Jagannath Rath Yatra Updates : અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથ યાત્રા નિજ મંદિર પહોંચી, શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન
Ahmedabad Jagannath 149th Rath Yatra Live Updates in Gujarati : આજે અષાઢી બીજનો દિવસ એટલે જગતના નાથની નગરચર્યાનો દિવસ. ભગવાન જગન્નાથ આજે ભક્તોને દર્શન દેવા માટે નગરચર્ચાએ નીકળ્યા છે. ભાવિક ભક્તો પણ પ્રભુને આવકારવા શહેરની પોળ, ગલી, મહોલ્લાની બહાર આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરેથી આજે અષાઢી બીજને 16 જુલાઈને ગુરુવારના રોજ 149મી રથયાત્રા નીકળી છે. ભગવાન જગદીશ, બહેન સુભદ્રા અને ભ્રાતા બલદેવ ભાવિક ભક્તજનોને દર્શન દેવા માટે નગરચર્યાએ નીકળ્યા છે. આજે વહેલી પરોઢના મંગળા આરતી બાદ, જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજીના હસ્તે ભગવાન જગદીશ, બહેન સુભદ્રા અને ભ્રાતા બલરામ, મંદિરના પ્રાંગણમાં રહેલા ત્રણેય રથ ઉપર સવાર થયા હતા. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી દ્વારા પહિંદ વીધી કરાયા બાદ, નીજ મંદિરથી 149મી રથયાત્રાનો જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નારા સાથે પ્રારંભ થયો હતો.
1) અષાઢી બીજ પર રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ… સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી જમાવટ… રાજકોટ અને જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ… અષાઢી બીજનું શુકન…મેઘાની પધરામણી
LIVE NEWS & UPDATES
-
ભગવાન જગન્નાથજીની યાત્રા 9.30 એ પહોંચશે નીજ મંદિર
અમદાવાદમાં આયોજિત ભગવાન જગન્નાથજીની 149મા રથયાત્રા નીજ મંદિર તરફ પ્રસ્થાન કરી રહી છે. મોટી સંખ્યામાં ભાવિકો આ રથયાત્રામાં જોડાયા અને ભગવાનની એક ઝલક મેળવવા માટે અધિરા બન્યા હતા. વહેલી સવારથી રથયાત્રા રૂટ પર માનવ મહેરામણ ઉમટી પડ્યુ હતુ અને અમદાવાદના જે-જે માર્ગો પર રથયાત્રા પસાર થઈ ત્યાં હજારોની સંખ્યાની ભક્તોનું ઘોડાપૂર ભગવાન જગન્નાથજીને આવકારવા રાહ જોઈ રહ્યુ હતુ.
રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ન ઘટે તેને લઈને પેરામિલિટરી ફોર્સના જવાનો સતત ખડેપગે તૈનાત હતા. આ ઉપરાંત 30 હજાર જેટલા પોલીસ તૈનાત હતા.
રથયાત્રાના રૂટમાં ચારેય દિશા થી જય રણછોડ ના નારા સાથે યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું. દસ લાખથી વધુ લોકો યાત્રામાં જોડાયા છે. બાબુલાલ ગજરાજ જે ગયા વર્ષે રથયાત્રા દરમિયાન નારાજ થયા હતા તે ગજરાજને કોઈ તકલીફ પડે ન પડે તેના માટે પોલીસ દ્વારા રસ્તા પર સતત પાણી છંટકાવ કરવામા આવી રહ્યો હતો.
-
રાજ્યભરમાં રથયાત્રા મહોત્સવની ધામધૂમથી ઉજવણી
અષાઢી બીજના પાવન પર્વે રાજ્યભરમાં રથયાત્રા મહોત્સવની ધામધૂમથી ઉજવણી. મોટા શહેરથી લઈને નાના ગામડાઓ સુધી ભગવાન જગન્નાથના જયઘોષ સાથે રથયાત્રાઓ નીકળી.રાજકોટમાં જગન્નાથજીની 19મી રથયાત્રામાં ભક્તિ ભાવના અનોખા રંગ જોવા મળ્યા..જગતના નાથને જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા. સુરતની રથયાત્રામાં ઈસ્કોન મંદિર, સ્ટેશન, મહિધરપુરા સહિતના મુખ્ય રૂટ પર ભાવિકોની હકડેઠઠ ભીડ જોવા મળી. તો બીજી તરફ અમદાવાદમાં ગુજરાતની સૌથી મોટી રથયાત્રામાં નીકળી. 101 શણગારેલા ટ્રક, 18 ગજરાજ અને 30 અખાડાના કરતબોએ રથયાત્રામાં રંગત જમાવી. ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રામાં હજારો ભક્તોની જનમેદની જોવા મળી. 17.5 કિલોમીટર લાંબા રથયાત્રાના રૂટ પર ભક્તોએ પ્રભુના દર્શન કરી ધન્યતા અનુભવી. વડોદરામાં ભારે હર્ષોલ્લાસ સાથે ભગવાન જગન્નાથજીની 45મી રથયાત્રા નીકળી.
