10 મેના મહત્વના સમાચાર : સોમનાથ અમૃત મહોત્સવ માટે તૈયારીઓ તેજ, હર્ષ સંઘવીએ સુરક્ષાની કરી સમીક્ષા
Gujarat Live Updates આજ 10 મેના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
આજે 10 મેને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
સોમનાથ અમૃત મહોત્સવ માટે તૈયારીઓ તેજ, હર્ષ સંઘવીએ સુરક્ષાની કરી સમીક્ષા; જામનગરમાં વડાપ્રધાનના આગમન પૂર્વે ફાયર વિભાગ એલર્ટ
ગીર સોમનાથમાં ‘સોમનાથ અમૃત મહોત્સવ’ની ઉજવણીને લઈને હર્ષ સંઘવીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી છે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન મોદી આધુનિક ભારતના શિલ્પી છે અને વાયુસેના દ્વારા સોમનાથ દાદાને વિશેષ સલામી આપવામાં આવશે. તેમણે ઈતિહાસને યાદ કરતા કહ્યું કે સરદાર પટેલે સોમનાથના જીર્ણોદ્ધારની શરૂઆત કરી હતી, જ્યારે નહેરૂએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
બીજી તરફ, જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા વહીવટી તંત્ર સજ્જ થયું છે. ફાયર વિભાગ દ્વારા 200થી વધુ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે અને પીએમના કોન્વોય સાથે 5 વિશેષ ફાયર વાહનો રહેશે. સર્કિટ હાઉસમાં પણ ફાયર સેફ્ટીના સાધનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે.
-
PM મોદીનો બે દિવસીય ગુજરાત પ્રવાસ: પશ્ચિમ બંગાળમાં ભવ્ય જીત બાદ પ્રથમવાર ગુજરાતમાં આગમન, જામનગરમાં થશે ભવ્ય સ્વાગત અને રાત્રિ રોકાણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે પોતાના વતન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળની ઐતિહાસિક જીત બાદ પ્રથમવાર ગુજરાત આવી રહેલા વડાપ્રધાનનું જામનગરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે. પીએમ મોદી આજે રાત્રિ રોકાણ જામનગરમાં જ કરશે. શહેરના લાલ બંગલા સર્કલ ખાતે વડાપ્રધાન જનતાનું અભિવાદન ઝીલશે.
આ કાર્યક્રમમાં ખાસ આકર્ષણ એ છે કે ગુજરાતમાં વસતા મૂળ બંગાળી લોકો પણ પીએમના સ્વાગતમાં ઉમટી પડ્યા છે. તેઓ પશ્ચિમ બંગાળમાં ભાજપના શાનદાર વિજયની ખુશી વ્યક્ત કરવા અને વડાપ્રધાનનું આભાર માનવા માટે આ કાર્યક્રમમાં જોડાશે. ગુજરાતીઓની સાથે બંગાળી સમુદાયના લોકો પણ પીએમ મોદીને આવકારવા માટે અત્યંત ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.
-
-
અમરેલીના જાફરાબાદ દરિયાકાંઠે SMCના દરોડા
અમરેલી જિલ્લાના જાફરાબાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. દમણથી બોટ મારફતે દરિયાઈ માર્ગે જાફરાબાદના સામાકાંઠે લવાતો વિદેશી દારૂનો જથ્થો કટિંગ વખતે જ SMCએ ઝડપી લીધો છે. પોલીસે દારૂની 6,859 બોટલો (કિંમત 22.75 લાખ) અને 6 વાહનો સહિત કુલ 33.89 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દરોડા દરમિયાન 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 11 શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા છે. ખાસ વાત એ છે કે, દમણથી 90 નોટિકલ માઈલ સુધી દરિયામાં આ દારૂનો જથ્થો લવાયો હતો, જેને લઈને જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.
