30 મેના મહત્વના સમાચાર : દેવભૂમિ દ્વારકાના દરિયા કિનારેથી 6,61,95,000નો બિનવારસી ચરસનો જથ્થો મળી આવ્યો
આજે 30 મેને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 30 મેને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
પોલીસ કોન્સ્ટેબલે 30 વર્ષની મહિલા સાથે દુષ્કર્મ કર્યાની અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
અમરેલીના બાબરા પોલીસ કર્મચારી બાદ વધુ એક પોલીસ કર્મચારી સામે બળાત્કારની ફરીયાદ થતા પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ગુજરાત પોલીસને શર્મશાર કરતી વધુ એક ઘટના સામે આવી છે. પોલીસ કર્મચારી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધઈ છે. અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં 30 વર્ષની મહિલા સાથે દુષ્કર્મ થયાની ફરીયાદ નોંધાઈ છે. મહેશ સોલંકી નામના પોલીસ કર્મચારીએ લગ્નની લાલચ આપી અવાર નવાર શરીર સબંધ બાંધતો હતો. બળજબરી પૂર્વક શરીર સબંધ બાંધતો હોવાની પોલીસ કર્મચારી મહેશ સોલંકી સામે બળાત્કારનો ગુન્હો નોંધાયો છે. મહેશ સોલંકી હેડક્વાટરમાં ફરજ બજાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બાબરા ફરજ બજાવતા પોલીસ કર્મચારી રવિરાજ સિંહ ચૌહાણ અને અમરેલી પોલીસ કર્મચારી મહેશ સોલંકી બંને આરોપી પોલીસ પકડથી દૂર રહ્યાં છે.
-
સુરતમાં કોરોનાના નવા ચાર કેસ સાથે કુલ 11 દર્દી નોંધાયા
સુરતમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 11 થતા આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે. સુરતમાં ત્રણ વૃદ્ધ કોરોનાના નવા ચાર કેસ નોંધાયા છે. સગરામપુરાના વૃદ્ધ, રાંદેર રોડનો યુવક, ઉધનાના વૃદ્ધ અને ગોડાદરાના વૃદ્ધા કોરોનાની ઝપેટમાં આવ્યા છે આ ચારેયની ટ્રાવેલ હિસ્ટ્રી મળી આવી છે. હાલમાં ચારેય દર્દીઓને ઘરે જ આઈસોલેટ કરવામાં આવ્યા છે. કોરોનાના નવા ચારેય દર્દીઓની તબીયત સ્થિર છે. આ દર્દીઓના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે GBRC, ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે.
-
-
જામનગરમાં નવા 4 કેસ સાથે કોરોનાના કુલ 17 કેસ
જામનગર જિલ્લા-શહેરમાં કોરોનાના વધુ ચાર કેસ સામે આવ્યા છે. આ નવા કેસની સાથે જામનગરમાં કુલ 17 કોરોનાના એક્ટિવ કેસ નોંધાયા છે. કોરોનાના તમામ દર્દીઓને હોમ આઇસોલેટમાં રાખવામાં આવ્યા છે. ઝડપથી ફેલાતા સંક્રમણ સામે જાગૃતિ જરૂરી છે. લોકોએ ગભરાવવાની જરૂર નથી તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું છે.
-
વલસાડમાં GMERS હોસ્પિટલના 3 ડોકટરો કોરોના પોઝિટિવ, જિલ્લામાં કુલ 04 કેસ
વલસાડ કોરોનાનો પગપેસારો થયો છે. જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજના 3 ડોકટરોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. 1 પુરુષ અને 2 મહિલા રેસિડેન્ટ ડોકટરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોવિડ-19 અસરગ્રસ્ત વિસ્તારમાં એક્ટિવિટી આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. હાલ તમામ દર્દીઓને સ્ટાફ ક્વોટર્સમાં જ આઇસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ ચાર કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે.
