19 જૂનના મહત્વના સમાચાર : UGC-NET પરીક્ષા રદ, ગેરરીતિની ફરિયાદ બાદ શિક્ષણ મંત્રાલયનો નિર્ણય
Gujarat Live Updates : આજ 19 જૂનના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
રાજ્યમાં પાંચ દિવસ હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં મેઘરાજા વરસી શકે છે. તો અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં હળવાની આગાહી છે. રખડતા ઢોર અને બિસ્માર રસ્તા મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી પર આજે સુનાવણી હાથ ધરાશે. અગાઉ કોર્ટે કડક પગલાં લેવા આદેશ આપ્યો હતો. મહારાજ ફિલ્મની રિલીઝ પર કોર્ટે હંગામી રોક વધારી છે. આજે વધુ સુનાવણી હાથ ધરાશે. આજે ફરિયાદ પક્ષ તરફથી દલીલો કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારની એક દિવસીય વિકાસ યાત્રા પર રહેશે. ગયામાં નાલંદા વિશ્વવિદ્યાલયના નવનિર્મિત કેમ્પસનું કરશે ઉદઘાટન.
LIVE NEWS & UPDATES
-
ખેડૂતો માટે NDA સરકારનો મોટો નિર્ણય, 14 ખરીફ પાકના ટેકાના ભાવ વધાર્યા
આજે બુધવારે સાંજે પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, બેઠકમાં 5 મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં ખેડૂતો માટે મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા. જેમાં 14 ખરીફ પાકોના MSP વધારાને પણ મંજૂરી આપવામાં આવી હતી.
-
રાજકોટ કોર્પો.ના TPO એમ.ડી. સાગઠિયા સામે ACBએ નોધ્યો ગુનો, આવક કરતા 410 ટકા વધારે સંપતિ
રાજકોટ મહાનગરપાલિકાના TPO એમ.ડી. સાગઠિયા સામે ACB માં અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધાયો છે. સાગઠીયા પાસેથી 10 કરોડ 55 લાખની અપ્રમાણસર મિલ્કત મળી આવી છે. સાગઠિયાની આવક કરતા 410 ટકા વધારે સંપતિ મળી આવી છે. સાગઠિયાની ગેસ એજન્સી, પેટ્રોલપંપ અને અમદાવાદમાં બંગલો મળી આવ્યો છે. ACBએ સાગઠિયાની સાથે સંકળાયેલા ત્રણ સ્થળો અને તેના વતનમાં પણ તપાસ હાથ ધરી છે.
-
-
દિલ્હીમાં ભયંકર ગરમી, હીટ સ્ટ્રોકથી 13ના મોત, ઘણા વેન્ટિલેટર પર
દિલ્હીમાં હીટ સ્ટ્રોકના કારણે 13 લોકોના મોત થયા છે. જેમાંથી હીટ સ્ટ્રોકના 9 દર્દીઓ આરએમએલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા જ્યારે 4 દર્દીઓ સફદરજંગ હોસ્પિટલમાં દાખલ હતા. આરએમએલ હોસ્પિટલ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, 11 દર્દીઓ હજુ પણ વેન્ટિલેટર પર છે, જેમને હીટ સ્ટ્રોકના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
-
યુપીમાં કાળઝાળ ગરમીનું મોજું બન્યું ઘાતક, 24 કલાકમાં 81 લોકોએ ગુમાવ્યા જીવ; એકલા કાનપુરમાં જ 13ના મોત
ઉત્તર પ્રદેશમાં ગરમીનું મોજું હવે જીવલેણ બન્યું છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર ઉત્તર પ્રદેશ રાજ્યમાં ગરમીના કારણે 81 લોકોના મોત થયા છે. કાનપુરમાં સૌથી વધુ 13 લોકોના મોત થયા છે. જે બાદ કાનપુરને અડીને આવેલા ફતેહપુર જિલ્લામાં 12 લોકોના મોત થયા છે. હવામાન વિભાગે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હીટ વેવનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.
-
બારામુલ્લામાં બે આતંકવાદી ઠાર, સુરક્ષા દળોને મોટી સફળતા
કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. રૂહાનમાં નિયમિત સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. હાલ આ વિસ્તારમાં મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
-
-
મધ્યપ્રદેશ પોલીસના જાપ્તામાંથી NDPS-હત્યાનો આરોપી પાવાગઢથી ભાગી છૂટ્યો
ઘોઘંબા રાજગઢ પોલીસ મથકના NDPSના ગુના અને મધ્યપ્રદેશના હત્યાના ગુનાનો આરોપી મધ્યપ્રદેશ પોલીસના જાપ્તામાંથી, પાવાગઢ ખાતેના રોપવે પાસેથી ફરાર થયો છે. મધ્યપ્રદેશના મનસોર જેલમાં હત્યાના ગુનાની સજા કાપી રહેલા અને ગુજરાતના ઘોઘંબાના રાજગઢ પોલીસ મથકમાં NDPSના ગુનાના આરોપીને આજે હાલોલ કોર્ટમાં મુદત હોવાથી, મધ્યપ્રદેશ પોલીસના 4 પોલીસકર્મીઓના જાપ્તા હેઠળ લવાયો હતો. હાલોલમાં કોર્ટ કાર્યવાહી પૂર્ણ થયા બાદ, મધ્યપ્રદેશના ચાર પોલીસ કર્મીઓ આરોપી સાથે પાવાગઢ દર્શન કરવા માટે ગયા હતા. જ્યાથી આરોપી પોલીસને ચકમો આપીને ભાગી છૂટ્યો છે. સમગ્ર મામલે પાવાગઢ પોલીસ મથકે, મધ્યપ્રદેશના ચાર પોલીસ કર્મીઓ અને ફરાર આરોપી સામે IPC કલમ 23 અને 24 મુજબ ગુનો નોંધીને, ફરાર આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.
-
ખેડાના પરીએજ તળાવમાં ઝાડી ઝાંખરામાં આગ લાગતા 5 મગર દાઝ્યા, એક મગરનું મોત
ખેડા જિલ્લાના પરીએજ તળાવમાં ઝાડી ઝાંખરામાં આગ લાગતા 5 મગર દાઝી ગયા હતા. આગને કારણે દાઝી ગયેલા એક મગરનું મોત થયું છે. ઝાડી ઝાંખરામાં આગ કેવી રીતે લાગી તે તપાસનો વિષય રહ્યો છે. આગ લાગી કે પછી કોઈએ લગાડી છે તે પણ તપાસનો વિષય છે. આટલી ગંભીર ઘટના હોવા છતા, વન વિભાગ દ્વારા જિલ્લા કલેકટરને જાણ પણ કરાઈ નથી. પરીએજ તળાવમાં મોટી માત્રામાં મગરની વસ્તી છે. હાલમાં પરીએજ તળાવનું કરોડોના ખર્ચે રીનોવેશન થઈ રહ્યું છે. વિદ્યાનગરની નેચર ક્લબ સંસ્થા દ્વારા 4 દાઝેલા મગરોનું રેસ્ક્યું કરી તેઓને સારવાર આપીને, અન્ય તળાવમાં છોડવામાં આવ્યા છે. હજુ 1 મગર ગંભીર રીતે દાઝેલ હોવાથી તેની સારવાર ચાલી રહી છે.
-
ગુજરાતમાં આગામી 3 મહિનામાં 7500 શિક્ષકોની ભરતી કરાશે
ગુજરાત સરકારે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, ટાટ અને ટેટની પરીક્ષા એ નોકરી આપવાની નથી, પરંતુ યોગ્યતા કસોટી હાંસલ કરવા માટેની પરીક્ષા છે. ટાટ 1 અને ટાટ 2 માં ભરતી કરવાનો નિર્ણય કરતા સરકારે જાહેર કર્યું છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક 7500 જેટલી નવી ભરતી કરાશે. આગામી 3 માસમાં ભરતી કરવામાં આવશે. ટાટ 1 ,ટાટ 2 માં ભરતીની હાલ ચર્ચા કરીને યોગ્ય નિયમ નક્કી કરીને ભરતી થશે.
-
અમદાવાદ RTO ની સ્કૂલ બસો સામે કાર્યવાહી, 25 સ્કૂલ બસને બે લાખથી વધુનો દંડ
અમદાવાદ RTO ની સ્કૂલ બસો સામે કાર્યવાહી, 25 સ્કૂલ બસને બે લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. સ્કૂલ બસોમાં ખામી હોવાથી બે દિવસમાં બે લાખનો દંડ કરાયો છે. મોટી ફી વસૂલતી આઠ સ્કૂલોની 25 સ્કૂલ બસને બે લાખથી વધુનો દંડ કરાયો છે. RTO દ્વારા ગઈકાલથી ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. સ્કૂલ બસ માટેના જરૂરી નિયમોનો ભંગ થતા 25 બસો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. સ્કૂલ બસ પાસે પરમીટ, ફિટનેસ સર્ટિફિકેટ ના હોવુ અને વીમો ના હોવાનું સામે આવ્યું છે. અમદાવાદની સેન્ટ. એન્સ સ્કૂલ, તુલીપ ઇન્ટરનેશનલ, દિવ્યજ્યોત, શાંતિ એશિયાટિક, પોદ્દાર સ્કૂલ, પુના ઈન્ટરનેશનલ સ્કૂલોમાં ચેકીંગ કરાયું હતું
-
કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી બિનવારસી ડ્રગ્સ મળી આવવાનો સિલસિલો યથાવત
કચ્છની દરિયાઇ સીમામાંથી માદક પદાર્થનો જથ્થો મળી આવવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. BSFના જવાનોએ જખૌ કોસ્ટ વિસ્તારમાં સર્ચ ઓપરેશનમાં ડ્રગ્સના 19 પેકેટ કબજે કર્યા હતા. તો ગઈકાલ 18મી જૂનની મોડી રાત્રીએ 2 જુદા જુદા નિર્જન બેટ પરથી પેટ્રોલિંગ દરમિયાન વધુ 23 જેટલા ડ્રગ્સના પેકેટ કબજે કરવામાં આવ્યા છે. ઝડપાયેલા 19 પેકેટમાં કોકેઇન હોવાનુ અનુમાન છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરશે. જખૌ નજીકથી પણ વધુ 8 પેકેટ ઝડપાયા છે.
-
પાટણના સમીના રાજપુર પ્રાથમિક શાળાના રુમની છત પરથી પટકાતાં શિક્ષકનું મોત
પાટણના સમીના રાજપુર પ્રાથમિક શાળાના રુમની છત પરથી પટકાતાં શિક્ષકનું મોત થયું છે. ચોમાસુ આવતુ હોવાથી શાળાના ઓરડાની છતનુ સમારકામ કરવાની અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત અને ફરિયાદ છતાંય શાળાની છતની મરામત ના થતાં, જાતે મરામત કરવા છત પર ચઢ્યા હતા. રુમની છતનું જર્જરિત પતરું રીપેર કરવા છત પર ચઢેલા શિક્ષક નટવરભાઇ દરજીનું નીચે પટકાતા મોત થયું છે.
-
કાયમી ભરતીની માંગને લઇ ટેટ-ટાટ વાળા શિક્ષકોએ સ્વર્ણિમ સંકુલ ખાતે બેનર સાથે કર્યા દેખાવો
ટેટ-ટાટ વાળા શિક્ષકો કાયમી ભરતીની માંગને લઇને સચિવાલય પહોંચ્યા હતા. ખાનગી રીતે અલગ અલગ વાહનમાં ટેટ-ટાટ વાળા શિક્ષકો સચિવાલય પહોંચ્યાં હતા. સ્વર્ણિમ સંકુલ -1 આગળ CMને રજૂઆત કરવાના બહાને બેનર સાથે કર્યુ વિરોધ પ્રદર્શન. સચિવાલય પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી.
-
સ્કુલ વર્ધીના વાહનચાલકો નીતિ નિયમોનું પાલન કરે : હર્ષ સંઘવી
સ્કૂલ વર્ધીના વાહનોની હડતાળ અંગે હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. વાલીઓ અને બાળકો હેરાન ના થાય તે સરકારે પણ જોવાનુ છે. બાળકોની સુરક્ષાની જવાબદારી પણ સરકારની છે. વાહનચાલકોને વિનંતી છે, નીતિ નિયમોનું પાલન કરવામાં આવે. નિયમોના પાલન માટે ખૂટતી વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવે. નિયમોના પાલન કરાવવા માટે સરકાર કાર્યવાહી કરી રહી છે.
-
ફાયર NOC માટેની પ્રક્રિયા ધીમી કે બંધ ન થવી જોઈએ : CM ભૂપેન્દ્ર પટેલ
રાજકોટ અગ્નિકાંડ બાદ ફાયર વિભાગે શરૂ થયેલી ઝુંબેશ અંગે મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે કે, ફાયર NOC માટેની પ્રક્રિયા ધીમી કે બંધ ના થવી જોઈએ. ફાયર NOC અને BU અંગે કાર્યવાહી પૂર્ણ કરવી અને નિર્ધારિત સમય મર્યાદામાં કાર્યવાહી પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યો છે.
-
ગાંધીનગર: TET-TATવાળા શિક્ષકોની કાયમી ભરતીની માગ
ગાંધીનગર: TET-TATવાળા શિક્ષકોની કાયમી ભરતીની માગ છે. CMને રજૂઆત કરવા સચિવાલય પહોંચ્યા. સ્વર્ણિમ સંકૂલ-1 બહાર વિરોધ પ્રદર્શન કર્યુ. સચિવાલય પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની તેના ઘરેથી અટકાયત કરવામાં આવી. દહેગામ પોલીસે અગમચેતીના ભાગરૂપે અટકાયત કરી છે.
-
કચ્છ સરહદ પરથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો
કચ્છ સરહદ પરથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો છે. બોર્ડર પિલર નંબર 1125 નજીક પાકિસ્તાની નાગરિકને ઝડપાયો છે. BSFએ પેટ્રોલિંગ દરમિયાન અફઝલ નામના પાકિસ્તાની નાગરિકને ઝડપ્યો છે. પાકિસ્તાન ઘૂસણખોર પાસેથી કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુઓ મળી નથી. સમગ્ર મામલે બીએસએફ વધુ તપાસ હાથ ધરી છે.
-
બનાસકાંઠાના ડીસામાં બેફામ ડમ્પર ચાલકે 9 વર્ષીય બાળકીને કચડી
બનાસકાંઠા: ડીસામાં બેફામ ડમ્પર ચાલકે 9 વર્ષીય બાળકીને કચડી નાખી છે. GIDCમાં ઈંટો લેવા આવેલા ડમ્પર ચાલાકે રિવર્સ લેતા આ ઘટના બની છે. GIDC વિસ્તારમાં ઈંટોના કારખાનામાં બાળકી સૂતી હતી. 9 વર્ષીય બાળકીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે.
-
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ TRP ગેમઝોનમાં ગયા હતા
TRP ગેમઝોન અગ્નિકાંડને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ TRP ગેમઝોનમાં ગયા હતા. TRP ગેમઝોનના સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કર્યો હતો. શ્રેયસ ઐયર, અમન ખાન, સીરાજ પાટીલ ગેમઝોન ગયા હતા. સમસ મૂલાની, સૂર્યન્સ સેડગી અને હાર્દિક તોમરનો પણ ગેમઝોનમાં ગયા હતા. 20 ઓક્ટોબર 2022ના સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો.
-
વડોદરા: નંદેસરીમાં LIG કોલોનીમાં અસામાજિક તત્વોનો આતંક
વડોદરા: નંદેસરીમાં LIG કોલોનીમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. અસામાજિક તત્વએ સગીર યુવકને રસ્તા પર માર માર્યો હતો. અસામાજિક તત્વ પિતા-પુત્રનો LIG કોલોની વિસ્તારમાં ત્રાસ છે. પિતા-પુત્રના આતંકથી સ્થાનિકો પરેશાન છે. ઔદ્યોગિક એકમોમાં પણ બંને દાદાગીરી કરતા હોવાનું સામે આવ્યું છે. પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો નોંધાઇ ચુક્યો છે. હુમલામાં સગીર યુવક ઘાયલ થતાં સારવાર અર્થે ખસેડાયો છે.
-
અમરેલીઃ બાબરામાં સતત ચાર દિવસથી વરસાદ
અમરેલીઃ બાબરામાં સતત ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેર અને પંથકના મોટા ભાગના ગામડાઓમાં વરસાદ વરસી રહ્યો છે. મોટાભાગના ગામડાઓમાં વાવણી થઈ ચુકી છે. સારો વરસાદ પડતાં ઉભા પાકને ફાયદો થશે.
-
નવસારી : ગણદેવી સહિત આસપાસના ગામોમાં શરૂ થયો વરસાદ
નવસારીના ગણદેવી તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગણદેવી સહિત આસપાસના ગામોમાં વરસાદ શરૂ થયો છે. પવન સાથે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ગણદેવી તાલુકા સહિત બીલીમોરા શહેરમાં પણ ધીમીધારે વરસાદનું આગમન થયુ છે. વાવણી લાયક વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે.
-
સુરત: આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો સામે ACB અરજી
સુરત: આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો સામે 10 લાખની લાંચ માંગ્યાની એસીબીમાં ફરિયાદ નોંધાઇ છે. પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસે લાંચ માંગી હોવાનો આક્ષેપ છે. જીતેન્દ્ર કાછડીયા અને વિપુલ સુહાગીયા વિરુદ્ધ ACBમાં કરાઈ ફરિયાદ. કોન્ટ્રાક્ટરે CCTV ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા ACBને સુપ્રત કર્યા છે. કોર્પોરેટરની સાથે સાથે કોર્પોરેશનના એક અધિકારી અને કર્મચારીની સંડોવણીના પણ આરોપ છે.
-
વડોદરાઃ સયાજી હોસ્પિટલમાં લાગી આગ
વડોદરાઃ સયાજી હોસ્પિટલમાં આગ લાગી છે. નાક, કાન અને ગળા વિભાગના ઓપરેશન થિયેટરમાં આગ લાગીૂ છે. ઓપરેશન થિયેટરમાં વેન્ટિલેટરમાં શોર્ટ શર્કિટના કારણે આગની શક્યતા છે. ઓપરેશન થિયેટરમાં ઓક્સિજન ગેસ લીકેજ થયો હોવાની પણ ચર્ચા છે. ઓપરેશન થિયેટર ખાલી કરાવી દેવાયુ છે. ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા છે અને સ્થિતિ કાબૂમાં લીધી છે.
-
ગાંધીનગર : CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક
ગાંધીનગર : CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે. રાજકોટ અગ્નિકાંડ SIT તપાસના તૈયાર થઇ રહેલા રીપોર્ટ બાબતે ચર્ચા થશે. આવતીકાલે SIT સરકારને રાજકોટ અગ્નિકાંડનો રીપોર્ટ સોંપશે. 27થી 29 જૂન દરમિયાન યોજાનાર શાળા પ્રવેશોત્સવ બાબતે પણ ચર્ચા થશે. શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનો, સ્કૂલ વાન ચાલકોની હડતાળ બાબતે ચર્ચા થશે.
-
સુરત શહેરના વેડ, ડભોલી, સિંગણપોર, કતારગામ વિસ્તારમાં વરસાદ
સુરત શહેરના વેડ, ડભોલી, સિંગણપોર, કતારગામ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લોકોને ભારી ઉકળાટ અને બફારાથી રાહત મળી છે.
-
બેંગાલુરુની મહિલાના ઓનલાઇન ઓર્ડરમાં નિકળ્યો સાપ
બેંગાલુરુની મહિલાના ઓનલાઇન ઓર્ડરમાં નિકળ્યો સાપ નીકળ્યો છે. મહિલાએ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. કસ્ટમર કેરમાં જાણ કરી તો બે કલાક ફોન હોલ્ડ પર રાખ્યો હોવાનો આરોપ પણ મહિલાએ લગાવ્યો છે. સાપથી કોઇને નુકસાન ન થયું હોવાનો મહિલાનો દાવો છે. બોક્સ ખોલતા મહિલા ડરી ગઈ અને દૂર ભાગી જતાં બચી ગઈ હતી.
-
રાજ્યમાં પાંચ દિવસ રહેશે વરસાદી માહોલ
રાજ્યમાં પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે વરસાદને લઈ આ આગાહી કરી છેે. ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વીજળી સાથે મધ્યમ વરસાદની આગાહી છે.
Published On - Jun 19,2024 7:19 AM