29 માર્ચના મહત્વના સમાચાર : રાજ્યમાંથી શ્રમિકોનું પલાયન રોકવા 5 કિલોના LPG સિલિન્ડર આપવાનો નિર્ણય, હર્ષ સંઘવીએ કહ્યું, અફવાથી રહો દૂર, કાળાબજારી સાંખી નહીં લેવાય
Gujarat Live Updates : આજ 29 માર્ચના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
આજે 29 માર્ચને રવિ વારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
જામનગરના ઓશવાશ એજ્યુકેશન ટ્રસ્ટનો આંતરીક વિવાદ સપાટી પર
જામનગરના ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટમાં આંતરિક ડખ્ખો સામે આવ્યો છે. ટ્રસ્ટી રમણિક શાહ ગૌશાળા કૌભાંડ અને ગાયોની દુર્દશાના આક્ષેપો થયા છે..શ્વાન વાછરડાના અવશેષો આરોગતા હોવાનો વીડિયો વાયરલ થયા બાદ અન્ય ટ્રસ્ટીએ જ આ સવાલો ઉઠાવ્યા છે. ગાયો માટે ખોરાક અને શેડની વ્યવસ્થા ન હોવાનો આરોપ છે. ટ્રસ્ટી રમણીક શાહ પર ટ્રસ્ટી જિજ્ઞા હરિયાએ આક્ષેપ કર્યો કે અમારા ટ્રસ્ટમાં જોડાયા પછી તેમણે પાછળથી ચાંપા બેરાજા મિત્ર મંડળ ટ્રસ્ટ શરૂ કર્યું અને ગૌશાળા અને પાંજરાપોળ શરૂ કર્યું. અમારા ટ્રસ્ટમાં ગૌશાળા માટે કોઈ ઉલ્લેખ ન હોવા છતાં તેમણે પાંજરાપોળ શરૂ કર્યું.
-
જૂનાગઢઃ પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં ટોળાની એન્ટ્રી સામે તપાસ
જૂનાગઢઃ પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં ટોળાની એન્ટ્રી સામે તપાસ હાથ ધરાઈ છે. વિલિંગ્ડન ડેમ નજીક પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં યુવકો ઘૂસ્યા હતા. વીડિયો વાયરલ થયા બાદ વનવિભાગ હરકતમાં આવ્યું. DCFએ તપાસ કરવા આદેશ આપ્યા. જંગલમાં ગેરકાયદે પ્રવેશ કરનારાની ઓળખ કરવા તજવીજ હાથ ધરી. પ્રતિબંધિત વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં યુવકો કેવી રીતે પહોંચી ગયા તે મોટો સવાલ છે.
-
-
રાપરમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો
કચ્છના રાપરમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે. 26 માર્ચે ઘર પાસે બેસીને અપશબ્દો બોલી રહેલા શખ્સોને યુવકે અપશબ્દો ન બોલવા માટે ટકોર કરી હતી, જે બાદ ઉશ્કેરાયેલા શખ્સોએ છરીના ઘા ઝીંકી યુવકને હત્યા કરી હતી. ફરિયાદ બાદ પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. ગુનામાં વપરાયેલા હથિયારો અને અન્ય પુરાવાઓ એકત્ર કરી પોલીસે આરોપીઓ સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી
-
સુરતઃ ઉત્રાણમાં પ્લોટના વિવાદમાં પોલીસની હાજરીમાં બબાલ
સુરતઃ ઉત્રાણમાં પ્લોટના વિવાદમાં પોલીસની હાજરીમાં બબાલ થઈ. મહિલાઓ સહિત બે પરિવાર વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હી. આ દરમિયાન ઘરમાં પણ તોડફોડનો વીડિયો વાયરલ થયો છે. તપાસ કરવા ગયેલી પોલીસની હાજરીમાં જ મારામારી થઈ હતી. પોલીસે બંને પક્ષો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
-
અમરેલીમાં માવઠુ, અનેક ગામોમાં વરસાદી ઝાપટા
હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલી જિલ્લામાં માવઠાની અસર જોવા મળી. ખાંભા ગીના ગામડાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો. જીંક્યાળી, ધજડી, વાંકિયા સહિતના ગામડાઓમાં વરસાદી ઝાપટા પડ્યા. કેરી, તલ, બાજરી, સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ધરતીપુત્રોમાં ફરીવાર ચિંતાના વાદળો ઘેરાયા છે.