-
-
અમરેલીઃ અષાઢી બીજ એ બાબરા પંથકમાં અમી છાંટણા
અમરેલીઃ બાબરા પંથકમાં લાંબા વિરામ બાદ ફરી મેઘરાજા થયા મહેરબાન અને વરસાદનું આગમન થયુ. જામ બરવાળા અને ખાખરીયા ગામમાં વરસાદ વરસ્યો. ઈંગોરાળા સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો. દરેડ ગામે વરસાદી પાણી વહેતા થયા.
-
વડોદરામાં અષાઢી બીજના ભગવાન જગન્નાથજીની 45મી ભવ્ય રથયાત્રા
વડોદરામાં અષાઢી બીજના ભગવાન જગન્નાથજીની 45મી ભવ્ય રથયાત્રા નીકળી. રેલવે સ્ટેશન ખાતેથી રથયાત્રાનું પ્રસ્થાન થયું અને તે સાથે જ સમગ્ર વાતાવરણ જગન્નાથજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું. હજારો લોકો ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે રસ્તા પર જોવા મળ્યા. ભજન-કિર્તન સાથે નિકળેલી રથયાત્રાથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
-
સુરતમાં અષાઢી બીજના પાવન અવસરે નીકળી રથયાત્રા
સુરતમાં પણ અષાઢી બીજના અવસરે રથયાત્રા નીકળી. રથયાત્રા માટે વહેલી સવારથી જ ઈસ્કોન મંદિરે ભાવિકોનો જમાવડો થયો હતો. રેલવે સ્ટેશન ખાતેથી રથયાત્રાનું પ્રસ્થાન થયું અને તે સાથે જ સમગ્ર વાતાવરણ જગન્નાથજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું. તો યાત્રા શાંતિપૂર્ણ અને ભક્તિસભર માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા પણ લોખંડી બંદોબસ્ત ગોઠવાયો હતો.
-
-
રથયાત્રાના રંગે રંગાયા ભાવેણાવાસીઓ, 17 કિમી લાંબી રથયાત્રાનું આયોજન
જય જગન્નાથના ગગનભેદી નાદ અને ભક્તિમય માહોલ વચ્ચે ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાનું ભવ્ય પ્રસ્થાન થયું. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળ્યા છે. અંદાજે 17.5 કિલોમીટર લાંબી આ રથયાત્રાના માર્ગ પર હજારો ભક્તોની જનમેદની જોવા મળી રહી છે અને જગન્નાથજીના દર્શન કરીને તમામ ભક્તો ધન્યતાની અનુભૂતિ કરી હતી.
-
રાજકોટની રથયાત્રામાં ‘ભૂતોની ટોલી’ નૃત્ય એ જમાવ્યુ આકર્ષણ
રાજ્યના મોટા શહેરથી લઈને નાના ગામડાઓ સુધી ભગવાન જગન્નાથના જયઘોષ સાથે રથયાત્રાઓ નીકળી. જેમાં ખાસ કરીને રાજકોટ, સુરત, વડોદરા, અને ભાવનગરમાં ભવ્ય અંદાજમાં રથયાત્રા યોજાઈ હતી. દરેક રથયાત્રામાં અલૌકિક અને અવિશ્વમરણીય રંગો જોવા મળ્યા હતા.
રાજકોટમાં નાનામૌવાથી નીકળેલી રથયાત્રામાં હજારો ભાવિકો જોડાયા હતા. ‘જય રણછોડ માખણચોર’નો નાદ ગુંજી ઉઠ્યો હતો. જેમાં રાજવી માંધાતાસિંહનાં હસ્તે પહિંદવિધિ કરાઈ હતી. રાજકોટની રથયાત્રામાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર ભૂતોની ટોળીએ કરેલુ અનોખું નૃત્ય હતું. આ નૃત્ય જોઈ રાજકોટવાસીઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. સાથે જ રાજ્યભરમાં પણ આ નૃત્યએ આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતું.,
-
રાજકોટ ગ્રામ્યમાં અષાઢી બીજના પર્વે અમી છાંટણા
રાજકોટ જિલ્લાના લોધીકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો. લોધીકા તાલુકાના ધુળીયા દોમડા મા અષાઢી બીજ નો ધોધમાર વરસાદ વરસ્યો. તો ઇટારા અને આસપાસના વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો. સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કપાસ,મગફળી સહિતના પાકમાં ફાયદો થશે.
