ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે વાઘોડિયા બેઠક પરથી ભાજપે ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ઉતાર્યા મેદાને, જાણો તેમના વિશે
ધર્મેન્દ્રસિંહ વાઘેલા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વાઘોડિયા બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટાયા હતા. બાદમાં તેઓ ભાજપમાં જોડાતા આ બેઠક ખાલી પડી હતી, ત્યારે હવે પેટા ચૂંટણીમાં ભાજપ તરફથી આ બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલા ચૂંટણી લડશે.
લોકસભા ચૂંટણીની સાથે ગુજરાતમાં વિધાનસભાની 5 બેઠકો માટે પેટા ચૂંટણી પણ યોજાવાની છે, ત્યારે આ 5 બેઠકો માટે ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત પણ કરવામાં આવી છે. આ 5 બેઠકોમાં એક બેઠક વડોદરાની વાઘોડિયાનો પણ સમાવેશ થાય છે. આ બેઠક પરથી ભાજપે ઉમેદવાર તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલાને મેદાને ઉતાર્યા છે.
ધર્મેન્દ્રસિંહ વાઘેલા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વાઘોડિયા બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટાયા હતા. બાદમાં તેઓ ભાજપમાં જોડાતા આ બેઠક ખાલી પડી હતી, ત્યારે હવે પેટા ચૂંટણીમાં ભાજપ તરફથી આ બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલા ચૂંટણી લડશે.
કોણ છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ?
ધર્મેન્દ્રસિંહ વાઘેલા વડોદરા ગ્રામ્યના બાહુબલી નેતા તરીકેની છાપ ધરાવે છે. તેઓ ક્ષત્રિય રાજપૂત સમાજમાં વર્ચસ્વ ધરાવે છે. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા 77,905 મતો સાથે ચૂંટાયા હતા. તેમણે આ બેઠક પર દિગ્ગજ નેતા મધુ શ્રીવાસ્તવને હરાવ્યા હતા. તેઓ 2022ની વિધાનસભા ચૂંટણીમાં સૌથી ધનવાન ઉમેદવાર હતા.
ધર્મેન્દ્રસિંહ વાઘેલા પહેલા ભાજપમાં જ હતા બાદમાં તેઓ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અપક્ષમાંથી ચૂંટણી લડ્યા અને જીત્યા પણ હતા. જો કે હવે તેઓ ફરી ભાજપમાં જોડાયા છે અને વાધોડિયા બેઠક પરથી જ ફરી ચૂંટણી લડશે.
વાઘોડિયા બેઠક
વાઘોડિયા બેઠક વડોદરા લોકસભામાં આવે છે. વાઘોડિયા ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 136 નંબરની બેઠક છે. વાઘોડિયા બેઠક પર કુલ 2,46,575 મતદારો છે, જેમાં 1,26,906 પુરુષ અને 1,19,666 મહિલા મતદારો અને અન્ય 3 મતદારોનો સમાવ્શ થાય છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પર 73.88 ટકા મતદાન થયું હતું.