Facebook ને આપ્યો સુપ્રીમ કોર્ટે આંચકો, વાઇસ પ્રેસિડેન્ટને થવું પડશે દિલ્હી વિધાનસભા સમિતિ સમક્ષ હાજર
સુપ્રીમ કોર્ટે કહ્યું આમા સમન્સ સિવાય કંઈ થયું નથી. તેમજ વિધાનસભાની સમિતિ કોઈ તપાસ કરી શકે નહીં.
સુપ્રીમ કોર્ટે(Supreme Court)ગુરુવારે ફેસબુક ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અજિત મોહન વિરુદ્ધ દિલ્હી વિધાનસભા સમિતિની કાર્યવાહી રદ કરવાનો ઇનકાર કર્યો હતો. જેમાં તેમને દિલ્હી હિંસા કેસ સંદર્ભે જવાબ આપવા માટે બોલાવવામાં આવ્યા હતા. ફેસબુક(Facebook)અધિકારીએ હવે વિધાનસભા સમિતિ સમક્ષ હાજર થવું પડશે. સુપ્રીમ કોર્ટે ફેસબુક ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અજિત મોહન દ્વારા દાખલ કરેલી અરજી પર પોતાનો ચુકાદો આપ્યો હતો. જેમાં તેમની વિરુદ્ધ દિલ્હી વિધાનસભા સમિતિ દ્વારા આપવામાં આવેલા સમન્સને પડકારવામાં આવ્યો હતો.
પોસ્ટ્સ સમાજમાં ધ્રુવીકરણની સંભાવના ધરાવે છે
સુપ્રીમ કોર્ટે કહ્યું, “સમિતિ પૂછપરછ કરી શકે છે, પરંતુ તે તપાસ કરી શકશે નહીં અથવા કાર્યવાહી કરી શકશે નહીં.” ચુકાદો જાહેર કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, “ફેસબુક જેવા સોશયલ મીડિયા પ્લેટફોર્મ્સમાં સરહદો પાર લોકો પર પ્રભાવ પાડવાની શક્તિ અને સંભાવના છે અને આ પ્લેટફોર્મ પર ચર્ચાઓ અને પોસ્ટ્સ સમાજમાં ધ્રુવીકરણની સંભાવના ધરાવે છે. કારણ કે સમાજના ઘણા સભ્યો પાસે કોઈ પણ સંદેશને ચકાસવા માટે કોઇ સાધન નથી.
સમન્સ સિવાય કંઈ થયું નથી
કોર્ટે વધુમાં કહ્યું કે સમિતિના પ્રશ્નોના જવાબ ન આપવાના વિકલ્પની તપાસ કરવી પડશે, જ્યારે અરજદારો દ્વારા દાખલ કરેલી અરજી અકારણ છે કારણ કે આમા સમન્સ સિવાય કંઈ થયું નથી. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે વિધાનસભાની સમિતિ કોઈ તપાસ કરી શકે નહીં. તેમજ જો સમિતિ તેના અધિકારની બહાર નિર્ણય આપે છે, તો ફેસબુક અધિકારીઓ હાજર થવાનો ઇનકાર કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ડિસેમ્બરની શરૂઆતમાં અજિત મોહન અને અન્ય લોકો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં હસ્તક્ષેપ કરવા માટે સમિતિએ સર્વોચ્ચ અદાલતમાં રજૂઆત કરી હતી. જ્યારે અદાલતે કહ્યું હતું કે તેનો 23 સપ્ટેમ્બરનો હુકમ આગામી આદેશ સુધી ચાલુ રહેશે.જેમાં સમિતિને મોહન વિરુદ્ધ કોઇ દંડાત્મક કાર્યવાહી ન કરવા કહેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : Health Tips : વિવિધ બીમારીથી બચવા માટે આપણો આહાર કેટલો સલામત છે ? વાંચો આ આર્ટિકલ
આ પણ વાંચો : Amit shah: ગૃહ મંત્રાલય સિવાય નવા બનેલા સહકારિતા મંત્રાલયની સોંપાઈ જવાબદારી, જાણો આ પાછળનું રસપ્રદ કારણ