07 જૂનના મહત્વના સમાચાર : બનાસકાંઠામાં થ્રેશરમાં આવી જતા કપાઈ ગયા ખેડૂતના બંને હાથ, મકાઈ કાઢતા સર્જાઈ આ દુર્ઘટના, બંને હાથ ગુમાવતા પરિવારમાં વ્યાપી અરેરાટી
Gujarat Live Updates આજ 07 જૂનના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
આજે 07 જૂનને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
દાહોદ: કૂવામાંથી મળ્યો 23 વર્ષીય યુવકનો મૃતદેહ
દાહોદ: કૂવામાંથી મળ્યો 23 વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો છે. ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામનો યુવક 6 જૂને ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયો હતો. બીજા દિવસે કૂવા પાસેથી યુવકના ચંપલ, પર્સ મળ્યા હતા. શોધખોળ દરમિયાન કૂવામાંથી યુવકનો મૃતદેહ મળ્યો. પોલીસે પહોંચી મૃતદેહને પી.એમ અર્થે ખસેડ્યો. યુવકના રહસ્યમય મોત અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે. મૃતક યુવકનું નામ અશ્વિન બારૈયા હતુ. ગુમ થયા બાદ તેનો મૃતદેહ મળતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે તો પંથકમાં પણ યુવકવા મોતને લઈ ચકચાર મચી છે. ત્યારે પરિવારની ફરિયાદના આધારે ફતેપુરા પોલીસ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ છે.
-
વડોદરા: વોર્ડ નં.13માં પાણીની સમસ્યાથી લોકોમાં ભારે રોષ
વડોદરા: વોર્ડ નં.13માં પાણીની સમસ્યાથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે. પૂરતા પ્રેશરથી પાણી ન મળતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. એક સ્થાનિકના જણાવ્યા અનુસાર ગોદડીયાવાસમાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યા છે. પૂરતું પ્રેશરથી પાણી ન મળતા લોકોએ મોટર લગાવી છે. ગોદડીયાવાસમાં ગેરકાયદે લગાવેલી મોટર કાઢતા માથાકૂટ થઈ હતી. ડેપ્યુટી એન્જિનિયર અને કોર્પોરેટર સાથે લોકોને ઉગ્ર બોલાચાલી થઈ હતી. સ્થાનિકોએ ફરિયાદ કરી કે પહેલા પાણીની સમસ્યાનું નિવારણ લાવો પછી મોટર કાઢો. તો આ તરફ કોર્પોરેટરે પલટવાર કર્યો કે પાણીની મોટર કાઢવા દો પછી પૂરતા પ્રેશરથી પાણી મળશે.
-
-
રાજકોટ: સામાજીક અગ્રણી પુરૂષોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: સામાજીક અગ્રણી પુરૂષોત્તમ પીપળીયાની અટકાયત કરવામાં આવી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં જવા નીકળતા અટકાયત કરાઈ છે. પુરૂષોત્તમ પીપળીયાએ ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ આપી છે. રેસકોર્સ ગ્રાઉન્ડમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરાયુ છે. હજારો ભક્તો હોવાથી કાયદો વ્યવસ્થા ન બગડે તેને લઈ કાર્યવાહી કરાઈ છે. અટકાયત થયા બાદ પુરૂષોત્તમ પીપળીયાનું નિવેદન સામે આવ્યુ છે. પીપળિયાએ જણાવ્યુ કે આયોજકો, રાજકીય દબાણના કારણે પોલીસે અટકાયત કરી છે.
બીજી તરફ પોલીસ અટકાયત કરી તે પહેલા પુરૂષોત્તમ પીપળીયાએ TV9 સાથે વાત કરી હતી. જેમાં તેઓએ પોતાને પક્ષ રજૂ કર્યો હતો. સાથે પોલીસ પ્રોટેક્શન માટે કરેલી અરજી અંગે જણાવ્યું. સાથે પુરૂષોત્તમ પીપળીયાએ જણાવ્યું હતું કે, જો મારા સવાલોના જવાબ બાબા આપશે તો હું તેને નતમસ્તક થઈશ. બાકી આ બધું અંધશ્રદ્ધા અને ધતિંગ છે.
