14 જુલાઈના મહત્વના સમાચાર : સરકાર સામે આંદોલન કરતા ખેડૂત નેતા નિલેશ એરવાડિયાને પોલીસનું તેડું
આજે 14 જુલાઈને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે 14 જુલાઈને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
મહેસાણામાં હનીટ્રેપ ગેંગનો પર્દાફાશ, બિભત્સ ફોટા પાડી રૂપિયા 4.35 લાખ પડાવ્યા
મહેસાણામાં હનીટ્રેપ ગેંગનો પર્દાફાશ થયો છે. 2 આરોપીઓ ઝડપાયા છે. એન્ટીક સિક્કા અપાવવાના બહાને બોલાવી વેપારીને ફસાવ્યો. બિભત્સ ફોટા પાડી 4.35 લાખ રૂપિયાની કરી લૂંટ. મહેસાણા શહેર એ ડીવીઝન પોલીસે ગુન્હાનો ભેદ ઉકેલ્યો. ટોળકીમાં સામેલ 2 મહિલા સહિત 3 આરોપીઓ હજુ ફરાર. પોલીસે 2.25 લાખનો મુદ્દામાલ રિકવર કરી તપાસ હાથ ધરી છે.
-
સરકાર સામે આંદોલન કરતા ખેડૂત નેતા નિલેશ એરવાડિયાને પોલીસનું તેડું
મોરબીના જેતપર ખેડૂત આંદોલનથી ચર્ચામાં આવેલ નિલેશ એરવાડીયાની મુશ્કેલી વધી રહી છે. એક મહિના પહેલા જેતપર નજીક સીમમાં હિટાચી મશીન સળગાવવાના ગુનામાં નિલેશ એરવડીયાને પોલીસે નોટિસ પાઠવી છે. 16 જૂનના રોજ જેતપરની સીમમાં અજાણ્યા ઈસમોએ હિટાચી મશીનમાં તોડફોડ કરી પેટ્રોલ નાખી સળગાવી દીધાની અજાણ્યા પાંચ ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે નિલેશ એરવાડીયા એ અગાઉ વીડિયોમાં કહ્યું હતું કે “આંદોલન દરમિયાન જો કોઈ હિટાચી મશીન કે થાંભલા આવશે તો તને ઉખડી ફેંકવામાં આવશે અને 36 રૂપિયા કિલો ભંગારમાં વેચી દેવામાં આવશે”આવી ગુન્હાહિત ધમકી આપી હતી. નિલેશ એરવાડિયાના આ વીડિઓને આધારે પોલીસને ઉપરોક્ત ગુનામાં નિવેદન લેવાની જરૂરિયાત ઉભી થઈ. જે નિવેદન માટે નિલેશ એરવાડિયાને આજે હાજર રહેવા નોટિસ અપાઈ હતી. હિટાચી મશીન થાંભલાના કામ માટે નહીં પણ સબંધીના તળાવના કામ માટે ત્યાં લઈ ગયાનું ફરિયાદી ફરિયાદમાં જણાવ્યું હતું.
-
-
વડોદરામાં કાર ખાડામા પડતા, મનપાને રૂ. 8,00,940ની નુકસાનીની ભરપાઈ માટે ફટકારાઈ નોટિસ
વડોદરાના કરોડીયા-ઉંડેરા રોડ ઉપર થયેલા અકસ્માત મામલે વડોદરા મનપાને કાનૂની નોટિસ ફટકારવામાં આવી છે. રોડ ખોદકામ દરમિયાન સલામતીના પગલાં ના રાખ્યાનો આક્ષેપ કરાયો છે. ચેતવણી બોર્ડ, બેરિકેડ અને રિફ્લેક્ટર ન હોવાથી અકસ્માત સર્જાયો હોવાનો દાવો. ખાડામાં કાર પડતા કિયા સેલ્ટોસને ભારે નુકસાન થયાનો આક્ષેપ. કાર રિપેરિંગમાં રૂ. 4,00,940નો ખર્ચ થયાનો દાવો માનસિક યાતના અને અસુવિધા બદલ રૂ. 4 લાખ વળતરની માંગ કરવામાં આવી છે. કુલ રૂ. 8,00,940ની નુકસાનીની ભરપાઈ માટે મનપાને નોટિસ ફટકારવામાં આવી છે. 15 દિવસમાં વળતર નહીં ચૂકવાય તો કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર અને રોડ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને નોટિસ મોકલાઈ.
-
અમદાવાદમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીનુ થયું વિભાજન, પૂર્વ, પશ્ચિમ અને ગ્રામ્ય DEO રહેશે
અમદાવાદ શહેરને લઈને શિક્ષણ અધિકારી કચેરીનું વિભાજન બાદ સીમાંકન થયું નક્કી. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર માટેની શાળાઓની થઈ ફાળવણી. સાબરમતી નદીને કેન્દ્રમાં રાખી પૂર્વ અને પશ્ચિમ કચેરીનું વિભાજન કરવામાં આવ્યું છે. અમદાવાદના પૂર્વ વિસ્તારની કચેરીમાં 1484 શાળાઓનો સમાવેશ કરાયો છે. જ્યારે પશ્ચિમ વિસ્તારમાં 831 શાળાઓનો સમાવેશ થયો છે. બંને વિસ્તારની શાળાઓનો અલાયદો વહીવટ થશે. અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવતી તમામ શાળાઓને અમદાવાદ શહેર કચેરીમાં સમાવેશ કરાયો છે. AMC હદ બહારની તમામ શાળાઓ ગ્રામ્ય DEO હસ્તક રહેશે. રાયખડ ગર્લ્સ સ્કૂલ ખાતે બનશે પૂર્વ વિસ્તારની કચેરી.
