AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

28 ઓક્ટોબરના મહત્વના સમાચાર : ગુજરાત સરકારની ટીમ ભ્રષ્ટ હતી તેથી ઘરભેગી કરાઈ, બિહાર ચૂંટણી બાદ કેપ્ટનનો વારોઃ અમિત ચાવડા

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2025 | 9:47 PM
Share

આજે 28 ઓક્ટોબરને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો

28 ઓક્ટોબરના મહત્વના સમાચાર : ગુજરાત સરકારની ટીમ ભ્રષ્ટ હતી તેથી ઘરભેગી કરાઈ, બિહાર ચૂંટણી બાદ કેપ્ટનનો વારોઃ અમિત ચાવડા

આજે 28 ઓક્ટોબરને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 28 Oct 2025 09:25 PM (IST)

    ગુજરાત સરકારની ટીમ ભ્રષ્ટ હતી તેથી ઘરભેગી કરાઈ, બિહાર ચૂંટણી બાદ કેપ્ટનનો વારોઃ અમિત ચાવડા

    કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ગુજરાત સરકાર અને ભાજપ ઉપર વાકપ્રહારો કર્યા છે. અમિત ચાવડાએ, નવા મંત્રી મંડળને લઇને સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, સરકારની આખી ટીમ ભ્રષ્ટ્રાચારી હતી તેથી તેને દૂર કરી.  બિહારની ચૂંટણી બાદ કેપ્ટનને તબિતયના બહાને કાઢી મૂકવામાં આવશે. ભાજપમાં જમીન અને સમાજ સાથે જોડાયેલા જયેશ રાદડિયાને પ્રમોશન નથી આપતા, પણ જેમના નેજા હેઠળ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા  કથળ્યાં હોય તેમને પ્રમોશન આપવામાં આવ છે.

  • 28 Oct 2025 09:20 PM (IST)

    CID માં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતી મૃતક કોન્સ્ટેબ્લની પત્નિ સામે કારંજ પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

    અમદાવાદના કારંજ પોલીસ સ્ટેશનમાં મૃતક કોન્સ્ટેબલની પત્ની સામે ફરીયાદ નોંધાઈ છે. કોન્સ્ટેબલ મૃત્યુ બાદ તેની પત્નિએ બીજા  લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ પણ 15 લાખ રૂપિયા પેન્શનના લઈ લીધા હતા. પેન્શન ઓફિસને આઘટનાની જાણ થતા, કાંરજ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો. પોલીસે ફરિયાદ લઈ આગળ ની તપાસ શરૂ કરી. આરોપી હાલમાં CID માં જુનિયર ક્લાર્ક છે.

  • 28 Oct 2025 08:45 PM (IST)

    રાજ્ય ચૂંટણી પંચે કરી ચૂંટણીની તૈયારી, 6 મહાનગરપાલિકા તથા 1 નગરપાલિકામાં અનામત બેઠકોની કરી ફાળવણી

    સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ તૈયારીઓ  શરૂ થઈ ગઈ છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મહાનગરપાલિકા તથા નગરપાલિકા અનામત બેઠકોની ફાળવણી કરી દીધી છે. રાજ્ય ચૂંટણી આયોગે 6 મહાનગરપાલિકા તથા 1 નગરપાલિકા માં અનામત બેઠકોની ફાળવણી કરી છે. અમદાવાદ, સુરત, ભાવનગર, વડોદરા, રાજકોટ, જામનગર મહાનગરપાલિકાની અનામત બેઠકો ફાળવણી કરી દેવાઈ. થરાદ નગરપાલિકાની અનામત બેઠકોની પણ ફાળવણી કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચે જાહેર કર્યું મનપાનુ રોટેશન અને અનામત બેઠકોની યાદી.

    અમદાવાદ શહેરમાં કુલ 48 વોર્ડની 192 બેઠકો છે. 192 બેઠક પૈકી 133 સીટ અલગ અલગ સમાજને માટે, જયારે 59 બેઠક સામાન્યને ફાળવાઈ છે. અનામત રખાયેલ બેઠકો પૈકી ઓબીસીને 52 સીટ ફાળવવામાં આવી છે. જ્યારે એસી ને 20 બેઠક 2 બેઠક અનામત અને 96 બેઠક સ્ત્રી અનામત રહી છે. શહેરની કુલ વસતી 56 લાખ 64 હજાર 62 ( 2011 ) ની સ્થિતિ એ છે.