-
-
પાટણ: ભણવાની ઉંમરે બાળકનો ધૂણતો વીડિયો વાયરલ
પાટણ: ભણવાની ઉંમરે બાળકનો ધૂણતો વીડિયો વાયરલ થયો છે. ખોખરવાડામાં માતાજીના માંડવામાં બાળક ધૂણતો જોવા મળ્યો. ભીલવાસમાં માતાજીના માંડવામાં બાળક ધૂણતો નજરે પડ્યો હતો. જો તે આ સમયે અન્ય લોકો બાળક પર પુષ્પ વર્ષા કરતા જોવા મળ્યા.
અવારનવાર માતાજીના નામે ધૂણતા લોકોનો વીડિયો સામે આવતો હોય છે. પરંતુ પાટણમાં બાળકમાં માતાજી આવ્યા હોય તેવો દાવો કરતો વીડિયો વાયરલ થયો છે. આસપાસના લોકો બાળક પર પુષ્પ વર્ષા કરી રહ્યા છે. બાળકને સાલ પણ ઓઢાડવામાં આવી છે અને બાળક ધૂણી રહ્યો છે. આ વીડિયો વાયરલ થતા બાળકના ભવિષ્ય અંગે પણ સવાલ ઉઠી રહ્યા છે.
-
100 થી વધુ આદિવાસીઓએ ખ્રિસ્તી ધર્મ છોડી હિંદુ ધર્મમાં કરી વાપસી
નવસારી જિલ્લામાં આદિવાસીઓના ધર્માંતરણ વિવાદ વચ્ચે આજે વાંસદા તાલુકામાં આવેલા ઉનાઈ મંદિરે ખાતે 100થી વધુ આદિવાસી દંપત્તી ખ્રિસ્તી ધર્મ છોડીને હિન્દુ ધર્મમાં ઘરવાપસી કરી છે. હિન્દુ સંગઠનના પ્રયાસથી આ તમામ યુગલોએ સનાતન ધર્મમાં ઘરવાપસી કરી.સ્નાન. પૂજા અને શુદ્ધિકરણ વિધિ બાદ તમામે હિન્દુ ધર્મનું અનુસરણ કરવાનો સંકલ્પ કર્યો. સનાતનમાં ઘરવાપસી કરનારા લોકોએ કહ્યું કે વર્ષો પહેલા લોભ-લાલચને કારણે અમે ખ્રિસ્તી ધર્મ અંગિકાર કર્યો હતો પરંતુ હવે અમે ફરી હિન્દુ ધર્મનો ભાગ છીએ.
-
વલસાડ: નેશનલ હાઈવે 48 પર હિટ એન્ડ રન
વલસાડ: નેશનલ હાઈવે 48 પર હિટ એન્ડ રન ની ઘટના સામે આવી. બલીઠા નજીક હિટ એન્ડ રનમાં રાહદારીનું મોત થયુ છે. આ અકસ્માતના કમકમાટી ભર્યા દૃશ્યો સામે આવ્યા છે. રસ્તો ઓળંગી રહેલા રાહદારીને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા રાહદારી ફંગોળાઈને ડિવાઈડર પર પટકાયો. તે લગભગ 20 મિનિટ સુધી ડિવાઈડરની સેફ્ટી દિવાલ પર લટકતો રહ્યો. વાહનોના ધસારા વચ્ચે કોઈ રાહદારીની મદદે ન આવ્યું. અંતે રસ્તા પર પટકાતા અનેક વાહનો તેના પરથી પસાર થવા લાગ્યા, માનવતા મરી પરવારી હોય તેમ મૃતદેહ પરથી અનેક વાહનો પસાર થતા રહ્યા હતા.
