મૌની અમાવસ્યાને કારણે, 10 કરોડ ભક્તો પ્રયાગરાજ પહોંચવાની અપેક્ષા છે. અયોધ્યા અહીંથી માત્ર 168 કિલોમીટર દૂર છે. તેથી, સંગમમાં શાહી સ્નાન કર્યા પછી ઘણા ભક્તો રામ નગરી અયોધ્યા પણ પહોંચી રહ્યા છે. આવી સ્થિતિમાં, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહામંત્રી ચંપત રાયે આસપાસના ભક્તોને 15 દિવસ પછી જ અયોધ્યા આવવાની સલાહ આપી છે.
ચંપત રાયે કહ્યું - મૌની અમાવસ્યાનું મુખ્ય સ્નાન 29 જાન્યુઆરીએ પ્રયાગરાજમાં મહાકુંભમાં છે. આ દિવસે 10 કરોડ લોકો ગંગા સ્નાન કરે તેવો અંદાજ છે. પ્રયાગરાજથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચી રહ્યા છે. ભક્તો પ્રયાગથી ટ્રેન અને રોડ બંને રીતે અયોધ્યા આવી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં અયોધ્યામાં રામ મંદિરમાં દર્શનાર્થીઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો થયો છે.
અયોધ્યા ધામની વસ્તી અને કદ જોતાં કહી શકાય કે, એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં ભક્તોને રામલલાના દર્શન કરાવવા ખૂબ જ મુશ્કેલ છે અને તેનાથી ભક્તોને મુશ્કેલી પડી રહી છે. પરિણામે, કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે, ભક્તોએ વધુ ચાલવું જરૂરી બન્યું છે. તેથી, નજીકના વિસ્તારોના ભક્તોને વિનંતી છે કે તેઓ 15- 20 દિવસ પછી અયોધ્યાના દર્શન માટે આવે. જેથી દૂર દૂરથી આવતા ભક્તો સરળતાથી રામલલાના દર્શન કરી શકે. આ દરેક માટે અનુકૂળ રહેશે. વસંત પંચમી પછી ફેબ્રુઆરી મહિનામાં ઘણી રાહત રહેશે. હવામાન પણ સારું રહેશે.
મૌની અમાવસ્યા પર આવતા લાખો ભક્તોને કોઈ અસુવિધા ન થાય તે માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. લગભગ 12 કિમીના વિસ્તારમાં વિકસિત તમામ 44 ઘાટ પર સ્નાન સુવિધાઓ પૂરી પાડવાની તૈયારીઓ ચાલી રહી છે. ઘાટ પર એસડીએમ, સીઓ, તહસીલદાર અને નાયબ તહસીલદારોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.
સંગમ કિનારાના ઘાટો તેમજ ઐરાવત ઘાટ અને અરૈલ ઘાટ પર ADM અને SDM રેન્કના IAS અધિકારીઓ અને PCS અધિકારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રયાગરાજની આસપાસ આવેલા 10 જિલ્લાઓના ડીએમ અને એસપીને પણ તહેનાત કરવામાં આવ્યા છે.
પ્રયાગરાજના ડીએમ રવિન્દ્ર કુમાર માંધાડે પ્રયાગરાજ શહેરના લોકોને મૌની અમાવસ્યા સ્નાન ઉત્સવ નિમિત્તે ફોર વ્હીલરનો ઉપયોગ ના કરવા વિનંતી કરી છે. સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને, તેમણે પ્રયાગરાજના લોકોને અપીલ કરી કે તેઓ ફોર-વ્હીલરનો ઉપયોગ ના કરે અને ટ્રાફિક જામની સમસ્યા ઊભી ના થાય તે માટે વહીવટીતંત્રને સહકાર આપે. ( તમામ ફોટો સૌજન્યઃ રામજન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ- PTI )