  • 28 Oct 2025 06:47 PM (IST)

    આજે સવારના 6થી સાંજના 6 સુધીમાં 119 તાલુકામાં માવઠું

    ગુજરાતમાં આજે સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીના 12 કલાકમાં 119 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. અરબી સમુદ્રમાં આકાર પામેલ, ડિપ્રેશનની અસર હેઠળ છેલ્લા બે દિવસથી સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ વરસ્યો છે.

  • 28 Oct 2025 05:28 PM (IST)

    અમરેલીના રાજુલામાં ધાતરવડી નદીમાં 4 યુવાન ડૂબ્યા

    અમરેલીના રાજુલામાં આવેલ ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં 4 યુવાન ડૂબ્યા છે. યુવાનો નદીમાં નાહવા પડતા ડૂબ્યા હતા. ગ્રામજનો મદદ માટે દોડી ગયા હતા. બનાવની જાણ થતા જ મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કોસ્ટગાર્ડને બચાવ માટે બોટ સહિત રેસક્યું સામગ્રી લઈને બચાવ અને રાહત કામગીરી કરવા જાણ કરાઇ છે.

  • 28 Oct 2025 04:52 PM (IST)

    કમોસમી વરસાદે ચરોતરમાં વેર્યુ નુકસાન, ખેડૂતોની આવક ડૂબી

    ચોમાસાએ ગુજરાતમાંથી વિદાય લીધા પછી પણ, કમોસમી વરસાદનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે. ચરોતરમાં કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થયા છે. ​ખેડાના કપડવંજ વિસ્તારમાં કમોસમી વરસાદનું તાંડવ, તૈયાર મગફળીનો પાક ધોવાયો છે. ​કપડવંજનાં નારના મુવાડા, ગરોડ, અંતિસર, મુવાડી, અને બાકરની મુવાડી સહિતના અનેક ગામોમાં ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. ​ગરીબ ખેડૂતોની આશરે 700 વીઘા જેટલી તૈયાર થયેલી મગફળીનો પાક સંપૂર્ણપણે નષ્ટ થયો છે. ​મગફળીના પાકને છેલ્લા સમયમાં પાણી લાગતાં ખેડૂતોની વર્ષભરની મહેનત માથે પડી. ​બજારમાં વેચવા માટે તૈયાર થયેલો મગફળીનો પાક કમોસમી વરસાદના કારણે સડી જવાની ભીતિ સર્જાઈ છે. ​ખેડૂતોએ સરકાર સમક્ષ માંગ કરી છે કે, “સરકાર તાત્કાલિક નુકસાનનું સર્વે કરાવી અમને યોગ્ય વળતર આપે,

  • 28 Oct 2025 03:34 PM (IST)

    પાક નુકસાનીનો તાકીદે સર્વે કરવા કોંગ્રેસે આપ્યું આવેદનપત્ર, જો સહાય નહીં ચુકવાય તો ઉગ્ર આંદોલન કરાશે

    તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને પગલે સુરત જિલ્લામાં ડાંગરના પાકને નુકસાન થયું છે. જગતના તાતના હાથમાં આવેલ કોળિયો છીંનવાતા આજે કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ કાર્યક્રમ યોજાયો હતો. પાક નુકસાની મામલે બારડોલી પ્રાંતને આવેદન આપવામાં આવ્યું હતું. સરકાર દ્વારા પાક નુકસાનીનો સર્વે કરી ઝડપથી વળતર ચૂકવવા માંગ ઉઠી. પાક નુકસાની અંગે સહાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારાઈ છે.

  • 28 Oct 2025 03:18 PM (IST)

    સરકારની તમામ કામગીરીમાં ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રો માન્ય ગણાશે

    ગુજરાતમાં ગત સપ્ટેમ્બરથી કેન્દ્ર સરકારના પોર્ટલ દ્વારા જન્મ અને મરણના પ્રમાણપત્રો મળી રહ્યાં છે. આ પ્રમાણપત્રોમાં ડિજિટલ સિગ્નેચરનો સમાવેશ થાય છે. આથી સરકારે જાહેર જનતાને જાણ કરી છે કે, ગુજરાત રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ,  ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રને, સરકારની તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકાર કરવો પડશે.