-
બનાસકાંઠા: થ્રેસરમાં આવી જતા ખેડૂતના બંને હાથ કપાઈ ગયા
બનાસકાંઠા: થ્રેસરમાં આવી જતા ખેડૂતના બંને હાથ કપાઈ ગયા છે. દાંતા તાલુકાના જોધસર ગામના ખેતરમાં આ અત્યંત હ્રદયદ્વાવક ઘટના બની હતી. મકાઈ કાઢતા ખેડૂતના બંને હાથ થ્રેશરમાં આવી ગયા અને તેઓ અત્યંત પીડાથી જમીન ફેંકાયા હતા. ભોગ બનનાર જોધસર ગામના ખેડૂતને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ખેડૂતે બંને હાથ ગુમાવતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
-
રાજકોટ : ત્રંબા નજીક ગમખ્વાર અકસ્માત
રાજકોટ : ત્રંબા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બેકાબૂ કારે અડફેટે લેતા વેપારીનું મોત થયુ છે. દુકાન ખોલતી વખતે પૂરઝડપે આવેલી કારે વેપારીને કચડ્યો. અકસ્માતના હચમચાવતા દૃશ્યો CCTV માં કેદ થયા છે. અકસ્માતમાં ત્રંબાના વેપારી કનૈયાલાલ બારસીયાનું મોત
-
-
રાજકોટ: ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત પોલીસની કાર્યવાહી
રાજકોટ: ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત પોલીસે કાર્યવાહી હાથ ધરી. સાયબર ઠગબાજોને પોતાનું એકાઉન્ટ ભાડે આપનાર પર તવાઈ બોલાવાઈ. બેંક એકાઉન્ટ ભાડે આપનાર 16 શખ્સો વિરૂદ્ધ 8 ગુના નોંધાયા. પોતાનું એકાઉન્ટ ભાડે આપનાર 16માંથી 8 શખ્સોની ધરપકડ કરવામાં આવી. શખ્સોના એકાઉન્ટથી સાયબર ફ્રોડના રૂ.1.78 કરોડની હેરફેર કરવામાં આવી. શખ્સો વિરૂદ્ધ 1930 અંતર્ગત સાયબર સેલમાં ફરિયાદ થઈ હતી. પોલીસે નાગરિકોને બેંક એકાઉન્ટ ભાડે ન આપવા અપીલ કરી છે.
-
મહેસાણા: બે સગી બહેનો પર દુષ્કર્મ આચરનાર નરાધમ ઝડપાયો
મહેસાણાના વિસનગર તાલુકામાં 3 વર્ષથી ચાલતા દુષ્કર્મ અને બ્લેક મેઈલિંગ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો. સતલાસણાના ભાલુસણાના આરોપી નવીન ચૌધરીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી અને 3 વર્ષ પહેલા ધમકાવીને કારમાં દુષ્કર્મ આચર્યું અને તેના મોબાઈલમાં અંગત ફોટા પાડી લીધા. તે ફોટા વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું. મોટી બહેનના ફોટા બતાવી નાની બહેન સાથે પણ દુષ્કર્મ આચર્યું. અંતે બંને બહેનોએ આરોપી સાથે સંબંધ તોડી નાંખતા નરાધમે તેમના બિભત્સ ફોટા વોટ્સએપ ગ્રૂપમાં વાયરલ કરી દીધા.
ઘટના બાદ પીડિતાઓના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી. જેના ગણતરીના કલાકોમાં જ પોલીસે નરાધમ આરોપીને પકડી પાડ્યો. પોલીસે તેની પાસેથી કાર અને મોબાઈલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
-
વાવ થરાદ: માવસરી-સુઈગામ રોડ પરથી ઝડપાયો વિદેશી દારૂ
વાવ થરાદ: માવસરી-સુઈગામ રોડ પરથી વિદેશી દારૂ ઝડપાયો છે. ચંદનગઢ પાસે ટ્રક અને પિકઅપ ડાલામાંથી દારૂનો જથ્થો જપ્ત કરાયો છે. પોલીસે દારૂના બંને કેસમાં 2 આરોપીઓની પણ ધરપકડ કરી છે. રૂ.30.74 લાખની કિંમતનો દારૂ પકડવામાં પોલીસને સફળતા મળી છે. ટ્રક અને પિકઅપ સહિત કુલ રૂ.41.91 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. રાજસ્થાનથી ગુજરાતમાં વિદેશી દારૂનો જથ્થો ઘૂસાડતા હતા.
-
જામનગર: ફાયર સેફ્ટી નિયમોના ભંગ બદલ 15 હોટલ-રેસ્ટોરન્ટ સીલ
જામનગર: ફાયર સેફ્ટી નિયમોના ભંગ બદલ 15 હોટલ-રેસ્ટોરન્ટ સીલ કરાઈ છે. ફાયર NOC અને BU સર્ટી વગર ચાલતાં એકમો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. હાઈવે પર અગાઉ સીલ કરાયેલી 5 હોટેલને ફરી તાળા લાગ્યા છે. છેલ્લા 3 દિવસમાં 35 થી વધુ હોટલ-રેસ્ટોરન્ટોમાં તપાસ હાથ ધરાઈ છે. દિલ્હી અગ્નિકાંડ બાદ મનપાના ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ફાયર સેફ્ટી નિયમોનું કડક પાલન કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
-
સુરત : ETP પ્લાન્ટમાં 4 કામદારના મોત બાદ મૃતદેહ સ્વીકારવાનો પરિવારનો ઈનકાર
સુરત : ETP પ્લાન્ટમાં 4 કામદારના મોત થયા છે. હવે પરિવાર અને સામાજિક આગેવાનોએ મૃતદેહો સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ પાસે મૃતકોના પરિજનો ધરણા પર બેઠા છે. મૃતકોના પરિવાર ઉપરાંત સામાજિક આગેવાનો પણ ધરણામાં જોડાયા છે. રતિ જ્વેલર્સના માલિકની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની માગ કરી રહ્યા છે.
