અમેરિકા-યુરોપમાં મંદીના માહોલ વચ્ચે ભારતમાં તેજીનો તોખાર, ઈન્કમટેક્સના ડેટા પણ આપે છે સાબિતી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગઈકાલ મંગળવારે જાહેર કરેલા માર્ચ મહિનાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ભારત 8 ટકાનો જીડીપી વૃદ્ધિ દર જાળવી શકે છે અથવા તેને પણ વટાવી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા અર્થતંત્રની સ્થિતિ પર બહાર પાડેલ માર્ચના બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે, દેશનું અનુકૂળ આર્થિક વાતાવરણ વિકાસ દરને વધુ વધારવાનો આધાર બની શકે છે. આરબીઆઈ દ્વારા કરાયેલા ઉલ્લેખને ગઈકાલે જ સીબીડીટીએ જાહેર કરેલા આવકવેરાના આંકડા પણ સમર્થન આપી રહ્યાં છે. પાછલા વર્ષની સરખામણીએ ચાલુ નાણાકીય વર્ષમાં આવકવેરાની આવકમાં 20 ટકા જેટલો વધારો થવા પામ્યો છે.
ચીન, અમેરિકા, યુરોપ, આફ્રિકા સહીત વિશ્વના અન્ય દેશોમાં સ્પષ્ટપણે મંદીનો સંકેત જોવા મળી રહ્યો છે. વૈશ્વિક અર્થવ્યવસ્થાના વિકાસ માટે ચીન, અમેરિકા અને યુરોપના મોટાભાગના દેશો માટે વિકાસની ગતી વધારવી ખૂબ જ જરૂરી છે. જાપાને પણ તેનો વિકાસ વધારવાના પ્રયાસો કર્યા છે. આ જ કારણ છે કે જાપાન જેવા દેશને 17 વર્ષ પછી વ્યાજદર વધારવો પડ્યો છે. બીજી તરફ ભારતની અર્થવ્યવસ્થાની ગતિથી સમગ્ર વિશ્વ આશ્ચર્યચકિત છે.
દેશની મધ્યસ્થ બેક ગણાતી, ભારતીય રિઝર્વ બેંક દ્વારા આ વખતે કરવામાં આવેલો અંદાજ, અર્થશાસ્ત્રી સહીત સૌ કોઈને ચોંકાવી દેનારો છે. આરબીઆઈએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે આવનારા દિવસોમાં ભારતની અર્થવ્યવસ્થા 8 ટકા જેટલી અથવા તો તેનાથી વધી શકે છે. આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલા આ આંકડાઓ અત્યારે તો સૌ કોઈને મોટા દેખાઈ રહ્યા છે, કારણ કે વિશ્વના અન્ય મોટા દેશોની વૃદ્ધિ 4 ટકા અને વધુમાં વધુ 5 ટકાથી વધુ નથી વધી રહી. ત્યારે એ જાણવુ જરૂરી છે કે આરબીઆઈએ પોતાના રિપોર્ટમાં શું કહ્યું છે ?
RBIએ રજૂ કર્યો રિપોર્ટ
ભારત 8 ટકાનો જીડીપી વૃદ્ધિ દર જાળવી શકે છે અથવા તેને વટાવી પણ શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ગઈકાલ મંગળવારે જાહેર કરાયેલા અર્થતંત્રની સ્થિતિ ઉપર માર્ચ મહિનાના બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે દેશનું અનુકૂળ આર્થિક વાતાવરણ વિકાસ દરને વધુ વધારવાનો આધાર બની શકે છે. 2021-24ના સમયગાળામાં દેશનો આર્થિક વિકાસ દર સરેરાશ આઠ ટકાથી વધુ રહ્યો છે. આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર માઈકલ દેબબ્રતા પાત્રાની આગેવાની હેઠળની એક ટીમ દ્વારા લખવામાં આવેલા આ અહેવાલમાં જણાવાયું છે કે, વૈશ્વિક અર્થતંત્ર વેગ ગુમાવી રહ્યું છે, કેટલીક મજબૂત અર્થવ્યવસ્થાઓ અને ઉચ્ચ-આવર્તન સૂચકાંકોમાં વૃદ્ધિ ધીમી પડી રહી છે.
આ કારણે થઈ શકે છે વધારો
2023-24ના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર ક્વાર્ટરમાં સૌથી વધુ હતો. આ વૃદ્ધિ મજબૂત ગતિ, બહેતર પરોક્ષ કર વસૂલાત અને સબસિડીમાં ઘટાડાને કારણે પ્રાપ્ત થઈ છે. લેખમાં કહેવામાં આવ્યું છે કે માળખાકીય માંગ અને કંપનીઓ અને બેંકોની મજબૂત બેલેન્સશીટ આગળ જતાં વૃદ્ધિને વધુ વેગ આપવામાં ભૂમિકા ભજવશે. તેમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વ બંધારણ અને ધારણામાં મોટા ફેરફારોનો સામનો કરી રહ્યું છે.અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે પર્યાવરણમાં અનિશ્ચિતતા છે, જે ભૂ-રાજકીય અને હવામાન સંબંધિત જોખમોને કારણે વધી છે.
ભારત વિકાસની ગતિ જાળવી શકે છે
અર્થતંત્રની સ્થિતિ ઉપર માર્ચ મહિનાના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, તેનાથી વિપરીત, ભારતીય અર્થતંત્ર સાનુકૂળ મેક્રો ઇકોનોમિક વાતાવરણનો અનુભવ કરી રહ્યું છે જે તેના વિકાસના માર્ગને વેગ આપવાનો આધાર બની શકે છે. તાજેતરમાં ઘણી વિદેશી કંપનીઓ ભારતના અર્થતંત્રને લઈને ઘણી આશાવાદી છે. કેટલાકે ભારતને વૈશ્વિક અર્થવ્યવસ્થાનું એન્જિન પણ ગણાવ્યું છે. આ ઉપરાંત ભારતની અર્થવ્યવસ્થાને સુધારવા માટે કરવામાં આવેલા સુધારાની પણ પ્રશંસા કરવામાં આવી છે.
CBDTએ જાહેર કરેલા આંકડા ઉત્સાહજનક
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ ગઈકાલ મંગળવારે ચાલુ નાણાકીય વર્ષના 17 માર્ચ સુધીના આંકડાઓને લઈને જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષમાં 17 માર્ચ સુધી સરકારને ડાયરેક્ટ ટેક્સ તરીકે 18,90,259 કરોડ રૂપિયા મળ્યા છે. જ્યારે પાછલા નાણાકીય વર્ષ 2022-23માં આ જ સમયગાળા દરમિયાન આ રકમ 15,76,776 કરોડ રૂપિયા હતી. આ રીતે સરકારના ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 3.13 લાખ કરોડ રૂપિયાનો વધારો થવા પામ્યો છે.