30 મેના મહત્વના સમાચાર : અમદાવાદમાં ફાયર NOC -BU પરમીશન વિનાની ઈમારત મળી છે તે વિસ્તારના અધિકારી સામે પગલાં ભરાશે-મ્યુ. કમિશનર
આજે 30 મે 2024ને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

આજે સાંજે લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કા માટે પ્રચારના પડઘમ શમી જશે. સાતમાં તબક્કામાં 8 રાજ્યોની 57 બેઠકો માટે થશે મતદાન. આજે વડાપ્રધાન કન્યાકુમારી જઈ, આદ્યામિક પ્રવાસ શરૂ કરશે. 24 કલાક ધ્યાન કરશે. કોંગ્રેસે આચારસંહિતનો ભંગ ગણાવી ચૂંટણીપંચને ફરિયાદ કરી. રાજકોટ TRP ગેમ ઝોન આગ દુર્ઘટનામાં તમામ મૃતકોની ઓળખ થઈ. તો આગ્નિકાંડનો પાંચમો આરોપીને 8 દિવસના રિમાન્ડ પર છે. ગરમી અને ઉકળાટ વચ્ચે રાહત ભર્યા સમાચાર આવ્યા છે. ચોમાસું કેરળ પહોંચ્યું છે. પહેલા વરસાદમાં જ કેરળનું કોચી શહેર પાણી પાણી થયુ છે.
LIVE NEWS & UPDATES
-
અમદાવાદમાં ફાયર NOC -BU પરમીશન વિનાની ઈમારત મળી છે તે વિસ્તારના અધિકારી સામે પગલાં ભરાશે-મ્યુ. કમિશનર
રાજકોટની ઘટના બાદ, અમદાવાદમાં ત્રણ દિવસમાં 300 આસપાસ ઇમારતોની ચકાસણી કરવામાં આવી છે. જે પૈકી 53 ઈમારતોને સીલ કરી દેવાઈ છે. મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસને કહ્યું કે, જ્યાં નાગરિકો વધુ ભેગા થતા હોય તેવા સ્થળોએ અમે વધુ સઘન ચેકીંગ કરી રહ્યા છીએ. SOP સંદર્ભે અમારા ધ્યાનમાં આવ્યું છે કે માલિક ફાયર NOC રીન્યુ કરવામાં વિલંબ કરે છે. ફાયર NOC આપ્યા બાદ માલિક એ બીજા વર્ષમાં આવવાનું ફરજિયાત છે પણ આવતા નથી. પહેલા તબક્કામાં ફાયરવિભાગ NOC આપે છે, બાદમાં જે તે માલિકે ફાયર અધિકારી નિમણૂક કરી ચકાસણી કરાવવાની હોય છે. જે વિસ્તારમાં BU અને ફાયર સુવિધા વગરના ઇમારત સામે આવ્યા છે તે અધિકારીઓ સામે કાર્યવાહી કરાશે.