-
સુરત: લિફ્ટમાં વૃદ્ધના ખિસ્સામાંથી 45 લાખનું સોનું ચોરાયું, ગણતરીના કલાકોમાં LCB એ ભેદ ઉકેલી દાદી-પૌત્રને દબોચ્યા
સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પરથી 45 લાખની કિંમતના સોનાના બિસ્કિટની ચોરીની સનસનીખેજ ઘટના સામે આવી છે. ભુજ-બાંદ્રા એક્સપ્રેસમાં આવેલા મુસાફર કાંતિલાલ જ્યારે લિફ્ટમાં જઈ રહ્યા હતા, ત્યારે આરોપી કરણ મકવાણાએ તેમના પેન્ટનું ખિસ્સું કાપી 300 ગ્રામ સોનાના 3 બિસ્કિટ ચોરી લીધા હતા. આ સોનું વૃદ્ધ મંદિરના કોરિડોર માટે દાનમાં આપવા લાવ્યા હતા.
વડોદરા LCB અને RPFની ટીમે 100થી વધુ CCTV ફૂટેજ અને રિક્ષા નંબરના આધારે આરોપીની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું કે ચોરીનું સોનું આરોપીએ તેની ભત્રીજી મારફતે દાદી ગીતાબેન પાસે છુપાવવા મોકલ્યું હતું. પોલીસે દાદી પાસેથી તમામ 3 બિસ્કિટ રિકવર કરી કુલ 45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
-
મોરબી મનપામાં હાજરી કૌભાંડનો ‘પર્દાફાશ’
મોરબી મહાનગરપાલિકામાં હાજરી પૂરવાનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં કર્મચારીઓ ઓફિસે આવ્યા વગર જ ઘરે બેઠાં પગાર મેળવતા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે, એટેન્ડન્સ મશીનમાં ખોટી રીતે ફેસ અને ફિંગર પ્રિન્ટ બતાવીને હાજરી પૂરવામાં આવતી હતી. આ મામલે અત્યાર સુધીમાં 8 કર્મચારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
-
-
ભરૂચના હાંસોટના રોહિદ ગામ નજીક ટેમ્પામાં ભરેલ સુકુઘાસ જીવંત વીજ તારને અડી જતા ટેમ્પો ભડભડ સળગી ઉઠ્યો, ચાલક દાઝ્યો
ભરૂચના હાંસોટના રોહિદ ગામ નજીક ટેમ્પામાં લાગી આગ. ટેમ્પામાં સૂકું ઘાસ હોવાના કારણે આગ ભડકી. વીજ પોલ અને જીવંત વીજ તારને અડી જતા લાગી આગ. ટેમ્પા ચાલક દાઝી જતા સારવાર અર્થે ખસેડાયો
-
અમદાવાદમાં પ્રેમલગ્ન કરનાર યુવતીએ, પતિ અને સાસુના ત્રાસથી કંટાળી કર્યો આપઘાત
અમદાવાદમાં પતિ અને સાસુના ત્રાસથી કંટાળી પ્રેમલગ્ન કરનારી પરિણીતાએ જીવન ટૂંકાવ્યું. વેજલપુરના શાંતિનાથ એપાર્ટમેન્ટ ખાતેનો બનાવ. પ્રેમ લગ્ન કરનાર યુવતીને લગ્નના બે મહિના બાદથી અપાતો ત્રાસ. પતિ અને સાસુ નાની નાની વાતોમાં કરતા હેરાન. યુવતીએ વેચેલી ગાડીના રૂપિયા પણ પતિ માંગતો. કંટાળીને ઉર્વી નામની યુવતીએ પિયરમાં આવી 24 એપ્રિલે ગળેફાંસો ખાદ્યો. મૃત્યુ બાદ પિતાએ દીકરીનો ફોન ચેક કરતા મામલો સામે આવ્યો. વેજલપુર પોલીસ સ્ટેશનમાં પતિ શ્રેયાંક ઠાકોર અને સાસુ રેખા ઠાકોર સામે ફરિયાદ. પોલીસે ઘરેલું હિંસા અને આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો.
