18 ઓગસ્ટના મહત્વના સમાચાર : આગામી 72 કલાક રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન.. કહ્યું,, જોવા મળશે મેઘરાજાનું રૌદ્ર રૂપ
Gujarat Live Updates આજ 18 ઓગસ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

આજે 18 ઓગસ્ટને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
ચૂંટણીલક્ષી સહકારી મંડળીઓ પર હવે સરકાર ગાળીયો કસશે
મહેસાણામાં યોજાયેલા સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માનું નિવેદન. કહ્યું કે, ચૂંટણીને ધ્યાનમાં રાખીને વર્ષોથી મંડળીઓ રજીસ્ટર કરવામાં આવે છે, જે મોટા ભાગે નિષ્ક્રિય રહે છે. રાજ્ય સરકાર એવી મંડળીઓને નાબૂદ કરશે. ખેડૂતોના લાભ માટે નહીં પણ જે માત્ર ચૂંટણીના વોટિંગ માટે કામ કરે છે. તેવી મંડળીઓની સંખ્યા જો કે ગુજરાતમાં આવી મંડળીઓની સંખ્યા ખુબ ઓછી હોવાનો પણ જગદીશ વિશ્વકર્માએ દાવો કર્યો હતો. રાજ્યનાં સહકાર મંત્રીએ વધુમા કહ્યું હતું કે, સાચા અર્થમાં મંડળીનો ઉદ્દેશ્ય ખેડૂતોને ખાતર અને ધિરાણ આપવાનો છે
-
પૂર્વ સાંસદ મોહન ડેલકર આપઘાત કેસ મુદ્દે મોટા સમાચાર
દીવ-દમણના પૂર્વ સાંસદ મોહન ડેલકર આપઘાત કેસમાં પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રફુલ પટેલને સુપ્રીમ કોર્ટથી મોટી રાહત મળી છે. પ્રફુલ પટેલ ઉપરાંત અન્ય 8 અધિકારીઓને પણ મોટી રાહત મળી છે. મુંબઈ હાઈકોર્ટે આપઘાત કેસની FIR રદ કરવા હુકમ કર્યો હતો. FIR રદ કરવાના મુંબઈ હાઈકોર્ટના આદેશને SCએ યોગ્ય ઠેરવ્યો છે. પૂર્વ સાંસદ મોહન ડેલકરે મુંબઈન હોટલમાં આપઘાત કર્યો હતો. હાલ દીવ, દમણ અને લક્ષદ્વીપના પ્રશાસક છે પ્રફુલ પટેલ.
-
-
તહેવારો દરમિયાન ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે 9 લાખનો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો
તહેવારો દરમિયાન નાગરિકોને શુદ્ધ અને ભેળસેળ વિનાની ખાદ્ય ચીજો મળી રહે તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તરફથી ખાસ ડ્રાઇવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તહેવારો દરમિયાન રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓ અને મહાનગરોમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યા હતા . આ કામગીરી અંતગર્ત 500 થી વધુ સરપ્રાઈઝ ચેકિંગમાં 2 હજાર થી વધુ સેમ્પલો લેવામાં આવ્યા હતા. જેમાં શંકાસ્પદ જણાઈ આવેલા અને લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ શકે તેવા 1.5 ટન મટીરીયલ નો નાશ કર્યો હતો આમ ગુજરાત સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ ઝુંબેશ અંતર્ગત 9 લાખ રૂપિયાની ખાદ્ય ચીજો અને તેના મટીરીયલ નો નાશ કર્યો હતો અને આ ઝુંબેશ હજુ પણ દિવાળી સુધી ચાલુ રહેશે એ સ્પષ્ટ ચેતવણી ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર એ આપી છે.
-
અમદાવાદમાં જન્માષ્ટમીની ઉજવણી દરમિયાન આતંક મચાવનાર શખ્સની ધરપકડ
અમદાવાદમાં અમરાઈવાડી વિસ્તારમાં જન્માષ્ટમીની ઉજવણી દરમિયાન આતંક મચાવનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો. રાત્રીના સમયે શખ્સોએ તલવાર લહેરાવી આતંક મચાવી લોકોને ધમકાવ્યા હતા. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થતા આતંકના દ્રશ્યો સામે આવ્યા હતા. ઘટના અંગે અમરાઈવાડી પોલીસે તપાસ હાથ ધરી અને હાથમાં તલવાર લહેરાવનાર આરોપી મનીષ ઉર્ફે મોનુને ઝડપી પાડ્યો. પોલીસે આરોપી મનીષ ઉર્ફે મોનુ સાથે રહેલા શખ્સોને ઝડપવા પણ વધુ તપાસ હાથ ધરી ચક્રોગતિમાન કર્યા છે.
