હિમાચલમાં પહાડી તૂટવા લાગી, લોકો ઘર છોડીને ભાગ્યા, અત્યાર સુધીમાં 330 લોકોના મોત
હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનથી ત્યાંના વાહનવ્યવહારને અસર થઈ છે. ઘણી જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા છે, જેના કારણે વાહનોની અવરજવર ઠપ થઈ ગઈ છે અને આવશ્યક ચીજવસ્તુઓ સપ્લાય થઈ રહી નથી. સૌથી મોટી અછત ડીઝલ-પેટ્રોલની થઈ રહી છે.
![હિમાચલમાં પહાડી તૂટવા લાગી, લોકો ઘર છોડીને ભાગ્યા, અત્યાર સુધીમાં 330 લોકોના મોત](https://images.tv9gujarati.com/wp-content/uploads/2023/08/1-22.jpg?w=1280)
હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)માં વરસાદ અને ભૂસ્ખલનથી ભારે મુશ્કેલી સર્જાઈ છે. અત્યાર સુધીમાં 330 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. 13 ઓગસ્ટથી અત્યાર સુધીમાં 74 લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં અંદાજિત 7,700 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. શિમલા (Shimla)માં ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 15 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જો કે હજુ પણ 6 લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા છે. વિસ્તારમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.
હિમાચલમાં નવું સંકટ
મંડી શહેરની પ્રખ્યાત તરણા ટેકરી હવે તુટી જવાના આરે પહોંચી ગઈ છે. આ ટેકરીમાં મોટી તિરાડો દેખાય છે. રસ્તાઓમાં મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર નજીકમાં બનેલા મકાનો ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે.
30 ટીમો ગ્રાઉન્ડ પર
હિમાચલની સાથે સાથે ઉત્તરાખંડમાં પણ કુદરતની આ તબાહી આવી છે અને તેની અસર પંજાબ સુધી પહોંચી છે. આ રાજ્યોમાં NDRFની 30 ટીમો બચાવ કાર્યમાં લાગેલી છે. મંડી જિલ્લામાં 13થી 15 ઓગસ્ટ વચ્ચે પડેલા ભારે વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ છે. અહીંયા 267 લોકોના ઘર સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગયા છે. 31 કરોડથી વધુનું નુકસાન થયું છે.
એરફોર્સે 220 થી વધુ લોકોને બચાવ્યા
મંડીના ADC નિવેદિતા નેગીના જણાવ્યા અનુસાર, પરિસ્થિતિને જોતા જલ શક્તિ વિભાગના ચીફ એન્જિનિયરે ઓફિસને સંપૂર્ણપણે ખાલી કરાવી દીધી છે અને નીચાણવાળા વિસ્તાર તરફ રહેતા લોકોને પણ તેમના ઘર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઘણા વિસ્તારોમાં સ્થિર છે, જ્યારે ઘણા વિસ્તારો ડૂબી ગયા છે, જ્યાં એરફોર્સના જવાનો લોકોને બચાવવામાં રોકાયેલા છે. એરફોર્સે ગઈ કાલે કાંગડા જિલ્લામાંથી 220 થી વધુ લોકોને બચાવ્યા હતા.
આ પણ વાંચો: Zero Shadow Day: આજે થોડા સમય માટે તમે તમારો પડછાયો નહીં જોઈ શકો, જાણો શું છે આ દુર્લભ ખગોળીય ઘટનાનું કારણ?
1,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું
ત્રણ દિવસમાં 1,000 લોકોને પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી બચાવી લેવામાં આવ્યા છે. વાયુસેનાએ એક નિવેદનમાં કહ્યું કે તેઓ જરૂરિયાત મુજબ આગળની કાર્યવાહી માટે તૈયાર છે. દરમિયાન NDRFની ટીમ પણ પૂર પ્રભાવિત લોકોની મદદ કરવામાં વ્યસ્ત છે. તેમને પાણી ભરાયેલા વિસ્તારોમાંથી બહાર કાઢીને સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવી રહ્યા છે.