
આજે 01 મેને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં એક નકલી કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે. મુંબઈ પોલીસે શહેરના રાજોડી બીચ પાસે આનો પર્દાફાશ કર્યો હતો. રાજોડી બીચ પાસેના એક રિસોર્ટમાં નકલી કોલ સેન્ટર ચલાવવામાં આવી રહ્યું હોવાની બાતમી પોલીસને મળી હતી. નકલી કોલ સેન્ટર સંબંધિત વધુ માહિતી એકત્ર કરવા પોલીસે તપાસ તેજ કરી હતી.
એપ્રિલ 2023માં GST પેટે સરકારને 6 હજાર 499 કરોડની આવક થઇ છે.જ્યારે એપ્રિલ 2023માં વેટ પેટે રાજ્ય સરકારને 3004 કરોડની આવક થઇ.. મહત્વનું છે કે નાણાકીય વર્ષ 2022-23માં GST પેટે રાજ્ય સરકારને 1 લાખ કરોડથી વધુની આવક થઇ હતી.
ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં એક મોટો રોડ અકસ્માત થયો છે. લખનૌ-વારાણસી હાઈવે પર એક ઝડપભેર અર્ટિગાએ ઈ-રિક્ષાને ટક્કર મારી હતી. જેમાં 4 લોકોના મોત થયા છે. જ્યારે 4 ઘાયલોને પ્રયાગરાજ રિફર કરવામાં આવ્યા છે.
દિલ્હીમાં કોરોના વાયરસના 259 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 2ના મોત થયા છે. હકારાત્મકતા દર 14.36% છે. દિલ્હીમાં હાલમાં 2218 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે, જ્યારે 232 હોસ્પિટલમાં દાખલ છે.
અંગદાન એ મહાદાન છે અને તેનાથી અન્ય પીડિત વ્યક્તિઓને નવજીવન આપી શકાય છે. રાજ્યમાં હવે અંગદાન અંગે જાગૃતિ આવી રહી છે, ત્યારે આંખ, લીવર, કિડની સહિતના અંગોની જેમ હવે સ્કીનનું દાન પણ થવા લાગ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગત માર્ચ મહિનામાં શરૂ થયેલી સ્કીન બેન્કમાં પ્રથમ સ્કીન ડોનેશન આવ્યું છે. આ ડોનેશનથી અનેક દર્દીઓની પીડા ઘટાડવામાં મદદરૂપ થશે.
ગર્ભપાતની મંજૂરી અંગે ગુજરાત હાઇકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે ગર્ભપાત માટે મંજૂરી આપતા સુરતની દુષ્કર્મ પીડિતા હવે ગર્ભપાત કરાવી શકશે. મેડિકલ તપાસના રિપોર્ટ બાદ દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત માટે કોર્ટે મંજૂરી આપી છે. 26 અઠવાડિયાના ગર્ભના ગર્ભપાતને મંજૂરી આપવાનો ગુજરાત હાઇકોર્ટનો આ પ્રથમ નિર્ણય છે.
પીડિતાએ ગર્ભપાતની મંજૂરી માટે કોર્ટમાં અરજી કરી હતી. તે અરજીને હાઇકોર્ટે મંજૂર કરી દીધી છે. પીડિતા માનસિક અસ્થિર અને પિતાની માનસિક સ્થિતિ સારી ન હોવાનો અરજીમાં ઉલ્લેખ. સાથે પીડિતા કે તેનો પરિવાર બાળકની જવાબદારી લઈ શકે તેમ નથી તેવો પણ અરજીમાં ઉલ્લેખ કરાયો હતો.
કેરળમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. મલપ્પુરમ જિલ્લાના તિરુનાવાયા અને તિરુર વચ્ચે ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે તેના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. કેરળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.
ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરેએ કહ્યું છે કે હું આજે લખી રહ્યો છું કે આ ગેરકાયદેસર સરકાર ટૂંક સમયમાં પતન થવા જઈ રહી છે. આ મંત્રીમંડળમાં એક પણ મહિલા નથી
ડ્રેનેજમાં સફાઈ દરમિયાન કર્મચારીઓના મોત મામલે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. ડ્રેનેજની સફાઈ દરમિયાન રાજ્યમાં છેલ્લા એક મહિનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે આ અંગે થયેલી જાહેરહિતની અરજી પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. આ સાથે હાઈકોર્ટે આ મુદ્દે 19 જૂન સુધી વિગતવાર જવાબ રજૂ કરવા હુકમ કર્યો છે. કોર્ટે 19 જૂન સુધી આ પ્રકારની કોઈ ફરિયાદ ન આવે તેનુ ધ્યાન રાખવા પણ ટકોર કરી છે.
રાજકોટમાં ચીલઝડપ કરતા 2 શખ્સોને LCB ઝોન 2 ની ટીમે ઝડપી પાડયા છે.આ બંને શખ્સોએ છેલ્લા એક વર્ષમાં રાજકોટ શહેરમાં 13 જેટલા ચીલઝડપના ગુનાને અંજામ આપ્યો હતો.પોલીસે આ બંને શખ્સોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા એકાદ વર્ષથી આ બંને શખ્સોએ શીતલ પાર્ક ચોક,બજરંગ વાડી અને જામનગર રોડ આસપાસના વિસ્તારમાં તરખાટ મચાવ્યો હતો.એક વર્ષથી આ બંને શખ્સો પોલીસને ચકમો આપી રહ્યા હતા અને બેફામ ચેઈન સ્નેચિંગ કરી રહ્યા હતા.છેલ્લા એક વર્ષમાં આ વિસ્તારોમાં આ બંને શખ્સોએ 13 જેટલા ચેઈન સ્નેચિંગના ગુનાઓ આચર્યા હતા.આ શખ્સો પોલીસ માટે પણ પડકાર બન્યા હતા.
ગુજરાત સ્થાપના દિવસે અમદાવાદ શહેરના બોપલમાં નવા ફાયર સ્ટેશનને કાર્યરત કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મેયર સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને કોર્પોરેશનના હોદ્દેદારો અને ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારી હાજર રહ્યા હતા. બોપલ ફાયર સ્ટેશન શરૂ થતા અમદાવાદ કુલ 19 ફાયર સ્ટેશન કાર્યરત થયા છે. બોપલ ફાયર સ્ટેશન શરૂ થતાં આસપાસ આવેલા શીલજ,ઘુમા,સનાથલ સહિતના વિસ્તારને તેનો સીધો લાભ થશે. તો સાણંદ જીઆઇડીસી સહિતના વિસ્તારને પણ સીધો લાભ થશે અને મોટી દુર્ઘટના થતા ટાળી શકશે. બોપલ ફાયર સ્ટેશન 10.84 કરોડ ઉપરના ખર્ચે તૈયાર કરાયુ છે. જ્યાં વાહન રાખવાની જગ્યા, એક ગેરેજ, બે ઓફિસર સ્ટાફ કવાટર્સ અને 42 કર્મચારી માટે કવાટર્સ બનાવાયા છે. જે બોપલ ફાયર સ્ટેશન હાલમાં 6 વાહનો અને જરૂરી સ્ટાફ સાથે કાર્યરત કરી દેવામાં આવ્યું છે. તો સાથે જ 43 કરોડના ખર્ચે 30 જેટલા નવા વાહનોનો પણ ઉમેરો અમદાવાદ ફાયર બ્રિગેડમાં કરવામાં આવ્યો.
ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવુ વાતાવરણ સર્જાયું છે. જેમાં ભાવનગરમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી થઇ છે. વરસાદને કારણે તળાજાના પાણીયાળી ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું. જેના કારણે ભર ઉનાળે ધસમસતા પ્રવાહ સાથે નદી વહેતી થઇ છે. જેમાં નદીમાં પૂર આવતા તેના પાણી ખોડિયાર મંદિર પરથી વહેતા થયા છે. આ ઉપરાંત ભાવનગરના શિહોર તાલુકા અને ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો હતો.વરલ, ટાણા સહિત આસપાસના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો..વરસાદથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ખાસ કરીને બાજરી અને તલના પાકને નુકસાન થવાની ભીતિ છે.
ઉત્તર પ્રદેશમાં ભાજપે બળવાખોરો સામે મોટી કાર્યવાહી કરી છે. લખનૌમાં 35 થી વધુ લોકો પર આ કાર્યવાહી કરવામાં આવી છે. ભાજપે લખનૌના તમામ પદાધિકારીઓને 6 વર્ષ માટે હાંકી કાઢ્યા. ભાજપના ભૂતકાળમાં કાઉન્સિલર હતા અને અનેક કાર્યકરોને પક્ષમાંથી બહારનો રસ્તો બતાવી ચૂક્યા છે.
એર માર્શલ નર્મદેશ્વર તિવારી એ આજે 01 મે 2023 ના રોજ ગાંધીનગર ખાતે એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ (AOC-in-C), દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ (SWAC) તરીકેનો કાર્યભાર સંભાળ્યો. તેઓ એર માર્શલ વિક્રમ સિંઘના અનુગામી બન્યા છે. જેઓ 30 એપ્રિલ 2023 ના રોજ નિવૃત્ત થયા હતા.
ઉત્તર પ્રદેશના ગાઝીપુરના સાંસદ અફઝલ અંસારીની લોકસભાની સદસ્યતા સમાપ્ત થઈ ગઈ છે. ગેંગસ્ટર એક્ટમાં તેને 4 વર્ષની સજા થઈ છે.
આ મહિને જમ્મુ-કાશ્મીરમાં G20ની વિશેષ બેઠક યોજાવાની છે. આ પહેલા વિદેશી મહેમાનો માટે સુરક્ષા એક મોટો પ્રશ્ન છે. ગયા અઠવાડિયે પૂંચમાં થયેલા આતંકવાદી હુમલાએ ચિંતાને વધુ ઘેરી બનાવી છે. અમારામાં સેનાના પાંચ જવાનો શહીદ થયા હતા. આતંકવાદીઓએ લશ્કરી વાહનને આગ લગાવી દીધી હતી. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર વિદેશી મહેમાનોની સુરક્ષા વ્યવસ્થા જોવા માટે અહીં એક ટીમ મોકલશે.
ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીરમાં હાલમાં 30 આતંકવાદીઓ સક્રિય છે, જે સુરક્ષાની દ્રષ્ટિએ ઐતિહાસિક ઉણપ છે. આ મહિને 22-24 મે દરમિયાન અહીં પર્યટન કાર્યકારી જૂથની બેઠક છે. બેઠક પહેલા અહીં વિશેષ સશસ્ત્ર દળો અને એન્ટી ડ્રોન ટેક્નોલોજી તૈનાત કરવામાં આવશે. ભારત આ વખતે G20 ની અધ્યક્ષતા કરી રહ્યું હોવાથી… દેશના વિવિધ ભાગોમાં બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આના માધ્યમથી વિદેશી મહેમાનો ભારતને જોઈ શકે તેવો હેતુ છે જેથી કરીને ભારતીય સંસ્કૃતિ વિશે માહિતિ મેળવી શકે.
ગુજરાતમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યા છે.જેમાં 01 મેના રોજ કોરોનાના નવા 70 કેસ નોંધાયા છે.જેમાં અમદાવાદમાં 14, વડોદરામાં 14, સુરતમાં 10, સાબરકાંઠામાં 06, સુરત ગ્રામ્યમાં 06, આણંદમાં 04, વલસાડમાં 03, કચ્છમાં 02, વડોદરા ગ્રામ્યમાં 02, અમરેલીમાં 01, ભરૂચમાં 01, બોટાદમાં 01, દ્વારકામાં 01, ગાંધીનગરમાં 01, જામનગરમાં 01, પંચમહાલમાં 01, પોરબંદરમાં 01 અને રાજકોટમાં 01 કેસ નોંધાયો છે. જયારે કોરોનાના એક્ટિવ કેસ 1093 થયા છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.06 ટકા થયો છે. તેમજ આજે કોરોનાથી 195 દર્દી સાજા થયા છે.
