Breaking News : OBC અનામત પર સુપ્રીમ કોર્ટે કહ્યુંઃ માત્ર આવકના આધારે જ ક્રીમી લેયર નક્કી ના કરી શકાય
આવક ઉપરાંત, ઉચ્ચ બંધારણીય હોદ્દા ધરાવતા વ્યક્તિઓ, વરિષ્ઠ સરકારી અધિકારીઓ, સશસ્ત્ર દળોમાં વરિષ્ઠ અધિકારીઓ અને અગ્રણી ઉદ્યોગપતિઓના બાળકોને પણ ક્રીમી લેયર શ્રેણીમાં ગણવામાં આવે છે.

સુપ્રીમ કોર્ટે આજે 12 માર્ચને ગુરુવારના રોજ અન્ય પછાત વર્ગો (OBC) માટે અનામત અંગે એક મોટો ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું કે, ક્રીમી લેયરમાં ઉમેદવારનો સમાવેશ ફક્ત તેમના પરિવારની આવકના આધારે નક્કી કરી શકાતો નથી. કેસની સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટની ખંડપીઠે જણાવ્યું હતું કે, ” હોદ્દો અને સ્થિતિના માપદંડોની શ્રેણીઓનો સંદર્ભ લીધા વિના, ફક્ત આવકના આધારે ક્રીમી લેયરનો દરજ્જો નક્કી કરવો કાયદેસર રીતે ટકાઉ નથી.” કોર્ટ માને છે કે, આવક ઉપરાંત, વ્યક્તિની સામાજિક અને વ્યાવસાયિક સ્થિતિને પણ ક્રીમી લેયર બાબતે ધ્યાનમાં લેવી જરૂરી છે.
ક્રીમી લેયરની વ્યાખ્યા શું છે?
ક્રીમી લેયર શબ્દનો ઉપયોગ OBC સમુદાયમાં આવતા એવા લોકોનું વર્ણન કરવા માટે થાય છે, કે જેમણે નોંધપાત્ર આર્થિક અને સામાજિક સમૃદ્ધિ પ્રાપ્ત કરી છે. અનામતના લાભો ફક્ત આ વર્ગ પૂરતા મર્યાદિત ના હોવા જોઈએ પરંતુ ગરીબ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયના સભ્યો સુધી પહોંચવા જોઈએ. જેમને ખરેખર તેની જરૂર છે. આ ખ્યાલ 1992ના ઈન્દ્રા સાહની વિરુદ્ધ ભારત સરકારના કેસ પછી ઉદ્ભવ્યો હતો. સુપ્રીમ કોર્ટે OBC અનામતને સમર્થન આપ્યું હતું પરંતુ સમૃદ્ધ લોકોને બાકાત રાખવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ, સરકારે 1993માં તેના અમલીકરણ માટે નિયમો ઘડ્યા.
હાલના ક્રીમી લેયરના નિયમો અનુસાર, રૂપિયા 8 લાખથી વધુ વાર્ષિક આવક ધરાવતા OBC પરિવારને ક્રીમી લેયરની કક્ષામાં ગણવામાં આવે છે. આવા ઉમેદવારો સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત માટે પાત્ર નથી ઠરતા. આ આવક મર્યાદા છેલ્લે 2017માં રૂપિયા 6 લાખથી વધારીને રૂપિયા 8 લાખ કરવામાં આવી હતી.
આવક ઉપરાંત, ઉચ્ચ બંધારણીય હોદ્દા ધરાવતા વ્યક્તિઓ, વરિષ્ઠ સરકારી અધિકારીઓ, સશસ્ત્ર દળોના વરિષ્ઠ અધિકારીઓ અને અગ્રણી ઉદ્યોગપતિઓના બાળકોને પણ ક્રીમી લેયરમાં ગણવામાં આવે છે.
સુપ્રીમ કોર્ટના આ નવા ચુકાદાથી સરકાર પર ક્રીમી લેયરને લગતા 1993ના નિયમોની સમીક્ષા કરવા માટે દબાણ વધી શકે છે. કોર્ટે સૂચવ્યું કે, માપદંડ તરીકે ફક્ત પૈસા પર આધાર રાખવો સામાજિક ન્યાયના વ્યાપક ઉદ્દેશ્યોની વિરુદ્ધ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, ઉચ્ચ વહીવટી પદ ધરાવતા ઓછા પગારવાળા વ્યક્તિનો સામાજિક દરજ્જો પણ શ્રીમંત ઉદ્યોગપતિ કરતા અલગ હોઈ શકે છે.