અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં જાહેરમાં તોડફોડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સ્નેહ પ્લાઝા નજીક અંગત અદાવતના કારણે કેટલાક શખ્સોએ એક વાહનમાં તોડફોડ કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. વાયરલ વીડિયોમાં ધોકા અને પાઈપ જેવા હથિયારો વડે વાહનને નુકસાન પહોંચાડવામાં આવતું જોવા મળે છે. ઘટનાને લઈને વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે અને પોલીસે મામલે તપાસ શરૂ કરી કાર્યવાહી હાથ ધરી છે.
07 જાન્યુઆરીના મહત્વના સમાચાર : યુવતીઓના બોગસ લગ્ન કરાવીને વિદેશ લઈ જવાનું કૌંભાડ ભરૂચથી ઝડપાયું
આજે 07 જાન્યુઆરીને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 07 જાન્યુઆરીને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
યુવતીઓના બોગસ લગ્ન કરાવીને વિદેશ લઈ જવાનું કૌંભાડ ભરૂચથી ઝડપાયું
પાલેજ પોલીસે ભારતથી યુકે બોગસ દસ્તાવેજોના આધારે લઇ જવાના કબૂતરબાજીના કૌભાંડને ઝડપી પાડ્યું છે. પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરતા, આરોપીઓ વિદેશ નાસી ગયા હતા. ભરૂચ પોલીસે ભારતીય અને યુકે એમ્બેસીને, સમગ્ર કૌભાંડની જાણ કરાઈ છે. મહિલાઓને બોગસ લગ્ન કરી યુકે લઇ જવાતી હતી. કરજણના રિઝવાન મેંદાએ યુકે સીટીઝન હોવાથી કબૂતરબાજી શરૂ કરી હતી. જંબુસરની તસલીમબાનુ કારભારીને ખોટા લગ્ન કરી ડિપેન્ડેન્ટ વિઝાના આધારે યુકે લઇ જવાઈ હતી. હિસાબમાં લોચા પડતા રિઝવાને તેની જાણ બહાર તેની સાથે લગ્નના સર્ટિફિકેટ બનાવાયા હોવાની ફરિયાદ કરાઈ. પોલીસ તપાસમાં પૈસાની લાલચમાં રિઝવાને તસલીમબાનુ સાથે લગ્ન કાર્ય હોય તેવા ફોટા પડાવી ખોટા દસ્તાવેજ બનાવ્યા હોવાનું ખુલ્યું હતું. ભરૂચની કોર્ટના ખોટા ચુકાદા પણ બનાવાયા હતા. ઇખરની વધુ એક મહિલાને પણ વિદેશ લઇ જવા તૈયારીઓ ચાલતી હતી. ધરપકડની બીકે તસ્લિમાનો ભાઈ ફૈઝલ કારભારી અને કોર્ટના ખોટા દસ્તાવેજ બનાવનાર એડવોકેટ સાજીદ કોઠીયા વિદેશ નાસી ગયા છે. આ કૌંભાડના તમામ 4 આરોપી પોલીસ ચોપડે ફરાર છે.
-
અમદાવાદમાથી ક્રાઈમ બ્રાન્ચના નકલી અધિકારી બનીને રૂપિયા પડાવનારો આરોપી ઝડપાયો
અમદાવાદમાં ફરી એકવાર ક્રાઈમ બ્રાન્ચના નકલી અધિકારી જડપાયા છે. પોતાની ઓળખ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે આપી પૈસા પડાવતો આરોપી ઝડપાયો. ફરિયાદીની મોટરસાયકલ માં દારૂ હોવાનું જણાવી રોક્યો હતો. બાદમાં પીયુસી અને લાઇસન્સ સહિતના ડોક્યુમેન્ટ માંગ્યા હતા. ફરિયાદીને દારૂના નામે ડરાવી રૂ 40,000 પડાવ્યા હતા. જેને લઇને ફરિયાદી દ્વારા નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી ફરિયાદ. નરોડા પોલીસે વટવામાં રહેતા મોહમ્મદ શાહરુખ અન્સારીની કરી ધરપકડ. મોહમ્મદ પોતાની નકલી પોલીસ તરીકે ઓળખ આપી પડાવતો હતો પૈસા. પોલીસે તેની પાસેથી રોકડ રૂપિયા 40,000 જપ્ત કર્યા છે. મોહમ્મદ વિરુદ્ધ ભૂતકાળમાં ખોખરા, મણિનગર, અમરાઈવાડી, ઓઢવ, રખિયાલ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે.