-
સાબરકાંઠાના પ્રાંતિજમાં ખેતરમાં બનાવ્યુ ભોયરૂં, તેમાં સંતાડ્યો 1400 બોટલ દારુ
સાબરકાંઠાના પ્રાંતિજમાં ખેતરમાં ભોંયરું બનાવી સંતાડેલો દારુનો જથ્થો ઝડપાયો છે. સુખડ ગામે બુટલેગરે દારુ સંતાડવા ખેતરમાં ભોંયરું તૈયાર કર્યું હતુ. જમીન નીચે દારુ સંતાડી ઉપર ખેતી કરાતી હતી. પ્રાંતિજ પોલીસને બાતમી મળતા બુટલેગરને ઝડપી તપાસ કરી. બુટલેગર રાહુલ મકવાણાએ ભોંયરું બતાવતા પોલીસ ચોંકી ઉઠી. જમીન નીચે બનાવેલા પાકા ભોંયરામાંથી 1400 જેટલી દારૂની બોટલો મળી આવી. રુપિયા 2.51 લાખનો દારૂનો જથ્થો કબ્જે લઈ પ્રાંતિજ પોલીસે ગુનો નોંધ્યો છે.
-
ખંભાળિયા પાસેના પોરબંદર રેલવે ફાટક પાસે મધમાખીઓના ઝુંડે એક પ્રોઢને બનાવ્યો શિકાર
દ્વારકાના ખંભાળિયા પાસેના પોરબંદર રેલવે ફાટક પાસે મધમાખીઓના ઝુંડે એક પ્રોઢને બનાવ્યો શિકાર, શરીરના અનેક ભાગોમાં મધમાખીઓના ઝુંડે ડંખ મારતા મહિપતસિંહ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાસ્થળે અફરાતફરી, રાહદારીઓમાં ફેલાયો ભયનો માહોલ. ઇજાગ્રસ્ત મહિપતસિંહને તાત્કાલિક ખંભાળિયા જનરલ હોસ્પિટલ ખસેડાયા. હોસ્પિટલ ખાતે તબીબો દ્વારા ઇજાગ્રસ્તની સારવાર હાથ ધરાઈ. ધમધમતા માર્ગ પર મધમાખીઓના હુમલાથી લોકોમાં ફફડાટ. સતત અવરજવર ધરાવતા વિસ્તારમાં મધમાખીઓના આતંકથી રાહદારીઓ ચિંતિત બન્યા છે.
-
ગુજરાતમાં હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી, અમદાવાદમાં યલો એલર્ટ, ઉત્તર ગુજરાતમાં વધુ ગરમી પડશે
ગુજરાતમાં હીટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે. ગરમીને લઈને આજે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આવતીકાલથી ગરમીના પ્રમાણમાં વધારો થશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, સાયકલોનીક સર્ક્યુલેશન સક્રિય થયું છે. ઉત્તર ગુજરાતમાં વધુ ગરમીની અસર રહેશે. મહતમ તાપમાન 40 થી 44 ડીગ્રી રહેશે.
-
સોમનાથ મંદિરના ઈતિહાસમાં પહેલીવાર મંદિરના શિખર પર 11 તીર્થના પવિત્ર જળનો અભિષેક કરાશે
સોમનાથ મંદિરના ઈતિહાસમાં પહેલીવાર 11મી મેના રોજ મંદિરના શિખર પર 11 તીર્થોના પવિત્ર જળનો અભિષેક કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર આ વિશેષ વિધિ દરમિયાન 90 મીટર ઊંચી ક્રેન મારફતે વિશાળ કુંભને મંદિરના શિખર સુધી લઈ જવાશે અને મંત્રોચ્ચાર સાથે અભિષેક કરવામાં આવશે. સામાન્ય રીતે દક્ષિણ ભારતના મંદિરોમાં જોવા મળતી આ પરંપરા હવે સોમનાથમાં પણ સાકાર થવા જઈ રહી છે.