-
અમદાવાદમાં ક્યા ક્યા પાણી ક્યા ભરાય છે તે જાણવા AMC 12 લાખ પાણીમાં નાખશે !
અમદાવાદ શહેરમાં કયા ક્યા પાણી ભરાય છે તેનો સર્વે કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રૂપિયા 12 લાખનો ધૂમાડો કરશે. અમદાવાદમાં દર વર્ષે ચોમાસામાં અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાય છે. તંત્ર પાસે તેના ડેટા પણ ઉપલબ્ધ છે. દરેક ઝોનના એન્જિનીયર પાસે પણ તેની જાણકારી છે. આમ છતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન IIT ગાંધીનગર પાસે સર્વે કરાવશે અને તેના માટે 12 લાખ રૂપિયા ચૂકવવામાં આવશે.
ટૂંકમાં પાણી ક્યા ભરાય છે તે એએમસીના એન્જિનિયરો કે અન્ય વિભાગને પુછયા ગાંઠ્યા વિના 12 લાખ પાણીમાં નાખવાની વિવાદાસ્પદ દરખાસ્તને મજૂરીની મહોર મારી દેવામાં આવી છે.
-
-
ગુજરાતની ભાજપ સરકારના પંચાયત પ્રધાનના પુત્ર કિરણ ખાબડ 7 દિવસના રિમાન્ડ ઉપર
દાહોદ મનરેગા કૌભાંડમાં પ્રધાનપુત્ર કિરણ ખાબડને કોર્ટે સાત દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. ગુજરાતની ભાજપ સરકારના પંચાયત પ્રધાન બચુભાઈ ખાબડના નાના પુત્ર કિરણની મનરેગાના કરોડો રૂપિયાના કૌંભાડમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આજે કિરણ ખાબડને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના પોલીસ રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે બન્ને પક્ષના વકીલોની દલીલ સાંભળીને મંત્રી પુત્ર કિરણ ખાબડને સાત દિવસના રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો છે.
-
દેવભૂમિ દ્વારકાના દરિયા કિનારેથી 6,61,95,000નો બિનવારસી ચરસનો જથ્થો મળી આવ્યો
દેવભૂમિદ્વારકાના દરિયા કિનારેથી રૂપિયા 6,61,95,000ની કિંમતનો બિનવારસી ચરસનો જથ્થો મળી આવ્યો છે. દ્વારકા જિલ્લાના દરિયા કિનારેથી મળ્યો બિન વારસી ચરસનો જથ્થો મળી આવતા પોલીસ વિભાગ સહિતના તંત્રમાં ખળભળાટ મચી જવા પામી છે. કલ્યાણપુર તાલુકાના ગોજીનેશ ગામના દરિયા કિનારેથી 13.239 કિલો ચરસનો જથ્થો બિન વારસુ મળી આવ્યો છે. આ બિનવારસી ચરસની ભારતમાં કિંમત 6,61,95,000ની ગણવામાં આવી રહી છે. દરિયાકાંઠેથી બિનવારસી 13. 23 કિલો ગ્રામ ચરસનો જથ્થો મળી આવતા પોલીસ સતર્ક બની છે.
-
ગુજરાતમાં આજે કોવિડ-19ના નવા નોંધાયા 68 કેસ નોંધાયા
ગુજરાતમાં આજે નોંધાયેલા કોરોનાના નવા 68 કેસની સાથે રાજ્યમાં કૂલ 265 કેસ એક્ટિવ છે. જેમાંથી 11 દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. જ્યારે બાકીના 254 દર્દીને હોમ આઈસોલેશનમાં રાખેલ છે. આજે કુલ 22 દર્દીને રજા આપવામાં આવી છે.