-
-
અમદાવાદના બોપલ, સાણંદ, ચાંગોદર, અસલાલી, કણભાના PIની બદલી
અમદાવાદ ગ્રામ્યના 19 PI ની આંતરિક બદલીના હુકમ કરવામાં આવ્યા છે. મહાનગરની દ્રષ્ટિએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં, પરંતુ પોલીસ બેડામાં અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવતા બોપલ, સાણંદ, ચાંગોદર, અસલાલી, કણભા અને ધંધુકા, બાવળા, ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનના PI ની બદલી કરવામાં આવી છે. ગ્રામ્યના 41 PSI ની પણ આતંરિક બદલી કરવામાં આવી છે.
-
લોરેન્સ બિશ્નોઈ ગેંગના વધુ એક સાગરીતને અમેરિકાથી ભારત લવાયો
લોરેન્સ બિશ્નોઈ ગેંગના વધુ એક સાગરીત અમનને ભારત લવાયો છે. ઈન્ટરપોલની મદદથી USA થી અમનને ભારત લવાયો છે. CBI એ વિદેશ ભાગી ગયેલા આરોપીઓની શોધખોળ માટે શરૂ કરી છે ખાસ પ્રક્રિયા. હરિયાણામાં અમન છે મર્ડર અને રાયોટિંગના ગુનામાં વોન્ટેડ. અગાઉ પકડાયેલો અમન વિદેશ ભાગવામાં સફળ રહ્યો હતો.
-
PM મોદીના ગુજરાત પ્રવાસને લઈને ભાજપના પદાધિકારીઓની ગીર સોમનાથમાં યોજાઈ બેઠક
ગીર સોમનાથ ખાતે PM મોદીના ગુજરાત પ્રવાસ પહેલા ભાજપની બેઠક યોજવામાં આવી હતી. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળી બેઠક. 11 જાન્યુઆરીએ PM મોદીની સભાને લઇને તૈયારીઓ ચાલી રહી છે. PM મોદી સોમનાથમાં શોભાયાત્રામાં ભાગ લેશે. 1 લાખથી વધુ જનમેદની એકત્ર કરવા માટે કવાયત કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારના મંત્રીઓ બેઠકમાં રહ્યાં હાજર. સૌરાષ્ટ્રના સાંસદો, ધારાસભ્યો બેઠકમાં હાજર રહ્યાં. જિલ્લા અને મહાનગરના અધ્યક્ષો પણ હાજર રહ્યાં હતા. જિલ્લા-તાલુકા પંચાયત પ્રમુખો પણ હાજર રહ્યાં. સંગઠનના નવા પદાધિકારીઓ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા.
-
-
અમદાવાદના ગુલબાઈ ટેકરા સ્થિત પંકજ વિદ્યાલય કેમ્પસમાં ACB ની ટ્રેપ
ગુલબાઈ ટેકરા સ્થિત પંકજ વિદ્યાલય કેમ્પસમાં ACB ની ટ્રેપ થઈ છે. શ્રી એમ.એમ. પટેલ કોલેજ ઓફ એજ્યુકેશનના ટ્રસ્ટી તિમિરભાઈ અમીનને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે. નિવૃત ઈન્ચાર્જ પ્રિન્સીપાલની પેન્શન અને GPF ફાઈલમાં સહી બદલ રૂ.5 લાખની લાંચ માંગી હતી. અગાઉ રૂ.2 લાખ લીધા બાદ બાકીના રૂ.3 લાખ લેતા વોચમેન રંગે હાથ ઝડપાયો છે. લાંચની રકમ ટ્રસ્ટીના કહેવાથી વર્ગ-4 વોચમેન મુરલી મનોહર ઝંડોલે સ્વીકારી હતી. ACB ટ્રેપ દરમિયાન રૂ.3 લાખની લાંચ સ્થળ પરથી રીકવર કર્યાં છે. ટ્રેપ દરમિયાન આરોપી ટ્રસ્ટી તિમિરભાઈ અમીન ફરાર થયા છે. આ અંગે ACB તપાસ શરૂ કરી છે.