-
અમરેલીઃ ખાંભા, ગીરના ગામડાના વાતાવરણમાં પલટો
અમરેલીઃ ખાંભા અને ગીરના ગામડાઓના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી બાદ કમોસમી વરસાદ વરસ્યો. જીક્યાળી, ધજડી, વાંકિયા સહિત ગામડાઓમાં વરસાદી ઝાપટાં પડતા કેરી, તલ, બાજરી સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ છે. ધરતીપુત્રોમાં ફરી એકવાર ચિંતાના વાદળો ઘેરાયા છે.
-
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વડગામમાં કોંગ્રેસનું જનવિશ્વાસ સંમેલન
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો હજુ જાહેર નથી થઈ પરંતુ કોંગ્રેસે અત્યારથી તૈયારી શરૂ કરી દીધી છે. બનાસકાંઠાના વડગામમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં ‘જન વિશ્વાસ સંમેલન’ યોજાયું. જેમાં કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજરી આપી. અમિત ચાવડાએ સ્પષ્ટ કર્યું કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી કોંગ્રેસ પોતાના બળ પર જ લડશે અને આમ આદમી પાર્ટી સાથે કોઈ ગઠબંધન નહીં કરવામાં આવે. તેમણે કહ્યું કે કોંગ્રેસ કાર્યકરોના બળથી જન જન સુધી પહોંચશે અને આ વખતે જનતા પણ પરિવર્તન કરવાના મુડમાં છે.
-
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા હાઇવે પર ખાનગી મીની બસ પલટી, 7 ઘાયલ
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા હાઇવે પર ખાનગી મીની બસ પલટી ગઈ છે. ડ્રાઇવરે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતા મીની બસ પલટી ગઈ હતી. આ મીની બસમાં વડોદરાથી દ્વારકા જઈ રહેલી 17 મુસાફર સવાર હતા. જેમાંથી 7 મુસાફરને ઈજા પહોચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ દાકલ કરવામાં આવ્યા છે.
-
નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સમયમાં ફેરફાર, જાણો નવો સમય
નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 1 એપ્રિલથી લેઝર શો અને આરતીનો સમય બદલાશે. હવે લેઝર શો સાંજે 7.30 કલાકે યોજાશે. નર્મદા મહાઆરતી રાત્રે 8.15 કલાકે યોજાશે. SOU ઓથોરિટીએ સત્તાવાર નવો નિર્ણય લીધો છે.
-
અમદાવાદની 18 બેંકમાં જમા કરાવાઈ 500, 200, 100, 50ના દરની નકલી ચલણી નોટ
અમદાવાદની વિવિધ 18 બેંકમાં મળેલી નકલી નોટ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. કુલ રૂપિયા 5.67 લાખના દરની નકલી નોટ બેંકમાં જમા થઈ હતી. SOGએ અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રૂપિયા 500, 200, 100, 50ના દરની નકલી નોટો જપ્ત કરાઈ છે.
-
સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી-અમદાવાદ હાઇવે પર ટ્રકમાં આગ
સુરેન્દ્રનગરના લીંબડી-અમદાવાદ હાઇવે પર ટ્રકમાં આગ હતી. કટારીયા ગામ પાસે ચાલુ ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નહીં. ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ કાબૂમાં લીધી છે.
-
નળ સરોવરના દુર્ગી ગામે દારૂની રેડ સમયે પોલીસ પર હુમલો કરનારા પૈકી 16ની અટકાયત
અમદાવાદ જિલ્લાના નળ સરોવરના દુર્ગી ગામે દારૂની રેડ સમયે પોલીસ પર હુમલો કરવાની ઘટના બની છે. આરોપીને પકડવા જતા ગ્રામજનો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. આરોપીનો પીછો કરીને પકડતા મામલો બીચક્યો હતો અને હિંસક પડઘા પડ્યા હતા. પોલીસે ગામમાં કોમ્બિંગ કરીને 17 આરોપીની કરી ધરપકડ. વીડિયોના આધારે અન્ય ફરાર શખ્સોને પકડવા તપાસ તેજ કરી દેવાઈ છે.