-
ઉના પાલિકાના ભાજપના કોર્પોરેટર જુગાર રમતા ઝડપાયા
ગીર સોમનાથમાં જુગાર રમતા ભાજપ કોર્પોટેર પકડાયા છે. ઉના પાલિકાના ભાજપ કોર્પોરેટર રાજેશગીરીને પકડવામાં આવ્યા છે. ખુલ્લા પાર્કિંગમાં બેસીને જુગાર રમતા કુલ 9 જુગારીઓ ઝડપાયા છે. પોલીસે એક લાખથી વધુ મુદ્દામાલ જપ્ત કર્યો છે.
-
-
સુરતમાં સાયબર ફ્રોડના ગુનામાં પોલીસે રાજ્યની સૌથી મોટી ચાર્જશીટ ફાઈલ કરી
સુરતમાં સામે આવેલા સૌથી મોટા સાયબર ફ્રોડ કેસમાં પોલીસે દાખલ કરી છે રાજ્યની સૌથી મોટી ચાર્જશીટ. પોલીસે 1 હજાર 550 કરોડના સાઇબર ફ્રોડના ગુનામાં અધધ કહી શકાય એટલા, દોઢ લાખ પાનાની ચાર્જશીટ રજૂ કરી છે. મહત્વનું છે કે રાજ્યના કોઈ કેસમાં પોલીસે સૌથી મોટી ચાર્જશીટ રજૂ કરી હોય તેવી આ પહેલી ઘટના છે. સુરતની ઉધના પોલીસ મથકમાં સાયબર ફ્રોડનો કેસ નોંધાયો હતો. જેના ધરપકડ કરાયેલા તમામ આરોપીઓ હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
-
ગીર સોમનાથઃ સોમનાથમાં દરિયો બન્યો તોફાની
સોમનાથના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. એકસાથે 3 સિસ્ટમ સક્રિય થતા અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો છે. સોમનાથ મંદિર નજીક 8 થી 10 ફુટ ઉંચા મોજા ઉછળતા જોવા મળ્યા. ભારે પવન સાથે તોતિંગ મોજા ઉજળતા જોવા મળ્યા
-
ભરૂચમાં નર્મદા નદી પર બનેલા બેરેજને લઈને વિવાદ
ભરૂચમાં નર્મદા નદી પર બની રહેલા ભાડભૂત બેરેજને લઈ વિવાદ સર્જાયો હતો. બેરેજમાં ડૂબમાં ગયેલી જમીનના પ્રતિ ચોરસ ફૂટ 48 પૈસા અને ઉપજાઉ જમીનના 3.60 રૂપિયા આપાવના તંત્રના નિર્ણય સામે ખેડૂતોએ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો. જેમાં હાઈકોર્ટે ખેડૂત પક્ષે નિર્ણય આપ્યો છે. તેથી જૂની પ્રક્રિયા રદ કરી ફરીથી સંપાદન પ્રક્રિયા કરવામાં આવશે. તેથી ખેડૂતોની માગ છે કે 2025ની બજાર કિંમત અને રાજય સરકાર તરફથી સુચિત જંત્રી ડ્રાફટ મુજબનું વળતર આપવામાં આવે છે. જે અંગે ખેડૂતોએ કલેકટરને આવેદનપત્ર પાઠવી હવે યોગ્ય વળતર આપવાની રજૂઆત કરવામાં આવી.