-
પશ્ચિમ રેલવેના કાંદિવલી યાર્ડમાં મેજર બ્લૉકને કારણે અમદાવાદ-બોરીવલી એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
પશ્ચિમ રેલવેના કાંદિવલી યાર્ડમાં એલિવેટેડ બુકિંગ ઓફિસને હટાવવા માટે 5મી લાઈન અને યાર્ડ લાઈનો પર શનિવાર, 31 મે 2025 ના રોજ બપોરના 1 કલાકથી રવિવાર/સોમવારની મધ્યરાત્રી એટલે કે 1/2 જૂન, 2025 ના રોજ 01:00 કલાક સુધી 36 કલાકનો એક મેજર બ્લૉક લેવામાં આવશે. જેના કારણે કેટલીક ટ્રેન સેવા પ્રભાવિત થશે.
શૉર્ટ ટર્મિનેટ/ઓરિજિનેટ/આંશિકરૂપે રદ થનારી ટ્રેનો :
- 30 અને 31 મે, 2025 ના રોજ અમદાવાદથી ઉપડનારી ટ્રેન નંબર 19418 અમદાવાદ-બોરીવલી એક્સપ્રેસ વસઈ રોડ પર શોર્ટ ટર્મિનેટ થશે.આ ટ્રેન વસઈ રોડ અને બોરીવલી વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.
- 01 જૂન, 2025 ના રોજ બોરીવલીથી ઉપડનારી ટ્રેન નંબર 19417 બોરીવલી-અમદાવાદ એક્સપ્રેસ વસઈ રોડથી શોર્ટ ઓરિજિનેટ થશે. આ ટ્રેન બોરીવલી અને વસઈ રોડ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.
યાત્રીઓને જણાવવામાં આવે છે કે કૃપા કરીને ઉપરોક્ત વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખીને યાત્રા કરે.
-
અમરેલીના સાવરકુંડલામાં આકાશી મેલડી મંદિર પાસે ભેંસણીયા ડેમમાં નાહવા પડેલા 2 બાળકો ડૂબ્યા
અમરેલીના સાવરકુંડલામાં આકાશી મેલડી મંદિર પાસે ભેંસણીયા ડેમમાં ત્રણ બાળકો નાહવા પડ્યા હતા, જેમાથી બે બાળકોના ડૂબી જવાથી મોત થયું છે. ઘટનાની જાણ થતા સ્થાનિક તરવૈયા અને ફાયર ટિમ ઘટના સ્થળે પહોંચી હતી. બે બાળકોના મૃતદેહ બહાર કાઢી 108 મારફતે સાવરકુંડલા સિવિલમાં પીએમ અર્થે ખસેડાયા હતા. ત્રણ બાળકોમાંથી મોહિત મનીષભાઈ સોલંકીનો આબાદ બચાવ થયો છે. મૃતક કૃણાલ અશ્વિનભાઈ સોલંકી નામના બાળકના ફોઈને આઘાત લાગતા પોતાના માથા પર પથ્થર મારી થયા ઇજાગ્રસ્ત હતા.
-
શાળાઓના પ્રવાસમાં ગણવેશધારી પોલીસને ફરજીયાત લઈ જવા પડશે
ગુજરાતમાં શાળાકીય પ્રવાસને લઈને રાજ્યના ગૃહવિભાગે મહત્વનો નિર્ણય ર્યો છે. ખાસ કરીને પ્રવાસમાં જોડાનાર શાળાના વિદ્યાર્થીઓના હિત, સુરક્ષા લઈને નિર્ણય કરાયો છે. રાજ્યની શાળાઓના વિદ્યાર્થીઓના પ્રવાસમાં બે ગણવેશધારી પોલીસકર્મીઓની હાજરી ફરજિયાત રહેશે. જો પ્રવાસમાં વિદ્યાર્થીનીઓ સામેલ હોય, તો મહિલા પોલીસકર્મીઓને પણ સાથે રાખવા પણ નિર્દેશ કરવામાં આવ્યો છે. શૈક્ષણિક પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા-સલામતિ સુનિશ્ચિત કરવા તથા વિધાર્થીઓ-પોલીસ વચ્ચે સેતુ બંધાય અને પરસ્પર સુમેળ સંબંધ કેળવાય તે ઉદ્દેશ્યથી આ મહત્વનો નિર્ણય લેવાયો છે.