-
ડમી એડમિશન મામલે રાજ્ય સરકારે તમામ DEO ને આપ્યા તપાસના આદેશ
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આલ્ફા ક્લાસિસ દ્વારા ડમી એડમિશન મામલે તપાસનો ધમધમાટ તેજ થયો છે. રાજ્ય સરકારે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને તપાસના આદેશ આપ્યા છે. થોડા દિવસ પહેલા જસદણના આલ્ફા ક્લાસિસ દ્વારા ડમી એડમિશન મામલે મોટો ખૂલાસો થયો હતો. જેમા રાજ્યની 31 શાળાઓમાં 697 વિદ્યાર્થીઓના ડમી એડમિશનનો ખૂલાસો થયો છે. વિદ્યાર્થીઓ નિયમિત અભ્યાસ કરતા હતા કે કેમ તેની તપાસ માટે રાજ્ય સરકારે કવાયત તેજ કરી છે. રાજ્ય સરકારે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને તપાસના આદેશ આપ્યા છે. પ્રવેશ પ્રક્રિયામાં કોઈ ગેરરીતિ થઈ હતી કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે તેમજ તપાસ પૂર્ણ થયા બાદ યોગ્ય કાર્યવાહી કરવા રાજ્ય સરકારે આદેશ કર્યો છે.
-
અષાઢી બીજના દિવસે ગાંધીનગરમાં અમી છાંટણા
ગાંધીનગર શહેરના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો. કોબા, કુડાસણ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો. શહેરમાં પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા.
-
સેવા દાસ બાપા આશ્રમ ખાતે ભક્તિભાવ સાથે ઉજવાયો અષાઢી બીજનો પાવન પર્વ
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના તોરણીયા ગામે આવેલ સેવા દાસ બાપા આશ્રમ ખાતે અષાઢી બીજનો પાવન પર્વ ભક્તિભાવ સાથે ઉજવાયો. પૂજ્ય રાજેન્દ્ર દાસ બાપુની પાવન નિશ્રામાં અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા. આ પ્રસંગે પોરબંદરના પૂર્વ સાંસદ અને પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ રમેશ ધડુક પણ ખાસ ઉપસ્થિત રહ્યા. સૌથી ખાસ વાત એ રહી કે રમેશ ધડુક રાજકીય મંચ પર નહીં, પરંતુ સેવાભાવના અનોખા અંદાજમાં પ્રસાદ પીરસતા અને પ્રસાદ બનાવવાની કામગીરીમાં જોડાયેલા જોવા મળ્યા. આશ્રમમાં આજે એકથી દોઢ લાખ જેટલા ભક્તો માટે મહાપ્રસાદની ભવ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી.
-
કચ્છ: ત્રણ મિનિટમાં ભૂકંપના બે આંચકા
કચ્છ: ત્રણ મિનિટમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા. ખાવડા બાદ ધોળાવીરા નજીક ફરી ભૂકંપનો આંચકો આવ્યો. ખાવડામાં 3.6 અને ધોળાવીરામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. બંને આંચકા માત્ર ત્રણ મિનિટના અંતરે નોંધાયા. બપોરે 2:20 વાગ્યે ખાવડામાં 3.6નો આંચકો આવ્યો. ત્યારબાદ ત્રણ મિનિટના અંતરે બપોરે 2:23 વાગ્યે ધોળાવીરામાં 3.2નો આંચકો આવ્યો. સળંગ બે આંચકાથી કચ્છમાં લોકોમાં ચિંતાનો માહોલ જોવામળ્યો. કચ્છમાં 10થી વધુ ફોલ્ટ લાઈન હોવાથી ભૂકંપના આંચકા અનુભવાય છે.
-
સરસપુરમાં ભગવાનના મામેરાની ઘડીઓ
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા યોજાઈ રહી છે. હાલ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો રથ સરસપુર પહોંચ્યો છે. નગરચર્યા કરતા કરતા ભગવાન મામાના ઘરે સરસપુર આવી પહોંચ્યા છે. ભાણેજ સ્વરૂપે ભગવાન જ્યારે તમારા ઘરે આવે તો તેનો ઉત્સાહ અનેરો હોય છે. હાલ સરસપુરવાસીઓ આવી જ લાગણી અનુભવી રહ્યા છે. સરસપુરમાં ભગવાનને ભાવતા ભોજન જમાડવામાં આવશે. ત્યારબાદ ભગવાન જગન્નાથજીનું લાખેણુ મામેરુ કરવામાં આવશે.
-
રાજકોટ: મેઘરાજાએ અષાઢી બીજનું મુહૂર્ત સાચવ્યું
રાજકોટ: મેઘરાજાએ અષાઢી બીજનું મુહૂર્ત સાચવ્યું. રાજકોટ શહેરમાં બીજના અમી છાંટણા થયા. રેસકોર્સ રિંગ રોડ વિસ્તારમાં મેઘરાજાએ કર્યા અમી છાંટણા. વરસાદી માહોલથી વાતવરણમાં ઠંડક પ્રસરી. ત્યારે શહેરીજનોએ પણ મેઘરાજાને વધાવ્યા અને લોકોમાં ખુશી આનંદની લાગણી જોવા મળી. આપને જોવા મળીએ ચોમાસાના પ્રારંભથી લઈને હજુ સુધી રાજકોટમાં વરસાદનું આગમન થયુ નથી. ત્યારે બીજના પાવન પર્વે અમી છાંટણી થતા શહેરીજનોએ ભાવવિભોર જોવા મળી રહ્યા છે.
