વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત, કહ્યુ “ગૌહત્યારાઓને તેમના સ્થાને પહોંચાડી દીધા”
દૂધરેજ વડવાળા મંદિરના પ્રાગટ્ય દિવસે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માલધારી સમાજના આસ્થાના ધામના વિકાસ માટે ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત કરી. તેમણે ગૌહત્યારાઓ સામે કડક કાર્યવાહીનો હુંકાર ભરતા કહ્યુ કે 18 ગૌહત્યારાઓને આજીવન કેદ થઈ છે અને ગુજરાત ગૌહત્યા પર કાનૂન બનાવનારું પ્રથમ રાજ્ય છે
ભરવાડ અને રબારી સમાજના આસ્થાના સૌથી મોટા ધામ એવા દૂધરેજ વડવાળા મંદિરના પ્રાગટ્ય દિવસ ભવ્ય લોકડાયરો યોજાયો હતો. આ લોકડાયરામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે માલધારી સમાજના મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ 2 કરોડની ગ્રાન્ટ આપવાની મંચ પરથી જ જાહેરાત કરી હતી. સાથોસાથ કનિરામ બાપુને પ્રણામ કરી તેમણે કહ્યુ કે બાપુ કહેશે તે કામ કરી આપીશું. આ સાથે હર્ષ સંઘવીએ રાજ્યની સરકારે ગૌહત્યારાઓ સામે કરેલી કાર્યવાહી પણ ગણાવી હતી.
“ગૌહત્યારાઓનો હિસાબ કરવાના આશીર્વાદ લઈને ગયો હતો”
હર્ષ સંઘવીએ કહ્યુ કે પ્રથમ વખત આવ્યો ત્યારે ગૌ હત્યારા ઉપર કડક કાર્યવાહી કરવાના સંકલ્પ દુધરેજ વડવાળા મંદિર ખાતેથી કર્યા હતા.ત્યારે વડવાળા દેવના ચરણોમાં પ્રણામ ગૌહત્યારાઓના હિસાબ કરવાના આશીર્વાદ લઈને ગયો હતો. આ સાથે તેમણે કનીરામ બાપુને ઉદ્દેશીને કહ્યુ કે બાપુ તમે જે આશીર્વાદ આપશો તે કામગીરી કરીને ફરી હિસાબ આપવા આવીશ.
તેમણે કહ્યુ આજે 18 જેટલા ગૌહત્યારાઓને પકડી પકડીને આજીવન કેદની સજા અપાવી જેલના સળિયા ગણતા કરી દીધા છે. હર્ષ સંઘવીએ કહ્યુ ગૌહત્યારાઓને ક્યારેય છોડવામાં નહીં આવે. વધુમાં તેમણે કહ્યુ કે સમગ્ર દેશમાં ગૌહત્યા પર કાનુન બનાવવાનું કામ સૌપ્રથમ ગુજરાત રાજ્યમાં થયુ છે.
Input Credit- Sajid Belim- Surendranagar