    કેન્દ્ર સરકારના CRS Portalમાં જન્મના તેમજ મરણના પ્રમાણપત્ર પર જન્મ-મરણની નોંધણી કરનાર રજીસ્ટ્રાર-સબરજીસ્ટ્રારની ડિજિટલ સિગ્નેચર સાથેના પ્રમાણપત્ર નાગરિકોને ઇ-મેઇલ આઇ.ડી. પર મોકલી આપવામાં આવે છે. આ ઉપરાંત નાગરિકો રજીસ્ટ્રાર-સબરજીસ્ટ્રાર પાસેથી પણ આ પ્રમાણપત્ર મેળવી શકશે.

  • 28 Oct 2025 03:00 PM (IST)

    રહેણાક વિસ્તારમાં મહાકાય મગર આવી ચડ્યો

    વડોદરામાં ફરી એકવાર રહેણાક વિસ્તારમાં મહાકાય મગર આવી ચડ્યો હતો. અશ્વમેઘ સોસાયટીના પાર્કિંગમાં વહેલી સવારે મગર નજરે આવતા લોકો ડરી ગયા હતા અને સ્થાનિકોએ તાત્કાલિક વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને સ્વૈચ્છિક સંસ્થાના કાર્યકરોની મદદથી વનવિભાગે મગરનું રેસ્ક્યૂ કર્યું હતું.

  • 28 Oct 2025 02:40 PM (IST)

    સુરતઃ ડુમસના દરિયાકિનારે ફરી લક્ઝુરિયસ કાર ફસાઈ

    સુરતઃ ડુમસના દરિયાકિનારે ફરી લક્ઝુરિયસ કાર ફસાઈ છે.  દરિયાકિનારે પાણીમાં લક્ઝુરિયસ કાર ફસાતા દોડધામ મચી જવા પામી છે.  પાણીમાં ડૂબેલી કારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. લક્ઝુરિયસ કારને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી છે. પોલીસે કારના માલિકને બોલાવી આગળની કાર્યવાહી શરૂ કરી છે. ડુમસના દરિયાકિનારે વાહન લઈ જવા ઉપર પોલીસે પ્રતિબંધ ફરમાવ્યો હોવા છતાં લોકો ગાડી લઈને આવે છે. અગાઉ પણ બે થી ત્રણ વખત લક્ઝુરિયસ કાર દરિયાના પાણીમાં ફસાઈ ચૂકી છે. ત્યારે ફરી એકવાર કાર ફસાતા અહીંના બીચ પર પોલીસ પેટ્રોલિંગ ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે.

  • 28 Oct 2025 02:24 PM (IST)

    સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ

    સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો છે.  કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાનીની ભીતિ સેવાઈ છે. કપાસ, મગફળી સહિતના પાકમાં વ્યાપક નુકસાન થવા પામ્યુ છે.  સતત 3 દિવસથી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે.

  • 28 Oct 2025 01:57 PM (IST)

    દાહોદ: ચાકલીયા પોલીસ સ્ટેશનના ASI પર ટોળાનો હુમલો

    દાહોદ: ચાકલીયા પોલીસ સ્ટેશનના ASI પર ટોળાએ હુમલો કર્યો. અકસ્માતમાં મૃત્યુ પામેલા બાઈકચાલકના પરિવારજનોએ હુમલો કર્યો હતો. કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતા બાઈકચાલકનું મોત થયુ હતુ. બાઈકચાલકનો મૃતદેહ પેથાપુર CHC લવાતા મૃતકના પરિવારજનો ઉશ્કેરાયા હતા. ASI સુભાષ નિનામાને લાકડી, લોખંડના પાઇપ અને પથ્થરથી માર મરાયો. હુમલા દરમિયાન અન્ય પોલીસ કર્મીઓ સાથે પણ ગેરવર્તન કર્યાનો આરોપ છે. પોલીસ સ્ટેશનમાં 50 લોકો સામે ગુનો દાખલ, 18 આરોપીની અટકાયત કરાઈ છે. ઝાલોદ કોર્ટે તમામ આરોપીઓના 24 કલાકના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ દ્વારા અન્ય આરોપીઓને પકડવા શોધખોળ શરૂ કરાઈ છે.