-
અષાઢી બીજના પાવન પર્વથી રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ
ગુજરાતમાં આગામી વર્યે યોજાનારી વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ આાજે અષાઢી બીજથી શરૂ થઈ ગયો છે. ગાંધીનગરમાં વિધાનસભા ચૂંટણીની ભાજપે તૈયારીઓ શરૂ કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં 3.30 વાગ્યે બેઠક મળનાર છે. જેમા CM અને Dy. CM પણ ઉપસ્થિત રહેશે. સંગઠનના હોદ્દેદારો બેઠકમાં હાજરી આપશે. આ બેઠકમાં 2027ની ચૂંટમીના રોડમેપ અંગે ચર્ચા થઈ શકે છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદિશ પંચાલ અને 4 મહામંત્રી કમલમ પહોંચ્યા છે.
-
અમિત શાહની ઉપસ્થિતિમાં કમલમ ખાતે યોજાશે બેઠક, 2027ની ચૂંટણીને લઈને કરાશે મંથન
ગુજરાતમાં 2027ના ડિસેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે શરૂ કરી વિધાનસભાની તૈયારીઓ. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે કરશે બેઠક. બપોરે 3:30 કલાકે બેઠક. સંગઠન હોદ્દેદારો સાથે cm તથા dycm પણ રહેશે હાજર. 2027 ના રોડમેપની કાલે બેઠકમાં થઇ શકે છે ચર્ચા.
-
અષાઢી બીજે અમરેલી, બગસરા અને સાવરકુંડલામાં વરસાદ વરસ્યો
અષાઢી બીજ ને લઈને અમરેલી જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું છે. સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું છે. અમરેલી, બગસરા અને સાવરકુંડલામાં વરસાદ પડ્યો છે. ભારે બફારાથી લોકોને મળી રાહત.
-
સાબરકાંઠાના ઈડર ખાતે આજે 28 મી રથયાત્રા નિકળી
સાબરકાંઠાના ઈડર ખાતે આજે 28 મી રથયાત્રા નિકળી હતી. ભગવાન જગન્નાથ, બળદેવ અને સુભદ્રા નગરચર્યાએ નિકળ્યા છે. ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ રથનુ પ્રસ્થાન કરાવ્યું. મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા યાત્રામાં વિવિધ અખાડા અને કરતબો સાથે યોજાઈ રથયાત્રા. રામજી મંદિરથી શરૂ થઈ સમગ્ર શહેરમાં નગરયાત્રા કરશે ભગવાન.
-
સુરેન્દ્રનગરના લીંબડીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી
સુરેન્દ્રનગરના લીંબડીમાં ભગવાન જગન્નાથજીની દ્વિતીય ભવ્ય રથયાત્રા નીકળી હતી. મોટા મંદિરથી ધારાસભ્ય કિરીટસિંહ રાણાના હસ્તે રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. મોટી સંખ્યામાં મહિલાઓ પરંપરાગત વેશભૂષામાં જોડાતા ભક્તિમય માહોલ સર્જાયો હતો. હરિભક્તોના જયઘોષ સાથે શહેરના મુખ્ય માર્ગો પરથી રથયાત્રા પસાર થઈ. શાંતિપૂર્ણ અને સુચારૂ આયોજન માટે લીંબડી પોલીસે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો. શ્રદ્ધાળુઓએ ભગવાન જગન્નાથજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા.
-
નવસારીના ભાટ ગામના તળાવમાંથી યુવા શ્રમજીવીનો મૃતદેહ મળ્યો
નવસારીના ભાટ ગામના તળાવમાંથી યુવા શ્રમજીવીનો મૃતદેહ મળ્યો. યુવા શ્રમજીવીનુ મોત રહસ્યમય હોવાનું પોલીસ માની રહી છે. શરીર પર ઈજાના નિશાન મળતાં મોત અંગેની શંકા ગાઢ બની છે. પોલીસે પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું. ધોલાઈ મરીન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
-
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સી.એમ. ડેશબોર્ડ પરથી અમદાવાદની રથયાત્રાનું રિયલ ટાઈમ મોનિટરિંગ નિહાળ્યું
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની 149મી જગન્નાથ રથયાત્રાના અમદાવાદ શહેરમાં ભ્રમણ તેમજ રથયાત્રાના સંચાલનનું રિયલ ટાઈમ મોનિટરીંગ મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન ખાતે આવેલ સી.એમ. ડેશ બોર્ડની વીડિયો વોલ પર જીવંત પ્રસારણ નિહાળીને કર્યું હતું. આ દરમિયાન ભૂપેન્દ્ર પટેલે, રથના લોકેશન, પોલીસ દ્વારા એ.આઈ. અને ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી કરવામાં આવી રહેલી રથયાત્રાની દેખરેખ અને સલામતી વ્યવસ્થાની તલસ્પર્શી જાણકારી મેળવી હતી.
