રાજકોટ આવાસ કૌભાંડના આરોપી બંને મહિલા કોર્પોરેટરને ભાજપે પાર્ટીમાંથી કર્યા સસ્પેન્ડ, કોર્પોરેટર પદે યથાવત રખાતા અનેક તર્ક વિતર્ક- વીડિયો
રાજકોટમાં આવાસ યોજનામાં કૌભાંડ આચરનારા બંને કૌભાંડી મહિલા કોર્પોરેટપરને ભાજપે 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે. જો કે બંને કોર્પોરેટરને કોર્પોરેટર પદે યથાવત રખાયા છે. બંને અપક્ષ કોર્પોરેટપ તરીકે યથાવત રહેશે. જેને લઈને અવેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.
રાજકોટમાં આવાસના મહાકૌંભાડી બંને મહિલા કોર્પોરેટરો સામેે ભાજપે કાર્યવાહી કરી છે. વોર્ડ નંબર 5ના કોર્પોરેટર વજીબેન ગોલતર અને વોર્ડ નંબર ૬ના દેવુબેન જાદવને સસ્પેન્ડ કરાયા છે. કોર્પોરેટર વજીબેન ગોલતરના પતિ કવા ગોલતરને પણ ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા છે. ભાજપે પાર્ટીના સભ્યપદેથી 6 વર્ષ માટે બંનેને સસ્પેન્ડ કર્યા છે. પરંતુ કોર્પોરેટર પદે બંને યથાવત રહેશે.
બંન્ને કોર્પોરેટરો અપક્ષ તરીકે કોર્પોરેટર પદે રહેશે. કોર્પોરેટર પદ પરથી ન હટાવાતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. ત્યારે RMCના આવાસ કૌંભાડમાં કોર્પોરેટરોને છાવરવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. ઉલેખનિય છે કે ગોકુલ નગર આવાસની ફાળવણીમાં બંને કોર્પોરેટરોએ સગા સંબંધીઓને આવાસ આપી ગેરરીતિ આચરી હતી.
સરકારી જમીન પર ઓરડી બનાવી ભાડે ચડાવી દીધી
આ પહેલા મહિલા કોર્પોરેટર વજીબેન ગોલતર અને તેના પતિ કવા ગોલતરનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. પ્રદ્યુમન પાર્ક નજીક સરકારી જમીન પર કવા ગોલતરે 350 ઓરડીઓ અને એક હોલ બનાવી દીધો હોવાનો આક્ષેપ છે. સરકારી જમીન પર ઓરડીઓ બનાવી ભાડે આપવાનો ધંધો કરતો હોવાનું સામે આવ્યું છે. આ સરકારી જમીન પર વર્ષોથી કબજો જમાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.
આ મુદ્દે મનપા કમિશનર આનંદ પટેલે tv9 સાથે ખાસ વાતચીતમાં કહ્યું કે આ મનપાનો સ્લમ વિસ્તાર છે. જ્યાં ગેરકાયદે બાંધકામ હશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર મામલે તપાસ બાદ દોષિત હશે તો લેન્ડ ગ્રેબિંગ સહિતની કાર્યવાહી કરાશે.
ગેરકાયદે નળ કનેક્શનનો ફુટ્યો ભાંડો
આ મહિલા કોર્પોરેટરના પરિવારનું કારસ્તાન અહીં જ નથી અટકતું. મહિલા કોર્પોરેટર વજીબેનના પતિ કવા ગોલતરના ભત્રીજાનું પણ કારસ્તાન સામે આવ્યું છે. કવા ગોલતરના ભત્રીજાએ સંત કબીર રોડ પર આવેલી મચ્છુ ડેરીમાં ગેરકાયદે નળ કનેક્શન લીધુ હોવાનું ખુલ્યુ છે. જેના પર તંત્રએ કાર્યવાહી કરી નળ કનેકશન કાપી દેવામાં આવ્યું.
આ પાણીની પાઈપલાઈનમાંથી 24 કલાક પાણીની ચોરી કરવામાં આવી રહી હતી. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈ રાજકોટ મનપા સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. સામાન્ય માણસના બાંધકામ પર કડક વલણ અપનાવતું તંત્ર આ ગેરકાયદેસર બાંધકામ અંગે કેમ આંખ આડા કાન કરી રહ્યું છે. તે પણ મોટો પ્રશ્ન છે.
આ પણ વાંચો: 12 માર્ચના આજના સમાચાર : રાજકોટમાં આવાસ યોજનામાં ગેરરીતિ આચરનાર બંને મહિલા કોર્પોરેટરને નોટિસ ફટકારી