Breaking News : ચેપોકમાં આજે ‘કિંગ્સ’ટકરાશે, શું ચેન્નાઈ પંજાબને હરાવી 2 વર્ષની રાહનો લાવશે અંત?
ચેન્નઈ સુપર કિંગ્સને પહેલી મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તેમની બેટિંગ અને બોલિંગ ખૂબ જ કહાર્બ રહી હતી. બીજી તરફ, પંજાબ કિંગ્સે પહેલી મેચ જીતી હતી. હવે બંને કિંગ્સ વચ્ચે ચેપોકમાં ટક્કર થશે. જેમાં ચેન્નાઈ પર જીત મેળવવાનું દબાણ હશે. CSK બે વર્ષથી PBKS સામે ચાલતો હારનો સિલસિલો અટકાવવા પ્રયાસ કરશે.

IPL 2026ની સાતમી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) નો મુકાબલો પંજાબ કિંગ્સ (PBKS) સામે થશે. આ મેચ ચેન્નાઈના હોમ ગ્રાઉન્ડ, MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે, જે વર્ષોથી CSKનું ગઢ રહ્યું છે. જો કે, ટીમને છેલ્લા બે સિઝનમાં ઘરઆંગણે ઘણી હારનો સામનો કરવો પડ્યો છે, અને શુક્રવારે પંજાબ સામેની મેચ પણ એક મુશ્કેલ પડકાર છે. તેથી, સિઝનમાં પોતાની પહેલી જીત મેળવવા આખી ટીમે ઘરઆંગણે મજબૂત ઓલરાઉન્ડ પ્રદર્શન કરવાની જરૂર પડશે.
ચેન્નાઈની નજર પહેલી જીત પર
ગત સિઝનમાં છેલ્લા સ્થાને રહેનાર ચેન્નાઈ સુપર કિંગ્સની આ સિઝનમાં શરૂઆત ખરાબ રહી હતી. રાજસ્થાન રોયલ્સ સામેની પહેલી મેચમાં તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. રાજસ્થાનની બોલિંગ સામે આખી ટીમ માત્ર 127 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને 13 ઓવરમાં જ હારી ગઈ હતી. હવે, કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને તેની ટીમ તે હારને પાછળ છોડીને પોતાનું અભિયાન નવેસરથી શરૂ કરવાનો પ્રયાસ કરશે.
ધોની બહાર, બ્રેવિસના રમવા પર સસ્પેન્સ
ચેન્નાઈ ફરી એકવાર ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વગર રમશે. જોકે, તે ડગઆઉટમાં હાજર રહેશે, જે ટીમની પ્રેરણા અને વ્યૂહરચના બંનેમાં મહત્વપૂર્ણ સાબિત થશે. યુવા બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસના રમવા પર પણ સસ્પેન્સ છે. જોકે, મેચ પહેલા તે નેટ્સમાં બેટિંગ પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો, જેનાથી તેની રમવાની આશા જાગી છે.
ચેન્નાઈનું ખરાબ પ્રદર્શન
ટીમને તેના બેટિંગમાં મજબૂત પ્રદર્શનની જરૂર પડશે. ચેન્નાઈ સુપર કિંગ્સ માટે પોતાની પહેલી મેચમાં નિષ્ફળ રહેલા સંજુ સેમસનને પોતાને સાબિત કરવું પડશે. ઈમ્પેક્ટ પ્લેયર તરીકે પહેલી મેચમાં સરફરાઝ ખાન પણ કોઈ ખાસ કમાલ કરી શક્યો ન હતો. જેમ-જેમ ટુર્નામેન્ટ આગળ વધશે તેમ તેમ કાર્તિક શર્મા જેવા યુવા ખેલાડીઓ પાસેથી વધુ અપેક્ષા રાખવામાં આવશે. બોલિંગ વિભાગ પણ એવો જ હતો, જેમાં મેટ હેનરી અને નૂર અહેમદ જેવા આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો 15 વર્ષના બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને રોકી શક્યા નહીં. જોકે, ખલીલ અહેમદ અને અંશુલ કંબોજે પ્રભાવિત કર્યા હતા.
2 વર્ષથી પંજાબ સામે જીત્યું નથી ચેન્નાઈ
ચેન્નાઈને ફક્ત પોતાનું ખાતું ખોલવાની જ નહીં, પણ પંજાબ સામે સતત બે વર્ષની જીતની રાહનો અંત લાવવાની પણ જરૂર છે. હકીકતમાં, 2024 માં બંને ટીમો વચ્ચે બે મેચ રમાઈ હતી, જેમાં ચેન્નાઈએ પહેલી મેચ જીતી હતી પરંતુ પંજાબ બીજી હારી ગયું હતું. ત્યારબાદ 2025 સિઝનમાં પંજાબે બંને મેચ જીતી હતી. તેથી, ચેન્નાઈ સામે સતત ત્રણ હારનો સિલસિલો તોડવાનો પડકાર છે. બંને ટીમોના રેકોર્ડની વાત કરીએ તો, તેઓએ 32 મેચ રમી છે અને બંનેએ 16-16 મેચ જીતી છે.
પહેલી મેચમાં પંજાબે ગુજરાતને હરાવ્યું
પંજાબ કિંગ્સની વાત કરીએ તો, તેમણે પહેલી મેચમાં ગુજરાત ટાઈટન્સ સામે જીત મેળવી હતી. તેમની જીતનો સ્ટાર યુવાન ઓસ્ટ્રેલિયન બેટ્સમેન કૂપર કોનોલી હતો, જેણે રનચેઝ કરતી વખતે અણનમ 70 રન બનાવીને ટીમમાં આત્મવિશ્વાસ જગાવ્યો હતો. પંજાબ કિંગ્સની બોલિંગ પણ મજબૂત દેખાય છે. અનુભવી સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ટાઈટન્સ સામે તેની લાઈન અને લેન્થથી પ્રભાવિત કર્યા હતા, જ્યારે વિજયકુમાર વૈશાક અને માર્કો યાનસને પણ ગુજરાતના બેટ્સમેનોને હંફાવ્યા હતા.
