યાર્થીઓને DEO કચેરી દ્વારા નજીકની શાળામાં પ્રવેશ અપાવવા માટે મદદ કરશે.
8. PI અજય દેસાઈની પત્ની સ્વીટી પટેલ મામલે અમદાવાદ ATS અને ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી
વડોદરા ગ્રામ્યના પી.આઈ અજય દેસાઈની પત્ની સ્વીટી પટેલ ગુમ થવાના કેસની તપાસ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સંયુક્ત રીતે સોંપવામાં આવી છે. ત્યારે આ મામલે અમદાવાદ ATS અને ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે.
9. રાજકોટમાં ત્રીજી લહેર પહેલા તંત્ર સજ્જ, ગ્રામ્ય વિસ્તારોના બાળકોના સ્વાસ્થ્યની તપાસ કરાઈ શરૂ
કોરોનાની ત્રીજી લહેરમાં સૌથી વધારે બાળકો સંક્રમિત થવાની સંભાવના છે. ત્યારે ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને રાજકોટ વહિવટીતંત્રએ ગ્રામ્ય સ્તરે બાળકોના સ્વાસ્થ્યની તપાસ શરૂ કરી છે. અત્યાર સુધીમાં 1,47,000 બાળકોનો સર્વ કરવામાં આવ્યો છે. આ કામગીરી માટે આરોગ્યની 2,899ની ટીમ દ્વારા બાળકોના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી હતી.
10. સુરેન્દ્રનગરમાં મનરેગામાં થયેલા કૌભાંડ મામલે ખેડૂત એકતા મંચે કાર્યવાહીની કરી માંગ
ખેડૂત એકતા મંચ દ્વારા આજે સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતા મનરેગા યોજનાના કૌભાંડની આધાર પુરાવાઓ સાથે કલેકટર, DDOને રજુઆત કરી અને કૌભાંડ આચરનાર લોકો પર કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.