-
રિમાન્ડ પૂર્ણ થતા, સુરેન્દ્રનગરના પૂર્વ સસ્પેન્ડેડ કલેકટર રાજેન્દ્ર પટેલ જેલમાં ધકેલાયા
સુરેન્દ્રનગરમાં જમીન NA કૌભાંડ મામલે રિમાન્ડ પૂર્ણ થતા સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને જેલમાં ધકલવામા આવ્યા છે. 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા, ઈડીની વિશેષ કોર્ટમાં રાજેન્દ્ર પટેલને રજૂ કરવામાં આવ્યા હતા. ED એ વધુ રિમાન્ડની માંગ ન કરી. તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલને જેલ હવાલે કરાયા છે.
-
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના જંગલ વિસ્તારમાં પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાધો
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના જંગલ વિસ્તારમાં પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાધો છે. ઉમરપાડા તાલુકાના ગાઢ જંગલ વિસ્તારમાં જઈને ઝાડની ડાળી સાથે દુપટ્ટો બાંધી બન્નેએ ગળેફાંસો ખાધો. આપઘાત પાછળનું કારણ અકબંધ રહેવા પામ્યું છે. ઘટનાને પગલે સ્થાનિકોના ટોળેટોળા એકઠા થયા છે. સમગ્ર ઘટનાની જાણ ઉમરપાડા પોલીસને થતા, ઉમરપાડા પોલીસનો કાફલો સ્થળ પર પહોચ્યો હતો. પ્રેમી પંખીડા ક્યાં ના છે તે દિશામાં તપાસ શરૂ.
-
ગાંધીનગરના ટીટોડા ગામમાં હડકાયા ભૂંડનો આંતક, 3 ને ભર્યા બચકા
ગાંધીનગરના ટીટોડા ગામમાં હડકાયા ભૂંડનો આંતક. ભૂંડ હડકાયું થતા ગામના વૃદ્ધા સહિત ત્રણ લોકોને કરડતા તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાંમાં ખસેડવામા આવ્યા. ભુંડ કરડતા તેમને ટાંકા લેવાની પણ તબીબોને ફરજ પડી હતી. સમગ્ર ઘટનાને લઈ વન વિભાગે ભૂંડને પકડવા ટીટોડામાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ભુંડને પકડવા વન વિભાગ અને મહાનગરપાલિકાની કૂતરા પકડનાર ટીમને પણ તૈયાર કરાઈ છે. ટીંટોડા માં હડકાયા ભુંડ ના આંતક થી રાતે ખેતી કરતા ખેડૂતો અને ગ્રામજનો માં ફફડાટ વ્યાપ્યો છે…
-
સોમનાથ સ્વાભિમાન પર્વ, PM મોદી ગજવશે જાહેરસભા
સોમનાથ સ્વાભિમાન પર્વ 8 થી 10 જાન્યુઆરીએ મહમદ ગજનવી એ હુમલો કર્યો તે સમયને આજે 1 હજાર વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે સોમનાથ ખાતે 24 કલાક ઓમકારના જાપ ઝપવામાં આવ્યા. ચાર અલગ અલગ મહાનગરમાંથી રોજ એક એક ટ્રેન સોમનાથ ખાતે આવશે સુરત રાજકોટ વડોદરા અને અમદાવાદથી ટ્રેનો આવશે. સોમનાથના દરિયા કિનારે બોટ લગાવામાં આવશે જે લાઈટિંગથી ઝળહળી ઉઠશે.