-
અમદાવાદઃ ગોતામાં રોગચાળો વકર્યા બાદ એક્શનમાં મ્યુનિસિપલ કમિશનર
અમદાવાદઃ ગોતામાં રોગચાળો વકર્યા બાદ મનપા કમિશનર એક્શનમાં આવ્યા છે. વોટર વર્ક્સ વિભાગના અધિકારીઓ માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. એક દિવસમાં એક વિસ્તારની 5થી વધુ ફરિયાદ મળે તો 6 કલાકમાં નિવારવા આદેશ કરાયો છે. પ્રશ્ન ઉકેલ્યા બાદ ઈજનેર, આરોગ્ય અને ડ્રેનેજ વિભાગને સ્થળ મુલાકાત કરવા સૂચના અપાઈ છે. દુષિત પાણીની ફરિયાદ આવે તે વિસ્તારમાં ટેન્કરની તાત્કાલિક વ્યવસ્થા કરવી અને પ્રભાવિત વિસ્તારમાં ક્લોરીનની ગોળીઓનો સપ્લાય કરવા તાકીદ કરી છે.
-
અમદાવાદ: ચાંદલોડિયામાં રેલવે અંડર બ્રિજની ધીમી કામગીરી લોકો માટે બની માથાનો દુખાવો
અમદાવાદના ચાંદલોડિયામાં રેલવે અન્ડર બ્રિજની ધીમી કામગીરીથી સ્થાનિકો પરેશાન થયા છે. વંદેમાતરમથી ગોતાને જોડતો રેલવે અન્ડર બ્રિજ છેલ્લા ત્રણ વર્ષથી બની રહ્યો છે પરંતું બ્રિજના ખોદકામના કારણે ગટરના પાણી ઉભરાવવાની સમસ્યા સર્જાઈ છે. જેના લીધે અપેક્ષા એવન્યુ, શ્રીફળ એપાર્ટમેન્ટ, કીર્તિ બંગલો, સુકન ગોલ્ડ, પોપ્યુલર પેરેડાઇસ, નિર્માણ હોમ્સ, વંદેમાતરમ ક્રોસ વિન્ડ સહિતની 10 સોસાયટીઓને અસર થઈ રહી છે. એક તરફ તંત્ર દ્વારા પ્રિ મોન્સૂનની કામગીરી પૂર્ણ કરવાના દાવા કરાઈ રહ્યા છે. ત્યારે રહિશોનું કહેવું છે કે અનેક રજૂઆતો છતાં બ્રિજની કામગીરી પૂર્ણ થતી નથી અને છેવટે તેમણે અંડરપાસ પાસે રામધુન બોલાવીને બેસણાની સભા યોજીને અનોખો વિરોધ કર્યો. લોકોનું કહેવું છે કે ગતરોજ મેયરે સ્થળ મુલાકાત લીધી પરંતું સ્થાનિકોની રજૂઆતો સાંભળ્યા વગર તેઓ રવાના થઈ ગયા. જેના લીધે સ્થાનિકોમાં નારાજગી છે.
-
નવસારીમાં મગરે દેખા દેતા વન વિભાગ હરકતમાં
નવસારી શહેરની દાંતેજ કેનાલ નજીક આવેલી ગટરમાં બીજી જૂને મગર દેખાયો હતો. તેનો વીડિયો વાયરલ થતાં વન વિભાગે તકેદારીના ભાગરૂપે મગરને શોધવા અભિયાન હાથ ધર્યું. વિવિધ ટીમો બનાવીને આજુબાજુના વિસ્તારમાં શોધખોળ હાથ ધરી પરંતુ, મગર ન મળી આવ્યો. અગાઉ 17 જાન્યુઆરીએ પણ મરોલી વિસ્તારમાં મગર દેખાયો હતો. તેને લઈ મગરનો શિકાર લોકો ન બને તે માટે વન વિભાગ જાગૃતિ માટેના બોર્ડ લગાવી લોકોને સચેત કરી રહ્યું છે.