  • 28 Oct 2025 01:30 PM (IST)

    ગીર સોમનાથ: અતિભારે કમોસમી વરસાદ બાદ નદીઓ બે કાંઠે

    ગીર સોમનાથ: અતિભારે કમોસમી વરસાદ બાદ નદીઓ બે કાંઠે થઈ છે.  પ્રાચી તીર્થ ખાતે સરસ્વતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. પ્રસિદ્ધ માધવરાયનું મંદિર જળમગ્ન બન્યુ છે.  ભગવાન માધવરાયની પ્રતિમાની ઉપરથી સરસ્વતીના નદીના નીર વહી રહ્યા છે. પ્રાચી તીર્થ ખાતે સામાન્ય રીતે ભર ચોમાસે આવા દ્રશ્યો જોવા મળતા હોય છે કે સરસ્વતી નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું હોય. પરંતુ, આ વખતે તો કારતક મહિનામાં કમોસમી વરસાદને લીધે સરસ્વતીએ પ્રચંડ રૂપ ધર્યું છે. અને માધવરાયજીની પ્રતિમાએ જળસમાધિ લીધી છે.

  • 28 Oct 2025 01:15 PM (IST)

    અમરેલીઃ માવઠાની સ્થિતિમાં સિંહની સુરક્ષા અંગે વન વિભાગ સતર્ક

    અમરેલીઃ માવઠાની સ્થિતિમાં સિંહની સુરક્ષા અંગે વન વિભાગ સતર્ક બન્યુ. રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે. સિંહના રહેઠાણ વિસ્તારમાં વનવિભાગે પેટ્રોલિંગ હાથ ધર્યુ. પૂરની સ્થિતિમાં સિંહને મુશ્કેલી ન પડે તે માટે તકેદારી રખાઈ.  તમામ વન્યપ્રાણીઓ સુરક્ષિત હોવાનો વનવિભાગ દ્વારા દાવો કરાયો.

  • 28 Oct 2025 01:10 PM (IST)

    ભાવનગર: ઉપરવાસમાં ધોધમાર વરસાદથી શેત્રુંજી ડેમમાં પાણીની આવક

    ભાવનગર: ઉપરવાસમાં ધોધમાર વરસાદથી શેત્રુંજી ડેમમાં પાણીની આવક થઈ છે. પાલીતાણાના શેત્રુંજી ડેમમાં નવા નીરની આવકના ડ્રોન વીડિયો આવ્યા સામે આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ડેમમાં થઈ નવા નીરની આવક થઈ છે. ડેમમાં 15 હજાર 340 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.

  • 28 Oct 2025 01:07 PM (IST)

    રાજ્યના નવા ચીફ સેક્રેટરી તરીકે એમ કે દાસ સંભાળશે ચાર્જ

    રાજ્યના નવા ચીફ સેક્રેટરી તરીકે એમ કે દાસ ચાર્જ સંભાળશે,  31 ઓક્ટોબરે વર્તમાન ચીફ સેક્રેટરી પંકજ જોશી વય નિવૃત થઈ રહ્યા છે.  1 નવેમ્બરથી એમ કે દાસ ચાર્જ સંભાળશે .

  • 28 Oct 2025 12:50 PM (IST)

    ખેડૂતો પર આફત બનીને વરસ્યો કમોસમી વરસાદ

    ગીર સોમનાથ: ખેડૂતો પર આફત બનીને કમોસમી વરસાદ વરસ્યો છે. જિલ્લામાં મગફળીના પાકને મોટાપાયે નુકસાન થયુ છે. વેરાવળના બીજ ગામે ખેડૂતોની મગફળી ધોવાઈ ગઈ છે. ભારે પવન અને વરસાદ બાદ મગફળીના પાથરામાંથી મગફળી અલગ પડી ગઈ હતી અને વરસાદી પાણીમાં મગફળી તરતી જોવા મળી

  • 28 Oct 2025 12:30 PM (IST)

    રાજુલામાં 24 કલાકમાં 8.50 ઈંચ વરસાદ ખાબક્યા બાદ સ્થિતિ વણસી

    અમરેલીના રાજુલામાં 24 કલાકમાં 8.50 ઈંચ વરસાદ ખાબક્યા બાદ સ્થિતિ વણસી છે. કમોસમી વરસાદ બાદ રાજુલા, જાફરાબાદ પંથકના ખેડૂતોના મોંઢે આવેલો કોળિયો છીનવાયો છે. ખાસ તો ધારાનેસમાંથી અત્યંત ભયાવહ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. સ્થિતિનો તાગ મેળવવા જ્યારે TV9ની ટીમ ધારાનેસ ગામે પહોંચી ત્યારે જ્યાં જુઓ ત્યાં બરબાદીના નિશાન જ દેખાઈ રહ્યા હતા. ધાતરવડી નદીનો ધસમસતો પ્રવાહ ખેતરોમાં ફરી વળતા મોટાપાયે નુકસાન પહોંચ્યું છે. બગાયતી ખેતી કેળ તેમજ કપાસ, મગફળીનો પાક ધોવાઈ ચુક્યો છે. ગામમાં વીજપોલ ધરાશાયી થવાને લીધે ગામ 24 કલાકથી વીજળી વિહોણું બન્યું છે. તો બીજી તરફ ધારતવડી ડેમના દરવાજા ખોલાતા પણ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

