Maharashtra Elections : 85-85-85, કોંગ્રેસ-શરદ પવાર અને ઉદ્ધવ જૂથ વચ્ચે થઈ સમજૂતી, 33 બેઠકો પર સસ્પેન્સ
મહારાષ્ટ્ર ચૂંટણી: ગઈકાલે બુધવારે મહાવિકાસ અઘાડીમાં બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. કોંગ્રેસ, શિવસેના 'ઉદ્ધવ જૂથ' અને NCP 'શરદ પવાર' જૂથ વચ્ચે 85-85-85 બેઠકની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. નાના પટોલેએ કહ્યું છે કે, અમે સમાજવાદી પાર્ટી સહિત મહાગઠબંધનના અન્ય પક્ષો સાથે પણ વાત કરીશું. આજ રાત્રી સુધીમાં બેઠકોને લઈને બધું સ્પષ્ટ થઈ જશે.
શિવસેના (ઉદ્ધવ જૂથ)એ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 65 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદી બહાર આવ્યા બાદ મહાવિકાસ આઘાડી (MVA)એ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના વડા નાના પટોલેએ જણાવ્યું હતું કે, શરદ પવારના નેતૃત્વમાં ત્રણેય પક્ષો (કોંગ્રેસ, શિવસેના ‘ઉદ્ધવ જૂથ’, અને NCP ‘શરદ પવાર’ જૂથ)ની બેઠક યોજાઈ હતી.
ત્રણેય પક્ષો વચ્ચે 85-85-85ની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. અમે 18 બેઠકો પર અમારા અન્ય સહયોગીઓ માટે વિચાર કરીશું. અમે ચૂંટણી જીતીશું અને મહારાષ્ટ્રમાં સરકાર બનાવીશું.
મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠકો છે. મહાવિકાસ અઘાડીમાં નક્કી કરાયેલી ફોર્મ્યુલા મુજબ ત્રણેય પક્ષો વચ્ચે 255 બેઠકો પર વાતચીત થઈ છે. 33 બેઠકો પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે. નાના પટોલેના નિવેદન મુજબ, મહાવિકાસ અઘાડી અન્ય સહયોગીઓને 18 સીટો આપવા પર વિચાર કરશે. નાના પટોલેએ કહ્યું છે કે અમે સમાજવાદી પાર્ટી સહિત અમારા સહયોગી પક્ષો સાથે વાત કરીશું. આવતીકાલ સુધીમાં બધું સ્પષ્ટ થઈ જશે.
મહાવિકાસ અઘાડીના ગણિત પર અનિલ દેસાઈનો જવાબ
શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા સંજય રાઉતે કહ્યું કે 85-85-85ની ફોર્મ્યુલા મુજબ 270 બેઠકો ત્રણેય પક્ષોમાં વહેંચવામાં આવી છે. આ અંગે TV9એ સાંસદ અનિલ દેસાઈને પૂછ્યું હતું કે આ ફોર્મ્યુલા મુજબ માત્ર 255 બેઠકો જ રચાઈ, તો 33 બેઠકો પર હજુ વિવાદ યથાવત છે ? તેના પર તેમણે કહ્યું કે હાલમાં કોઈ વિવાદ નથી.
વરલીથી આદિત્ય ઠાકરેને ટિકિટ
શિવસેના (UBT) એ વિધાનસભા ચૂંટણી માટે તેની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરેને વર્લી વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. વરુણ સરદેસાઈને બાંદ્રા (ઈસ્ટ) સીટ પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. શિવસેના (UBT) એ 2022 માં શિવસેનામાં વિભાજન પછી ઉદ્ધવ સાથે રહેલા તેના મોટાભાગના ધારાસભ્યોનું પુનરાવર્તન કર્યું છે.
#WATCH | Mumbai: Maharashtra Congress President Nana Patole says, “We’ve decided that Congress, NCP (Sharad Pawar faction) and Shiv Sena (UBT) will contest on 85 seats each and on remaining 18 seats, we will have talks with our alliance parties including Samajwadi Party and by… pic.twitter.com/tegTusAi6L
— ANI (@ANI) October 23, 2024
શિંદેની સામે કેદાર દિઘેની ટિકિટ
ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેનાએ થાણેની કોપરી-પંચપખારી બેઠક પરથી કેદાર દિઘેને મેદાનમાં ઉતાર્યા છે. મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. કેદાર દિઘે એકનાથ શિંદેના રાજકીય ગુરુ કહેવાતા આનંદ દિઘેનો સંબંધી છે. મહારાષ્ટ્ર રાજ્યમાં 20 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાશે. મતગણતરી 23 નવેમ્બરે હાથ ધરાશે.