ગુજરાત હાઇકોર્ટેમાં મંગળવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના રાજકીય ભવિષ્યનો ફેંસલો થવાનો છે. જેમાં તેમને સેશન્સ કોર્ટમાંથી ઝટકો લાગ્યા બાદ હાઇકોર્ટેનમાં અપીલ કરી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પણ ‘મોદી સરનેમ’ના નિવેદનને લગતા ફોજદારી માનહાનિના કેસમાં ગુજરાતની સુરત સેશન્સ કોર્ટમાંથી ઝટકો લાગ્યો હતો. નીચલી કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં બે વર્ષની સજા સંભળાવી હતી. જો રાહુલ ગાંધીને સેશન્સ કોર્ટ દ્વારા રાહત મળી હોત તો લોકસભામાં તેમના સસંદસભ્ય પદને ફરી યથાવત કરવાનો માર્ગ મોકળો થઈ શક્યો હોત. જો કે તેની બાદ હવે રાહુલ ગાંધીના રાજકીય ભવિષ્યનો ફેંસલો મંગળવારે હાઇકોર્ટમાં થવાનો છે.
આ કેસમાં રાહુલ ગાંધીની ધરપકડના નિર્ણય પર 3 મે સુધી રોક લગાવવામાં આવી છે. તેને કોર્ટમાંથી વચગાળાના જામીન મળી ગયા છે. જ્યાં સુધી સજા પર સ્ટે માંગતી અરજી પર નિર્ણય ના આવે ત્યાં સુધી રાહુલને આપવામાં આવેલ જામીન લાગુ રહેશે.
અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ બનાવનાર કંપનીના સંચાલકોએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી કરી હતી. જેના પર કોર્ટે સુનાવણી કરતા ચારેય આરોપીની જામીન અરજી ફગાવી છે. આ કેસમાં તમામ અધિકારીઓએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે જો બ્રિજ વહેલા બંધ ન કર્યો હોત તો મોરબી પુલ જેવી દુર્ઘટના સર્જાઈ હોત. કેસની ગંભીરતાને ધ્યાને રાખી આરોપીઓને જામીન ન આપવા જોઈએ. તપાસ અધિકારીઓએ આરોપીઓ સામે કલમ 409 ઉમેરવા પણ રજૂઆત કરી હતી.
વડોદરામાં ચાઇનીઝ કંપનીના ફ્રોડ નેટવર્કથી અનેક લોકો સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ સામે આવી છે. જેમાં એજન્ટ દ્વારા લોનની એપ્લીકેશન મારફતે રોકણની લાલચ આપી ઉમંગ પટેલે અનેક લોકોને છેતર્યા છે. જેમાં અનેક લોકો પાસેથી ડોક્યુમેન્ટ લઈને એકાઉન્ટ ખોલાવ્યા હતા. વડોદરાના વાઘોડિયા રોડ પર રહેતો દીપિકા ભગતનો પરિવાર પણ આવી જ છેતરપિંડીનો ભોગ બન્યો છે. જેમાં દીપિકાના નામે એકાઉન્ટ ખોલાવી ઉમંગે ઠગાઈ કરી છે. જ્યારે સાયબર ક્રાઈમ આ પરિવાર સુધી પહોંચી, તો તેમને પણ છેતરપિંડીનો ભોગ બન્યાનો ખ્યાલ આવ્યો હતો. જેમાં સાયબર ક્રાઈમ સેલે તેમનું પણ નિવેદન નોંધ્યું છે.. ચાઈનીઝ કંપનીના નેટવર્કમાં આવા અનેક લોકો ફસાયા છે.