-
હિંમતનગરના આગિયોલમાં વૃદ્ધની હત્યા, હત્યાના શંકાસ્પદ આરોપીનો ગામડી નજીકથી મળ્યો મૃતદેહ
હિંમતનગરના આગિયોલમાં વૃદ્ધની હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. રાત્રી દરમિયાન તીક્ષ્ણ હથીયાર વડે વૃદ્ધના ગળામાં ઘા ઝીંકી હત્યા કરી દેવાઈ છે. અગાઉના ઝઘડાની અદાવતમાં હત્યા કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. હત્યા કરી આરોપી કાનજી મકવાણા રાત્રીના અંધકારમાં ભાગી ગયો હતો. હત્યાની ઘટનાને પગલે ગાંભોઈ પોલીસે તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન સવારના અરસા દરમિયાન ગામડી નજીકથી હત્યારાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી. અજાણ્યા પુરુષની લાશ મૃત હાલતમાં હોવાનું જાણવા મળતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. તપાસ કરતા મૃતક આગિયોલની હત્યાની ઘટનાનો આરોપી કાનજી મકવાણા હોવાની ઓળખ થઈ હતી. ગાંભોઈ પોલીસે બંને લાશને પીએમ માટે મોકલી તપાસ હાથ ધરી છે. હિંમતનગર ડીવાયએસપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા.
-
સુરત મનપાની ચૂંટણી પૂર્વે વિવિધ સર્કલ પર લાગ્યા ભાજપ વિરોધી પોસ્ટર્સ, રાજકારણ ગરમાયું
સુરતના ડિંડોલીમાં ચૂંટણી પહેલા જ ભાજપ વિરોધી પોસ્ટર્સ લાગતા, રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. અલગ અલગ સર્કલ પર વિરોધ દર્શાવતા અનેક પોસ્ટર લાગ્યા છે. મોંઘવારી, મોંઘા શિક્ષણ જેવા સળગતા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. દારૂ, ડ્રગ્સ અને ભ્રષ્ટાચાર મામલે પોસ્ટરથી આક્રોશ કરાયો વ્યક્ત છે. ટ્રાફિક સમસ્યાથી હવે જનતા થાકી ગઈ હોવાનું લખાણ લખાયું છે. કમળના પ્રતિક પર ક્રોસ નિશાન મૂકી રાજકીય સંદેશ અપાયો છે. ચૂંટણી પૂર્વે વિરોધના પોસ્ટરોથી શહેરના રાજકારણમાં ભારે ચર્ચા.
-
રાજકોટ જિલ્લા પંચાયત પૂર્વ કારોબારી અધ્યક્ષ સહિત 9 સામે ખનીજ ચોરીની ફરિયાદ નોંધાઈ
રાજકોટ જિલ્લા પંચાયત પૂર્વ કારોબારી અધ્યક્ષ સહિત 9 સામે ખનીજ ચોરીની ફરિયાદ નોંધાઈ છે. સહદેવસિંહ જાડેજા સહિત 9 સામે નોધાઇ ફરિયાદ. ભૂણાવા ગામની ગૌચર અને સરકારી ખરાબાની જમીનમાંથી ખનીજ ચોરી કરવામાં આવી. રૂપિયા 1,59,91,989 ની ખનીજ ચોરીની નોધાઇ ફરિયાદ. ખાણ ખનીજ વિભાગ દ્વારા ગોંડલ તાલુકા પોલીસ નોધાઇ ફરિયાદ. સહદેવસિંહ જાડેજાએ છેલ્લી સામાન્ય સભામાં વિપક્ષી નેતા સામે નાણાં માંગવાના કર્યા હતા આક્ષેપો. આજે પોતે જ ચર્ચામાં આવતા મોટો સવાલ ઉભા થયા છે.
