Red alert in Ahmedabad : બે દિવસ શાળા-કોલેજ બંધ, અધિકારી-કર્મચારીઓની રજા રદ્દ, વર્ક ફ્રોમ હોમ માટે કમિશ્નરની અપીલ
વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં આગામી બે દિવસ માટે શહેરની શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત ખાનગી અને સરકારી સંસ્થાઓને શક્ય હોય ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમની વ્યવસ્થા અમલમાં મૂકવા AMC દ્વારા અપીલ કરવામાં આવી છે, જેથી રસ્તાઓ પર વાહનોની અવરજવર ઓછી રહે.

અમદાવાદ શહેરમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદ મહાનગરપાલિકા (AMC) સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. AMC કમિશનર બંછાનીધિ પાનીએ જણાવ્યું કે શહેર માટે આગામી બે દિવસ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સંભવિત પૂર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા તમામ વિભાગોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
કમિશનરે જણાવ્યું કે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને AMCના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ્દ કરવામાં આવી છે. તમામ કર્મચારીઓને ફરજ પર હાજર રહેવા અને કોઈપણ પ્રકારની ઈમરજન્સી સ્થિતિમાં તાત્કાલિક કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે.
બે દિવસ શાળા-કોલેજ અને આંગણવાડી બંધ
વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં આગામી બે દિવસ માટે શહેરની શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત ખાનગી અને સરકારી સંસ્થાઓને શક્ય હોય ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમની વ્યવસ્થા અમલમાં મૂકવા AMC દ્વારા અપીલ કરવામાં આવી છે, જેથી રસ્તાઓ પર વાહનોની અવરજવર ઓછી રહે.
બેઝમેન્ટ ખાલી રાખવા, નીચાણવાળા વિસ્તારોમાં વિશેષ તકેદારી
AMCએ નાગરિકોને સૂચના આપી છે કે બેઝમેન્ટ પાર્કિંગમાં વાહનો પાર્ક ન કરે અને બેઝમેન્ટ શક્ય હોય તેટલું ખાલી રાખે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ વિશેષ સાવચેતી રાખવી અને જરૂર પડે તો તંત્રની સૂચનાઓનું પાલન કરવું.
સાથે જ ઝાડ, હોર્ડિંગ્સ અને અન્ય જોખમી માળખાંની નીચે ઊભા ન રહેવાની અપીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી શહેરમાં જોખમી હોર્ડિંગ્સ અને નબળા વૃક્ષો અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
કંટ્રોલ રૂમથી લઈને પંપિંગ સ્ટેશન સુધી તમામ વ્યવસ્થા સજ્જ
AMCએ જણાવ્યું કે શહેરના તમામ કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રહેશે. નાગરિકોની ફરિયાદો મળતા જ સંબંધિત વિભાગો દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.
ભારે વરસાદની સ્થિતિમાં પાણી ભરાવાની સમસ્યા દૂર કરવા માટે શહેરમાં સ્ટોર્મ વોટરના 245 જેટલા પંપ કાર્યરત રાખવામાં આવ્યા છે. ઉપરાંત છેલ્લા ત્રણ દિવસ દરમિયાન કેચપીટોની વિશેષ સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે, જેથી વરસાદી પાણીનો નિકાલ ઝડપથી થઈ શકે.
વાસણા બેરેજના દરવાજા ખોલાયા, ખારીકટ કેનાલમાં પણ ખાસ વ્યવસ્થા
શહેરમાં વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય તે માટે વાસણા બેરેજના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. ઉપરાંત વધુ વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને ખારીકટ કેનાલમાં પણ પાણીના નિકાલ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
નાગરિકોને સાવચેત રહેવાની અપીલ
AMC કમિશનરે નાગરિકોને અપીલ કરી છે કે ભારે વરસાદ દરમિયાન અત્યંત જરૂરી ન હોય તો ઘર બહાર નીકળવાનું ટાળવું, પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર ન થવું અને કોઈપણ ઈમરજન્સી સ્થિતિમાં AMCના કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો. શહેરમાં પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ વધારાના પગલાં લેવામાં આવશે.