-
મુંબઈ ડિવિઝનના વિરાર-વૈતરણા સેક્શન વચ્ચે બ્લોકને કારણે કેટલીક ટ્રેનો રેગ્યુલેટ થશે
વેસ્ટર્ન રેલવે મુંબઈ ડિવિઝનના વિરાર-વૈતરણા સેક્શન વચ્ચે બ્રિજ નંબર 90 પર PSC સ્લેબ દ્વારા સ્ટીલ ગર્ડરને બદલવા માટે આગામી 01/02 જૂન, 2024ની મધ્યરાત્રિએ 00.20 કલાકથી સવારે 06.20 કલાક સુધી બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે અમદાવાદ ડિવિઝનમાંથી આવતી અને જતી કેટલીક ટ્રેનોનું નિયમન કરવામાં આવશે. આવી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
રેગ્યુલેટેડ (લેટ) ટ્રેનો:
1. 01 જૂન, 2024ની ટ્રેન નંબર 22928 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ લોક શક્તિ એક્સપ્રેસ 25 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે. 2. 01 જૂન, 2024ની ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 25 મિનિટમાં રેગ્યુલેટ કરવામાં આવશે. 3. 01 જૂન, 2024ની ટ્રેન નંબર 22904 ભુજ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એસી એક્સપ્રેસ 25 મિનિટ દ્વારા રેગ્યુલેટ કરવામાં આવશે. 4. 01 જૂન, 2024ની ટ્રેન નંબર 12902 અમદાવાદ-દાદર ગુજરાત મેલ 25 મિનિટ દ્વારા રેગ્યુલેટ કરવામાં આવશે. 5. 01 જૂન, 2024ની ટ્રેન નંબર 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ 50 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે. 6. 01 જૂન, 2024ની ટ્રેન નંબર 11087 વેરાવળ-પુણે એક્સપ્રેસ 50 મિનિટ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે. 7. 31મી મે, 2024ની ટ્રેન નંબર 14701 શ્રી ગંગાનગર-બાંદ્રા ટર્મિનસ અરવલી એક્સપ્રેસ 25 મિનિટ દ્વારા રેગ્યુલેટ કરવામાં આવશે. 8. 1 જૂન, 2024ની ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ – રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ 30 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે. 9. 01 જૂન, 2024ની ટ્રેન નંબર 12298 પુણે – અમદાવાદ દુરંતો 01 કલાક 05 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે. 10. ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ 02 જૂન, 2024 ના રોજ 30 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે. 11. ટ્રેન નંબર 22923 બાંદ્રા ટર્મિનસ – જામનગર હમસફર એક્સપ્રેસ 01 જૂન, 2024 ના રોજ 01 કલાક 05 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે. 12. 02 જૂન, 2024ની ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ 30 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે. 13. 02 જૂન, 2024ની ટ્રેન નંબર 22921 બાંદ્રા ટર્મિનસ-ગોરખપુર એક્સપ્રેસ 30 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
-
-
ધોરણ 10, ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર
ધોરણ 10, ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને 12 સાયન્સની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આગામી 24 જૂનથી 6 જુલાઈ સુધી યોજાશે પૂરક પરીક્ષા. પૂરક પરીક્ષાનો કાર્યક્રમ, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવ્યો છે.
-
રાજકોટના ફાયર અધિકારી બી.જે. ઠેબાના ઘરે ACB દ્વારા તપાસ, એમ ડી સાગઠીયાના ઘરે પણ એસીબીના દરોડા
રાજકોટના ફાયર અધિકારી બી.જે. ઠેબાના ઘરે ACB દ્વારા તપાસ, એમ ડી સાગઠીયાના ઘરે પણ એસીબીએ દરોડા પાડ્યા છે. ખોડીયાર નગર ખાતે અધિકારીના રહેણાંક મકાનમાં ACBના ધામા નાખ્યાં છે. એમ ડી સાગઠીયાના ઘરે પણ એસીબીના દરોડાની કાર્યવાહી કરાઈ છે. એમ ડી સાગઠીયાને TPOના હોદ્દા પરથી કરાયા છે દૂર.
-
ખરાબ હવામાનને કારણે સલાયાના વહાણની સિકોતેર ટાપુ પાસે જળસમાધિ
સલાયાના વહાણે સિકોતેર ટાપુ પાસે જળસમાધિ લીધી છે. 750 ટનની કેપેસીટી ધરાવતું સફિના અલ જીલાની વહાણે જળસમાધિ લીધી છે. ખરાબ હવામાનને કારણે વહાણમાં પાણી ભરાયાં હતા, જેના કારણે વહાણ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. વહાણમાં સવાર 9 ખલાસીઓમાંથી 8 નો બચાવ થયો છે, હજુ એક ખલાસીની શોધખોળ ચાલુ છે. આઠ ખલાસીઓને યમનના સ્કોટ્રા પોર્ટની ફિશીંગ બોટે બચાવી કિનારે લઇ જવાયા હતા.