-
અમદાવાદના ચાંદખેડામાં CISF જવાનની પત્નીના ગળામાંથી ચેઈન લૂંટાઈ
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં CISF જવાનની પત્ની સાથે ચેઇન સ્નેચિંગનો બનાવ બન્યો છે. મોર્નિંગ વોક માટે નીકળેલી મહિલા સાથે ચેઇન સ્નેચિંગ થવા પામી છે. બાઇક પર આવેલા 2 શખ્શોએ કર્યું ચેઇન સ્નેચિંગ. મહિલા સાથે ઝપાઝપી બાદ સ્નેચરો ચેઇન તોડીને ફરાર થઈ ગયા હતા. મહિલાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ.
-
ગોતા પોલીસ ચોકીની બાજુમાં પાર્ક કરેલ કારના સાયલેન્સરની ચોરી
શહેરમાં ગોતા પોલીસ ચોકીની બાજુમાં પણ કાર અસલામત છે. ગોતા પોલીસ ચોકીની બાજુમાં પાર્ક કરેલી કારમાં ચોરી થવા પામી છે. તસ્કરોએ કારના સાયલેન્સરની ચોરીને આપ્યો અંજામ. સોલા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
-
સાસણ વન વિભાગના કર્મચારીને જાનથી મારી નાખવાની મેંદરડા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ
જૂનાગઢના સાસણ વન વિભાગના કર્મચારીને મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. હનીફ બ્લોચ નામના માલધારી સામે ફરિયાદ નોંધાઈ છે. ટ્રેકર તરીકે ફરજ બજાવતા સાગર માંજરીયાને હનીફ બ્લોચ ધમકી આપી હતી. સાસણ અભ્યારણ્યના ગળકબારી વિસ્તારમાં પ્રાણીના અવલોકનની કામગીરી ચાલતી હતી. તે વિસ્તારમા રહેતા હનીફ બ્લોચે સ્થળ પર આવી અપશબ્દો બોલ્યા હતા. ફરજમાં રૂકાવટ તેમજ જાનથી મારી નાખવાની ધમકી બાબતે નોંધાઇ ફરીયાદ. મેંદરડા પોલીસે હાથ ધરી તપાસ.
-
નવસારીની અંબિકા નદીના પટમાં ખાણ-ખનીજ વિભાગના દરોડા
નવસારીની અંબિકા નદીના પટમાં ખાણ-ખનીજ વિભાગે દરોડા પાડ્યા છે. નવસારી ખાણ-ખનીજ વિભાગે બીલીમોરા પાસે વહેતી અંબિકા નદીમાં ચાલતા ગેરકાયદે ખનન પર ત્રાટકી મોટી કાર્યવાહી કરી છે. દરોડા દરમિયાન સ્થળ પરથી 1 બાઝ મશીન અને 2 રેતી કાઢવાના મશીનો મળી આવ્યા છે, જપ્ત કરાયેલી મશીનરીની બજાર કિંમત અંદાજે ₹25લાખ આંકવામાં આવી છે. તંત્રની આ આકરી કાર્યવાહીથી અંબિકા નદીના કિનારે રેતી ચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. અભય કિરણ ઓડ સામે ગુનો દાખલ કરી કાયદાનો સકંજો કસવામાં આવ્યો છે.
-
એન્જિનિયરિંગ-ફાર્મસી માટે લેવાતી GUJCETની રાજ્યભરમાં 1.36 લાખ વિધાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા
એન્જિનિયરિંગ-ફાર્મસીની કોલેજમાં પ્રવેશ મેળવવા માટે લેવાતી GUJCETની આજે પરીક્ષા લેવાશે. રાજ્યભરમાં 1.36 લાખ વિધાર્થીઓ આપી રહ્યા છે આજે પરીક્ષા. A ગ્રુપના 58406, B ગ્રુપના 77074 જ્યારે AB ગ્રુપના 395 વિધાર્થીઓની પરીક્ષા. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મળી 89 બિલ્ડિંગમાં 910 બ્લોકમાં પરીક્ષાનું આયોજન. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 18 હજારથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા આપશે. શહેરમાં 11754 અને ગ્રામ્ય વિસ્તારમાં 6352 વિદ્યાર્થીઓ નોંધાયા. ગ્રુપ A માં 9886 અને ગ્રુપ બી માં 8157 જ્યારે AB ગ્રુપમાં 63 વિદ્યાર્થીઓ. શહેરમાં 59 બિલ્ડિંગમાં 590 બ્લોક અને ગ્રામ્યમાં 30 બિલ્ડિંગમાં 320 બ્લોકમાં પરીક્ષા.