-
અમદાવાદ: મીઠાખળીમાં અસામાજિક તત્વોનો આતંક
અમદાવાદ: મીઠાખળીમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો. લુખ્ખા તત્વોએ ખુલ્લી તલવાર સાથે આતંક મચાવ્યો છે. મેયર બંગલોથી માત્ર 200 મીટરના અંતરે બનાવ બન્યો. અસામાજિક તત્વો CCTV કેમેરામાં કેદ થયા છે. લુખ્ખા તત્વોમાં મુખ્ય સૂત્રધાર માધુપુરા વિસ્તારનો હોવાની ચર્ચા છે. અગાઉની અદાવત રાખી ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. રોહિત પરમાર નામના શખ્સને 4 લોકોએ ધમકી આપી છે. અગાઉ પણ ધોકા-પાઈપ સાથે લુખ્ખાઓ ભય ફેલાવી ચૂક્યા છે પોલીસે CCTV ફૂટેજને આધારે વધુ તપાસ શરૂ કરી છે.
-
અમદાવાદ: નવા રોડ હલકી ગુણવત્તાનો ડામર પાથરી બિલ પાસ કરાવવાનો કારસો
અમદાવાદના બાપુનગરમાંસ્ટેડિયમ રોડ સારી સ્થિતિમાં છે તેમ છતાં જૂના રોડને નવો બનાવવાની કામગીરી થઈ રહી છે. જૂના રોડ પર ડામર પાથરીને મેકઅપ કરવાનો પ્રયાસ થયો પરંતુ આ ડામરની ગુણવત્તા સામે સવાલો ઉઠી રહ્યા છે કારણ કે તમે હાથથી જરા રોડ પર અડશો તો પણ ડામર ઉખડી રહ્યો છે. સ્થાનિકોનો દાવો છે કે અહીં જૂનો રોડ મજબૂત હતો તેમ છતાં માત્ર બીલ બતાવવા માટે રોડની કામગીરી શરૂ કરવામાં આવી. રોડની કામગીરીથી મનપા સામે અનેક સવાલો ઉડી રહ્યા છે. શા માટે સારો રોડ હોવા છતાં ફરી રોડની કામગીરી શરૂ કરવામાં આવી ? નવા ડામરની ગુણવત્તા કેમ આટલી નબળી છે? હયાત રોડ સારો હોવા છતાં નવો રોડ બનાવી કોને ફાયદો પહોંચાડવાનું કારસ્તાન ? શું મનપા રોડની કામગીરીનું સુપરવિઝન કરે છે કે નહીં ? ગુણવત્તાનું ધ્યાન ન આપતા અધિકારીઓએ શું આ કામગીરી માત્ર બિલ મૂકવા પૂરતી જ કરી છે ? અમદાવાદમાં ઘણા એવા રસ્તાઓ છે કે જે બિમાર છે તે રિપેર કરવાને બદલે સારા રસ્તા પર ડામર પાથરીને હલકી ગુણવત્તાનું કામ શા માટે કરવામાં આવી રહ્યું છે ?
-
પાલિતાણામાં યાત્રાળુનું બેગ લઈને ભાગ્યો સાવજ
ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં અવારનવાર સિંહો રહેણાંક વિસ્તારોમાં, માનવ વસાહતોમાં આવી ચડે છે. સિંહો હવે વન વગડો છોડીને માનવ વસાહતોમાં વધુ આંટાફેરા મારતા જોવા મળી રહ્યા છે. આવો જ એક સિંહનો વીડિયો પાલિતાણાથી સામે આવ્યો છે. જ્યાં શેત્રુંજી પર્વત પર અચાનક એક સિંહ આવી ચડ્યો. આ સિંહ પહેલા તો આમતેમ આંટાફેરા કર્યા અને જાણે આસપાસના વિસ્તારની રેકી કરતો હોય તેમ આમતેમ થોડી સેકન્ડો સુધી ફર્યો અને પછી અચાનક ત્વરિત ગતિએ આવીને એક યાત્રિકનું બેગ મોં માં ઉઠાવીને ભાગ્યો.