-
કચ્છી નવા વર્ષે, ભુજ, રાપર, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ
કચ્છમાં વરસાદી માહોલ જામ્યો. ભુજ, રાપર, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. આજે વહેલી સવારથી જ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતા.
-
સુરતના ડાયમંડ કિંગ ધીરૂ રામાણીનું માલીમા અપહરણ, કટ્ટરપંથીઓએ રૂપિયા 45 કરોડ વસૂલીને છોડી મૂક્યો
સુરતના ડાયમંડ કિંગ ધીરૂ રામાણીનું માલીમાં અપહરણ થયાની આશંકા સેવાઈ રહી છે. સાથો સાથ 3 ભારતીયના અપહરણ થયું હોવાની શંકા સેવાઈ રહી છે. કટ્ટરપંથીઓએ પરિવારને પાસે 100 કરોડની ખંડણી માગી હોવાની વાત સામે આવી છે. સુરત સહિત સમગ્ર ગુજરાતના રત્નકલાકારો અને હીરા ઉદ્યોગ જગતને હચમચાવી મૂકે તેવા એક સમાચાર પશ્ચિમ આફ્રિકાના માલી દેશમાંથી સામે આવ્યા સુરતના જાણીતા 75 વર્ષીય ગુજરાતી હીરા ઉદ્યોગપતિ ધીરુ રામાણી ત્યાંથી રહસ્યમય રીતે ગુમ થયા છે. જોકે, કટ્ટરપંથી સંસ્થા દ્વારા અપહરણ કરાયાની આશંકા પરિવારને છે. આ વચ્ચે 100 કરોડની ખંડણીની માગ પણ કરાઈ છે. આ ઘટના છેલ્લા ત્રણ મહિનાથી બની હોવાનું સામે આવ્યું છે. જો કે, છેલ્લે તાજા મળતા અહેવાલ અનુસાર, વેપારી ને ખંડણી લઈ છોડી મુકવામાં આવ્યા છે. હીરા વેપારીને ત્રણ મહિના સુધી અપહરણ કરીને ગોંધી રાખવામાં આવ્યો હતો. 45 કરોડ રૂપિયા ચુકવતા અપહરણ કર્તાઓ દ્વારા વેપારી ને છોડ્યો છે.
-
રાજકોટમાં નાના મૌવાથી નીકળી ભગવાન જગન્નાથની 19મી રથયાત્રા
રાજકોટમાં અષાઢી બીજ નિમીતે ભગવાન જગન્નાથજીની 19મી રથયાત્રા નીકળી. શહેરમાં જગન્નાથજીની 19મી રથાયાત્રા રંગેચંગે નીકળી. નાનામૌવા વિસ્તારમાં આવેલા મંદિરથી 29 કિલોમીટર નીકળશે યાત્રા. મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા
-
કચ્છના નલિયા એરફોર્સ સ્ટેશનમાં જવાને સર્વિસ રાઇફલથી જીવન ટૂંકાવ્યું
કચ્છના નલિયા એરફોર્સ સ્ટેશનમાં ફરજ દરમિયાન જવાને સર્વિસ રાઇફલથી જીવન ટૂંકાવ્યું. હરિયાણાના 27 વર્ષીય ભરતરાજ ભારદ્વાજનું મોત. ટેકનિકલ એરિયામાં જવાને આત્મઘાતી પગલું ભર્યું. એકે-103 સર્વિસ રાઇફલમાંથી ફાયરિંગ કરાયું. ગરદનથી માથાના ભાગે ગોળી વાગતા મોત થયું. કોઠારા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી.
-
સુરતમાં ઇસ્કોન મંદિર દ્વારા જહાંગીરપુરાથી નીકળશે રથયાત્રા
સુરતમાં જગન્નાથની રથયાત્રા ને લઈને સુરત ઇસ્કોન મંદિર જહાંગીરપુરા ખાતે ભક્તોનું ઉમટ્યુ ઘોડાપૂર. અષાઢી બીજના પાવન પર્વે ભક્તોમાં અનેરો ઉત્સાહ. ભગવાનના દર્શન કરવા ઉમટી ભીડ. જગતના નાથ આજે નગરજનોને રાજમાર્ગો પર દર્શન આપશે. બપોરે રેલવે સ્ટેશન ખાતેથી ભગવાનની રસથયાત્રાનું પ્રસ્થાન થશે. સાધુ સંતો અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં થશે પ્રારંભ.
-
મુંબઈ: BMC એ તાજ પેલેસ હોટેલને રૂપિયા 22 કરોડની ફટકારી નોટિસ
26/11 ના આતંકવાદી હુમલા પછી સુરક્ષા કારણોસર મુંબઈમાં તાજ પેલેસ હોટેલની આસપાસ લગાવવામાં આવેલા સુરક્ષા અવરોધો અને બોલાર્ડ હવે વિવાદનો વિષય બની ગયા છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ હોટેલ મેનેજમેન્ટને આ માળખાઓ માટે આશરે રૂપિયા 22 કરોડની બાકી રકમ ચૂકવવાની માંગણી કરતી નોટિસ ફટકારી છે. 2008 થી ફી સંપૂર્ણપણે ચૂકવવામાં આવી ના હોવાથી, વ્યાજ અને અન્ય ચાર્જ સહિત કુલ બાકી રકમ રૂપિયા 22 કરોડ થઈ ગઈ છે.