-
બિલ્ડર-ઉદ્યોગપતિના કહેવાથી IPS જગદીશ બાંગરવાએ, કોળી યુવાનને ગોંધી રાખી માર માર્યો, 14 એપ્રિલે FIR કરવા કૂચ કરાશેઃ જીગ્નેશ મેવાણી
ઉપલેટા ખાતે કોંગ્રેસ દ્વારા જનઆક્રોશ સભા યોજાઈ હતી. જેમાં ખેડૂત આગેવાન પાલ આંબલીયા, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, ઋત્વિક મકવાણા, પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા સભાઓનો ધમધમાટ શરૂ કરાયો છે. જીગ્નેશ મેવાણી એ આઈ પી એસ જગદીશ બાંગરવા પર આક્ષેપ કર્યો હતો. રાજકોટના કોળી સમાજના યુવકને બિલ્ડર અને ઉધોગપતિના કહેવાથી 4 કલાક ગોંધી રાખી માર મારવામાં આવ્યો હતો. 14 એપ્રિલ એ હજારો લોકોને સાથે લઈને રાજકોટ કમિશનર કચેરીએ જગદીશ બાંગરવા સામે FIR દાખલ કરવા જીગ્નેશ મેવાણી કરશે માંગ.
પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ સરકાર પર સાધ્યું નિશાન. ખેડૂતને એમની જણસના ભાવ નથી મળતા લોકોને મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે. ચૂંટણી પહેલા ઉપલેટા ભાજપના ગઢમાં ગાબડું પડતા વસોયા. 50 જેટલા ભાજપના કાર્યકરોને કોંગ્રેસનો ખેસ પહેરાવી અને કોંગ્રેસમાં આવકારતા કોંગ્રેસના આગેવાનો. પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા એ પણ આઇપીએસ અધિકારીઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપો. રાજકોટમાં આઇપીએસ અધિકારીઓની રહેમ રાહથી સરકારી જમીનનો થઈ રહ્યો છે વેપાર.
-
HBC લાઇફ સાયન્સ કંપનીમાં કામ કરતી મહિલાનું અપહરણ કરી, માર મારવાના કેસમાં AAPના ઉપ પ્રમુખની અટકાયત
ગાંધીનગર સેક્ટર 25 GIDC માં આવેલી HBC લાઇફ સાયન્સ કંપનીમાં કામ કરતી મહિલાના એકાઉન્ટન્ટ અપહરણ અને મારપીટના ગુનામાં આપના ઉપ પ્રમુખની અટકાયત. સેક્ટર 21 મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ કરાઇ અટકાયત. ઓડિટ માં 85 લાખના વ્યવહારોને બિલ વગરની ચૂકવણી ઓડિટ દરમિયાન મહિલા એકાઉન્ટન્ટ દ્વારા પકડી પાડતા શરૂ થયો હતો વિવાદ. કંપની સંચાલકો દ્વારા મહિલાનું 26 માર્ચના રોજ ગાડીમાં અપહરણ કરી માર મારવા અને ધમકી આપવાની મહિલા એકાઉન્ટન્ટ દ્વારા નોધાવી હતી ફરિયાદ. સેક્ટર 21 પોલીસે હસમુખ પટેલ સહિત અન્ય 3 લોકો વિરુદ્ધ BNS કલમ 137(2),351(3),352,115(2),61(1)A 54 મુજબ ગુનો નોધી અટકાયત કરી છે. હસમુખ પટેલ 2020 21 માં આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી તરીકે કામ કર્યું હતું.