-
પંચમહાલના આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ આશિષ કામદાર જુગાર રમતા ઝડપાયા
પંચમહાલના આમ આદમી પાર્ટીના જિલ્લા યુવા પ્રમુખ આશિષ કામદાર જુગાર રમતા ઝડપાયા છે.. પોલીસે ગોધરા શહેરના વાવડી બુજર્ગ વિસ્તારમાં વૈજનાથ સોસાયટીના મકાન નંબર-7માં રેડ કરતા જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા હતા. જેમાં AAPના જિલ્લા યુવા પ્રમુખ આશિષ કામદાર પણ હતા. જો કે સૌથી મહત્વની વાત એ છે કે આ જ નેતાજીએ બે દિવસ પહેલા જ જુગાર બંધ કરાવવા પોલીસને રજૂઆત કરી હતી અને જિલ્લા પોલીસ વડા અને જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આ રજૂઆતના ફોટા પણ તેઓએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા હતા પરંતુ, આશિષ કામદાર બે દિવસમાં જ જુગારના કેસમાં ઝડપાતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યા છે. ઉલ્લેખનીય છે કે, ઝડપાયેલા AAPના યુવા જિલ્લા પ્રમુખ આશિષ કામદારે ઓનલાઇન સટ્ટાબેટિંગ અને ગેમિંગની મોબાઇલ એપના માલિકો સામે કાર્યવાહી કરવા આવેદનપત્ર આપ્યું હતું.
-
સિવિલમાં આસારામને વીઆઈપી સુવિધાઓ !
આસારામને સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં લઈ આવ્યા છે. દુષ્કર્મ કેસના દોષીત આસારામ હાલમાં જામીન પર મુક્ત છે. તેમને આજે પણ વીઆઈપી સુવિધાઓ આપવામાં આવી રહી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ટ્રોમા સેન્ટરનો મુખ્ય દરવાજો બંધ કરવામાં આવ્યો. દર્દીઓના સગાને પણ અંદર પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો.સિવિલ હોસ્પિટલની સિક્યુરિટી અને અન્ય માણસો કાર્યરત હોવા છતા, આસારામ માટે ખાનગી સિક્યુરિટી કામે લાગી છે.
-
Panchmahal News : ગોધરામાંથી આમ આદમી પાર્ટીના જિલ્લા યુવા પ્રમુખ જુગાર રમતા ઝડપાયા
પંચમહાલમાં આમ આદમી પાર્ટીના જિલ્લા યુવા પ્રમુખ જુગાર રમતા ઝડપાયા છે. આપ પાર્ટીના જિલ્લા યુવા પ્રમુખ આશિષ કામદાર સહિત 7 ઇસમોને જુગાર રમતા પંચમહાલ એલસીબી પોલીસે ઝડપ્યાં છે. પોલીસે બાતમીના આધારે ગોધરા શહેરના વાવડી બુજર્ગ વિસ્તારમાં આવેલ વૈજનાથ સોસાયટીના મકાન નંબર સાતમાં રેડ કરતા જુગાર રમતા સાત ઈસમો ઝડપાયા હતા. ઝડપાયેલા ઈસમો પાસેથી રૂપિયા 98,700 જુગાર ના દાવ પર લગાવેલા રૂપિયા 11,300 અને રૂપિયા 30,000 ની કિંમતના ત્રણ મોબાઇલ પોલીસે ઝડપી પાડ્યા. ઉલ્લેખનીય છે કે ઝડપાયેલા આમ આદમી પાર્ટીના યુવા જિલ્લા પ્રમુખ આશિષ કામદારે બે દિવસ પહેલા જ ઓનલાઇન સટ્ટાબેટિંગ અને ગેમિંગની મોબાઇલ એપ્લિકેશનના માલિકો સામે કાર્યવાહી કરવા માટે જિલ્લા પોલીસ વડા અને જિલ્લા અધિક કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
-
મુંબઈ સતત વરસાદને કારણે રેલવે ટ્રેક અને રસ્તા પાણીમાં ડૂબી ગયા
આજે સવારથી મુંબઈમાં સતત વરસાદને કારણે રેલવે ટ્રેક અને રસ્તા પાણીમાં ડૂબી ગયા છે.
-
દેવાયત ખવડને રિમાન્ડ અર્થે વેરાવળ કોર્ટમાં કરાશે રજૂ
દેવાયત ખવડને રિમાન્ડ અર્થે તાલાલા કોર્ટમાં રજૂ કરાશે. ગઈકાલે દેવાયત ખવડની ધરપકડ કરવામાં આવી હતી. દેવાયત ખવડ ને આજે તાલાલા પોલીસ, કોર્ટ સમક્ષ હાજર કરશે. તાલાલા કોર્ટના જજ ન હોવાના કારણે કારણે વેરાવળ કોર્ટમાં ખવડ અને તેના સાથીઓને લઈ જવાશે. પોલીસ રિમાન્ડની માંગ કરશે. બપોર બાદ વેરાવળ કોર્ટ ખવડને લઈ જવાશે.