-
જામનગર: શેરમાર્કેટમાં રોકાણ કરાવી ઠગાઈ કરતી ગેંગનો પર્દાફાશ
જામનગર: શેરમાર્કેટમાં રોકાણ કરાવી ઠગાઈ કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. વધુ નફાની લાલચ આપી છેતરપિંડી કરનાર એક સાગરિતની ધરપકડ કરાઈ છે. ભેજાબાજ ઠગ સોશિયલ મીડિયામાં સંપર્ક કરીને લોકોને જાળમાં ફસાવતો હતો. રૂ. 25.86 લાખના સાયબર ક્રાઇમના ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરાઈ છે. રાજસ્થાનના 27 વર્ષીય આરોપી રવિની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. પોલીસે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
-
દેવભૂમિ દ્વારકા: ખંભાળિયામાં કૂવામાં પડેલા શિયાળનું રેસ્ક્યૂ
દેવભૂમિ દ્વારકા: ખંભાળિયામાં કૂવામાં પડેલા શિયાળનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે. 3 દિવસથી 80 ફૂટ ઊંડા કૂવામાં શિયાળ ખાબક્યું હતું. એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટની ટીમે ભારે જહેમતે શિયાળનું રેસ્ક્યૂ કર્યું. બેભાન શિયાળને રેસ્ક્યૂ ટીમ દ્વારા CPR અપાતા શ્વાસ પાછા આવ્યા છે. શિયાળ સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરાશે. જીવદયા પ્રેમીઓની આ અદ્ભુત કામગીરીનો વીડિયો વાયરલ થયો છે.
-
સુરેન્દ્રનગર: 8 વર્ષે રોડ બન્યો અને તંત્ર ડ્રેનેજની લાઈન નાખવાનું જ ભૂલી ગયુ
સુરેન્દ્રનગરના લીંબડીમાં પાણશીણા ગામે 8 વર્ષ બાદ રોડ બન્યો પરંતું વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન કરાતા સ્થાનિકો પરેશાન થયા છે. મહત્વનું છે કે પાણશીણા ગામે ડૉ.ભીમરાવ આંબેડકરની પ્રતિમા પાસે રહેણાંક વિસ્તારમાં વર્ષોથી રસ્તો બિસ્માર હતો. જો કે સ્થાનિકોની અનેક રજૂઆતો બાદ તંત્રએ 8 વર્ષે અહીં RCC રોડ બનાવ્યો. પરંતું ગત સોમવારે પડેલા વરસાદના પાણીનો હજુ સુધી નિકાલ થયો નથી. સ્થાનિકોને આશા હતી કે સમય જશે તેમ પાણી જતું રહેશે પરંતુ વરસાદનું પાણી માર્ગ પર જેમનું તેમ ભરેલું છે. લોકોએ તપાસ કરી તો જાણવા મળ્યું કે કોન્ટ્રાક્ટરે વરસાદીના પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરી જ નથી. ત્યારે કોન્ટ્રાક્ટરોની ભૂલના કારણે અંદાજે 1 હજાર લોકો દુર્ગંધ મારતા પાણી વચ્ચે રહેવા મજબૂર થયા છે.
-
વલસાડ: દમણગંગા બિલ્ડિંગમાાંથી ડિલિવરી બોયનો આપઘાત
વલસાડ: દમણગંગા બિલ્ડિંગમાાંથી ડિલિવરી બોયે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ખાનગી કંપનીના ડિલિવરી બોયએ 13મા માળેથી મોતની છલાંગ લગાવી છે. મૃતકના પરિવારમાં માત્ર તેની બહેન અને માતા જ હોવાનું સામે આવ્યુ છે. આર્થિક સંકડામણના કારણે ડિલિવરી બોયે આપઘાત કર્યાની આશંકા સેવાઈ છે. આપઘાતની સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
-
અમરેલી: ખાનગી શાળાઓની મનમાની મામલે તંત્ર એક્શનમાં
આગામી દિવસોમાં શાળાઓ ખુલવા જઈ રહી છે. નવા સત્રની શરૂઆત થશે ત્યારે અમરેલીના રાજુલામાં ખાનગી શાળાઓને શિક્ષણ વિભાગે નોટિસ ફટકારી છે. મહત્વનું છે કે ખાનગી શાળાઓની વધતી જતી મનમાનીના લીધે સ્ટેશનરી એસોસિએશને વિરોધ કર્યો હતો અને શિક્ષણ વિભાગને લેખિત ફરિયાદ કરાઈ હતી. ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓને યુનિફોર્મ, પુસ્તકો, સ્કૂલ બેગ સહિતની વસ્તુઓ પોતે દર્શાવેલી જગ્યાએથી જ અથવા તો શાળામાંથી જ ખરીદવા માટે મજબૂર કરતી હોય તેવા આરોપ છે. ત્યારે આ સમગ્ર મામલે સ્ટેશનરી એસોસિએશન દ્વારા વિદ્યાર્થીઓ પર દબાણ કરવાના આક્ષેપ અને પુરાવા સાથે જિલ્લાના પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું.. જે બાદ શિક્ષણ વિભાગે RTE એક્ટ 2009ની કલમ 17 મુજબ દબાણ કરવા બાબતે તાત્કાલિક 2 ખાનગી શાળાઓને 10 હજાર દંડ ફટકારીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ શાળાઓ વિદ્યાર્થી કે વાલીઓને દબાણ ન કરે તેવી ચેતવણી પણ આપી છે..
