Breaking News: પેપર લીક અને રામ મંદિરના મુદ્દે સંસદમાં જામશે ‘અસલી જંગ’? જાણો ક્યારથી શરૂ થઈ રહ્યું છે ‘ચોમાસુ સત્ર’
દેશના વિકાસ અને મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સંસદનું ચોમાસુ સત્ર ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ યોજાનારું આ સત્ર આ વખતે ખૂબ જ રસપ્રદ રહેશે, કારણ કે આમાં સરકાર કેટલાક મહત્વના બિલ રજૂ કરી શકે છે. બીજી તરફ, બદલાયેલા રાજકીય સમીકરણો વચ્ચે વિપક્ષ પણ હોબાળો મચાવવા તૈયાર છે.

સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થઈ રહ્યું છે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરન રિજિજુએ શનિવારે જણાવ્યું કે, ભારત સરકારની ભલામણ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ‘ચોમાસુ સત્ર 2026’ માટે સંસદના બંને ગૃહો બોલાવવાની મંજૂરી આપી દીધી છે. આ સત્ર 20 જુલાઈ, 2026 ના રોજ શરૂ થશે અને 13 ઓગસ્ટ, 2026 સુધી ચાલશે.આમાં મહત્વના મુદ્દાઓ પર સાર્થક ચર્ચા, વિચારણા અને નિર્ણયો લેવામાં આવશે.
મળતી માહિતી મુજબ, ચોમાસુ સત્રમાં સરકાર તરફથી ઘણા મહત્વના બિલ રજૂ કરવામાં આવી શકે છે. ‘વિપક્ષ’ રામ મંદિર ચઢાવાની ચોરી, વિવિધ પરીક્ષાઓમાં પેપર લીક સહિતના કેટલાક અન્ય મુદ્દાઓ ગૃહમાં ઉઠાવી શકે છે.
ગયા વર્ષે 32 દિવસ સુધી ચાલ્યું હતું ‘સત્ર’
વર્ષ 2025માં સંસદનું ચોમાસુ સત્ર 32 દિવસ સુધી ચાલ્યું હતું. સત્ર 21 જુલાઈ 2025 થી 21 ઓગસ્ટ 2025 સુધી આયોજિત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બંને ગૃહોમાં 15 વિધેયક (બિલ) પસાર કરવામાં આવ્યા હતા. આ વખતે ચોમાસુ સત્ર ગયા વર્ષની સરખામણીએ ટૂંકું હશે. આ વખતે ચોમાસુ સત્ર 24 દિવસનું નિર્ધારિત કરવામાં આવ્યું છે.
On the recommendation of the Govt of India, Hon’ble President, Smt. Droupadi Murmu ji has approved the summoning of both the Houses of Parliament for the Monsoon Session 2026. The Session will commence on 20 July, 2026 and continue till 13 August, 2026 for meaningful debate,… pic.twitter.com/TaEYH4F1cK
— Kiren Rijiju (@KirenRijiju) July 4, 2026
TMC અને UBT ના બળવાખોરો પર સ્પીકર લઈ શકે છે ‘નિર્ણય’
મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) માં ભંગાણ પડ્યા પછી સંસદનું આ પ્રથમ સત્ર હશે. TMCમાં લોકસભાના 28 સભ્યોમાંથી 20 સભ્યોએ પાર્ટી લીડરશીપ સામે બળવો કરી દીધો છે અને સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) ના નેતૃત્વ હેઠળના એનડીએ (NDA) ને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે.
આ જ રીતે UBT ના નવ લોકસભા સાંસદોમાંથી 6 સાંસદો એકનાથ શિંદેની શિવસેનામાં જોડાઈ ગયા છે. આનાથી નીચલા ગૃહમાં NDAનું સંખ્યાબળ મજબૂત થયું છે. જો કે, અલગ જૂથ તરીકે માન્યતા આપવાની માંગ કરનારા બળવાખોર TMC અને UBT સભ્યો પર લોકસભા સ્પીકર ઓમ બિરલાના નિર્ણયની હજુ પણ રાહ જોવાઈ રહી છે.
રાજ્યસભામાં વધી NDA ના સભ્યોની સંખ્યા
રાજ્યસભાની વાત કરીએ તો, ઉપલા ગૃહની તાજેતરની ચૂંટણીઓ પછી NDA ના સભ્યોની સંખ્યા વધી છે. આ સત્ર સત્તાધારી ગઠબંધન અને ઇન્ડિયા (INDIA) બ્લોક, બંને માટે મહત્વનું હોઈ શકે છે, કારણ કે બજેટ સત્ર નિરાશાજનક રહ્યું હતું અને બંધારણ સુધારા બિલ લોકસભામાંથી પસાર થઈ શક્યું ન હતું. કેટલીક વિગતોમાં દાવો કરવામાં આવ્યો છે કે, સરકાર આ સત્રમાં બિલ ફરીથી લાવી શકે છે. જો કે, આ અંગે કોઈ સ્પષ્ટ માહિતી નથી.