-
-
જાહેરાતના હોર્ડીગ દેખાય તે માટે ઝાડ કાપનાર બે એજન્સીને AMC એ ફટકાર્યો 50 લાખનો દંડ
અમદાવાદ શહેરમાં વૃક્ષો કાપનાર પબ્લીસીટી એજન્સીઓ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કડક કાર્યવાહી કરી છે. જાહેરાતના હોર્ડીગ લોકોને દેખાય તે માટે નડતરરૂપ વૃક્ષોનું નિકંદન કાઢનાર ચિત્રા (બી) અને ઝવેરી પબ્લસિટીને રૂપિયા 50-50 લાખનો આકરો દંડ ફટકાર્યો છે. 2 વર્ષ સુધી 2000 વૃક્ષોનો ઉછેરનો ખર્ચ પણ એડ એજન્સીઓએ કરવો પડશે . ગાર્ડન વિભાગે તપાસ કરતા, આ પબ્લિસીટી એજન્સીએ, એક બે નહીં પણ 600 વૃક્ષો કાપી નાખ્યા હોવાનું જણાયું હતું.
-
રાજકોટમાં ફાયર NOC વગરના હોટલ, પેટ્રોલ પંપ, શાળાઓ, જીમ, કોમ્પ્લેક્સ, શોરૂમને કરાયા સીલ
રાજકોટમાં, ટીઆરપી ઝોનમાં આગ લાગ્યા બાદ તંત્ર આળસ ખંખેરીને કામે લાગ્યું છે. ફાયર NOC વગરના હોટલ, પેટ્રોલ પંપ ,શાળાઓ, જીમ,કોમ્પ્લેક્સ, શોરૂમ વગેરેને સીલ કરી દેવામાં આવ્યા છે. નિયમભંગ સામે કોર્પોરેશને આક્રમક વલણ અપનાવ્યું છે. અલગ અલગ વોર્ડની અંદર, તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવી છે.
-
ડુંગરપુર કેસમાં આઝમ ખાનને 10 વર્ષની સજા, કોર્ટે 14 લાખનો દંડ પણ ફટકાર્યો
લોકસભાની ચૂંટણી તેના અંતિમ તબક્કામાં છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને મોટો આંચકો લાગ્યો છે. એમપી એમએલએ કોર્ટે, ડુંગરપુર કેસમાં આઝમ ખાનને 10 વર્ષની જેલની સજા સંભળાવી છે. કોર્ટે આઝમ પર 14 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે.
-
વડોદરામાં ગરમીથી ASI નુ મોત ! પીએમ રિપોર્ટમાં મોતનું સાચુ કારણ થશે જાહેર
વડોદરામાં ગરમીએ વધુ એકનો ભોગ લીધો છે. અસહ્ય ગરમીથી એક પોલીસ કર્મચારીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. છાણી પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા ASI દિલીપ માલુસરેને ઉલ્ટી થયા બાદ ગભરામણ થઇ હતા. તેમને હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ તેમનુ મોત થયું હતું. જો કે ASI દિલીપ માલુસરેના નિધનનું સાચુ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાહેર થઈ શકશે.
-
સુરત: સલાબતપુરામાં રાયોટિંગના ગુનાનો વોન્ટેડ આરોપી પકડાયો
સુરત: સલાબતપુરામાં રાયોટિંગના ગુનાનો વોન્ટેડ આરોપી પકડાયો. પોલીસે આરોપી સમીર ઉર્ફે અગ્નીપથ રશીદ શાની ધરપકડ કરી છે. આરોપીએ 25 એપ્રિલે હથિયારથી વાહનોમાં તોડફોડ કરી હતી. ઉમરા પોલીસ સ્ટેશનના હદમાં પણ ગુના આચાર્યા હતા. બાતમી આધારે આરોપી અઠવા કાદરશાની નાળ પાસેથી પકડાયો.
-
સાબરકાંઠા: વિજયનગરના પોળોમાં બે શ્રમિકોનું ડૂબી જતા મોત
સાબરકાંઠા: વિજયનગરના પોળોમાં બે શ્રમિકોનું ડૂબી જતા મોત થયા છે. પોળોની હરણાવ નદીમાં 13 શ્રમિકો ન્હાવા પડ્યા હતા. શેડો એરિયામાં ટાવરની કામગીરી કરવા આવ્યા આ શ્રમિકો આવ્યા હતા. બંને શ્રમિકોના મૃતદેહો બહાર કાઢી પીએમ માટે મોકલી અપાયા છે. વિજયનગર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.