-
વલસાડ: કપરાડામાં 4 વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત
વલસાડ: કપરાડામાં 4 વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. કુંભઘાટ પર 2 ટ્રક, કાર અને બાઈક વચ્ચે ટક્કર વાગી હતી. જેમા બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત થયુ છે. અકસ્માતના કારણે વાહનવ્યવહારને અસર થઈ છે. પોલીસે ઘટનાસ્થળે જઈ વાહન વ્યવહાર યંત્રવત્ કર્યો હતો.
-
ભરૂચ: કેનાલમાં બે યુવકો ડૂબ્યા
ભરૂચ: કેનાલમાં બે યુવકો ડૂબ્યા, અંકલેશ્વરની પાનોલી GIDC માં આવેલી કેનાલમાં બે યુવકો નહાવા પડ્યા હતા. આ દરમિયાન તેઓ ડૂબ્યા હતા. હાલ એક યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે જ્યારે બીજા યુવકની શોધખોળ શરૂ છે. સ્થાનિકો અને તરવૈયાઓએ યુવકની શોધખોળ શરૂ કરી છે.
-
શેરમાર્કેટમાં રોકાણ કરાવવાના નામે ફ્રોડ કરતી ગેંગનો આરોપી જામનગરથી ઝડપાયો
જામનગરથી શેરમાર્કેટમાં રોકાણ કરાવવાના નામે ફ્રોડ કરતી ગેંગનો આરોપી ઝડપાયો છે. વધુ નફાની લાલચ આપી ઓનલાઈન છેતરપીંડી કરનારને જામનગર સાયબર ક્રાઇમએ દબોચ્યો. સોશિયલ મીડિયામાં સંપર્ક કરી જાળમાં ફસાવતો હતો. રૂ. 25.86 લાખના સાયબર ક્રાઇમના ગુન્હેગારને દબોચ્યો. રાજસ્થાનના 27 વર્ષીય રવિ રોશનલાલ વર્દીચંદજી પોલીસ પાંજરે પુરાયો. પોલીસે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હતબ ધરીય
-
ભાવનગર રિંગ રોડ પર અકસ્માત, 2ના મોત, 2 ગંભીર ઈજાગ્રસ્ત
ભાવનગર શહેરના રિંગ રોડ પર અકસ્માતમાં 2 ના મોત , 2 સારવાર હેઠળ છે. કાર, બાઈક સહિત ત્રણ વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રાકેશભાઈ મનસુખભાઈ બારૈયા, બેચરભાઈ ખાટાભાઇ બારૈયાના મોત થયા છે.
-
સુરતની ઠાકોરદીપ સોસાયટીમાં રખડતા શ્વાને મચાવ્યો આતંક, 10 લોકોને બચકાં ભર્યા
સુરતના ઠાકોરદીપ સોસાયટીમાં રખડતા શ્વાને આતંક મચાવ્યો છે. ઠાકોરદીપ સોસાયટીમાં રખડતા શ્વાને 5થી 10 લોકોને બચકા ભર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. રખડતાં શ્વાનનાં કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ પ્રસરી જવા પામ્યો છે. વારંવાર રજૂઆત છતાં પાલિકા કાર્યવાહી ન કરતી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલાં પગલાં લેવાની માંગ કરાઈ છે.
-
વડોદરના સાવલીના ગુમ થયેલ યુવાનનો મળ્યો મૃતદેહ
વડોદરાના સાવલીનો ગુમ થયેલ યુવાનનો મૃતદેહ મળ્યો છે. ગત 5 જૂનનારોજ સાવલીનો યુવાન ગુમ થયો હતો. વાસણા કોતરિયા ગામનાં યુવાનની રહસ્યમય સંજોગોમાં મળી લાશ. આણંદ જિલ્લાની કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો. 5 મી જૂને સવારે ટિફીન લઇને નોકરીએ જવા નીકળ્યો હતો યુવક. 29 વર્ષીય યુવકનું નામ રાજુ વાળંદ હોવાનું સામે આવ્યુ. મંજૂસર પોલીસે મૃતદેહનો કબજો લઇને શરુ કરી આગળની તપાસ.
-
ગુજરાતમાં ફરીથી પાણીની ટાંકી પડવાની શરૂઆત, અંકલેશ્વરમાં તુટી પડી ટાંકી
ગુજરાતમાં ફરીથી પાણીની ટાંકી પડવાની શરૂઆત, અંકલેશ્વરમાં તુટી પડી ટાંકી. ભરૂચના અંકલેશ્વરમાં આવેલા ભડકોદ્રા ગામે આદિત્યનગરમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ છે. સમારકામ ચાલી રહ્યું હતું એ દરમ્યાન પીવાના પાણીની ટાંકી ધરાશાયી થઈ હતી. બાજુમાં આવેલ રૂમ પર કાટમાળ પડતા મોટું નુકસાન થવા પામ્યું હતું. સદનસીબે કોઈ જાનહાની નહીં હોવાનું સામે આવ્યું. ગ્રામપંચાયત દ્વારા ટાંકી કરાવવામાં આવી રહ્યું હતું સમારકામ.