-
જામનગર એરફોર્સ અને સમગ્ર જિલ્લામા શનિવારે યોજાશે ઓપરેશન શિલ્ડ’ અંતર્ગત મોકડ્રિલ
જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે આવતીકાલ તા. 31 મે ના રોજ સાંજે 5.00 કલાકે ‘ઓપરેશન શિલ્ડ’ અંતર્ગત મોકડ્રિલ યોજાશે. રાત્રે 8.00 થી 8.30 કલાક દરમિયાન સમગ્ર જિલ્લામાં ‘ઓપરેશન શિલ્ડ’ અંતર્ગત ફરજિયાત બ્લેક આઉટ રહેશે.
-
મોરબીઃ હળવદમાં ન્હાવા પડેલા બે બાળકોના ડુબી જતાં મોત
મોરબીઃ હળવદમાં ન્હાવા પડેલા બે બાળકોના ડુબી જતાં મોત થયા છે. કડીયાણા ગામ પાસે વોંકળામાં ન્હાવા પડ્યા હતા. પ્રિન્સ અને આદિત્ય નામના પિતરાઈ ભાઈઓના મોત થયા છે.
-
AAPએ કડી વિધાનસભાના પેટા ચૂંટણીના ઉમેદવારના નામ જાહેર કર્યા
કડી વિધાનસભાના પેટા ચૂંટણીને લઈ મોટા સમચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટી એ કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં ઉમેદવાર જાહેર કર્યા. આમ આદમી પાર્ટીએ જગદીશ ચાવડાના નામની કડી વિધાનસભા માટે જાહેરાત કરી છે. આપ પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ ઉમેદવારનું નામ જાહેર કર્યું.
-
આપણે આપણી શરતો પર લશ્કરી કાર્યવાહી બંધ કરી : સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ
રક્ષા પ્રધાન રાજનાથ સિંહે ગોવામાં કહ્યું, “ઓપરેશન સિંદૂરની સફળતા માટે હું તમને બધાને અભિનંદન આપું છું. પહેલગામમાં કાયર આતંકવાદી હુમલા પછી જ્યારે ભારતે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું, ત્યારે આપણા સશસ્ત્ર દળોએ જે ગતિ, ઊંડાણ અને સ્પષ્ટતા સાથે કામ કર્યું તે અદ્ભુત હતું. તેણે માત્ર આતંકવાદીઓને જ નહીં પરંતુ તેમના આશ્રયદાતાઓને પણ સ્પષ્ટ સંદેશ આપ્યો કે ભારત હવે સહન કરતું નથી, ભારત હવે યોગ્ય જવાબ આપે છે. અમારો હુમલો એટલો જોરદાર હતો કે પાકિસ્તાને ભારતને રોકવા માટે વિશ્વને વિનંતી કરવાનું શરૂ કર્યું. અમે અમારી શરતો પર અમારી લશ્કરી કાર્યવાહી બંધ કરી દીધી. આ સમગ્ર સંકલિત કામગીરીમાં નૌકાદળની ભૂમિકા ગૌરવપૂર્ણ રહી છે. ઓપરેશન સિંદૂર દરમિયાન, જ્યારે વાયુસેનાએ પાકિસ્તાની ભૂમિ પર આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો, ત્યારે અરબી સમુદ્રમાં તમારી તૈનાતી, દરિયાઈ વિસ્તાર અને દરિયાઈ પ્રભુત્વના અજોડ જ્ઞાને પાકિસ્તાની નૌકાદળને તેના કિનારા સુધી મર્યાદિત કરી દીધું. તેઓ ખુલ્લા સમુદ્રમાં આવવાની હિંમત પણ એકઠી કરી શક્યા નહીં.”