-
રાજકોટ : સાંસદ રામ મોકરિયા પાસેથી ફાયર અધિકારીએ રૂપિયા લીધા હોવાની ચર્ચા
રાજકોટ : સાંસદ રામ મોકરિયા પાસેથી ફાયર અધિકારીએ રૂપિયા લીધા હોવાની ચર્ચા થઇ રહી છે. ફાયર ઓફિસર ભીખા ઠેબાએ રામ મોકરિયા પાસેથી 70 હજાર લીધાની ચર્ચા છે. રૂપિયા આપ્યા બાદ પણ ફાયર NOC ન મળી હોવાની ચર્ચા છે. RMCમાં રૂપિયા વગર કંઈ જ કામ ન થતા હોવાના આરોપ છે. ભીખા ઠેબાની ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે કલાકો સુધી પૂછપરછ કરી હતી.
-
પોરબંદર: ટુકડા-ભાવપરાના દરિયામાં જહાજ તણાઇ આવ્યું
પોરબંદર: ટુકડા-ભાવપરાના દરિયામાં જહાજ તણાઇ આવ્યું છે. જહાજના એન્જીનમાં ખામી સર્જાતા દરિયા કાંઠે આવી ગયું. જામનગરનું જહાજ સુરતથી જામનગરના નવલખી બંદર પર જતું હતું. પોરબંદરનાં ટુકડા-ભાવપરા પાસે જહાજના એન્જીનમાં ખામી સર્જાઇ. જહાજમાં 11 ક્રુમેમ્બર સવાર હતા. સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે.
-
આગામી ત્રણ દિવસ પ્રચંડ વેગે ફૂંકાશે પવન
ધૂળની આંધી અને વંટોળ માટે તૈયાર રહેજો. આગામી ત્રણ દિવસ પ્રચંડ વેગે ફૂંકાશે પવન. હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે સમગ્ર રાજ્યમાં 25થી 30 કિમીની ઝડપે પવન ફૂંકાશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને વધુ અસર થવાની સંભાવના છે.
-
રાજકોટ: કલેક્ટર કચેરીએ પ્રભારી મંત્રી રાઘવજી પટેલની બેઠક
રાજકોટ: કલેક્ટર કચેરીએ પ્રભારી મંત્રી રાઘવજી પટેલની બેઠક મળી છે. કલેક્ટર, પોલીસ કમિશનર, મનપા કમિશનર સહિતના અધિકારીઓ સાથે બેઠક મળી. રાઘવજી પટેલે જણાવ્યુ કે અત્યાર સુધીની કામગીરી કરાઈ તેમની માહિતી મેળવી છે. 27 લોકોના મૃત્યુ થયા તમામના મૃતદેહ સોંપી દેવાયા છે. રૂ.93 લાખની સહાયની રકમ ચૂકવી દેવામાં આવી છે. CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ ઘટનાનો તાગ મેળવ્યો હતો.
