પ્રથમવાર લોકસભા ચૂંટણી લડશે એસ જયશંકર અને નિર્મલા સીતારમણ, ભાજપે લીધો નિર્ણય
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષીએ કહ્યુ કે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ અને એસ જયશંકર લોકસભા ચૂંટણા લડશે. જો કે કર્ણાટકથી લડશે કે કોઈ અન્ય રાજ્યથી તે હજુ નક્કી નથી. જોષીને જ્યારે પૂછવામાં આવ્યુ કે શું બેંગાલુરુથી ચૂંટણી લડશે તો તેના જવાબમાં તેમણે કહ્યુ કે હાલ એ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી, આથી એ વિષયમાં તેઓ વધુ કંઈ કહી શકે નહીં.
દેશમાં આવનારી લોકસભા ચૂંટણીઓને લઈને તમામ દળોમાં ધમધમાટ તેજ થઈ ગયો છે. તમામ રાજકીય પાર્ટીઓએ જોરશોરથી તૈયારીઓ તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાલ પાર્ટીઓ ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીમાં અને ચૂંટણીને લઈને રણનીતિ ઘડવામાં વ્યસ્ત છે. સાથે જ ઉમેદવારોની જાહેરાત પણ શરૂ થઈ ગઈ છે. જો કે સત્તાધારી ભાજપની ઉમેદવારોની પ્રથમ યાદીની દેશની જનતા આતુરતાથી રાહ જોઈ રહી છે. એવુ કહેવાઈ રહ્યુ છે કે પાર્ટી અનેક વર્તમાન સાંસદોની ટિકિટ કાપી શકે છે અને નવા ચહેરા પર દાવ લગાવી શકે છે. આ ઘટનાક્રમ વચ્ચે મોટી જાણકારી એ પણ સામે આવી છે કે પાર્ટી નિર્મલા સીતારમણ અને એસ જયશંકરને લોકસભા ચૂંટણી લડાવશે.
કર્ણાટકના હુબલીમાં પત્રકારો સાથેની વાતચીતમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષીએ જણાવ્યુ કે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ અને એસ જયશંકર લોકસભા ચૂંટણી લડશે. જો કે કર્ણાટક કે અન્ય કોઈ રાજ્યમાંથી ચૂંટણી લડશે તે હજુ નક્કી નથી થયુ. તેમણે જણાવ્યુ કે હાલ આ બંને ક્યાંથી ચૂંટણી લડશે તેને લઈને કંઈ કહી શકાય નહીં.
બેંગલુરુમાં ભાજપે કર્યુ હતુ ઘણુ સારુ પ્રદર્શન
એવી પણ જાણકારી મળી રહી છે કે જયશંકર અથવા સીતારમણ બેંગલુરુથી ચૂંટણી લડશે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે બેંગલુરુમાં સારુ સપ્રદર્શન કર્યુ હતુ. પાર્ટીએ અહીં ત્રણેય બેઠકો પર જીત મેળવી હતી. ત્યારે એવુ માનવામાં આવી રહ્યુ છે કે પાર્ટી અગાઉના પ્રદર્શનને ફરી રિપીટ કરવા માગે છે. આ જ કારણે પાર્ટી પોતાના બે મોટા નેતાઓને મેદાને ઉતારી શકે છે.
સીતારમણ અને જયશંકર નથી લડ્યા લોકસભા ચૂંટણી
આપને જણાવી દઈએ કે નિર્મલા સીતારમણ અને જયશંકર બંને ભાજપના મજબુત અને કદાવર નેતા ગણાય છે. બંને હાલમાં કર્ણાટક અને ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય છે. ખાસ વાત એ છે કે અત્યાર સુધીમાં બંને નેતાઓએ લોકસભાની ચૂંટણી લડી નથી. આવી સ્થિતિમાં પહેલીવાર ભાજપે તેમને લોકસભા લડાવવાનો નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણ 2008માં ભાજપમાં જોડાયા હતા. નાણા મંત્રાલય સંભાળતા પહેલા તેમણે 2017 થી 2019 સુધી દેશના સંરક્ષણ મંત્રાલયની જવાબદારી સંભાળી હતી. સંરક્ષણ મંત્રી બનનારા સીતારમણ દેશના બીજા મહિલા હતા. જ્યારે વિદેશ મંત્રી એસ જયશંકરને 2015માં વિદેશ સચિવ બનાવવામાં આવ્યા હતા. રાજકારણમાં આવતા પહેલા તેઓ રાજદ્વારી હતા. 2019માં તેમને વિદેશ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી.