રાજ્ય સરકારે નવસારીમાં પશુઓ માટે ઘાસની સહાય કરી જાહેર, પશુ દીઠ અપાશે 4 કિલો ઘાસ

નવસારીમાં (Navsari) સૂકા ઘાસની અછત સર્જાતા સરકારે એક પશુ દીઠ 4 કિલો ઘાસ આપવાની જાહેરાત કરી છે. પશુપાલકોને 5 પશુ સુધી સહાય અપાશે. રાજ્યમાં ધોધમાર વરસાદના (Rain) કારણે અત્યાર સુધીમાં કુલ 56 લોકો મોતને ભેટ્યા છે તો કુલ 748 પશુઓએ જીવ ગુમાવ્યા છે.

રાજ્ય સરકારે નવસારીમાં પશુઓ માટે ઘાસની સહાય કરી જાહેર, પશુ દીઠ અપાશે 4 કિલો ઘાસ
Gujarat CM Bhupendra Patel (File Image)
| Edited By: | Updated on: Jul 17, 2022 | 9:09 AM

વરસાદને લઈ ગુજરાત (Gujarat) માટે રાહતના સમાચાર છે. હાલ રાજ્યમાં રેડ એલર્ટ (Red Alert) કે વોર્નિંગ નથી. તો બીજી તરફ નુકસાનીનો સર્વે અને સહાય વિતરણ પણ ચાલું છે. રાજ્ય સરકારે નવસારીમાં (Navsari) પશુઓ માટે ઘાસની સહાય જાહેર કરી છે. નવસારીમાં સૂકા ઘાસની અછત સર્જાતા સરકારે એક પશુ દીઠ 4 કિલો ઘાસ આપવાની જાહેરાત કરી છે. પશુપાલકોને 5 પશુ સુધી સહાય અપાશે. રાજ્યમાં ધોધમાર વરસાદના (Rain) કારણે અત્યાર સુધીમાં કુલ 56 લોકો મોતને ભેટ્યા છે તો કુલ 748 પશુઓએ જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં 157 મકાનો સંપૂર્ણ નાશ પામ્યા છે. કુલ 57408 લોકોનું સ્થળાંતર કરાયું હતું જેમાંથી મોટાભાગના લોકો ઘરે પરત ફર્યા છે.

‘ઓપરેશન નિરામયા’ ઓપરેશન

ભારે વરસાદ બાદ ગુજરાતમાં વિવિધ સ્થળોએ ભારે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે રાજ્ય સરકારે દરેક વિસ્તારના જન જીવનને ફરીથી પાટા પર લાવવા માટે ‘ઓપરેશન નિરામયા’ શરુ કર્યુ છે. નવસારી જિલ્લામાં ‘ઓપરેશન નિરામયા’ અંતર્ગત વરસાદી સ્થિતી બાદ સાફ-સફાઇ, કાદવ-કીચડ દૂર કરવા, દવા છંટકાવ માટે સુરત મહાનગરપાલિકાની 200 કામદારોની ટીમ 6 જેટલા જે.સી.બી, પાંચ ડી વોટરીંગ પમ્પ, ટીપર ટ્રક, ગલ્ફર મશીન જેવા 47 થી વધુ અદ્યતન સાધનો સાથે મદદમાં પહોચી ગઇ છે. એટલું જ નહિ, 40 આરોગ્ય ટીમ પણ નવસારી જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં રોગ અટકાયત અને નિયંત્રણ માટે કાર્યરત કરવામાં આવેલી છે તેની વિગતો મુખ્યમંત્રીને આપવામાં આવી હતી. વરસાદગ્રસ્ત વિસ્તારોમાંથી 14,900 જેટલા લોકોનું સલામત સ્થળે આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવેલું છે.

મુખ્યમંત્રીની સ્થિતિ પર સતત નજર

મુખ્યમંત્રીએ આ સ્થળાંતરિત લોકોને આશ્રય સ્થાનોમાં ખાવા-પીવાની અને રહેવાની યોગ્ય સુવિધા મળી રહી છે તે અંગેની જાણકારી પણ સંબંધિત કલેકટરો પાસેથી મેળવી હતી. સ્થાનિક સેવાસંગઠનો અને સેવાભાવી સંસ્થાઓનો આ હેતુસર સહયોગ મળ્યો છે તેમ પણ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. ભૂપેન્દ્ર પટેલે ડાંગ જિલ્લાની સ્થિતીની સમીક્ષા કરતાં જિલ્લા કલેકટરે જણાવ્યું કે વરસાદનું જોર હવે ઘટી રહ્યું છે તેમજ નદીઓમાં પાણી ઓસરવા લાગ્યા છે. સાપૂતારા તરફ જતો માર્ગ જે માટી અને ભેખડ ધસી જવાને કારણે બંધ હતો તે નાના વાહનો માટે ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીએ જૂનાગઢ, ગીર-સોમનાથ અને પોરબંદર જિલ્લામાં વરસાદની સ્થિતી અને બંદરો પર લગાવવામાં આવેલા ચેતવણી સૂચક સિંગ્નલ તથા માછીમારો દરિયામાં ન જાય તેની સાવચેતીના આગોતરા પગલાંની પણ વિસ્તૃત વિગતો મેળવી હતી. મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, રાહત કમિશનર પી. સ્વરૂપ પણ સી.એમ ડેશબોર્ડની આ વિડીયો કોન્ફરન્સમાં જોડાયા હતા