-
ચોમેરથી વિરોધ અને ફટકાર થતા, યાત્રાધામ ડાકોરમાં લાગો વધારવાનો નિર્ણય હાલ પુરતો મોકૂફ રખાયો
યાત્રાધામ ડાકોરમાં લાગો વધારવાનો નિર્ણય મોકૂફ રખાયો છે. લાગો વધારવાના નિર્ણયનો ચોમેરથી વિરોધ થતા અને ફટકાર પડતા આ નિર્ણય મોકુફ રાખવાની ફરજ પડી છે. ટેમ્પલ કમિટી દ્વારા ભાવ વધારાની કરાઇ હતી જાહેરાત સોનાનાં શિખર પર ધજા ચઢાવવાનાં 2500, અગાઉ હતાં 600, ડાકોરનાં રાજાનાં સેવક, પુજારીઓ લાગો વધારવા અંગે રોષે ભરાયા, સેવક અને ભક્તોનાં વિરોધ બાદ ટેમ્પલ કમિટીએ નિર્ણય મોકૂફ રાખ્યો, 15 તારીખે સેવક, આગેવાનો સાથે ટ્રસ્ટી અને ચેરમેન કરશે ચર્ચા. 15 મી એ ચર્ચા બાદ નવો નિર્ણય કરાશે જાહેર.
-
આસામ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા હિમંત બિસ્વા સરમા, બીજીવાર બનશે આસામના મુખ્યમંત્રી
હિમંત બિસ્વા સરમા બીજી વખત આસામના મુખ્યમંત્રી બનવાના છે. તેઓ 12 મેના રોજ મુખ્યપ્રધાન પદના શપથ લેશે. કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ આજે જાહેરાત કરી હતી કે, હિમંત બિસ્વા સરમાને આસામમાં NDA વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. આનાથી તેમના માટે સતત બીજી મુદત માટે મુખ્યમંત્રી તરીકે સેવા આપવાનો માર્ગ મોકળો થયો છે. નડ્ડાએ માહિતી આપી હતી કે ભાજપના આઠ ધારાસભ્યોએ સરમાના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. આજે રવિવારના રોજ સવારે, આસામ ભાજપ વિધાનસભા પક્ષની એક બેઠક યોજાઈ હતી, જે દરમિયાન નવા નેતાની પસંદગી કરવામાં આવી હતી.
-
DRIએ સુરત એરપોર્ટ પર દિલ્હી-સુરત ફ્લાઈટના મુસાફર પાસેથી 2.80 કરોડની કિંમતનો હાઈબ્રિડ ગાંજો પકડ્યો
સુરત એરપોર્ટ પર DRIએ કરોડોનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. દિલ્હી-સુરત ફ્લાઈટના મુસાફર પાસેથી 8.6 કિલો હાઈબ્રિડ ગાંજો જપ્ત. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂપિયા 2.80 કરોડ થાય છે. આ ડ્રગ્સ દિલ્હીમાં ક્યાંથી આવ્યું? સુરતમાં આ જથ્થો કોને ડિલિવર કરવાનો હતો? આ રેકેટમાં સુરત અને દિલ્હીનાં કયા મોટા માથાઓ સામેલ ? સમગ્ર મામલે હાલ DRI એ મુસાફરની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે.
-
તમિલનાડુના મુખ્યમંત્રી બનવા બદલ થિરુ સી. જોસેફ વિજયને, PM મોદીએ પાઠવ્યા અભિનંદન
પીએમ મોદીએ થિરુ સી. જોસેફ વિજયને, તમિલનાડુના મુખ્યમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. કેન્દ્ર સરકાર તમિલનાડુના લોકોની સુખાકારી માટે રાજ્ય સરકાર સાથે કામ કરતી રહેશે તેમ શુભેચ્છા સંદેશમાં જણાવ્યું છે.