-
સોમનાથ મહાદેવ ટ્રસ્ટ, 28 ટન લાડુનો પોષણક્ષમ આહાર આંગણવાડીના બાળકો સુધી પહોચાડશે
પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે મુખ્યમંત્રી દ્વાદશ જ્યોતિર્લિંગના પ્રથમ જ્યોતિર્લિંગ અને સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના દર્શન પૂજન કર્યા હતા, ભોળાનાથના ચરણોમાં શિશ ઝુકાવીને શ્રદ્ધાપૂર્વક દર્શન કરીને સૌના મંગલની તથા રાજ્ય-રાષ્ટ્રની પ્રગતિ અને સુખાકારીની પ્રાર્થના કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના આંગણવાડીના નાના ભૂલકાઓ માટેના લાડુપોષણ પ્રસાદ વિતરણનો શુભારંભ પણ કરાવ્યો હતો. સોમનાથ ટ્રસ્ટ દ્વારા વડાપ્રધાનની પ્રેરણા અને માર્ગદર્શનમાં આ અભિગમને આગળ ધપાવતા આગામી એક વર્ષ માટે ગીર સોમનાથ જિલ્લામાં 7 લાખ લાડુ પ્રસાદ વિતરણનો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. અંદાજે 1 કરોડ રૂપિયાના ખર્ચે સોમનાથ મહાદેવ ટ્રસ્ટ 28 ટન લાડુનો પોષણક્ષમ આહાર આંગણવાડીના બાળકો સુધી પહોંચાડશે.
-
દ્વારકાના વરવાળા દરિયા કાંઠે અજાણ્યું કન્ટેનર તણાઈ આવ્યું
દેવભૂમિદ્વારકામાં દ્વારકાના વરવાળા દરિયા કાંઠે અજાણ્યું કન્ટેનર તણાઈ આવ્યું છે. ઘટના અંગે જાણ થતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી છે. કન્ટેનરની અંદર કેમિકલ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે. શંકાસ્પદ હાલતમાં કન્ટેનર ક્યાંથી આવ્યું છે અને કેવી રીતે દરિયામાં તણાઈને અહીં પહોંચ્યું તેને લઈ પોલીસનો ધમધમાટ ચાલી રહ્યો છે. પોલીસે FSLની ટીમને કન્ટેનર મામલે જાણ કરાઈ છે. FSL રિપોર્ટ આવ્યા બાદ કન્ટેનરમાં શું છે તે અંગે સ્પષ્ટ માહિતી બહાર આવશે. દરિયાકાંઠે કન્ટેનર આસપાસ સુરક્ષા કર્મી તૈનાત કરાયા છે.
-
છત્તીસગઢના બીજાપુરમાં IED વિસ્ફોટમાં 1 જવાન શહીદ અને 3 ઘાયલ, સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો
છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીઓ દ્વારા કરવામાં આવેલા મોટા IED વિસ્ફોટમાં DRGનો એક જવાન શહીદ થયો અને ત્રણ અન્ય ઘાયલ થયા. આ વિસ્ફોટ ઇન્દ્રાવતી રાષ્ટ્રીય ઉદ્યાન નજીક થયો, જ્યાં નક્સલીઓએ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) પ્લાન્ટ કર્યું હતું. આ દુ:ખદ ઘટના ત્યારે બની જ્યારે સુરક્ષા દળો
-
વલસાડના અબ્રામા વિસ્તારમાં મહિલાની હત્યા
વલસાડના અબ્રામા વિસ્તારમાં મહિલાની હત્યા થવા પામી છે. અબ્રામા વાવ ફળિયા વિસ્તારમાં રહેતી મહિલાની હત્યા, તેના જ પુરુષ મિત્રે કરી હોવાનું સામે આવ્યું છે. મૃતક મહિલા સાથે રહેતા તેના પુરુષ મિત્ર ભાવેશને જમવાનું બનાવવા બાબતે ઝઘડો થયો હતો. રોષે ભરાઈ ભાવેશે મૃતકને માર્યો હતો ઢોર માર. પોલીસે હત્યાના આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
-
અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મૂશળધાર વરસાદ સાથે આગામી 72 કલાકમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી
આગામી 72 કલાકમાં અતિ ભારે વરસાદની આગાહી જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી છે. ગુજરાત અલગ અલગ કેટલાક ભાગો પાટણ, હારીજના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. નર્મદા, સાબરમતી નદી બે કાંઠે થવાની શક્યતા વર્ણાવી છે. સુરતના ભાગોમાં, નવસારીના ભાગોમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. સાબરકાંઠામાં પણ ભારે વરસાદને લઈ પશુ અને જનધનને કાળજી રાખવા તાકીદ કરી છે.