-
ગાંધીનગર: મનપાના એસ્ટેટ અને દબાણ શાખાએ 6 ગેમિંગ ઝોન સીલ કર્યા
ગાંધીનગર: મનપાના એસ્ટેટ અને દબાણ શાખાએ 6 ગેમિંગ ઝોન સીલ કર્યા છે. કુડાસણમાં આવેલ ફ્લેશ ધ ગેમિંગ અરીના સીલ કરાયું. 5D એડવેન્ચર, ગેમઝોન, યાહૂ ગેમઝોન પણ સીલ કરાયા. ફાઇવ-11 સહિત ભાટનો વર્લ્ડ ઓફ ફન સીલ કરાયા. મોટી શિહોલી અને ઝૂંડાલમાં આવેલ ગેમિંગ ઝોન સીલ કરાયા. એકપણ ગેમિંગ ઝોન સંચાલકો પાસે પોલીસ પરમિશન ન હતી. હવે તપાસનો વિષય એ છે કે કયાં અધિકારીની રહેમનજર હેઠળ આ ગેમિંગ ઝોન ધમધમતા હતા.,
-
રાજકોટ: અગ્નિકાંડમાં લાપતા હોવાની ખોટી અરજી થયાનો ખુલાસો
રાજકોટ: અગ્નિકાંડમાં લાપતા હોવાની ખોટી અરજી થયાનો ખુલાસો થયો છે. લાપતા લોકોની ખોટી અરજી આપનાર સામે ફરિયાદ નોંધાઇ છે. હિતેશ ઉર્ફે વિજય પંડ્યાએ તેનો પરિવાર ઘરે હોવા છતાં લાપતાની અરજી કરી હતી. ભાણેજ તેમજ પાડોશીના બે સંતાનો ગેમઝોન ગયા હોવાનું જણાવ્યું હતુ.ગેમઝોનમાં ગયા બાદ પરત ન ફર્યા હોય તેવી ખોટી માહિતી આપી.
-
રાજકોટ અગ્નિકાંડ બાદ સુરતમાં 12 હોસ્પિટલ સીલ
રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત ફાયર વિભાગ એક્શનમાં આવ્યુ છે. ફાયર વિભાગે 2 દિવસમાં 12 હોસ્પિટલ સીલ કરી છે. ફાયર અને અન્ય ક્ષતિઓ સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે. અનેક વાર નોટિસ આપી છતા ફાયરની સુવિધા ન કરાઇ હોવાનું સામે આવ્યુ છે. જે હોસ્પિટલમાં દર્દીઓ હોય તેવા વોર્ડ સીલ ન કરવામાં આવ્યા. ખાલી વોર્ડ હોય તેવી હોસ્પિટલને સીલ કરવામાં આવી.
-
ચોમાસાનું કેરળમાં સત્તાવાર રીતે થયુ આગમન
આખરે જેની રાહ જોવાતી હતી તે ઘડી આવી ગઇ છે. ગરમીથી રાહતના સમાચાર સામે આવ્યા છે. ચોમાસાનું કેરળમાં સત્તાવાર રીતે આગમન થયુ છે.
Monsoon makes official entry in #Kerala #Monsoon2024 #Rain #TV9News pic.twitter.com/5YA4KwwMU5
— Tv9 Gujarati (@tv9gujarati) May 30, 2024
-
અમદાવાદના અસારવા સિવિલ હોસ્પિટલમાં ભીષણ આગ
અમદાવાદ: અસારવા સિવિલ હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી. કેન્સર હોસ્પિટલના પાંચમા માળે આગ લાગી. ફાયરની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે જવા રવાના થયા છે. હાલ કોઈ જાનહાનીના સમાચાર નથી.
-
24 કલાકમાં 26 ઇંચ જેટલો વરસાદ નોંધાયો
દેશમાં ચોમાસાનું આગમન થયુ છે. મેઘાલયના ચેરાપુંજીમાં ભારે વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં 26 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદ થતા રસ્તા પર પાણી ફળી વળ્યા. ભારે પવન સાથે વરસાદ થતા જનજીવન પર અસર થઇ છે.
-
રાજકોટ અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટીને લઈ શિક્ષણ વિભાગનો પરિપત્ર
રાજકોટ અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટીને લઈ શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે. રિક્ષા-વાનમાં વધુ બાળકો બેસાડાય તો વાલીઓ જાણ કરે. RTO અને પોલીસને જાણ કરવા વાલીઓને સૂચના આપવામાં આવી. અમદાવાદ શહેરમાં ત્રણ શાળાઓને નોટિસ ફટકારાઈ. શાળાઓને 11મી જૂન સુધીમાં ફાયર સેફ્ટી અંગે રિપોર્ટ મોકલવા સૂચના અપાઇ. રાજ્યના DEO શાળામાં ફાયર સેફ્ટીનો તપાસ રિપોર્ટ શિક્ષણ વિભાગને રજૂ કરશે.
