Surendranagar : મનરેગામાં લાખો રૂપિયાના કૌભાંડના આરોપ, ખેડૂત એકતા મંચે પુરાવા આપી કલેક્ટર પાસે કાર્યવાહીની માંગ કરતા કલેક્ટરે ચાલતી પકડી
ચોટીલા તાલુકાના નાની મોરસલ ગામે જે વ્યક્તિ જાન્યુઆરી 2021 માં મૃત્યુ પામેલ તેને ફેબ્રુઆરી મહિનામાં જોબકાર્ડ બનાવી રોજગારી આપી હોવાનું માલુમ પડેલ છે અને ગામની આશાવર્કર પણ જોબકાર્ડ ધરાવી અને રોજગારી મેળવતી હોવાનું સામે આવેલ છે.
Surendranagar : ખેડુત એકતા મંચ દ્રારા આજે સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતા મનરેગા યોજનાના કૌભાંડની આધાર પુરાવાઓ સાથે કલેકટર ,ડી.ડી.ઓ. ને રજુઆત કરી અને કૌભાંડ આચરનાર લોકો પર કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.
ખેડુત એકતા મંચ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના અણીયારી ગામે ખેત તલાવડી કાગળ પર બતાવી, ખોટા મસ્ટર તૈયાર કરી અને લાખો રૂપીયાનું કૌભાંડ આચરવામાં આવ્યુ હોવાનું તેમજ સરપંચ, તલાટી અને TDO એ સાથે મળી આ કૌભાંડ આચાર્યાના અને ગામની 13 વર્ષની બાળકીને 30 વર્ષની બનાવી અને તેનું જોબ કાર્ડ બનાવી અને તેને રોજગારી આપવામાં આવી હોવાના આરોપ લગાવ્યા છે.
મુળી તાલુકાના ગઢડા ગામે મનરેગા કામ ચાલુ કરી અને JCB થી ખોદકામ કરી અને ખનીજ ચોરી થતી હોવાનો આક્ષેપ કરી કૌભાંડ આર્ચયુ હોવાનું ખુલ્યુ હતુ, તેમજ ચોટીલા તાલુકાના નાની મોરસલ ગામે જે વ્યક્તિ જાન્યુઆરી 2021 માં મૃત્યુ પામેલ તેને ફેબ્રુઆરી મહિનામાં જોબકાર્ડ બનાવી રોજગારી આપી હોવાનું માલુમ પડેલ છે અને ગામની આશાવર્કર પણ જોબકાર્ડ ધરાવી અને રોજગારી મેળવતી હોવાનું સામે આવેલ છે. આ સાથે સરપંચના સમગ્ર કુંટુબના લોકો પણ મનરેગા યોજના હેઠળ જોબ કાર્ડ ધરાવતા હોવાનું સામે આવ્યુ હતુ.
આમ સમગ્ર જિલ્લામાં મનરેગા યોજનામાં અધિકારીઓ,પદાધિકારીઓ સહિતની મિલીભગતથી લાખો-કરોડોનું કૌભાંડ કર્યુ હોવાનું સામે આવ્યુ હોવાનુ ખેડુત એકતા મંચ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.પરંતુ આવેદનપત્ર આપવા જયારે ખેડૂતો કલેકટર કચેરી પહોચ્યાં ત્યારે કલેકટરે ખેડૂતોને ટાઇમ આપ્યો નહી અને ચેમ્બરમાંથી ચાલતી પકડતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. જેથી ખેડૂતો એ ડી.ડી.ઓ. ને રજુઆત કરી હતી અને કૌભાંડીઓને ઝડપી યોગ્ય કરવા માંગ કરી હતી.