કચ્છમાં ભાગો અતિભારે વરસાદની આગાહી. રાજકોટ,પોરબંદર,જામનગર જામ ખંભાળિયામાં પણ ભારે વરસાદ થવાની શક્યતા વર્ણાવી છે. સૌરાષ્ટ્રના ભાગોમાં ભરૂચના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મુશળધાર વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. નીચાણ વાળા ભાગોમાં સાવચેત રહેના કહ્યું છે. 35 થી 50 કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદ પડવાની શક્યતા
-
મોરબીના સોખડા ગામે વીજળી પડતા ખેડૂતનું મોત
મોરબીના સોખડા ગામે વીજળી પડતા ખેડૂતનું મોત થયું છે. મુકેશભાઈ નરભેરામભાઈ સુરેલા (ઉ.45) નું મોત થયુ છે. રાત્રીના ખેતરમાં કામ કરતા હોય દરમિયાન વીજળી પડતા મોત થયું હતું. ધટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. મૃતદેહને પી એમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
-
સુરેન્દ્રનગરના ખનિજ માફિયાએ સરકારી જમીનમાં ગેરકાયદે બાંધેલ બંગલો, હોટલ બંગલો તોડી પડાયા
સુરેન્દ્રનગરના થાનના જામવાળી પાસે ગેરકાયદેસર હોટલનું દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ચોટીલા પ્રાંત અધિકારી સહિતની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સરકારી જમીન પર બાંધકામ કરેલ હોટેલ ગોકુલ ગ્રાન્ટ્સ, બંગલો, ટ્રક સર્વિસ સ્ટેશન, ઓરડી સહિતના પાકા બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે. ખનિજ માફિયા વિઠ્ઠલ જગા અલગોતર અને રાહુલ જગા અલગોતરની માલિકીની હોટલ તોડી પાડવામાં આવી. બન્ને ખનિજ માફિયા વિરૂદ્ધ અગાઉ ગેરકાયદેસર ખનિજ ખનીજ ખનન અને વહનના અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે. ખનિજ માફિયાઓએ ખડકેલા દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું.
-
મુખ્ય ચૂંટણી કમિશનર વિરૂદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવા ઈન્ડિયા એલાયન્સની બેઠકમાં ચર્ચા
કોંગ્રેસ અને વિપક્ષી પક્ષોએ ચૂંટણી પંચ પર ગંભીર આરોપો લગાવ્યા છે. રાહુલ ગાંધી દ્વારા રજૂઆત બાદ તણાવ વધી ગયો હતો. ચૂંટણી પંચે પત્રકાર પરિષદમાં પોતાનો પક્ષ રજૂ કરતી વખતે વિપક્ષને ચેતવણી આપી હતી. કોંગ્રેસ પ્રમુખ ખડગેએ ઈન્ડિયા બ્લોકની બેઠકમાં સીઈસી વિરુદ્ધ મહાભિયોગ લાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જોકે અંતિમ નિર્ણય હજુ લેવાનો બાકી છે.