-
પીએમ મોદી અને મુખ્યમંત્રી નીતિશે કરકટ જાહેર સભામાં વાતચીત કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરકટમાં એક જાહેર સભા દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે વાતચીત કરી. કરકટના લોકોને સંબોધતા નરેન્દ્ર મોદીએ કહ્યું, “હું હંમેશા બિહારના પ્રેમને ખૂબ માન આપું છું. હું માતાઓ અને બહેનોને ખાસ માન આપું છું. પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો. આ પછી, અમે આંખ મીંચીને કહ્યું કે આતંકવાદી માસ્ટરોના ઠેકાણાઓને જમીનદોસ્ત કરવામાં આવશે. બિહારની ધરતી પર, મેં કહ્યું હતું કે તેમને કલ્પના કરતાં પણ મોટી સજા મળશે. આજે જ્યારે હું બિહાર આવ્યો છું, ત્યારે હું મારું વચન પૂર્ણ કરીને બિહાર આવ્યો છું. આપણી સેનાએ તેમના ઠેકાણાઓને ખંડેરમાં ફેરવી દીધા છે.”
-
ભરૂચ: અંકલેશ્વરમાં 10થી વધુ બાંગ્લાદેશી ઝડપાયા
ભરૂચ: અંકલેશ્વરમાં 10થી વધુ બાંગ્લાદેશી ઝડપાયા છે. SOG અને LCBની ટીમે ચેકિંગ દરમ્યાન બાંગ્લાદેશીઓને પકડ્યા. વ્યવસાય અને ભૂતકાળ જાણવા જોઈન્ટ પૂછપરછ કરાઈ. પોલીસે તમામ બાંગ્લાદેશીઓની અટકાયત કરી
-
પંજાબ: મુક્તસરમાં ફટાકડાની ફેક્ટરીમાં થયો બ્લાસ્ટ, 4ના મોત
પંજાબ: મુક્તસરમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે. વિસ્ફોટ થતાં પાંચ કામદારોના મોત થયા છે. 29 ઈજાગ્રસ્તોને સારવાર માટે એઈમ્સ હોસ્પિટલમાં ખસેડાયા છે. બ્લાસ્ટ થતાં ફેકટરીની ઈમારતનો મોટો ભાગ ધરાશાયી થયો. ઘણા કામદારો કાટમાળ નીચે દટાયા હોવાનું સામે આવ્યું છે.બચાવ અને રાહત કાર્ય ચાલુ છે. ફેક્ટરીમાં કુલ 40 લોકો કામ કરતા હતા.
-
જામનગર: બેડી વિસ્તારમાં રેલવે લાઈનમાં ટેસ્ટિંગ વખતે એન્જીન ઉતર્યુ
જામનગર: બેડી વિસ્તારમાં રેલવે લાઈનમાં ટેસ્ટિંગ વખતે એન્જીન ઉતરી ગયુ હતુ. જોડીયા ભુગા પાસે રેલવે લાઈનની કામગીરી દરમિયાન ઘટના બની હતી. એન્જીન પાટા પરથી ઉતરી જતા અકસ્માત સર્જાયો. કલાકોની મહેનત બાદ એન્જીનને ફરી પાટા પર ચઢાવવામા આવ્યુ.
-
મોકડ્રિલ માટેની નવી તારીખ કરાઈ જાહેર
મોકડ્રિલ માટેની નવી તારીખ જાહેર કરાઈ છે. 31 મેએ પાકિસ્તાન સીમા સાથે જોડાયેલા રાજ્યોમાં મોકડ્રિલ યોજાશે. ગુજરાત, પંજાબ, રાજસ્થાનમાં મોકડ્રિલ યોજાશે. જમ્મુ કાશ્મીરમાં પણ મોકડ્રિલ યોજવામાં આવશે. સીમાવર્તી જિલ્લાઓમાં દર મહિને મોકડ્રિલ યોજાશે. 4 રાજ્યોમાં મોકડ્રિલની તારીખ બદલવામાં આવી.
Published On - May 30,2025 7:32 AM