શરાબ કૌંભાડમાં તેલંગણાના પૂર્વ મુખ્ય પ્રધાન કેસીઆરની પુત્રી કે કવિતાની EDએ કરી ધરપકડ
દિલ્હીના કથિત શરાબ કૌંભાડમાં આપના નેતાઓ બાદ હવે તેલંગણાના પૂર્વ મુખ્યપ્રધાન કેસીઆરની દિકરી કે કવિતાની એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે આજે હૈદરાબાદથી ધરપકડ કરી છે. કે કવિતાને વધુ પુછપરછ માટે હૈદરાબાદથી દિલ્લી લાવવામા આવશે.
એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટના અધિકારીઓએ આજે હૈદરાબાદ સ્થિત કે કવિતાના ઘરે સર્ચ અને જપ્તી વોરંટ સાથે, શરાબ કૌંભાડ કેસમાં તપાસ હાથ ધરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટના અધિકારીઓએ આજે કલાકો સુધી કવિતાના ઘરની તપાસ કરવામાં આવી હતી. ત્યાર બાદ EDના અધિકારીઓએ કવિતાની ધરપકડ કરી હતી.
દિલ્હીના કથિત શરાબ કૌંભાડના એક વર્ષ બાદ ગત ફેબ્રુઆરી મહિનામાં સીબીઆઈએ એમએલસી કવિતાને નોટિસ પાઠવી હતી. ડિસેમ્બર 2022 માં, સીબીઆઈએ કવિતાનું નિવેદન તેના નિવાસસ્થાને લીધું હતું. તેને 26 ફેબ્રુઆરીએ દિલ્હી આવવા અને તેમની સમક્ષ વધુ પૂછપરછ કરવા માટે નોટિસ બજાવી હતી.
સીબીઆઈએ આ કેસમાં કવિતાને પણ આરોપી બનાવતા 41-A હેઠળ નોટિસ જાહેર કરી હતી. દારૂ કૌંભાડ કેસમાં મુખ્ય આરોપી સરકારી સાક્ષી બની જતા સીબીઆઈએ કવિતાને તેમના નિવેદનના આધારે નોટિસ પાઠવી હતી. EDએ હવે આ શરાબ કૌંભાડના કેસમાં કે કવિતાની પણ જરૂરી પૂછપરછ કરી છે.
કવિતાની અટકાયત સામે બીઆરએસના કાર્યકર્તાનો વિરોધ
કવિતાના વકીલ સોમા ભરતે આજે EDની તપાસ સામે વાંધો ઉઠાવ્યો હતો. EDએ કહ્યું કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે કેસ કોર્ટમાં પડતર છે તો અચાનક તપાસ શા માટે કરવામાં આવે છે? બીજી તરફ બીઆરએસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં કે કવિતાના ઘરે પહોંચી ગયા હતા. ઇડીની કાર્યવાહીના વિરોધમાં કે કવિતાના સમર્થકો સ્થળ પર બેસી ગયા હતા. ઈડીની કાર્યવાહીથી નારાજ બીઆરએસના કાર્યકર્તાઓએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ પોકાર્યા હતા.
જુલાઈ 2022માં દિલ્હી શરાબ કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. લગભગ 5 મહિના પછી, 11 ડિસેમ્બર 2022 ના રોજ, પહેલીવાર સીબીઆઈએ કે. કવિતાની ઘરે પૂછપરછ કરી. સીબીઆઈ અધિકારીઓએ દારૂ કૌભાંડમાં સીઆરપીસી 160 હેઠળ 7 કલાક સુધી તેની પૂછપરછ કરી હતી. દિલ્હી શરાબ કૌંભાડ કેસમાં કે કવિતા પર મુખ્ય આરોપ છે કે, કવિતાએ દિલ્હી દારૂ કૌભાંડના પ્રકરણમાં દક્ષિણ જૂથનું નેતૃત્વ કર્યું હતું.