-
મલાના ટોલ પ્લાઝા ઉપર 20 કિલોમીટરની મર્યાદામાં ટોલ ફ્રી કરવા ખેડૂતોનું આંદોલન
બનાસકાંઠા પાલનપુર આબુ રોડ હાઇવે પર મલાના ટોલ પ્લાઝા ઉપર ટોલ ફ્રીને લઈને ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. મોટી સંખ્યામાં ખેડૂતો મલાણા ટોલ પ્લાઝા નજીક એકઠા થયા છે. પોલીસ બંદોબસ્ત સાથે ખેડૂતોની બે કિલોમીટર સુધી રેલી યોજાઈ છે. 20 કિલોમીટરની મર્યાદામાં ટોલ ફ્રી કરવાની માંગ સાથે ખેડૂતોનું આંદોલન ચલાવી રહ્યાં છે.
-
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકે કરી બદલી
શહેરના 31 PIની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. ખાલી પડેલી બે જગ્યાઓ પર પીઆઈની નિમણૂક કરવામાં આવી છે. શાહીબાગ અને ઘાટલોડિયામાં પીઆઈની નિમણૂક કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ, sog, eow સહિતની એજન્સીઓ માંથી પીઆઈ ની બદલીઓ કરાઈ.
-
સુરતના પીપલોદની રેસ્ટોરન્ટના મહિલા વોશરૂમમાં મોબાઈલ મુકવાના મુદ્દે હોબાળો
સુરતના પીપલોદની કે.ચારકોલના રેસ્ટોરેન્ટ સામે ગંભીર આક્ષેપ થયો છે. મહિલાઓના વોશરૂમમાં મોબાઈલ ફોન મુકવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. રેસ્ટોરન્ટમાં આવેલ મહિલાનું જ ધ્યાન પડતા હોબાળો મચ્યો હતો. લોકોએ ભેગા થઈ કર્યો વિરોધ. ફિમેલ વોશરૂમમાં પુરુષ સફાઈકર્મીને શા માટે મોકલવામાં આવતા હતા તેવો પ્રશ્ન સર્જાયો છે. આખો મામલો ઉમરા પોલીસ મથકે પહોંચ્યો છે.
-
ભાજપના MLA દર્શના દેશમુખનાં ભાઈ રવિ દેશમુખે જિલ્લા બક્ષી પંચ મોરચાના પ્રમુખને માર મારીને, મારી નાખવાની આપી ધમકી
નર્મદા ભાજપમાં છેલ્લા કેટલાય સમયછી ચાલતો આંતરિક ડખો બહાર આવ્યો છે. નર્મદા કમલમ ખાતે નાંદોદ ધારાસભ્યના દર્શના દેશમુખનાં ભાઈ રવિ દેશમુખે જિલ્લા બક્ષી પંચ મોરચાના પ્રમુખ સાથે મારઝૂડ કરીને, જાનથી મારી નાખવાની આપી ધમકી હતી. ભાજપ પ્રદેશના સહ પ્રવક્તા ભરત ડાંગરની ઉપસ્થિતિમાં આ બનાવ બન્યો હોવાનુ કહેવામાં આવી રહ્યું છે. રાજપીપલા પોલીસ મથકે ધારાસભ્યનાં ભાઈ રવિ દેશમુખ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
-
અંકલેશ્વર હાંસોટ સ્ટેટ હાઇવે પર બે કાર વચ્ચે અકસ્માત
ભરૂચના અંકલેશ્વર હાંસોટ સ્ટેટ હાઇવે પર અકસ્માત સર્જાયો છે. હાંસોટના અલવા ગામ નજીક બે કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બે વ્યક્તિને ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.
-
વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન વિરુદ્ધ એટ્રોસિટી અને ચોરીની ફરિયાદ નોંધાઈ
વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન વિરુદ્ધ એટ્રોસિટી અને ચોરીની ફરિયાદ નોંધાઈ છે. પીપળીયા ગામે મહિલાના ઘરે જઈ ધમકી આપી અને એક લાખ રોકડની ચોરીની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભાજપ શાસિત જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન નિલેશ પુરાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ચેરમેન અને અન્ય 10 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
-
DPS સ્કૂલમાં બોમ્બ હોવાની ધમકી
દિલ્હીના દ્વારકા સ્થિત, દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS) ને આજે ફરીથી બોમ્બ ધમકીનો ફોન આવ્યો. સાવચેતી રૂપે, અધિકારીઓએ સ્કૂલ કેમ્પસ ખાલી કરાવી દીધો છે. દિલ્હી ફાયર સર્વિસના અધિકારીઓએ જણાવ્યું હતું કે સર્ચ ઓપરેશન માટે પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે.