-
કોંગ્રેસના ધારાસભ્યે પોલીસની ખોલી પોલ, SMCની ટિમ ઉપર હુમલાના કેસમાં ખોટા નામે દાખલ કરાઈ છે ફરિયાદ
વેરાવળમાં SMCની ટિમ ઉપર હુમલાના કેસમાં ખોટા નામે પોલીસ ફરિયાદ દાખલ થઈ હોવાનું કોંગ્રેસના ધારાસભ્યે ગૃહપ્રધાન હર્ષ સંધવીને જણાવ્યું છે. ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ નાયબ મુખ્યમંત્રીને કરી રજૂઆત. આઠ જુલાઈએ SMC ની રેડમાં, જે નામો સામે FIR થઈ છે તે પૈકી કેટલાકના નામો ખોટા છે. પોલીસના બાતમીદારોને અંગત અદાવત હોવાથી ખોટા નામો આપ્યા હોવાનો વિમલ ચુડાસમાએ કર્યો દાવો. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને કરી રજૂઆત. આ બાબતે સીસીટીવી ફૂટેજ સાથે મોબાઇલ સર્વેલંસ ચેક કરી કાર્યવાહી કરવા કરી માંગ. પોલીસે ખોટી રીતે 200 વ્યક્તિઓ સામે FIR કરી હોવાનો કર્યો આક્ષેપ.
-
-
લેન્ડ ગ્રેબિંગ મામલે પોલીસે હિરલબાનો જેલમાંથી લીધો કબજો
સુરજ પેલેસ મામલે પોલીસે હિરલબાનો જેલમાંથી લીધો કબજો. ગેરકાયદે કબજા મામલે હિરલબા સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ. DYSPએ જૂનાગઢ જેલમાંથી હીરલબા જાડેજાનો કબજો મેળવી તપાસ તેજ કરી. ધરપકડ કરી મેડીકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા. લેન્ડ ગ્રેબિંગ કેસમાં હિરલબાને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા.
-
કોંગ્રેસમાં હોદ્દા લઈને પાર્ટી કાર્યક્રમમાં હાજર ના રહેનારા પદાધિકારીઓને ફટકારાઈ નોટિસ
અમદાવાદમાં નિષ્ક્રિય પદાધિકારીઓને યુવા કોંગ્રેસે કારણ બતાવો નોટિસ ફટકારી છે. 30 જિલ્લા અધ્યક્ષોને કામગીરી અંગે તાત્કાલિક ખુલાસો આપવા આદેશ કરાયો છે. 26 પ્રદેશ પદાધિકારીઓ પાસેથી સ્પષ્ટીકરણ માંગતી કડક કાર્યવાહી. યૂથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રભારીની ગુજરાત મુલાકાત સમયે હોદ્દેદારો ગેરહાજર રહેતા નોટિસો અપાઈ. સંતોષકારક જવાબ નહીં મળે તો શિસ્તભંગ કાર્યવાહી થશે. હોદ્દા કરતાં સક્રિય કામગીરીને સંગઠનમાં અપાશે હવે પ્રથમ પ્રાધાન્ય. જનતાના મુદ્દાઓ પર સતત સક્રિય રહેવું અનિવાર્ય. મહેનતુ કાર્યકરોને સંગઠનમાં મોટી જવાબદારી અને તક મળશે. નિષ્ક્રિયતા હવે કોઈપણ સંજોગોમાં સહન નહીં કરવામાં આવે. યુવા કોંગ્રેસને વધુ સંઘર્ષશીલ બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો.
-
સુપ્રીમ કોર્ટે સમય રૈનાને 10 લાખનો દંડ ફટકાર્યો
સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA) થી પીડિત વ્યક્તિઓની મજાક ઉડાવવાના કેસમાં સુપ્રીમ કોર્ટે સમય રૈના પર ₹10 લાખનો દંડ ફટકાર્યો છે. કોર્ટે દંડની રકમ બે અઠવાડિયામાં જમા કરાવવાનો નિર્દેશ આપ્યો છે.