-
Dang : ડાંગના પિપરી નજીક જંગલમાં લાગી આગ, પોલીસે કાબૂમા લીધી આગ
ડાંગના પિંપરી નજીક જંગલમાં આગ લાગી હતી. આગની જ્વાળાઓ જોતા પોલીસના જવાનોએ આગને બુઝાવીને જંગલને વધુ નુકસાન થતા અટકાવ્યુ હતું. નાઇટ પેટ્રોલિંગ દરમ્યાન આહવાથી વઘઇ જતા રોડ ઉપર આગ જોતા પોલીસે વનવિભાગનું કામ કર્યું. આગ લાગી ત્યાં નજીકમાં જ ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર તથા વીજળીના વાયરો પસાર થતા હોય પોલીસે તુરંત આગને કાબુમાં લેવાના પ્રયત્નો કર્યા, સૂકા પાંદડા અને ડાળી ડાંખરા અલગ કરીનેઆગ આગળ ફેલાતા રોકી અમૂલ્ય જંગલ સંપતી બચાવી છે.
-
રેમન્ડના ભૂતપૂર્વ ચેરમેન વિજયપત સિંઘાનિયાનું નિધન, આજે મુંબઈમાં કરાશે અંતિમ સંસ્કાર
ગૌતમ સિંઘાનિયાના પિતા અને રેમન્ડ ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે અવસાન થયું છે. રેમન્ડ ગ્રુપના પ્રવક્તાએ પુષ્ટિ આપી હતી કે, વિજયપત સિંઘાનિયાનું મુંબઈમાં અવસાન થયું છે અને તેમના અંતિમ સંસ્કાર આજે રવિવાર 29મી માર્ચના રોજ કરવામાં આવશે.
-
ભાજપના ભ્રષ્ટાચારાના મુદ્દે કોંગ્રેસમાં ગાંજ ! મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા
મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી રમેશ ભુંભરિયાને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે. ભાજપના માણસો દ્વારા જમીન કૌભાંડ કરાયા અંગે આક્ષેપો સાથે રજૂઆતો કરતા કોંગ્રેસ મહામંત્રીને જિલ્લા કોંગ્રેસે પક્ષમાંથી દૂર કર્યા! સસ્પેન્ડ કરાયેલ મહામંત્રી રમેશ ભુંભરિયા અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોર ચીખલીયાની ફોન વાતચીતનો ઓડીયો વાયરલ. વાયરલ વીડિયોમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયા કહી રહ્યા છે “કા તમે તેમાંથી હટી જાઓ અથવા સ્વૈચ્છિક રાજીનામું આપો” વધુમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સસ્પેન્ડ કરાયેલ મહામંત્રી કહી રહ્યા છે કે “કોંગ્રેસના ચાર સિનિયર આગેવાનો એ મને ફરિયાદ કરી છે તેમની સાથે સંકલન કરી લો તો મને કોઈ વાંધો નથી”. સામે સસ્પેન્ડ કરાયેલ કોંગ્રેસ મહામંત્રી રમેશ ભુંભરિયા કહી રહ્યા છે કે, તેમના જ કોંગ્રેસના સાથીદારો તેમને ભાજપના માણસો દ્વારા કરાયેલ જમીન કૌભાંડમાં સેટિંગ કરવાનું કહે છે પણ મારે આ મુદે લડવું છે.
-
અમદાવાદથી લગ્નમાં ગયેલ યુવકની લીંબડીમાં છરીના ઘા મારી હત્યા કરાઈ
લીંબડી શહેરમાં અમદાવાદથી લગ્નમાં આવેલ યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરાઈ છે. યુવક લગ્ન પ્રસંગમાં લીંબડી આવ્યો હતો, ત્યારે યુવકને છરીના ઘા મારી હત્યા કરી અજાણ્યા આરોપીઓ ફરાર ગયા છે. યુવકને છરીના ઘા મારતા યુવકને પ્રથમ લીંબડી હોસ્પિટલમાં અને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર મેડીકલ કોલેજમાં ખસેડાતા મોત થયું હતું. લીંબડી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
Published On - Mar 28,2026 4:15 PM