-
આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર, સોમનાથમાં ઉમટી ભાવિક ભક્તોની ભીડ
શ્રાવણ મહિનાના આજે છેલ્લા સોમવારે, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે ભાવિક ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. ભોળાનાથના ભાવપૂર્વક દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી સોમનાથ પહોંચી રહ્યાં છે.
-
હરિયાણામાં યમુના નદીના જળસ્તરમાં વધારો, હથિનીકુંડના 18 દરવાજા ખોલાયા
હરિયાણાના સિંચાઈ વિભાગના કાર્યકારી ઇજનેર વિજય ગર્ગે જણાવ્યું હતું કે, “તાજેતરના વરસાદ પછી, નદીમાં 1.78 લાખ ક્યુસેક નવુ પાણી આવ્યું છે. આ સિઝનનું સૌથી વધુ જળસ્તર છે.” યમુનાનગરમાં યમુના નદીના જળસ્તરમાં સતત વધારો થવાને કારણે, હથિનીકુંડ બેરેજના તમામ 18 દરવાજા ખોલવામાં આવ્યા છે.
-
નવસારીના સોમનાથ મહાદેવ મંદિરે યોજાયેલ મેળામા ચકડોળ તૂટ્યું, મહિલાને ઈજા
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં આવેલ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે લાગેલા મેળામાં ચકડોળ તૂટી પડ્યું હતું. ચકડોળ તૂટી પડતા એક મહિલાને ઈજા થા પામી છે. ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ખાનગી હોસ્પિટલમાં મહિલાની સારવાર ચાલી રહી છે.
-
ગિરનાર પર્વત પર વરસાદને કારણે ફસાયા 150 પ્રવાસીઓ, ભારે જહેમત બાદ બધાને નીચે ઉતાર્યા
જૂનાગઢ ભારે વરસાદથી ગિરનાર પહાડ પર ફસાયેલા 150 જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું છે. ગિરનાર પહાડી પર જટાશંકર મહાદેવ મંદિરે દર્શન કરવા ગયેલા લોકો અચાનક વરસાદ આવતા પાણીના તેજ પ્રવાહ વચ્ચે ફસાયા. ઓરેન્જ એલર્ટ હોવા છતાં તંત્ર એ કોઈ સાવચેતી નહીં રાખતા લોકો ફસાયા. પોલીસ અને વન વિભાગે લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા. જૂનાગઢમાં પહાડી વિસ્તારોમાં આવેલ સ્થળો પર અનેક વખત વરસાદમાં ફસાઈ જાય છે લોકો. તંત્ર ચેતવણીના બોર્ડ મૂકયા છે આમછતાં લોકો પોતાના જીવ જોખમમાં મુકી રહ્યા છે. તંત્ર એ બોર્ડ મૂકી દીધા પણ કડક રીતે પાલન ન કરાવી શક્યું તેથી વન વિભાગે લોકોને રેસ્ક્યુ કરવા પડયા. તહેવારોની રજાઓમાં દૂર દૂર થી લોકો અહીં હરવા-ફરવા અને નદીના ખળખળ વહેતા ઝરણા અને પાણીમાં નાહવા તેમજ જંગલની મોજ માણવા આવે છે.
-
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી આજે વોશિંગ્ટનમાં ડોનાલ્ડ ટ્રમ્પને મળશે
રોઇટર્સના અહેવાલ મુજબ, યુરોપિયન નેતા યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે વોશિંગ્ટનમાં ડોનાલ્ડ ટ્રમ્પને મળશે. આ બેઠકનો હેતુ ઝેલેન્સકીની સ્થિતિને મજબૂત બનાવવાનો છે કારણ કે અલાસ્કામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા બાદ યુએસ રાષ્ટ્રપતિ ઝેલેન્સકી પર સમાધાન માટે દબાણ કરી રહ્યા છે. ઝેલેન્સકી અગાઉ યુદ્ધવિરામ કરતાં શાંતિ કરારની માંગ પર મોસ્કો સાથે વધુ સંમત દેખાયા હતા. ટ્રમ્પ અને ઝેલેન્સકી સોમવાર, 18 ઓગસ્ટના રોજ મળશે.
Published On - Aug 18,2025 7:09 AM