26 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : અમદાવાદમાં 9 સ્થળોએ ઈડીના દરોડા, અનસ ગ્રુપ અને તેના ભાગીદારોને ત્યાં EDની રેડ
આજે 26 ફેબ્રુઆરીને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES
-
આજથી રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ
આજથી રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, જેમાં કુલ 15,27,724 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહેશે. પરીક્ષા પ્રક્રિયા નિષ્પક્ષ અને સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે રાજ્યભરમાં 140 સ્ટ્રોંગ રૂમ સજ્જ કરવામાં આવ્યા છે તથા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર એક કલાક વહેલા પહોંચવા સૂચના આપવામાં આવી છે તેમજ સેન્ટર શોધવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે લોકેશન પણ મોકલવામાં આવ્યા છે. ગેરરીતિને ડામવા તમામ પરીક્ષા કેન્દ્રોને CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. સાથે જ ચાલુ પરીક્ષા દરમિયાન બોમ્બની ધમકી જેવી પરિસ્થિતિ ઊભી થાય તો પોલીસની SOP મુજબ કાર્યવાહી કરવા તથા અફરાતફરીનો માહોલ ન સર્જાય તે રીતે સ્થિતિ સંભાળવા સૂચનાઓ અપાઈ છે.
-
રાજકોટમાં આગની ઘટનામાં બે લોકોના મોત
રાજકોટ શહેરમાં આગની દુર્ઘટનામાં બે લોકોના કરુણ મોત નિપજ્યા હતા. પેલેસ રોડ પર આવેલા મનમંદિર એપાર્ટમેન્ટના ચોથા માળે આવેલા એક ફ્લેટમાં ભીષણ આગ ભભૂકી ઉઠતાં અફરાતફરી મચી ગઈ હતી. આગમાં ગૂંગળાઈ જવાથી 92 વર્ષીય પ્રભાબેન પુજારા અને તેમના 63 વર્ષીય પુત્ર નરેન્દ્ર પુજારાનું દુખદ અવસાન થયું હતું. પ્રાથમિક તારણ મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સમગ્ર મામલે A ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
-
-
AMCએ એડવાન્સ ટેક્સ રિબેટ યોજના જાહેર કરી
અમદાવાદ શહેરના જે નાગરિકો સમયસર ઈમાનદારીથી ટેક્સ ચૂકવે છે, તેમના માટે AMCએ એડવાન્સ ટેક્સ રિબેટ યોજના જાહેર કરી છે. શહેરીજનો 9 એપ્રિલથી 31 મે સુધી આ એડવાન્સ ટેક્સ રિબેટ યોજનાનો લાભ મેળવી શકશે. જેમાં 12 ટકાથી લઈ 15 ટકા સુધી રાહત આપવામાં આવશે. એડવાન્સ ટેક્સ ભરનારને 12 ટકા રાહત અપાશે. તેમજ સળંગ ત્રણ વર્ષ સુધી એડવાન્સ ટેક્સ ચૂકવનારને 12 ટકાની સાથે વધુ 2 ટકાની રાહત મળશે. તેમજ એડવાન્સ ટેક્સનું ઓનલાઈન પેમેન્ટ કરવા પર વધુ એક ટકાની રાહત આપવામાં આવશે.. આ સાથે અમદાવાદ મનપાએ શહેરીજનોને વધુમાં વધુ આ યોજનાનો લાભ લેવા અપીલ કરી છે.
-
અમદાવાદમાં 9 સ્થળોએ ઈડીના દરોડા
ઈડી દ્વારા ફેમા કાયદા હેઠળ અમદાવાદમાં અનસ ગ્રુપ અને તેના ભાગીદારોના કુલ ૯ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન એમ્બર ટોબેકો અને ઉમદા ટોબેકો બ્રાન્ડ હેઠળ ઉત્પાદન તથા સમા ફિલ્ટર ખૈની બ્રાન્ડ હેઠળ પેકેજિંગ કરતી એકમો પર તપાસ હાથ ધરાઈ હતી. દરોડા દરમિયાન ED ને 1.01 કરોડ રૂપિયા રોકડ, 33.34 લાખ રૂપિયાની વિદેશી ચલણી નોટો, 1.6 કિલો વજનના વિદેશી ચિન્હવાળા 16 સોનાના બાર (અંદાજિત કિંમત આશરે 2.5 કરોડ રૂપિયા) અને 80 કિલો વજનના 168 ચાંદીના બાર (અંદાજિત કિંમત આશરે 2 કરોડ રૂપિયા) જપ્ત કર્યા હતા. તપાસમાં અનસ ગ્રુપના ભાગીદારો અને તેમના પરિવારજનોની દુબઈમાં મિલકતો હોવાની માહિતી સામે આવી છે તેમજ ગુનાહિત દસ્તાવેજો અને અન્ય પુરાવાઓ પણ મળ્યા હોવાનું ED દ્વારા જણાવાયું છે.
આજે 26 ફેબ્રુઆરીને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Feb 26,2026 7:34 AM