વાયનાડ ભૂસ્ખલન મુદ્દે રાજકારણ ગરમાયું, ચેતવણીને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર સામસામે
કેરળના મુખ્ય પ્રધાન વિજયને કહ્યું કે હવામાન વિભાગ (IMD) એ ભૂસ્ખલન પહેલા વરસાદને લઈને જિલ્લામાં માત્ર ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. જો કે, જિલ્લામાં 500 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો, જે હવામાન વિભાગની આગાહી કરતા ઘણો વધારે હતો. તો બીજી બાજુ સંસદમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, કેરળ સરકારે કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી અગાઉની ચેતવણીને ધ્યાન આપ્યું ન હતું અને રાજ્યમાં NDRF બટાલિયનના આગમન પછી પણ સતર્ક ન હતી
કેરળના વાયનાડમાં વિનાશકારી ભૂસ્ખલનમાં જાન-માલનું મોટું નુકસાન થયું છે. 150 થી વધુ લોકોના મોત થયા છે અને મૃત્યુઆંક હજુ પણ સતત વધી રહ્યો છે. તો બીજી બાજુ મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. ભૂસ્ખલનને કારણે અનેક મકાનો ધરાશાયી થયા છે. હાલમાં રાહત અને બચાવ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. પરંતુ આ કુદરતી આફત પર પણ રાજકારણ શરૂ થયું છે. આ દુર્ઘટનાને લઈને કેન્દ્ર અને રાજ્ય વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સંસદના બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા)માં ભારપૂર્વક જણાવ્યું હતું કે, કુદરતી આપત્તિ અંગે રાજ્ય સરકારને એલર્ટ કરાઈ હતી. કેરળમાં ભૂસ્ખલનની ઘટનાના એક સપ્તાહ પહેલા રાજ્ય સરકારને એલર્ટ કરાઈ હતી અને 23મી જુલાઈએ જ NDRFની 9 ટીમો પણ રવાના કરવામાં આવી હતી, જો કે NDRFની ટીમોને જોઈને પણ રાજ્ય સરકાર એલર્ટ થઈ હોત તો નુકસાન ઘણુ ઓછુ થયું હોત.
વરસાદ પહેલા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હતું: મુખ્યમંત્રી
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના સંસદમાં નિવદેન બાદ, કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને ગૃહ પ્રધાન શાહના એલર્ટ વાળી વાતને ખોટી ગણાવી હતી. સાથોસાથ ભારે વરસાદને કારણે વાયનાડમાં સંભવિત કુદરતી આપત્તિ વિશે રાજ્ય સરકારને ગયા અઠવાડિયે 23 જુલાઈએ જ ચેતવણી આપવામાં આવી હતી તેવા અમિત શાહના દાવાને કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને ફગાવી દીધો હતો.
સીએમ વિજયને કહ્યું કે હવામાન વિભાગ (IMD) એ ભૂસ્ખલન પહેલા વરસાદને લઈને વાયનાડ જિલ્લામાં માત્ર ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. જો કે, જિલ્લામાં 500 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો, જે હવામાન વિભાગની આગાહી કરતા ઘણો વધારે હતો.
“મંગળવારે સવારે વાયનાડમાં ભૂસ્ખલન થયા પછી જ વાયનાડ જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું,” વિજયને કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં આયોજિત પ્રત્રકાર પરીષદમાં જણાવ્યું હતું. જો કે, તેમણે એમ પણ કહ્યું કે આ “આરોપ પ્રત્યારોપ” લગાવવાનો સમય નથી અને તેઓ ગૃહ પ્રધાન અમિત શાહની ટિપ્પણીઓને પ્રતિકૂળ રૂપે નથી લઈ રહ્યા.
NDRFની ટીમો ગયા અઠવાડિયે મોકલવામાં આવી હતીઃ અમિત શાહ
વરસાદની ચેતવણીમાં રેડ એલર્ટનો મતલબ એ થાય છે કે 24 કલાકમાં 20 સે.મી.થી વધુ ભારેથી અતિ ભારે વરસાદ પડે. જ્યારે ઓરેન્જ એલર્ટનો અર્થ એ થાય કે 6 સેમીથી લઈને 20 સે.મી. સુધીનો ખૂબ ભારે વરસાદ વરસે.
આ પહેલા ગૃહપ્રધાન અમિત શાહે રાજ્યસભામાં દાવો કર્યો હતો કે, કેરળ સરકારે કેન્દ્ર દ્વારા વરસાદને લઈને આપવામાં આવેલી અગાઉની ચેતવણીને ધ્યાન આપ્યું ન હતું અને રાજ્યમાં NDRF બટાલિયનના આગમન પછી પણ સતર્ક નહોતી થઈ. તેમણે કહ્યું કે, ગઈકાલે મંગળવારે 30 જુલાઈ ભૂસ્ખલન થયું તેના લગભગ 7 દિવસ પહેલા રાજ્યને કુદરતી આપત્તિ અંગે ચેતવણી આપવામાં આવી હતી. ત્યારબાદ 24 જુલાઈએ બીજીવાર પણ ચેતવણી આપવામાં આવી હતી.
ગૃહમંત્રીએ દાવો કર્યો કે જો કેરળ સરકાર એનડીઆરએફની ટીમોને ત્યાં પહોંચેલી જોઈને એલર્ટ થઈ ગઈ હોત અને જરૂરી કાર્યવાહી કરી હોત તો નુકસાન ઘટાડી શકાયું હોત. જો કે, અમિત શાહે રાજ્યસભા બાદ લોકસભામાં ભૂસ્ખલન પર બોલતા કહ્યું કે, આ સમય વાયનાડના લોકો સાથે પહાડની જેમ ઉભા રહેવાનો છે, મોદી સરકાર આ માટે પ્રતિબદ્ધ છે. ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારમાં રાહત, બચાવ અને પુનર્વસન માટે દરેક જરૂરી તમામ પગલાં લેવામાં આવશે.