Pm 10 તારીખે સાંજે 5:30 આવશે ટ્રસ્ટ સાથે મિટિંગ યોજશે અહીં ડ્રોન શો કરવામાં આવશે. 11 તારીખે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મહાદેવને શીશ ઝુકાવશે. શંખ સર્કલથી મોદીનું અભિવાદન શરૂ થશે અને હમીરજી ગોહિલની પ્રતિમા સુધી યોજાશે. 11 તારીખે મોદી સભા સંબોધશે જેમાં શૌર્ય સંઘર્ષ અને અતૂટ આસ્થા ના પ્રતીકની વાત કરશે. એક લાખથી વધુ લોકો આ સભામાં જોડાવાની શક્યતા વ્યક્ત કરી છે.
-
અમદાવાદઃ GLS યુનિવર્સિટીની કેન્ટીન આવી વિવાદમાં
અમદાવાદની GLS યુનિવર્સિટીની કેન્ટીન એક વિવાદમાં સપડાઈ છે. વેજ કેન્ટીનમાં ઈંડાની વસ્તુઓ વેચાતી હોવાના આરોપોને લઈને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે NSUI દ્વારા કેન્ટીનમાં હોબાળો કરવામાં આવ્યો હતો અને વેજ કેન્ટીનમાં ઈંડા પિરસવામાં આવે છે એવો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. ઘટનાને લઈને યુનિવર્સિટી પ્રશાસન સામે સ્પષ્ટતા અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
-
અમદાવાદઃ ચાંદખેડામાં જાહેરમાં તોડફોડનો વીડિયો વાયરલ
-
બનાસકાંઠા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવાની મળી ધમકી
બનાસકાંઠા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. કલેક્ટર કચેરીમાં ધમકીભર્યો ઈમેલ મળ્યો હોવાનું સામે આવતા DySP સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને કલેક્ટર કચેરીમાંથી તમામ કર્મચારીઓ અને અધિકારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા અને કચેરીની આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી સમગ્ર કલેક્ટર કચેરીમાં સઘન તપાસ હાથ ધરી હતી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કલેક્ટર કચેરીને ચોતરફથી સીલ કરી તપાસ કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.
-
આણંદ: ટ્રાફિકના નિયમો નેવે મૂકીને નેતાજી બન્યા ડ્રાઈવર
આણંદમાં ટ્રાફિકના નિયમોને નેવે મૂકીને નેતાજી બન્યા ડ્રાઈવર. ST બસ ચલાવવાને કારણે ધારાસભ્ય યોગેશ પટેલ ચર્ચામાં આવ્યા છે. ધારાસભ્ય યોગેશ પટેલનો ST બસના ડ્રાઈવરની સીટ પર બેસીને બસ ચલાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયો સામે આવતા લોકોમાં અનેક સવાલો ઉઠ્યા છે કે જો બસ ચલાવતી વખતે કોઈ દુર્ઘટના થઈ હોત તો તેની જવાબદારી કોણ લેતું? આ સમગ્ર ઘટનાને લઈને ‘પબ્લિસિટી સ્ટંટ’ માટે ધારાસભ્યે બસ ચલાવી હોવાની ચર્ચા પણ ચાલી રહી છે.
-
ગુજરાત હાઈકોર્ટમાં ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટનો રિપોર્ટ કરાયો રજૂ
રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટમાં ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં નાર્કો ટેસ્ટ દરમિયાન કુલ 31 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ પ્રશ્નોમાં બનાવ, મારામારી તેમજ ફેટલ એક્સિડન્ટ સંબંધિત મુદ્દાઓનો સમાવેશ હતો. સરકારી વકીલે કોર્ટમાં જણાવ્યું કે નાર્કો ટેસ્ટ મુજબ આરોપીએ કોઈ કાવતરું રચ્યું નથી અને તેના ઘરે થયેલી માથાકૂટનો બદલો લેવામાં આવ્યો હોવાનો પણ કોઈ પુરાવો નથી. નાર્કો ટેસ્ટ બાદ તપાસ અધિકારીને કેટલાક સૂચનો આપવામાં આવ્યા હોવાનું પણ સરકારી વકીલે જણાવ્યું. આ દરમિયાન રાજકુમાર જાટના વકીલે નાર્કો એનાલિસિસ કરવાની માગણી કરી હતી, જેને પગલે કોર્ટએ અરજદાર પક્ષના વકીલને નાર્કો એનાલિસિસ રિપોર્ટની કોપી આપવા હુકમ કર્યો છે. આ કેસની વધુ સુનાવણી 15 જાન્યુઆરીના રોજ હાથ ધરાશે.
-
અમદાવાદ: ન્યુ મણિનગરમાં ડ્રેનેજના ખોદકામ દરમિયાન શ્રમિકનું મોત
અમદાવાદના ન્યૂ મણિનગરમાં ડ્રેનેજના ખોદકામ દરમિયાન એક શ્રમિક દુર્ભાગ્યપૂર્ણ રીતે ખાડામાં દટાઈ જતા મૃત્યુ પામ્યો. સ્થાનિકોનું કહેવું છે કે સુરક્ષાના પૂરતા પગલાં લેવામાં આવ્યા નહોતા, જેથી આ દુર્ઘટના બની. તંત્રની બેદરકારી અંગે લોકોમાં ગુસ્સો વ્યાપી ગયો છે, ખાસ કરીને કારણ કે ડ્રેનેજ કાર્ય દરમિયાન બેરિકેડ્સ પણ ન લગાવવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, કોન્ટ્રાક્ટરે ખાડાની ભૂલ છુપાવવા રાતોરાત ખાડો પૂરો કર્યો હોવાનો આરોપ પણ ઉઠ્યો છે. શ્રમિકનું મોત થતાં સ્થાનિકોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે.
-
રાજ્યના તમામ પોલીસકર્મીઓ અને અધિકારીઓની રજા રદ
રાજ્યના તમામ પોલીસકર્મીઓ અને અધિકારીઓની રજા રદ કરવામાં આવી છે. PMના ગુજરાત પ્રવાસને લઇ રજા રદ કરાઇ. 7થી 12 તારીખ સુધી પોલીસકર્મીઓને રજા નહીં મળે. રજા પર ગયેલા અધિકારી-કર્મીઓને હાજર રહેવા સૂચના આપવામાં આવી. કાયદો વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે નિર્ણય લેવાયો.
-
ગાંધીનગર મેયર અને કોર્પોરેટર નહીં રમે ભાવનગરમાં ક્રિકેટ મેચ
ગાંધીનગરમાં ક્રિકેટ મેચને લઈને ઉઠેલા વિવાદ બાદ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગરના મેયર અને કોર્પોરેટર ભાવનગરમાં યોજાનારી ક્રિકેટ મેચમાં ભાગ નહીં લેશે. તમામ કોર્પોરેટરો અસરગ્રસ્ત વિસ્તારોમાં સીધા ગ્રાઉન્ડ લેવલે ઉતરી કામ કરશે. ટાઈફોઈડની વધતી સ્થિતિને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવાયો છે અને કોર્પોરેટરો સીધા મેદાનમાં રહી રોગના પ્રસારને રોકવા કામગીરી કરશે.
-
8 વર્ષની દીકરીનું “પેડલ ટુ પ્લાન્ટ” મિશન
બનાસકાંઠાના પાલનપુરની માત્ર 8 વર્ષની દીકરીએ એવું કામ કરી બતાવ્યું છે કે આજે તે સમગ્ર દેશ માટે પ્રેરણાનો સ્ત્રોત બની છે. ઉંમર નાની, પરંતુ હિંમત અને સંકલ્પ અદભુત દેશના પૂર્વી છેડે આવેલા અરૂણાચલ પ્રદેશથી લઈને ગુજરાતના મુન્દ્રા સુધી 4 હજાર 554 કિલોમીટરની સાયકલ યાત્રા કરીને નિક્ષા બારોટે ‘પેડલ ટુ પ્લાન્ટ’ થીમ સાથે પર્યાવરણ સંરક્ષણનો મજબૂત સંદેશ આપ્યો છે. 60થી વધુ દિવસોમાં 7 રાજ્યોના 100થી વધુ શહેરોમાંથી પસાર થઈ આ યાત્રા ગુજરાતના મુન્દ્રા સુધી પહોંચી હતી.. સાયકલ યાત્રામાં નિક્ષાની સાથે 4 અનુભવી સાયકલિસ્ટ પણ જોડાયા હતા.