-
રથયાત્રામાં સરસપુરથી ઝડપાયા પોકેટમાર અને ચેઈન સ્નેચર
રથયાત્રામાં ભગવાનના દર્શન કરવા ઉમેટલ ભાવિક ભક્તોની ભારે ભીડનો ગેરલાભ લઈને તસ્કરો તેમના હાથની ચાલાકી અજમાવે તે પહેલા જ પોલીસે દબોચી લીધા છે. ભગવાનના મોસાળ સરસપુરમાંથી પોલીસે 2 પાકીટમાર અને એક ચેઈન સ્નેચરની ઝડપી પાડીને તેમની અટકાયત કરી છે.
-
ગજરાજ, ટ્ર્ક મોસાળ સરસપુર પહોંચ્યા
અમદાવાદના જમાલપુરથી નીકળેલી ભગવાન જગન્નાથની 149મી રથયાત્રામાં સામેલ, ગજરાજ અને ટ્ર્ક ભગવાનના મોસાળ ગણાતા સરસપુર ખાતે પહોચ્યાં છે.
-
તલાલાના ગીર વિસ્તારમાં વરસ્યો વરસાદ, વાવણીને ફાયદો થવાની આશા
ગીર સોમનાથના તલાલાના ગીર વિસ્તારમાં આવેલા પાણીકોઠા જાવંત્રી લીમધ્રા ગીર વિઠલપુર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. 10 દિવસના વિરામ બાદ ગીરમાં ફરી વરસાદ તૂટી પડતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. ખેડૂતો એ વાવણી કરેલા પાકોને થશે મોટો ફાયદો.
-
સુરતના માંગરોળ, ઉમરપાડા, કામરેજ, ઓલપાડ, બારડોલીમાં વરસ્યો વરસાદ, કામરેજમાં નેશનલ હાઈવે 48 ના સર્વિસ રોડ પર પાણી ભરાયા
સુરત જિલ્લામાં વિરામ બાદ બે દિવસથી મેઘમહેર થઈ છે. માંગરોળ, ઉમરપાડા, કામરેજ, ઓલપાડ, બારડોલી સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો છે. કામરેજમાં ભારે વરસાદના પગલે નેશનલ હાઈવે 48 ના સર્વિસ રોડ પર ફરી પાણી ભરાયા. કામરેજ અઝીમ હોસ્પિટલ નજીક સર્વિસ રોડપર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે.
-
રથયાત્રામાં સામેલ અખાડામાં દર્શાવાઈ રહ્યાં છે શરીર સૌષ્ઠવના અવનવા કરતબ
અમદાવાદમાં આજે 16મી જુલાઈને અષાઢી બીજના દિવસે નીકળેલી ભગવાન જગન્નાથની 149મી રથયાત્રામાં સામેલ અખાડાઓ, ખમાસા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યાં છે. અખાડામાં સામેલ યુવાનો શરીર સૌષ્ઠવના અવનવા કરતબ દર્શાવી રહ્યાં છે.
-
અમદાવાદમાં રથયાત્રાના માર્ગ ઉપર ઉડતા બે ખાનગી ડ્રોનને પોલીસે ઉતરાવી લીધા
રથયાત્રાના માર્ગ ઉપર ઉડતા બે ખાનગી ડ્રોનને પોલીસે ઉતરાવી લીધા છે. આજે 149મી રથયાત્રાને લઈને સમગ્ર રૂટ ઉપર, પૂર્વ મંજૂરી લીધા વિના ડ્રોન ઉડાડવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આમ છતા રથયાત્રાના માર્ગમાં બે ખાનગી ડ્રોન ઉડતા હોવાનું એન્ટી ડ્રોન સિસ્ટમમાં જણાયા હતા. આથી પોલીસે આ બન્ને ખાનગી ડ્રોનને ત્વરીત નીચે ઉતરાવી લીધા હતા.
-
ભાવનગરમાં પણ નીકળી 41મી રથયાત્રા, 17.5 કિં.મી વિસ્તારમાં પરિભ્રમણ કરશે રથ
ભાવનગર શહેરમાં પણ આ વર્ષે 41મી રથયાત્રા નીકળી છે. ભગવાન જગન્નાથજી ની 41 મી રથયાત્રાનું શહેરના રાજમાર્ગો પર થયું પ્રસ્થાન. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નીકળ્યા છે નગરચર્યા માટે. 17.5 કિલોમીટર લાંબી ચાલશે આ રથયાત્રા. હજારો લોકો ભગવાન જગન્નાથના દર્શન કરવા આવ્યા રસ્તાઓ પર ઉમટ્યા છે. સુરક્ષા માટે 3000 પોલીસ, 1500 હોમગાર્ડસ, આઈ.જી, 3 એસ.પી, 15 ડીવાયએસપી સહિત પોલીસ અધિકારીઓ જોડાયા રથયાત્રાના બંદોબસ્તમાં.
