બિહાર રાજ્યના કઠીયાર જિલ્લામાં મોહના ઠાકુર અને પીંકુ યાદવ ગેંગ વચ્ચે ગેંગવોર થઇ હતી અને આ ગેંગવોરમાં 5 ઈસમોની ફાયરીંગ કરી હત્યા કરવામાં આવી હતી. આ કુખ્યાત મોહના ઠાકુર ગેંગના સાગરીતોને સુરત શહેર ક્રાઈમ બ્રાંચ અને બિહાર એસ.ટી.એફ.ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ઝડપી પાડ્યા છે. મોહન ઠાકોર ગેંગના ચાર સાગરીતો ભાગીને સુરત આવી ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચ પોલીસે દેવધ ચેક પાસેથી 4 શાર્પ શુટરોને ઝડપી પાડ્યા હતા. કુલ 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બિહાર ગેંગવોરના હત્યારાને પકડી પાડવા માટે બિહાર એસટીએફની ટીમ સુરત શહેરમાં આવી હતી. તેમણે બિહાર ગેંગવોરમાં 5 ઈસમોની હત્યા કરનાર આરોપીઓ સુરત શહેરમાં ફરતા હોવાની માહિતી આપી, તેને પકડવા જરૂરી મદદ માગી હતી. દરમિયાન સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ અને બિહાર એસટીએફની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જે પછી ગોડાદરા દેવધ ચેકપોસ્ટ પાસેથી 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, બિહાર રાજ્યમાં આવેલા કટિહાર જિલ્લામાં મોહના ઠાકુર અને પીંકુ યાદવ ગેંગ વચ્ચે વર્ચસ્વની લડાઈ અવાર નવાર ચાલતી હોય છે. તેઓ જમીન, પાણી અને મિલકતો ઉપર પોતાનો કબજો જમાવવા અવાર નવાર એકબીજા ઉપર હુમલો કરતા આવ્યા છે. આ બંને ગેંગ વિરુદ્ધ ઘણા ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે.
પોલીસે જણાવ્યુ હતુ કે, આ બંને ગેંગ વચ્ચે થોડા સમયથી ગંગા નદીના કાંઠે કાપની જમીનો ઉપર કબજો કરવામાં અણબનાવ ચાલુ હતો. આ બાબતની અદાવત રાખી બંને ગેંગ વચ્ચે 8 ડીસેમ્બર 2022ના રોજ મોહન ઠાકુર ગેંગના 23 સાગરીતો અને પીંકુ યાદવ ગેંગના સાગરીતો વચ્ચે ભવાનીપુર ગામમાં ગેંગવોર થઇ હતી. જેમાં તેઓ વચ્ચે આમર્સ અને દારૂગોળાના હથીયારો સાથે લઇ એકબીજા ઉપર સામ સામે આશરે ત્રણેક કલાક સુધી ફાયરીંગ ચાલી હતી. આ ગેંગવોરમાં મોહના ઠાકુર ગેંગ દ્વારા પીંકુ યાદવ ગેંગના લીડર પીંકુ યાદવ સહીત અન્ય 4 ઈસમોની હત્યા કરી તેમના મૃતદેહને ગંગા નદીના પાણીમાં નાખી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ સાગરીતો ફરાર થઇ ગયા હતા. જે પૈકીના 4 આરોપીઓની સુરત શહેરમાંથી ધરપકડ કરવામાં આવી છે.
વધુમાં મોહના ઠાકુર ગેંગ વિરુદ્ધ હત્યા, ખંડણી, હત્યાની કોશિશ, લૂંટ, ધાડ, વિગેરે જેવા સંખ્યાબધ ગુનાઓ બિહાર રાજ્યના કટીયાર જિલ્લામાં નોંધાયેલા છે. તેમજ ઝડપાયેલા ચારેય આરોપીઓને બિહાર ખાતે લઇ જવાના હોય તેઓને નામદાર કોર્ટમાં રજુ કરી આરોપીઓના 9 જાન્યુઆરી 2023 સુધીના ટ્રાન્જીસ્ટ રિમાન્ડ મેળવી આરોપીઓનો કબજો બિહાર એસટીએફને સોપવામાં આવ્યો છે.
સુરત ક્રાઈમ બ્રાંચના પીઆઈ લલિત વેગડીયાએ જણાવ્યું હતું કે, મોહના ઠાકુર અને પીંકુ યાદવ ગેંગ વચ્ચે ગેંગવોર ચાલતો હતો. ગેંગવોરમાં 5 લોકોની હત્યા કરવામાં આવી હતી. જે પૈકીના મુખ્ય 4 શાર્પશૂટરો સુરત જિલ્લામાં પોતાની ઓળખ છુપાવી વસવાટ કરતા હોવાની માહિતી બિહાર એસટીએફને મળી હતી. જે પછી બિહાર એસટીએફની ટીમ સુરત આવી હતી જેથી સુરત ક્રાઈમ બ્રાંચ અને બિહાર એસટીએફ દ્બારા આરોપીઓને પકડવા માટે સંયુક્ત ઓપરેશન હાથ ધરી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.