-
બનાસકાંઠા: ધાનેરામાં ઓરીના 9 કેસ પોઝિટિવ આવતા દોડધામ
-
સુરતઃ MD ડ્રગ્સ બનાવાની લેબોરેટરી ઝડપાઈ
સુરતમાં SOGએ પુણા વિસ્તારમાંથી MD ડ્રગ્સ બનાવતી લેબોરેટરી ઝડપેલી છે. ત્રણ યુવક લેબમાં ક્રિસ્ટલ બેઝ MD ડ્રગ્સ તૈયાર કરતા હતા અને શહેરમાં વેચાણ કરતા હતા. આરોપીઓ સાથે જ વધુ મુદ્દામાલ પણ ઝડપી લીધો ગયો છે અને ત્રણેય આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે.
-
સુરત: GPCBએ ઝેરી કેમિકલ ભરેલા બે ટેન્કર ઝડપ્યાં
સુરતમાં GPCBએ ઝેરી કેમિકલ ભરેલા બે ટેન્કર ઝડપ્યા છે, જેમાં 27 અને 23 ટન ઝેરી કેમિકલ ભરેલા હતા. દહેજ-પાનોલીના યુનિટમાંથી આ ઝેરી કેમિકલ સુરતમાં ઠાલવવાનો પર્દાફાશ થયો છે. સ્થાનિક પોલીસ અને GPCBની દેખરેખ હેઠળ આ કામગીરી ચાલતી હોવાનો આક્ષેપ થયો છે. સચિન વિસ્તારમાં કેમિકલ ટેન્કર લીકેજ થયા બાદ GPCB તંત્ર જાગ્યું હતું. બમરોલી ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટની ડ્રેનેજ લાઈનમાં આ ઝેરી કેમિકલ ઠાલવવામાં આવી રહ્યા હતા. દહેજની APJKM અને પાનોલીની OM ક્લાઇડ કંપની સાથે આ વ્યવહાર જોડાયેલો હતો. અગાઉ ઝેરી કેમિકલ ઠાલવતી વખતે અનેક લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે, છતાં મોટી દુર્ઘટના પછી પણ અસરકારક કાર્યવાહી ન થવું મોટી ચિંતાનો વિષય બની રહ્યું છે.
-
ગાંધીનગર: ટાઈફોઈડના વધુ 11 કેસ આવ્યા સામે
ગાંધીનગર: ટાઈફોઈડના વધુ 11 કેસ સામે આવ્યા છે. સરકારી આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં કુલ 144 કેસ નોંધાયા છે. ટાઈફોઈડના 85 દર્દી હાલ ગાંધીનગર સિવિલમાં સારવાર હેઠળ છે. 59 દર્દીઓને અત્યાર સુધીમાં રજા આપવામાં આવી. સેક્ટર-24, 26, 28 અને આદિવાડામાં 85 ટીમો દ્વારા સર્વેની કામગીરી ચાલી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિન ટેબલેટ, ORS પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે.
-
વડોદરા : માંડવી દરાવાજાના સમારકામને મંજૂરી
વડોદરા શહેરની શાન અને ઐતિહાસિક ઓળખ ગણાતા માંડવી ગેટના જીર્ણોદ્ધાર માટે વડોદરા મહાનગરપાલિકાએ કમર કસી છે. માંડવી ગેટના સમારકામ માટે 4.96 કરોડના ખર્ચનો પ્રસ્તાવ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂર કરવામાં આવ્યો છે. જાન્યુઆરી 2025માં ગેટના દક્ષિણ-પશ્ચિમ ભાગના થાંભલામાં તિરાડો જોવા મળ્યા બાદ, આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના નિષ્ણાતોએ પણ આ સ્મારકને જર્જરિત જાહેર કરીને તાત્કાલિક મરામતની સલાહ આપી હતી. આખરે વડોદરાના ઐતિહાસિક માંડવી દરવાજાની રીસ્ટોરેશન- રીનોવેશન કરવાની કામગીરી માટે 9 મહિને મંજૂરી અપાઈ છે.