ડમી ઉમેદવાર કૌભાંડના તોડકાંડના આરોપી યુવરાજસિંહે આ હુંકાર કર્યો છે કે જો સરકાર કે પોલીસ હેરાન કરશે તો મારા 5 પાંડવો બહાર આવશે. રિમાન્ડ પૂર્ણ થતાં યુવરાજસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટમાં રજૂ કરતી વખતે યુવરાજસિંહે મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. યુવરાજે દાવો કર્યો કે આ તો શરૂઆત છે, અંત હજુ બાકી છે અને હજુ પણ ઘણુ બધું સામે આવવાનું બાકી છે. ડમીકાંડના પર્દાફાશ સમયે યુવરાજસિંહે 5 પાંડવોની વાત કરી હતી. જેમની પાસે કૌભાંડોના દસ્તાવેજ હોવાનો દાવો કરાયો હતો. ત્યારે અહીં સવાલ એ સર્જાય કે યુવરાજના 5 પાંડવો કોણ અને આ પાંડવો આખરે ક્યારે સામે આવશે.
આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીને પોતાના મનની વાત ટ્વિટ કરવી ભારે પડી છે. કારણકે પ્રધાનમંત્રીના મન કી બાત કાર્યક્રમ લઈને વિવાદસ્પદ ટ્વિટ કરતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ. જોકે ઈશુદાન ગઢવીએ ટ્વિટ કરીને ડીલીટ કરી દીધું હતું. આ મામલે સાયબર ક્રાઇમ બ્રાંચે પુરાવા એકત્રિત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવ્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્રના ખબર જાણવા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી મુંબઈ જવા રવાના થયા છે. તેઓ પણ હિન્દુજા હોસ્પિટલ જશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. જે પછી અનુજ પટેલને તાત્કાલિક ધોરણે સારવાર માટે કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે પછી તેમનું બે કલાક સુધી ઓપરેશન ચાલ્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી સહિત તેમનો સમગ્ર પરિવાર હોસ્પિટલમાં હાજર રહ્યો હતો. જે પછી અનુજ પટેલને બે દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવશે તેવી પણ માહિતી આપવામાં આવી હતી. જો કે બાદમાં અનુજ પટેલને મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે.
ગુજરાતમાં અનાજ ચોરીના કેસોને લઈને SITએ મોટી કાર્યવાહી કરી છે. જેમાં રાજ્ય ભરમાં અલગ અલગ 83 કેસો રીઓપન કરવામાં આવશે. તેમજ જે જિલ્લામાં માત્ર સ્ટેશન ડાયરી સુધી નોંધ લેવાઈ ત્યાં પણ વહીવટી તંત્રની જવાબદારી નક્કી કરવામાં આવશે. આ ઉપરાંત સમગ્ર કૌભાંડમાં સંકળાયેલા મોટા માથાઓ પર સરકાર કાર્યવાહી કરશે. આ અંગે SIT ચીફ તથા IG સુભાષ ત્રિવેદીએ TV9 સાથે ખાસ વાતચીત કરી હતી. તેમજ આગામી સમયમાં SIT પણ દરોડા પાડશે. જેમાં બોગસ કાર્ડ ધારકો સામે પગલા લેવામાં આવશે.
ભાવનગરમાં તોડ કાંડના આરોપી યુવરાજસિંહને પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે યુવરાજસિંહને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. યુવરાજસિંહ જેલમાં જતા પહેલા કહ્યું કે આ અસત્ય સામે સત્યની લડાઈ છે. આ અલ્પવિરામ છે પૂર્ણ વિરામ નથી, લડાઈ ચાલુ રહેશે, હજુ ઘણું આવવાનું બાકી છે.
અમરેલી જિલ્લાના ધારી તેમજ ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં સતત છઠ્ઠા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આજે અમરેલી જિલ્લાના ધારી, તેમજ ગીર પથંકના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. તો ગોપાલ ગ્રામ, ચલાલા , મીઠાપુર, ખીચા, સરસિયા, સાવરકુંડલા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો.
મહેસાણાના વિસનગરમાં યુવતીની હત્યાનો ભેદ આખરે ઉકેલાયો છે. ઘટનાના પાંચમાં દિવસે હત્યારો ઝડપાયો છે. શકમંદ રિક્ષાચાલક જ યુવતીનો હત્યારો નીકળ્યો છે. વિજય ઠાકોર નામના રિક્ષાચાલકે યુવતીનું ગળું દબાવી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. રિક્ષાચાલક પાસેથી મૃતક યુવતીનો મોબાઈલ પણ મળી આવ્યો છે. પોલીસની સતત પૂછપરછના અંતે ચકચારી હત્યાનો ભેદ ઉકેલાયો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આજે વલસાડ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. વલસાડના ઉમરગામમાં વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. કમોસમી વરસાદ વરસતા વલસાડ તેમજ રાજ્યના અન્ય ખેડૂતોના કેરીના પાકને ભારે નુકસાનની ભીતિ છે.
આવતીકાલે ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું અને ગુજકેટની પરીક્ષાનું પરીણામ જાહેર થશે. તમને જણાવી દઈે કે વિજ્ઞાન પ્રવાહના 1.26 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 6357300971 પર વોટ્સએપ કરી પણ વિદ્યાથીઓ પરિણામ જાણી શકશે.
સુરતમાં વધુ એક વખત દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. સુરતના વેસુમાં બિલ્ડર પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. શહેરના વરાછામાં રહેતા મિલન વિરાણી પર 23 વર્ષીય યુવતીએ ફરિયાદ નોંધાવી છે. આરોપીએ પીડિતાને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર બિલ્ડરે પોતાની જ ઓફિસમાં દુષ્કર્મ આચર્યુ હતુ. વેસુ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધતા બિલ્ડર ફરાર થયો છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
ગુજરાત હાઇકોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સુરતની દુષ્કર્મ પીડીતાને હાઇકોર્ટે રાહત આપી છે. પીડિતાએ ગર્ભપાતની મંજૂરી માટે કરેલી અરજીને હાઈકોર્ટે મંજૂર કરી છે. પીડિતાએ ગર્ભપાતની મંજૂરી માટે કરેલી અરજીને હાઈકોર્ટે મંજૂર કરી છે. 26 અઠવાડિયાના ગર્ભના ગર્ભપાત માટે મંજૂરી આપી છે. વધુ વાંચો
બળાત્કારના કેસમાં હાલ રાજસ્થાનની જેલમાં બંધ આસારામને, રાજસ્થાન હાઈકોર્ટે, એક કેસમાં જામીન આપ્યાં છે. જો કે, જામીન મળવા છતા આસારામ હજુ પણ જેલમાં જ રહેશે. આસારામને સુપ્રીમ કોર્ટમાં બનાવટી દસ્તાવેજો રજુ કરવાના કેસમાં રાજસ્થાનની હાઈકોર્ટે જામીન મંજૂર કર્યાં છે.
મહેસાણા અને પાટણ વચ્ચે દોડતી પેસેન્જર સ્પેશ્યલ ટ્રેનનું ભીલડી સુધી વિસ્તરણ કરવામાં આવ્યું છે. આથી ટ્રેન નંબર 09483/84 મહેસાણા-પાટણ સ્પેશ્યલ ટ્રેન સુધારેલા સમય સાથે દરરોજ ભીલડી સુધી દોડાવવામાં આવશે. તેમજ અન્ય એક ટ્રેનને પણ ભીલડી સુધી લંબાવવામાં આવી છે. આ ટ્રેન આવતા અને જતા બંને દિશામાં ધિણોજ, સેલાવી, રણુંજ, સંખારી, પાટણ, ખલીપુર, કાંસા, વાયડ અને સિહોર સ્ટેશનો પર ઉભી રહેશે.
ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં છેલ્લા 13 દિવસથી તૂટક તૂટક હિમવર્ષા થઈ રહી છે. ગત શનિવારે બપોર પછી શરૂ થયેલી હિમવર્ષા રાત સુધી ચાલુ રહી હતી. આજે સવારથી કેદારનાથમાં પણ હવામાન સાફ નથી. હિમવર્ષાને કારણે કેદારનાથમાં ઠંડી પડી રહી છે. અગાઉ, કેદારનાથ અને બદ્રીનાથમાં હિમવર્ષા અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદને કારણે સર્જાયેલી સમસ્યાઓને લઈ, મોડી રાત્રે ચારધામ યાત્રીઓને પોલીસે શ્રીનગરમાં જ અટકાવી દીધી હતા.
આણંદના સ્વપ્નભૂમિ ફાર્મ હાઉસ ખાતે દારૂની મહેફિલ ચાલી રહી હતી. પોલીસ સર્વેલન્સમાં હતી તે દરમ્યાન પોલીસને બાતમી મળી હતી. જે દરમ્યાન પોલીસે મહેફિલમાં ભંગ પાડ્યો હતો. પોલીસની કાર્યવાહી દરમ્યાન 26 જેટલા લોકો રંગેહાથ ઝડપાયા હતા.
આ સમાચાર વિગતે જાણવા અહીં ક્લિક કરો.
કેન્દ્ર સરકારે સંરક્ષણ દળો, સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓની ભલામણ બાદ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી જૂથો દ્વારા ઉપયોગમાં લેવાતી 14 મેસેન્જર મોબાઇલ એપ્લિકેશનને બ્લોક કરી દીધી છે. આ એપ્સમાં Crypvisor, Enigma, Briar, Beechat, Nandbox, SafeSwiss, Vikrame, Mediafire, Element, Second Line, Conion, IMO, જંગી, થ્રીમા જેવી એપ્સનો સમાવેશ થાય છે.
ભિવંડીમાં ગત શનિવારે બનેલ બિલ્ડીંગ ધરાશાયીની દુર્ઘટનામાં આજે ફરી એકના મોતના સમાચાર આવ્યા છે. આની સાથે જ આ અકસ્માતમાં અત્યાર સુધીમાં કુલ સાત લોકોના મોત થયા છે. કાટમાળમાં હજુ પણ કેટલાક લોકો દટાયા હોવાની આશંકા છે. જેના કારણે એનડીઆરએફ દ્વારા બચાવ કાર્ય હજુ પણ ચાલુ રાખવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્યના 63માં સ્થાપના દિવસની ઉજવણી જામનગરમાં કરાશે. રાજ્યપાલ અને મુખ્યપ્રધાન સહીત મંત્રીમંડળના સભ્યોની હાજરીમાં યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં, જામનગરને 300 કરોડથી વધારેની રકમના કુલ 551 જેટલા વિકાસકાર્યોની ભેંટ મળશે. તો સ્થાપના દિવસની ઉજવણીના ભાગરુપે 150 કલાકારો સાથેનો ભવ્યાતિભવ્ય મલ્ટીમીડિયા શો “નમોસ્તુતે નવાનગર” રજૂ થશે. મલ્ટીમીડિયા શો માં જામનગરની અમર ગાથા જામનગરના કયા ઐતિહાસિક પાત્રના મુખે વ્યક્ત થશે. આ ઉપરાંત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે, મહારાણા પ્રતાપની 12 ફૂટ ઉંચી કાસ્ય પ્રતિમાંનું પણ અનાવરણ કરવામાં આવશે.
ગુજરાત રાજ્યની સ્થાપના વિશે વધુ અહેવાલ વાંચવા ક્લિક કરો.
Published On - 8:12 am, Mon, 1 May 23