PM Narendra Modi : 5 દેશ, 5 દિવસ અને ભારત માટે ગેમચેન્જર ડીલ્સ, PM મોદીના વિદેશ યાત્રાથી ભારતને શું મળ્યું?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો તાજેતરનો પાંચ દેશોનો પ્રવાસ 15 મેથી 20 મે 2026 સુધી ચાલ્યો હતો. આ દિવસોમાં તેવમે ભારતના હીત માટે ઘણી ડીલ્સ પણ કરી છે. 5 દેશોની મુલાકાત લીધા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે (21મે) સવારે ભારત પરત ફર્યા છે. તેમની મુલાકાતથી ભારતની વૈશ્વિક સ્થિતિ મજબૂત થઈ છે.

ભારતના વડા પ્રધાન 21 મેના ગુરુવારે વહેલી સવારે પાંચ દેશોની મુલાકાત પૂર્ણ કરીને ભારત પરત ફર્યા છે. પીએમ મોદી સંયુક્ત આરબ અમીરાત, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીના રાજદ્વારી પ્રવાસ પછી નવી દિલ્હી પરત ફર્યા છે. આ મુલાકાતો ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ હતી. તેમના મુખ્ય ઉદ્દેશ્યો ઊર્જા સુરક્ષા, તકનીકી સહયોગ, હવામાન પરિવર્તન અને રક્ષા સહયોગને મજબૂત બનાવવાના હતા.
પીએમ મોદીની યુએઈ મુલાકાતથી શું પ્રાપ્ત થયું?
15 મે, 2026 ના રોજ પીએમ મોદીએ યુએઈની મુલાકાત લીધી હતી. આ તેમના પાંચ દેશોના પ્રવાસ દરમિયાનનું પ્રથમ સ્ટોપ હતું. આ મુલાકાત દરમિયાન, અબુ ધાબીમાં યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું.
આ સમયગાળા દરમિયાન, બંને દેશોએ તેમના સંરક્ષણ સંબંધોને નવી ઊંચાઈએ પહોંચાડ્યા. સ્ટ્રેટેજિક ડિફેન્સ પાર્ટનરશિપ ફ્રેમવર્ક પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. પશ્ચિમ એશિયામાં વધતી જતી ઉર્જા કટોકટીને પહોંચી વળવા માટે, સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વમાં 3 કરોડ બેરલ ક્રૂડ ઓઇલનું યોગદાન આપવા અને LPG સપ્લાય કરવા માટે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. UAE એ ભારતીય બજારોમાં $5 બિલિયનના રોકાણ પેકેજની જાહેરાત કરી. વધુમાં PM મોદી અને રાષ્ટ્રપતિ નાહયાને હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા સુરક્ષિત માર્ગની હિમાયત કરી.
પીએમ મોદીની નેધરલેન્ડની મુલાકાતથી શું પ્રાપ્ત થયું?
પીએમ મોદીએ નેધરલેન્ડની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ અપગ્રેડ કરવામાં આવી. ડચ સરકારે 11મી સદીના ચોલા સામ્રાજ્યના કોપર પ્લેટો પણ ભારતને સોંપી. વધુમાં ભારતમાં સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ સ્થાપવા અને તકનીકી સહયોગ માટે અગ્રણી કંપનીઓ ASML અને ટાટા ઇલેક્ટ્રોનિક્સ વચ્ચે એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
પીએમ મોદીની સ્વીડનની મુલાકાતથી શું પ્રાપ્ત થયું?
પીએમ મોદીની સ્વીડનની બે દિવસીય મુલાકાતે અનેક મહત્વપૂર્ણ પરિણામો આપ્યા જે દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિ આપશે. દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સુધી વધારવાથી લઈને, સંયુક્ત નવીનતા ભાગીદારી (Joint Innovation Partnership), ભારત-સ્વીડન ટેકનોલોજી અને એઆઈ કોરિડોરના બીજા તબક્કાની શરૂઆતથી, આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપારને બમણું કરવાના મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરવા સુધી, ચર્ચાઓ અત્યંત ફળદાયી રહી. PM મોદીએ સ્વીડનના લોકો, સ્વીડનની સરકારના સ્નેહ અને મિત્રતા બદલ આભાર પણ વ્યક્ત કર્યો.
પીએમ મોદીની નોર્વે મુલાકાતથી શું પ્રાપ્ત થયું?
પીએમ મોદીએ નોર્વેની ઐતિહાસિક મુલાકાત લીધી. આ મુલાકાતથી ભારતને આર્થિક, વ્યૂહાત્મક, તકનીકી અને રાજદ્વારી મોરચે ઘણી મહત્વપૂર્ણ સિદ્ધિઓ મેળવી. ભારત અને નોર્વેએ તેમના દ્વિપક્ષીય સંબંધોને અપગ્રેડ કર્યા અને ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની જાહેરાત કરી. સુત્રો મુજબ, આ મુલાકાત દરમિયાન કુલ 12 મુખ્ય કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ મુખ્યત્વે ગ્રીન હાઇડ્રોજન, પવન ઊર્જા અને કાર્બન કેપ્ચર ટેકનોલોજી ક્ષેત્રો સાથે સંબંધિત છે. ભારતના 7,000 કિમીથી વધુ દરિયાકાંઠાના વિકાસ, ગ્રીન શિપિંગ અને બંદર માળખાગત સુવિધાઓ પર સંયુક્ત કાર્ય અને બાહ્ય અવકાશના સંશોધન અને શાંતિપૂર્ણ ઉપયોગ માટે ISRO અને નોર્વે વચ્ચે એક ખાસ કરાર થયો છે.
પીએમ મોદીએ ઇટાલીની મુલાકાતથી શું મેળવ્યું?
પીએમ નરેન્દ્ર મોદીએ તેમના પાંચ દેશોના પ્રવાસનો છેલ્લો તબક્કો ઇટાલીમાં પૂર્ણ કર્યો. અહીં, તેમણે પ્રખ્યાત વિલા ડોરિયા પેમ્ફિલી ખાતે ઇટાલિયનના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી. પીએમને ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. ત્યારબાદ પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો થઈ. બંને નેતાઓએ સંયુક્ત વ્યૂહાત્મક કાર્ય યોજના 2025-29 ના અમલીકરણમાં પ્રગતિની સમીક્ષા કરી અને ખાસ કરીને વેપાર, રોકાણ, ટેકનોલોજી, સંરક્ષણ, , બ્લૂ ઇકોનોમી, કનેક્ટિવિટી અને શિક્ષણના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ અને સમૃદ્ધ બનાવવા માટે સંમત થયા. વધુમાં ભૂરાજનીતિ સંબંધિત વિકાસની ચર્ચા પણ કરવામાં આવી.