-
ઓલટાઈમ હાઈ લેવલે પહોંચી ચાંદીની કિંમત
ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે અને ચાંદીએ ઐતિહાસિક સપાટી કૂદાવી છે..ચાંદીની કિંમતમાં મંગળવારે 3.85 ટકા એટલે કે 9,562 રૂપિયાનો મોટો ઉછાળો જોવા મળ્યો, જેથી એક કિલો ચાંદીના ભાવ સીધા 2,56,450 રૂપિયા સુધી પહોંચી ગયા, આ ઉછાળાથી ચાંદી ઓલ ટાઈમ હાઇ થઈ છે. બાદમાં થોડા સમય પછી ભાવમાં સામાન્ય ઘટાડો આવ્યો હતો, જે પછી ચાંદી કિલો 2,55,248 રૂપિયાના ભાવ પર ટ્રેડ કરી રહી હતી, દિવસ દરમિયાન કારોબારનું સૌથી નીચલું સ્તર 2,46,888 રૂપિયા રહ્યું.
-
સુરતઃ હજીરા આભવા રોડ પર રફતારનો કેર
સુરતઃ હજીરા આભવા રોડ પર રફતારનો કેર જોવા મળી રહ્યો છે. અજાણ્યા વાહનચાલકે એન્જિનિયર યુવાનને અડફેટે લીધો. આભવા ગામના યુવાનનું મોત થયું. હિટ એન્ડ રન મામલે વાહનચાલકની શોધ કરવામાં આવી રહી છે.
-
ભરૂચઃ કુકરવાડાના ગોકુલ નગરમાં મૂર્તિ ખંડિત કરાતા વિવાદ
ભરૂચ જિલ્લાના કુકરવાડાના ગોકુલ નગર વિસ્તારમાં મેલડી માતાની મૂર્તિ અજાણ્યા શખ્શોએ ખંડિત કરતા વિવાદ સર્જાયો છે. ઘટનાથી સ્થાનિક લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હોવાના કારણે વિસ્તારમાં ટોળાં ઉમટ્યા હતા. લોકોએ મૂર્તિ ખંડિત કરનાર તત્વોને ઝડપથી શોધી તેમની સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની હોવાના કારણે લોકોમાં ભારે રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
-
ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસના કારણે ટ્રેનો કલાકો સુધી મોડી પડી
ઉત્તર ભારતમાં છેલ્લા ઘણા દિવસોથી સતત ગાઢ ધુમ્મસ છવાયું છે. ઘણી ટ્રેનો કલાકો સુધી મોડી ચાલી રહી છે.
-
એન્ટી બાયોટિક દવાઓ પર ચોક્કસ રંગ, કોડનું સ્પેશિયલ માર્કિંગ કરવામાં આવશે
-
વડોદરાઃ સમા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના
વડોદરાના સમા વિસ્તારમાં હિટ એન્ડ રનની ભયાનક ઘટના સામે આવી છે. પૂરઝડપે કાર ચલાવી રહેલા એક કારચાલકે ચાર લોકોને અડફેટમાં લઈ ગંભીર અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના સર્જ્યા બાદ કારચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે અને ફરાર કારચાલકને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે.
-
રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડી
રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. 15થી 20 કિ.મી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો વધ્યો. રાજ્યભરમાં લઘુતમ તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટ્યું. નલિયા 7.5 ડીગ્રી સાથે ઠંડુંગાર રહ્યું. કંડલા 10.7, ડીસામાં 11, ગાંધીનગર 11.2ડિગ્રી તાપમાન નોંધાયુ. ભુજ અને રાજકોટમાં 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું. કેશોદમાં 12.1 અને સુરેન્દ્રનગરમાં 12.4 તો અમદાવાદમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયુ.
Published On - Jan 07,2026 7:30 AM