  • 28 Oct 2025 12:00 PM (IST)

    ખરાબ વાતાવરણને કારણે સૌરાષ્ટ્રના અનેક માર્કેટ યાર્ડ રહેશે બંધ

    ખરાબ વાતાવરણને કારણે સૌરાષ્ટ્રના અનેક માર્કેટ યાર્ડ બંધ રહેશે.  બોટાદ APMC આજથી ચાર દિવસ સુધી બંધ રહેશે. 31 ઓક્ટોબર સુધી યાર્ડ રહેશે બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. ખેડૂતોની જણસીને નુકસાન ન થાય તે માટે યાર્ડ બંધ રહેશે. રાજકોટ, અમદાવાદ, સુરેન્દ્રનગર, અમરેલી સહિતના જિલ્લામાંથી ખેડૂતો પોતાની જણસ લઈને બોટાદ આવતા હોય છે. જેના પગલે આ નિર્ણય લેવાયો છે.

  • 28 Oct 2025 11:30 AM (IST)

    સાયબર ક્રાઈમે સરકારી નોકરી અપાવવાના નામે ઠગાઈ કરનારાને ઝડપ્યો

    અમદાવાદ સાઇબર ક્રાઇમે ઝારખંડથી ઝડપેલા 12 પાસ આરોપી અમન વર્માએ 30થી વધુ લોકોને સરકારી નોકરી અપાવવાના નામે ઠગ્યા. અમદાવાદની યુવતીને ઇન્કમટેક્સમાં નોકરી અપાવવાને નામે 9લાખ 20હજાર પડાવતા ફરિયાદ નોંધાઇ હતી. જેની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આરોપી ગેરકાયદે રીતે બેંક એકાઉન્ટ સાઇબર ક્રાઇમની રકમની હેરાફેરી માટે આપતો હોવાનું પણ સામે આવ્યું છે. આરોપી પાસેથી પોલીસને અલગ અલગ સરકારી સંસ્થાનાં બોગસ ઓળખપત્રો મળી આવ્યા. સાયબર ક્રાઈમે આરોપીની ધરપકડ કરી બેંક એકાઉન્ટ ફ્રીઝ કરીને વધુ તપાસ શરૂ હાથ ધરી છે.

  • 28 Oct 2025 11:15 AM (IST)

    સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી માટે એકતાનગર સજ્જ

    અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી માટે એકતાનગર તૈયાર થઈ ગયું છે.  31મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવના ઉજાગર કરતી ઉજવણી યોજાશે. દર વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે PM મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો યોજાય છે. પરંતુ આ વર્ષે રદાર સાહેબની 150મી જન્મજયંતિની ઉજવણી વિશેષ રહેશે કારણ કે દિલ્લીમાં ર વર્ષે યોજાતી પ્રજાસત્તાક દિવસની પરેડની જેમ જ મુવિંગ પરેડ યોજાશે.

    પરેડમાં BSF, CISF, ITBP, CRPF, SSB,જમ્મુ કાશ્મીર, પંજાબ, આસામ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ, કેરળા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને NCC સહિત કુલ 16 કન્ટીજન્ટ્સ ભાગ લેશે અને ઓપરેશન સિંદૂરના BSFના 16 પદક વિજેતા અને CRPFના પાંચ શૌર્ય ચક્ર વિજેતા જવાનો પણ જોડાશે. ખાસ વાત એ છે કે આ વર્ષની એકતા પરેડનું નેતૃત્વ મહિલાઓ કરશે, જે દેશની એકતા અને સશક્તિકરણનો સંદેશ આપે છે.

  • 28 Oct 2025 11:10 AM (IST)

    સુરત: માવઠાથી પાક નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવવા રજૂઆત

    સુરત: માવઠાથી પાક નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવવા રજૂઆત કરાઈ છે. ઓલપાડના ધારાસભ્ય મુકેસ પટેલે  CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલી નુકસાની મુદ્દે રજૂઆત કરાઈ છે. તાલુકામાં 15થી 18 હજાર હેક્ટર વિસ્તારમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યુ છે. ડાંગર સાથે કઠોળ અને શાકભાજી પાકના નુકસાનનો સર્વે કરવા પણ માગ કરી છે. તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને વળતર ચૂકવવાની પણ રજૂઆત કરી છે કમોસમી વરસાદને કારણે સૌથી વધુ ડાંગરના પાકને મોટાપાયે નુકસાન

  • 28 Oct 2025 11:04 AM (IST)

    ગાંધીનગર: માણસાના બાપુપુરા ગામના બંધક બનાવાયેલા 4 લોકોનો છૂટકારો

    ગાંધીનગર: માણસાના બાપુપુરા ગામના બંધક બનાવાયેલા 4 લોકોનો છૂટકારો થયો છે.  ગુજરાત અને ભારત સરકારની મદદથી તમામ બંધકોને મુક્ત કરી દેવાયા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર તમામ બંધક બનાવાયેલા લોકો હાલ દિલ્લી પહોંચ્યા છે અને આજે સાંજ સુધીમાં તમામ અમદાવાદ પહોંચે તેવી શક્યતા છે. 19 ઓક્ટોબરે અમદાવાદથી ઓસ્ટ્રેલિયા જવા 4 ગુજરાતી નીકળ્યા હતા. ડંકી રૂટથી ઓસ્ટ્રેલિયા જઈ રહેલા યુવાનો મુશ્કેલીમાં મુકાયા હતા. ઈરાનના તેહરાનથી 4 ગુજરાતીઓનું અપહરણ કરાયું હતું. એજન્ટોએ ગુજરાતીઓને ગોંધી રાખી માર માર્યો હતો. બાબા ખાન નામની વ્યક્તિએ અપહરણ કરી બે કરોડની ખંડણી માગી હતી. હાલ સરકારના પ્રયાસોથી તમામ બંધકોને મુક્ત કરાયા છે.  બાપુપુરાના 3 અને બદપુરાના 1 એમ ચાર લોકોનું અપહરણ કરાયું હતું. ચારેય બંધકો મુક્ત થતાં બાપુપુરાના સરપંચે સરકારનો આભાર માન્યો છે.

  • 28 Oct 2025 10:50 AM (IST)

    ગીર સોમનાથ: કોડિનારમાં ધોધમાર વરસાદથી તારાજી

    ગીર સોમનાથ: કોડિનારમાં ધોધમાર વરસાદથી તારાજી સર્જાઈ છે. ફાચરીયા ગામના મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ફાચરીયા-અરણેજ રોડ પર પાણી ભરાતા હાલાકી સર્જાઈ છે. રસ્તા પર વાહન વ્યવહાર ઠપ્પ થતા લોકો અટવાયા છે. સતત ભારે વરસાદથી ખેતરો પણ થયા જળબંબાકાર થયા છે.

  • 28 Oct 2025 10:26 AM (IST)

    અમરેલી: રાજુલાના ધાતરવડી ડેમ-2માં પુષ્કળ પાણીની આવક

    અમરેલી:  રાજુલાના ખાબકેલા કમોસમી વરસાદથી  ધાતરવડી ડેમ-2માં પાણીની પુષ્કળ આવક થઈ છે. ડેમના એકસાથે 20થી વધુ દરવાજા ખોલી નદીમાં પાણી છોડાયું છે. નીચાણવાળા ગામોના રસ્તાઓ પર નદીના પાણીનો પ્રવાહ જોવા મળ્યો છે. ધારાનાનેસ ગામના કોઝ-વેનું ધોવાણ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ગ્રામજનો અન્ય રસ્તાનો ઉપયોગ કરીને અવરજવર કરવા મજબૂર બન્યા છે. ગ્રામજનો અન્ય રસ્તાનો ઉપયોગ કરીને અવરકજવર કરવા મજબૂર

  • 28 Oct 2025 10:24 AM (IST)

    અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ નજીક નદીમાંથી મળી યુવતીની લાશ

    અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ નજીક નદીમાંથી યુવતીની લાશ મળી છે. એલિસ બ્રિજ પાસે હરિહરાનંદ આશ્રમ તરફ નદીમાં તરતી લાશ મળી છે. યુવતીની ઉંમર 20થી 25 વર્ષ હોવાની શક્યતા છે. યુવતી કોણ છે તે અંગે રિવરફ્રન્ટ પોલીસે તપાસ શરૂ કરી છે.

