હોર્મુઝની ખાડી બંધ થતા ભારતની ચિંતા વધી, મધ્ય-પૂર્વમાં મહાયુદ્ધથી કાચા તેલના ભાવમાં થશે ભડકો!
ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવ અને હોર્મુઝની ખાડી બંધ થવાની ધમકીએ વૈશ્વિક તેલ બજારમાં હલચલ મચાવી દીધી છે. ભારત તેની જરૂરિયાતનું 85% તેલ આયાત કરે છે, ત્યારે શું આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે? જાણો શું છે સરકારનો સેફ્ટી પ્લાન.

અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનો જંગે હવે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. ઈરાને વિશ્વના સૌથી મહત્વના તેલ માર્ગ ‘હોર્મુઝની ખાડી’ને બંધ કરી દીધી છે, જ્યાંથી વિશ્વનો 20% ક્રૂડ સપ્લાય પસાર થાય છે. આ સ્થિતિમાં કાચા તેલના ભાવમાં મોટો ઉછાળો આવવાની આશંકા છે.
તેલના ભાવમાં ધરખમ વધારો
શુક્રવારે કાચું તેલ બેરલ દીઠ 73 ડોલર પર બંધ થયું હતું, જે માત્ર એક મહિનામાં 6 ડોલરનો વધારો દર્શાવે છે. નિષ્ણાતોનું માનવું છે કે જો આ લડાઈ લાંબી ખેંચાશે, તો કાચા તેલની કિંમત 110 ડોલર પ્રતિ બેરલ સુધી જઈ શકે છે. ઈઝરાયેલના હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈના મોતના સમાચાર બાદ આ યુદ્ધ વધુ ઉગ્ર બનવાની શક્યતા છે.
ભારત પર શું થશે અસર?
ભારત તેની તેલની જરૂરિયાત માટે 85% આયાત પર નિર્ભર છે. જોકે છેલ્લા ત્રણ વર્ષથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ફેરફાર થયો નથી, પરંતુ તેલ મોંઘું થવાથી:
- સરકારી તેલ કંપનીઓના રિફાઇનિંગ માર્જિનમાં ઘટાડો થશે.
- દેશનું આયાત બિલ (Import Bill) વધશે.
- રૂપિયાના મૂલ્ય પર દબાણ આવશે અને ચાલુ ખાતાની ખાધ (CAD) વધી શકે છે.
ભારતનો ‘બેકઅપ પ્લાન’ શું છે?
ભારત ભલે ઈરાન પાસેથી સીધું તેલ નથી ખરીદતું, પરંતુ ભારતનું 40% કાચું તેલ અને 55% LNG હોર્મુઝની ખાડીના માર્ગે જ આવે છે. આ સંકટને પહોંચી વળવા ભારતીય રિફાઈનરીઓએ કમર કસી છે:
- વૈકલ્પિક બંદરો: સાઉદી અરેબિયા અને યુએઈના અન્ય બંદરો પરથી લોડિંગ કરવાની તૈયારી.
- વધારાના ઓર્ડર: ખાડી દેશો સિવાયના અન્ય દેશો (જેમ કે રશિયા કે આફ્રિકન દેશો) ને વધારાના ઓર્ડર આપી શકાય છે.
- આકસ્મિક વિકલ્પો: રિફાઈનરીઓ અત્યારે સપ્લાય ચેઈન જાળવી રાખવા માટે ઈમરજન્સી પ્લાન પર કામ કરી રહી છે.
ઈન્ડસ્ટ્રીના અધિકારીઓનું કહેવું છે કે આ વખતે જંગ લાંબી ચાલી શકે છે, તેથી ભારત તેની ‘એનર્જી સિક્યોરિટી’ માટે અત્યારથી જ સતર્ક થઈ ગયું છે.