-
રથયાત્રામાં સામેલ ભજન મંડળીમાં વિવિધ થીમ જોવા મળી
ભગવાન જગન્નાથની રથયાત્રામાં સામેલ ભજન મંડળીમાં વિવિધ થીમ જોવા મળી છે. ઢોલ નગારા સાથે ભજન મંડળી ભગવાનના રથ સાથે જોવા મળી. ભજન મંડળીમાં પણ જોવા મળી અલગ અલગ થીમ. પરશુરામ અને ભગવાન જગન્નાથ ટેટૂ શરીર પર ચિત્રાવ્યું. ભજન મંડળીમાં એક મહિલાએ મધ્યપ્રદેશ જબલપુર ક્રૂઝ દુઘર્ટના મૃત્યુ પામેલી માતા દીકરાની એક ફોટો વાળી ટી શર્ટ પહેરી છે. પેટ્રોલ ડીઝલની અછત સમયનો ટેટૂ વાળો ફોટો શરીર પર દોરવાયો.
-
આ વર્ષે રથયાત્રામાં સામેલ હાથી, ભીડ અને મોટા અવાજથી ભડકે નહીં તે માટે હાથી પર લગાવાયા જાયરોસ્કોપ
ગયા વર્ષે યોજાયેલ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા દરમિયાન ખાડિયામાં હાથી બેકાબૂ થયો હતો. આ વર્ષે હાથી ભીડ કે ડીજેના મોટા અવાજથી બેકાબૂ ના થાય તે માટે હાથી ઉપર જાયરોસ્કોપ લગાવાયા છે. જે તેમની ગતિ ઉપર સતત નજર રાખતુ રહેશે.
-
અષાઢી બીજના રોજ કચ્છના નવા વર્ષે PM મોદીએ પાઠવી શુભેચ્છા, કચ્છી ભાષામા કહ્યાં રામ રામ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, સોશિયલ મીડિયા એકસ્ પર કચ્છીઓના નવા વર્ષે શુભેચ્છા પાઠવી છે. કચ્છી ભાષામાં લખેલ શુભેચ્છા સંદેશમાં કચ્છીઓને નવા વર્ષના રામ રામ કહ્યાં છે.
કચ્છડ઼ો ખેલે ખલકમેં જીં મહાસાગરમેં મચ્છ, જિતે હિકડ઼ો કચ્છી વસે ઉતે ડીંયા ડીં કચ્છ. અજ આષાઢી બીજ એટલે કચ્છી નયોં વરેં, દેશ અને દુનિયાંમેં વસંધલ કચ્છી ભા-ભેંણેંકે કચ્છી નયેં વરેંજા રામ રામ અને જિજી જિજી વધાઇયું.
— Narendra Modi (@narendramodi) July 16, 2026
-
હાથી બાદ હવે વિવિધ ટેબ્લો સાથેની ટ્રકનું યાત્રા માર્ગે પ્રસ્થાન
અમદાવાદના જગન્નાથ મંદિરેથી, ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાનુ વિધિવત્ત રીતે પ્રસ્થાન થઈ ચૂક્યું છે. યાત્રાના પ્રારંભે ગજરાજ બાદ, વિવિધ ટેબ્લો સભર ટ્ર્ક પણ યાત્રાના માર્ગે નીકળી ચૂકી છે.
-
રથયાત્રાના માર્ગ પર હાથી પસાર થયા બાદ જ DJ ચાલુ કરવા સૂચના
ભગવાન જગન્નાથની 149મીં રથયાત્રાનો સવારે વિધિવત્ત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે. યાત્રાના પ્રારંભે ગજરાજ ખમાસા પહોચ્યા છે. ગયા વર્ષે બેકાબૂ થયેલ હાથીને યાત્રામાં સૌથી આગળ રખાયો છે. હાથી સાથે વેટરનરી ડોક્ટરની વિશેષ ટીમ પણ છે. જગન્નાથ મંદિરના ટ્રસ્ટી અને મહારાજ પણ હાથી સાથે ચાલી રહ્યા છે. તમામ 18 હાથીઓ પર CCTV અને ડિસેબલ મીટર લગાવાયા છે. હાથીના સંતુલન પર નજર રાખવા જાયરોસ્કોપ લગાવ્યા છે. હાથી પસાર થઈ રહ્યા છે ત્યાં DJ સિસ્ટમ બંધ રખાઈ રહી છે. હાથી પસાર થયા બાદ જ DJ ચાલુ કરવા સૂચના આપવામાં આવી છે.
-
રથયાત્રાના માર્ગ ઉપર ક્રાઈમ બ્રાન્ચે એક્ટિવ કરી એન્ટી ડ્રોન ગન
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની સુરક્ષાને ધ્યાને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એન્ટી ડ્રોનગન એકટિવ કરી છે. પોલીસ સિવાય બીજા ડ્રોન ઉડાડે તો એન્ટી ડ્રોન ગનનો ઉપયોગ કરીને ડ્રોનને તોડી પાડવામાં આવશે.