-
વડોદરામાં મેયરના મતવિસ્તારમાં જ પાણીનો પેચીદો પ્રશ્ન, મતદારોએ કહ્યું- ફોન કરીએ તો કોઈ આવતું નથી, હવે શો બાજી કરો છો
વડોદરા શહેરમાં મેયરના મતવિસ્તાર સહીત અનેક વિસ્તારોમાં પીવાના પાણીનો પેચીદો પ્રશ્ન સર્જાયો છે. વડોદરામાં પાણી મુદ્દે અનેક વિસ્તારોમાં ઘમાસાણ મચ્યું છે. મેયરનાં વોર્ડમાં જ પાણીને લઈ કકળાટ થયો હતો. વોર્ડ નંબર 13 માં પીવાનાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ હતી. નવાપુરામાં કાઉન્સિલર અને અધિકારીઓનો ઘેરાવો કરવામાં આવ્યો હતો. ગેરકાયદે પાણી જોડાણો કાપવા ગયેલી ટીમ સામે રોષ વ્યાપ્યો છે. ગોદડીયાવાસનાં લોકોએ કાઉન્સિલરને રોકડું પરખાવ્યું. નારાજ લોકોએ મહિલા એન્જિનિયરનો પણ ઉધડો લીધો હતો. “ફોન કરે તો કોઇ આવતું નથી, હવે શો બાજી કરવાં આવશે”
-
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર પાદરા સમયાલા પાસે ગમખ્વાર અકસ્માત, 4ના મોત, 5ની હાલત ગંભીર
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. પાદરા સમયાલા પાસે બસ ઇકો આઇસર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો. પાંચ લોકોને હાલત અત્યંત નાજુક છે. પાંચ લોકોને વડોદરાની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. ઇકોકારમાં 8 પેસેન્જર સવાર હતા. ઇકો ગાડી રોગ સાઈડ જતાઅકસ્માતની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જો કે આ અકસ્માત ગત મોડી રાતનો હોવાનું પરંતુ સમાચારમાં આજે સામે આવ્યો છે. અમદાવાદ મહેસાણા બાજુ જવાનું હતું અને રોગ સાઈડ ચડી જતા બની ઘટના. અન્ય લોકો સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તમામ લોકો પાદરા પાસે અંપાડ ગામના હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
-
સુરત શહેરના અશ્વનીકુમાર વિસ્તારમાં ETP પ્લાન્ટની ટેંક ચેમ્બર સાફ કરતા 4ના મોતની આશંકા
સુરત શહેરના અશ્વનીકુમાર વિસ્તારમાંથી કામદાર માટે એક ચોકાવનારી ઘટના સામે આવી છે. ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરમાં ઉતરેલા 4 સફાઇ કર્મીઓ ફસડાઈ પડ્યા હતા. આ ચારેય કામદારોના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. ફાયરની ટિમ ઘટના સ્થળે પહોંચી ચાર લોકોને બહાર કાઠ્યા હતા. ટાકીમાં ગૂંગળામણની બે લોકોના મોત થયા છે. જ્યારે બીજા બે લોકોની હાલત ગંભીર સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ અને ફાયર ઘટના સ્થળે પહોંચ્યા છે.
-
ગુજરાત જાહેર સેવા આયોગની 268 ખાલી જગ્યા માટે 19 જિલ્લાના 323 સેન્ટર પર પરીક્ષા
ગુજરાતમાં આજે યોજાઈ રહી છે, ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા. અકાઉન્ટ ઓફિસર, ગુજરાત વહીવટી સેવા, આસિસ્ટન્ટ કન્ઝરવેટર ફોરેસ્ટની પરીક્ષા. રાજ્યભરમાં 75,400 ઉમેદવારો પરીક્ષા આપશે. 268 જગ્યાઓ માટે ઉમેદવારો આપશે પરીક્ષા. 19 જિલ્લાના 323 સેન્ટરો પર યોજાશે પરીક્ષા. અમદાવાદના 57 પરીક્ષા કેન્દ્રો પર 13298 ઉમેદવાર પરીક્ષા આપી રહ્યા છે. GPSC ની પરીક્ષા પદ્ધતિ પર પરીક્ષાર્થીઓને વિશ્વાસ. GPSC પરીક્ષા લઈ રહી છે તો પેપર લીક ના જ થાય તેવુ પરીક્ષાર્થીઓ જણાવી રહયા છે.