Congratulations to Thiru C. Joseph Vijay on taking oath as Tamil Nadu Chief Minister. Best wishes for his tenure ahead. The Central Government will keep working with the Tamil Nadu Government to improve the lives of people.@TVKVijayHQ
— Narendra Modi (@narendramodi) May 10, 2026
-
પંચમહાલમાં ગોધરાના વાવડી ખુર્દ પાસે અકસ્માતમાં 3 યુવાનના મોત
પંચમહાલમાં ગોધરાના વાવડી ખુર્દ પાસે અકસ્માતમાં 3 યુવાનના મોત થયા છે. મોડી રાતે મુખ્ય માર્ગની બાજુમાં ઉભેલ 3 યુવકને કાર ચાલકે લીધા અડફેટે. વાવડી ખુર્દ ગામ નજીક હોટલ ચામુંડા પાસે થયો અકસ્માત. અકસ્માતમાં બાઈક સવાર 3 યુવકોના ઘટના સ્થળે જ થયા મોત. અકસ્માતમાં દરૂણિયા ગામના 2 અને બેટિયા ગામના 1 યુવકનું થયું ઘટના સ્થળે જ મોત. તમામ મૃતદેહોને પી એમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. કાર ચાલક મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
-
મધર્સ ડેના દિવસે બનાસકાંઠામાં નિષ્ઠુર માતાનો કિસ્સો, ખેતરના સેઢે નવજાતને ત્યજીને ચાલી ગઈ
બનાસકાંઠામાં મધર્સ ડે ના દિવસે માતૃત્વ લજવાયું છે. પાલનપુરમાં ખેતરના સેઢે નવજાત ત્યજી દેવાઈ છે. અજાણી મહિલા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ચડોતર ગામે ખેતરના સેઢા પરથી જીવિત બાળકી મળી આવી. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવી છે. ખેતરેથી પરત ફરી રહેલ વ્યક્તિએ સેઢા પર નવજાત શિશુ જોતા પોલીસને જાણ કરી હતી. બાળકીનો જન્મ છુપાવવા માટે કોઈ અજાણી સ્ત્રીએ તેને ત્યજી દીધી હોવાનું અનુમાન. અજાણી મહિલા વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ.
-
તમિલનાડુમાં વિજય જોસેફ લેશે મુખ્યપ્રધાનના શપથ, 59 વર્ષ બાદ પહેલીવાર DMK-AIADMKની સરકાર નહીં
વિજય આજે મુખ્યમંત્રી પદના શપથ લેશે. ટીવીકે ચીફ સી. જોસેફ વિજય આજે તમિલનાડુના નવા મુખ્યમંત્રી બનશે. તેમણે બે વર્ષ પહેલા પાર્ટીની સ્થાપના કરી હતી. 59 વર્ષમાં પહેલીવાર, તમિલનાડુમાં બિન- ડીએમકે / એઆઈએડીએમકે સરકાર બનવાની તૈયારીમાં છે.
-
લોકગાયિકા કાજલ મહેરિયાના પતિ પર કરાયો હુમલો
લોકગાયિકા કાજલ મહેરિયાના પતિ પર જીવલેણ હુમલો કરાયો છે. ડઢાણા ગામે ચાલુ કાર્યક્રમમાં કરાયો હુમલો. લગ્ન પ્રસંગે ગરબા કાર્યક્રમમાં બનેલ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પાર્કિંગ પ્લોટમા પણ બે ગાડીઓ અથડાવવામા આવી હતી. હાલમાં પોલીસે આરોપીઓની અટકાયત કરવા અને હુમલા પાછળના મુખ્ય હેતુને સ્પષ્ટ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અગાઉ પ્રેમ લગ્ન બાદ અલ્પેશ અને કાજલના સાસરી પક્ષના લોકોને, સતત ધમકીઓ મળતી હોવાના ગંભીર આક્ષેપો કાજલ દ્વારા કરવામાં આવ્યા હતા. જેથી આ હુમલા પાછળના કારણો અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.
-
ગુજરાત હાઈકોર્ટ જજના પુત્રે અકસ્માત સર્જીને એક વૃદ્ધને મોતને ઘાટ ઉતાર્યા
અમદાવાદના હાંસોલ ઈન્દિરા બ્રિજ ખાતે આઈકોનિક રોડ પરથી પસાર થઈ રહેલા વૃદ્ધને ગુજરાત હાઈકોર્ટના જજના પુત્રે કારથી ઉડાવી દીધા હતા. કાર ચાલક ચિરાગ વાછાનીએ રાહદારી વૃદ્ધ જગદીશ પ્રજાપતિ અડફેડે લીધા હતા. વૃદ્ધને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા. વૃદ્ધ જગદીશભાઈનું સારવાર દરમિયાન મુત્યુ નિપજ્યું હતું. જી ટ્રાફિક પોલીસે કારચાલક ચિરાગ વાછાની વિરુદ્ધ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.
Published On - May 10,2026 9:58 AM