-
રાજકોટ અગ્નિકાંડ મામલે રાજ્ય સરકાર એક્શનમાં
રાજકોટ અગ્નિકાંડ મામલે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. આજથી IPS રાજુ ભાર્ગવ અને IAS આનંદ પટેલની પૂછપરછ શરૂ કરાઇ. TRP ગેમઝોનમાં ‘ફોટોવાળા’ ચારેય અધિકારીઓને પણ SITનું તેડું આવ્યુ છે. પ્રાથમિક રિપોર્ટના આધારે વિસ્તૃત તપાસ માટે ગૃહ રાજ્યપ્રધાનની હાજરીમાં પ્રશ્નાવલી બનાવાઈ. તમામ મોટામાં મોટા અધિકારીઓની પૂછપરછ કરાશે. વર્ષ 2021થી તમામની વિગતવાર તપાસ કરાશે. દુર્ઘટનામાં જવાબદાર કોઈ અધિકારીને છોડવામાં નહીં આવે. સપ્ટેમ્બર 2023માં આગ લાગી છતાં મામલો દબાવી દેવાયો હોવાનું તપાસમાં ખુલ્યું છે. SIT અને DGP સાથે ગૃહ રાજ્યપ્રધાને બે વાર બેઠક કરી.
-
બનાસકાંઠા : કારમાં 5 વર્ષનો બાળક ફસાયો, શ્વાસ રુંધાતા મોત
બનાસકાંઠાના પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં બંધ પડેલી કારમાં બાળકનું મોત થયુ છે. બે વર્ષથી બંધ પડેલી કારમાં પાંચ વર્ષનો બાળક કારમાં બેસી ગયો હતો. બે કલાકથી વધુ સમય સુધી બંધકારમાં શ્વાસ રૂંધાતા બાળકનું મોત થયુ છે. બાળક કારમાં ગયા બાદ દરવાજો ન ખુલતા બાળકનો શ્વાસ રૂંધાયો છે. સ્થાનિકોની નજર પડતા બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.
-
વિરમગામ-નળસરોવર રોડ પર બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
વિરમગામ-નળસરોવર રોડ પર બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. એક યુવકનું ઘટના સ્થળે મોત થયુ છે. અન્ય બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. નળકાંઠાના કમીજલા ગામ પાસે બે બાઈક અથડાતા અકસ્માત થયો છે. ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
-
નવસારી: ઇટાળવામાં સ્ટાર સિનેમાના ઝોમેટોના કિચનમાં આગ લાગી
ઇટાળવામાં સ્ટાર સિનેમાના ઝોમેટોના કિચનમાં આગ લાગી. કિચનમાં લગાવેલા ઇલેક્ટ્રિક ફ્લાયરમાં આગ ભભૂકી ઉઠી. આગ લાગતા સિનેમાહોલમાં હાજર લોકોને સલામત રીતે બહાર કઢાયા હતા. દુકાનદારોએ પાણીનો મારો ચલાવી અને ફાયર એક્સ્ટિંગ્યુસરથી આગ ઓલવી. આગ કાબૂમાં આવતા મોટી દુર્ઘટના ટળી. પાવર ફલ્કચ્યુએશનના કારણે શોર્ટ સર્કિટ થઇ હોવાનું પ્રાથમિક તારણ છે.
-
ગીર-સોમનાથઃ PSI વતી લાંચ લેનાર વહીવટદારને ACBએ ઝડપ્યો
ગીર-સોમનાથઃ PSI વતી લાંચ લેનાર વહીવટદારને ACBએ ઝડપ્યો છે. ₹1 લાખની લાંચ લેતા PSI એચ.કે. વરુના વહીવટદારની ધરપકડ કરવામાં આવી. દારૂના ગુનામાં આરોપી પાસેથી 5 લાખની લાંચ માગી હતી. PSI વરુ ACB ટીમને થાપ આપી નાસી છૂટ્યા.
Published On - May 30,2024 7:30 AM