-
ઈરાનથી વધુ એક LPG ગેસ ભરેલ કાર્ગો જહાજ પોરબંદરના ઓલ વેધર પોર્ટ પર લાગર્યું
પોરબંદર ઓલ વેધર પોર્ટ પર વધુ એક LPG ગેસ ભરેલ કાર્ગો જહાજ આવી પહોંચ્યું છે. ઓમાનથી વાયા ઈરાન થઈ પોરબંદર પોર્ટ પર LPG ગેસ ભરેલ કાર્ગો જહાજ પોરબંદર આવ્યું છે. 6600 મેટ્રિક ટન ગેસ પુરવઠા સાથેનું જહાજ પોરબંદર પોર્ટ પર પહોંચ્યું છે.
-
પોરબંદર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મસ્થાન કીર્તિ મંદિરના પટાંગણમાં દારૂ પી રહેલ 2 શખ્સ કેમેરામાં કેદ
પોરબંદર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મસ્થાન કીર્તિ મંદિરના પટાંગણમાં દારૂ પી રહેલ શખ્સ કેમેરામાં કેદ થયા છે. કીર્તિ મંદિરે વિશ્વના નકશામાં દેખાય છે પ્રવાસીઓની આસ્થાનું કેન્દ્ર છે આજ જગ્યા પર દેશી દારૂની પોટલી પીતા દેખાયા. કેન્દ્ર સરકારની એક એજન્સીને નજરે પડ્યા અને રાજ્ય સરકારના એક ઉચ્ચ અધિકારીને ફોટા વીડિયો શેર કર્યા હોવાની ચર્ચા જાગી છે. અધિકારીએ જાતે જ પોલીસને ફોટા વીડિયો આપી બંને સખ્શોને પ્રોહિબિશનની કલમ હેઠળ ધરપકડ કરી છે. સવાલ એ છે કે કીર્તિ મંદિરમાં સીસીટીવી કેમેરા છતાં પ્રશાસનના અધિકારીઓ અને કર્મચારીઓને શું ખબર ના હતી ? સોશિયલ મીડિયામાં ફોટા વીડિયો વાયરલ થયા ત્યાં સુધી તંત્ર અને કીર્તિ મંદિર કેમ મૌન રહ્યું તેવા સવાલો ઉઠી રહ્યાં છે.
-
દક્ષિણ ગુજરાતના ઉકાઈમાં ભૂકંપનો આંચકો
દક્ષિણ ગુજરાતના ઉકાઈમાં ભૂકંપનો આંચકો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉકાઇથી 32km દૂર નોંધાયું છે. સિસ્મોગ્રાફ પર ઉકાઈ નજીક આવેલા ભૂકંપના આંચકાની તીવ્રતા 2.7 મેગ્નિટ્યુડ નોંધાઈ છે.
-
જામનગરમાં યુવાને પીધી ઝેરી દવા, પોલીસે દમન ગુજાર્યું હોવાનો કર્યો આક્ષેપ
જામનગરમાં, પોલીસને દમન ગુજાર્યું હોવાનો આક્ષેપ કરીને આરોપી દ્વારા દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. પોલીસ કાર્યવાહીથી બચવા માટે આત્મહત્યાનો પ્રયાસ કર્યાનો ગંભીર આક્ષેપો થઈ રહ્યાં છે. મારામારીના ગુનામાં આરોપી રહેલા યુવકે પોલીસ પર મારપીટના ગંભીર આરોપ લગાવ્યા છે. ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સામે ઢોર માર માર્યાનો આક્ષેપ. થોડા દિવસ અગાઉ હોટલ વિશાલ પાસે થયેલા પ્રકરણમાં પોલીસ કાર્યવાહી કરાઈ હતી. પોલીસ દ્વારા પૂછપરછ અને કાર્યવાહી બાદ યુવકે દવા પી હોવાનું સામે આવ્યું. ધર્મેન્દ્રસિંહ વીરેન્દ્રસિંહ સોઢા હાલ જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
-
સરકારે રસોડાની રસોઈ કરી મોંધી ! ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં આજથી જ રૂ.29નો કર્યો વધારો
પેટ્રોલ અને ડીઝલના રોજબરોજ વધતા જતા ભાવની સાથે સાથે હવે સરકારે ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. જોકે, 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાના સંઘર્ષને કારણે ગેસ કે ઈંધણના પુરવઠામાં કોઈ નોંધપાત્ર વિક્ષેપ પડ્યો નથી, આમ છતાં સરકારે ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં આજે 7 જૂનને રવિવારથી જ અમલમાં આવે તે રીતે રૂપિયા 29નો વધારો લોકોના માથે ઝીક્યો છે.
Published On - Jun 07,2026 7:20 AM