  • 28 Oct 2025 09:25 AM (IST)

    રાત્રી દરમિયાન નવસારીમાં વરસ્યો સાર્વત્રિક વરસાદ

    નવસારી જિલ્લામાં રાત્રી દરમિયાન સાર્વત્રિક વરસાદ વરસ્યો. વાંસદા તાલુકામાં સૌથી વધુ 2.49 ઇંચ વરસાદ નોંધાયો. વરસાદને કારણે ખેતીવાડીને મોટું નુકસાન થયુ છે. ખાસ કરીને બાગાયતી પાક ઉપરાંત ડાંગર અને શાકભાજીને નુકસાન થયુ છે.

  • 28 Oct 2025 09:11 AM (IST)

    રાજ્યમાં હજુ 4 દિવસ માવઠાથી નહીં મળે રાહત

    ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં યલો એલર્ટ છે. કેટલાક સ્થળે છુટોછવાયો વરસાદ વરસી શકે છે. જ્યારે કે 29, 30 અને 31 ઑક્ટોબરે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ઑરેન્જ એલર્ટ છે તો 31 ઑક્ટોબરે સુરત અને નવસારીમાં પણ ઑરેન્જ એલર્ટ છે જ્યારે કે અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ છે.

  • 28 Oct 2025 08:44 AM (IST)

    રાજ્યના 239 તાલુકામાં માવઠાએ વેર્યો વિનાશ

    રાજ્યના વિવિધ તાલુકાઓમાં આફતનું માવઠું વરસ્યુ છે. 24 કલાકમાં 239 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમા સૌથી વધુ અમરેલીના રાજુલામાં 8.50 ઈંચ વરસાદ, ભાવનગરના મહુવામાં 7.24 ઈંચ, ગીર સોમનાથના સૂત્રાપાડામાં 6.85 ઈંચ વરસાદ નોંધાયો. તો ઉના અને ગળતેશ્વરમાં 5.55 ઈંચ વરસાદ ખાબક્યો. રાજ્યના 15 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો. 56 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. દિવાળી બાદ ખાબકેલા કમોસમી વરસાદે ખેડૂતોને પારાવાર નુકસાન પહોંચાડ્યુ છે. જેમા સૌરાષ્ટ્રમાં કપાસ, ડુંગળી, મગફળી સહિતના પાકો ધોવાઈ ગયા છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકને ભારે નુકસાન થયુ છે. હજુ રાજ્યમાં હજુ 31 ઓક્ટોબર સુધી માવઠાની ઘાત તોળાઈ રહી છે.

  • 28 Oct 2025 08:35 AM (IST)

    તહેરાન ઍરપોર્ટ પર ગુજરાતના યુવકોને નગ્ન કરી માર મારવાનો વીડિયો વાયરલ

    માણસાના બાપુપુરા ગામના યુવકોને નગ્ન કરીને માર મારતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. યુવકો છોડવા માટે આજીજી કરતા હોય અને નાણાં ચૂકવવા ભરોસો આપતા હોય તેવું વીડિયોની વાતચીતમાં સાંભળવા મળ્યું. 1 મહિલા સહિત 3 યુવકો થર્ડ પાર્ટી એજન્ટ મારફતે ઓસ્ટ્રેલિયા જતા હતા. તેમને દિલ્લીથી બેંગકોક અને દુબઇ થઇને ઇરાનનાં તહેરાનમાં આવેલા એરપોર્ટ પર લઇ જવાયા હતા. તહેરાનમાં આ ત્રણેયને હેલી હોટલમાં રાખીને એજન્ટે નાણાની માંગ કરી છે. ઇરાનનો બાબા નામનાં શખ્સે તેમને ગોંધી રાખ્યા છે.

    સમગ્ર મામલે બાપુપુરા ગામના સરપંચે જણાવ્યું કે, દિલ્લીનો એજન્ટ ત્રણેય લોકોને ઓસ્ટ્રેલિયા લઈ જવાનો હતો પરંતુ, તહેરાન એરપોર્ટ બહાર તેમનું અપહરણ થઈ ગયું. તેમનો પરિવાર અપહરણકારોએ માગેલી ખંડણી આપી શકે તેમ ન હોવાથી સરકાર ત્વરીત સંજ્ઞાન લઈ તેઓએ સહીસલામત પાછા લાવે તેવી માગ કરી છે.