-
ગજરાજની સવારી નીકળી નગરયાત્રાએ, યાત્રા માર્ગે ભક્તોની ભારે ભીડ
ભગવાન જગન્નાથની રથયાત્રાના પ્રારંભે, ભગવાન ગણેશના પ્રતિક માનવામાં આવતા ગજરાજના પ્રસ્થાન સાથે નગરયાત્રાનો પ્રારંભ થાય છે. અમદાવાદના જગન્નાથ મંદિરેથી હાથીના પ્રસ્થાન સાથે 149મી રથયાત્રા શહેરની પરીક્રમાએ નીકળી ચૂકી છે.
-
ભાવિક ભક્તોની ભારે ભીડ અને ભગવાનના જયકાર વચ્ચે જગન્નાથ મંદિરેથી 149મી રથયાત્રાનુ પ્રસ્થાન
જય રણછોડ, માખણ ચોર, જય જગન્નાથના નારા સાથે ભક્તિભાવ ભર્યા માહોલમાં અમદાવાદના જગન્નાથ મંદિરેથી 149મી રથયાત્રાનો પ્રારંભ થયો છે. મંદિર પરિસર અને પરિસરની બહાર ભાવિક ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે.
-
પહિંદ વિધિ બાદ રથ ખેંચીને ભૂપેન્દ્ર પટેલ-હર્ષ સંઘવીએ 149મી રથયાત્રાનુ કરાવ્યું પ્રસ્થાન
અમદાવાદના જગન્નાથ મંદિરે, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પહિંદ વિધિ કરી હતી. પહિંદ વિધિ બાદ, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ રથ ખેચીને 149મી રથયાત્રાનુ પ્રસ્થાન કરાવ્યું હતું.
-
પહિંદ વિધી માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિરે પહોંચ્યા
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભગવાન જગન્નાથની 149 મી રથયાત્રાની પહિંદ વિધી માટે જગન્નાથ મંદિરે પહોચ્યા છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી પહિંદ વિધી કરીને રથ ખેંચીને મંદિરના પટાગણમાંથી બહાર કાઢીને 149મી રથયાત્રાનો પ્રારંભ કરાવશે.
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોકલાવેલ ડ્રાયફુટમાંથી ભગવાન માટે બનાવાયો છે પ્રસાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોકલાવેલ ડ્રાયફુટમાંથી ભગવાન માટે બનાવાયો છે પ્રસાદ. રથયાત્રા પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ગઈકાલ બુધવારના સાંજે જગન્નાથ મંદિરમાં પ્રસાદ મોકલ્યો હતો. જાંબુ, દાડમ, કાકડી, ડ્રાયફ્રૂટ, કેરી સહિત આઠ બોક્સમાં પ્રસાદ ધરાવાયો હતો. દર વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રથયાત્રાના આગલા દિવસે પ્રસાદ મોકલાવે છે.
-
નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી જગન્નાથ મંદિરે પહોંચ્યા
નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી, અમદાવાદના જગન્નાથ મંદિરે પહોચ્યા છે. તેઓ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની સાથે પહિંદ વિધી માટે જોડાશે અને પહિંદ વિધી બાદ રથ ખેચીને 149મી યાત્રાનો પ્રારંભ કરાવશે.
-
ભગવાનને ધરાવાયો ખિચડાનો પ્રસાદ, 1 લાખ ભાવિક ભક્તોને પ્રસાદી તરીકે વિતરણ કરાશે
આજે રથયાત્રાના પાવન પર્વે, મંગળા આરતી બાદ ભગવાનને ખીચડાનો પ્રસાદ ધરાવાયો છે. 1 લાખથી વધુ લોકો માટે ખીચડાનો પ્રસાદ બનાવાયો છે. ડ્રાયફ્રુટ અને ગવારફળીનું શાક નાખીને તૈયાર ખીચડો તૈયાર કરવામાં આવે છે. મોસાળ ગયા હતા ત્યારે જાંબુ અને કેરી ખાવાથી ભગવાનને આંખો આવી ગઈ હોવાથી ભગવાનની આંખો સાજી થાય તેવા ભાવ સાથે ખીચડાનો ભોગ ધરાવાય છે.
-
ભગવાન જગદીશ, બહેન સુભદ્રા અને ભ્રાતા બલરામ રથમાં સવાર
અમદાવાદના જગન્નાથ મંદિરે આજે વહેલી સવારે મંગળા આરતી બાદ, મહંત દિલીપદાસજીના હસ્તે, ભગવાન જગદીશ, બહેન સુભદ્રા અને ભ્રાતા બલરામની પ્રતિમા મંદિરમાંથી રથમાં બિરાજમાન કરવામાં આવી છે.
Published On - Jul 16,2026 5:55 AM