  • 28 Oct 2025 08:33 AM (IST)

    ભરૂચ: સાંસદ મનસુખ વસાવાએ લીધો અધિકારીઓનો ઉધડો

    ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સપ્તાહમાં બીજીવાર રસ્તા મામલે આકરા પાણીએ જોવા મળ્યા અને અધિકારીઓનો ઉધડો લીધો છે. મનસુખ વસાવાએ ઝઘડિયાના માર્ગનું નિરીક્ષણ કર્યું હતુ. હીંગોરીયા ગામથી હરિપુરાને જોડતા માર્ગનું કામ ચાલી રહ્યું હતુ. હલકી ગુણવત્તાની સામગ્રી વપરાતા સાંસદે અધિકારીને ફોન કર્યો હતો. અધિકારી અને કોન્ટ્રાક્ટરની ફરીયાદ કરવા ઉચ્ચ અધિકારીને સૂચના આપી છે.

  • 28 Oct 2025 08:31 AM (IST)

    ભાવનગર: મહુવામાં કમોસમી વરસાદને કારણે ઠેર-ઠેર પાણી

    ભાવનગર: મહુવામાં કમોસમી વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે. વડલી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અંદર સુધી પાણી ભરાઈ જતા દર્દીઓને અને સ્ટાફને ભારે હાલાકી પડી રહી છે. પાણી ભરાવવાને કારણે જરૂરી મેડિકલ સુવિધાઓ અટવાઈ પડી છે. પાણીનું સ્તર વધવાના કારણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બંધ કરવાની ફરજ પડી છે. આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાતા ભારે હાલાકી સર્જાઈ છે. મહુવા શહેર અને ગ્રામ્ય પંથકમાં 11 ઈંચ વરસાદ ખાબકી જતા ઠેરઠેર પાણી ભરાયા છે. તો ધોધમાર વરસાદથી ખેતરો ધોવાયા છે અને ગામમાં પાણી ફરી વળ્યા છે.

  • 28 Oct 2025 08:30 AM (IST)

    કમોસમી વરસાદે ભાવનગરના ખેડૂતોની કમર તોડી, પાકને વ્યાપક નુકસાન

    ભાવનગરમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન થવા પામ્યું છે. કુદરતનો કહેર બનીને વરસેલા વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે..ઘોઘા તાલુકાના કુકડ ગામના ખેડૂતોને માવઠાથી મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે. રાત્રિ સમયે વરસાદ પડતા મગફળી અને કપાસના ઉભા પાક ઢળી પડ્યા છે. જેના કારણે ખેડૂતોને એક રૂપિયાની આવક થાય એવી પણ આશા નથી રહી. જેથી હવે સરકાર પાક નુકસાનનો સર્વે કરી વળતર ચુકવે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે.

  • 28 Oct 2025 08:29 AM (IST)

    ભાવનગર: નેસવડ ગામના તળાવમાં કેમિકલયુક્ત પાણી છોડાયુ

    ભાવનગર: નેસવડ ગામના તળાવમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યુ. કપડાની ફેક્ટરી દ્વારા તળાવમાં કેમિકલયુક્ત પાણી છોડાયાની ફરિયાદ થઈ છે. વરસાદી પાણી સાથે કેમિકલયુક્ત પાણી તળાવમાં છોડવામાં આવ્યું. પ્રદૂષણ માફિયાઓ સામે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કડક કાર્યવાહી કરે તેવી ગ્રામજનો દ્વારા માગ ઉઠી છે.

  • 28 Oct 2025 08:16 AM (IST)

    31 ઓક્ટોબર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી

    રાજ્યવાસીઓને હજુ કમોસમી વરસાદથી કોઈ રાહત મળવાના અણસાર દેખાઈ નથી રહ્યા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 31 ઓક્ટોબર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જેમા ગાજવીજ સાથે 30થી 40 કીમીની ઝડપે પવન ફૂંકાશે. આજે કચ્છ, પાટણ, બનાસકાંઠામાં યલો એલર્ટ છે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે. ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે. જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા અને ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની વકી જણાઈ રહી છે. 29થી 31 ઓક્ટોબર સુધી ઓરેન્જ એલર્ટ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડશે.

Published On - Oct 28,2025 8:08 AM

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">