-
મહેમદાવાદના આમસરણ ગામમાં વીજપોલ પડતાં 11 વર્ષના બાળકનું કરુણ મોત
મહેમદાવાદના આમસરણ ગામમાં વીજપોલ પડતાં 11 વર્ષના બાળકનું કરુણ મોત થયું છે. ગામમાં રહેતો અજય યાદવ સ્થાનિક પ્રાથમિક શાળામાં ધોરણ-6માં અભ્યાસ કરતો હતો. આજે સવારે આશરે 10 વાગ્યે તે શાળાએ જવા માટે ઘરેથી નીકળ્યો. ઝાડની ડાળી વીજ લાઇન પર પડતાં વીજપોલ અચાનક ધરાશાયી થયો. તે સમયે પોલ તૂટી પડતા ત્યાંથી પસાર થઈ રહેલા અજય પર પડ્યો. આ ગંભીર અકસ્માતમાં અજયનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું. ઘટનાની જાણ થતાં જ મહેમદાવાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મહેમદાવાદની સરકારી હોસ્પિટલ ખસેડાયો. મહેમદાવાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
-
નકલી ફ્રુટ બીયર બનાવતી ફેક્ટરી ઉપર ત્રાટકી LCB, 1 લાખ 78 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
સુરતમાં નકલી ફ્રુટ બીયર બનાવતી ફેક્ટરી ઉપર LCB ત્રાટકી છે. કામરેજના ધાવતા ગામે ગેરકાયદેસર મેન્યુફેક્ચરીંગ યુનિટનો પર્દાફાશ કર્યો છે. અંદાજે રૂ. 1,78,110 નો મુદ્દામાલ પોલીસ અને ફૂડ વિભાગે જપ્ત કર્યો છે. ભંગારની કાચની બોટલો લાવી તેમાં ફ્લેવર-કેમિકલ અને ગેસ ભરી બ્રાન્ડેડ લેબલ લગાવી વેચાણ થતું હતું. સ્થળ પરથી મળેલો એક્સપાયરી ડેટવાળો સોડા અને એનર્જી ડ્રીન્ક્સનો મોટી માત્રામાં જથ્થો ફૂડ સેફ્ટી ઓફિસરે સ્થળ પર જ નાશ કર્યો. ગેરકાયદેસર યુનિટ ચલાવતો રાજસ્થાનનો ધનાલાલ ગુર્જર નામનો ઈસમ ઝડપાયો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નમૂના લઈ તમામ શંકાસ્પદ ફ્રુટ બીયરનો જથ્થો સીઝ કર્યો.
-
ઈગ્લેન્ડે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો
આજથી ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે શરૂ થઈ રહેલ વન ડે ક્રિકેટ મેચની પ્રથમ મેચમાં, ઈગ્લેન્ડે ટોસ જીત્યો છે. ટોસ જીતીને ઈગ્લેન્ડે પહેલા બેંટિગ કરવાનો નિર્ણય કર્યો છે.
-
સુરતમાં માતાપિતા માટે લાલબત્તી સમાન ઘટના
સુરતના વરાછા વિસ્તારમાં માતાપિતા માટે ચિંતાજનક ઘટના સામે આવી છે. ધોરણ-7માં અભ્યાસ કરતો 12 વર્ષનો વિદ્યાર્થી ભણતર અને ટ્યુશનના ભારથી કંટાળીને ઘર છોડીને ચાલ્યો ગયો હતો. વિદ્યાર્થી ટ્યુશનમાંથી નીકળ્યા બાદ સીધો મુંબઈ જતી ટ્રેનમાં બેસી ગયો હતો. ઘટનાની જાણ થતાં વરાછા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી 150થી વધુ CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. તપાસના આધારે રેલવે પોલીસની મદદથી મહારાષ્ટ્રના દહાણું રોડ રેલવે સ્ટેશન પરથી બાળકને સુરક્ષિત રીતે શોધી કાઢવામાં આવ્યો હતો. બાળક હેમખેમ મળી આવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો, જ્યારે આ ઘટના બાળકો પર વધતા અભ્યાસના દબાણ અંગે માતાપિતા માટે ચેતવણીરૂપ બની છે.
-
મહારાષ્ટ્રમાં કરોડો રૂપિયાનું દૂધ ભેળસેળ કૌભાંડ ઝડપાયું
મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લાના ભૂમ તાલુકામાં કરોડો રૂપિયાનું દૂધ ભેળસેળ કૌભાંડ સામે આવતા ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસમાં છેલ્લા છ મહિનામાં અંદાજે 2.3 કરોડ લિટર ભેળસેળયુક્ત દૂધનું વેચાણ થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. દૂધમાં ફેટનું પ્રમાણ વધારવા માટે ડિટર્જન્ટ પાવડર અને પામ ઓઈલનો ઉપયોગ કરવામાં આવતો હતો. દર 100 લિટર શુદ્ધ દૂધમાં આશરે 10 લિટર કેમિકલયુક્ત કૃત્રિમ દૂધ ભેળવવામાં આવતું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. છેલ્લા છ મહિનામાં 2,30,470 કિલો હલકી ગુણવત્તાના દૂધ પાવડરથી 23.04 લાખ લિટર કૃત્રિમ દૂધ તૈયાર કરી તેને અસલી દૂધમાં ભેળવી દેવાયું હોવાનો આરોપ છે, જેની કિંમત અંદાજે 9.21 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે. આ મામલે પોલીસે 7 આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તમામ આરોપીઓ હાલ ફરાર છે અને તેમની ધરપકડ માટે પોલીસની વિશેષ ટીમ તપાસમાં જોતરાઈ છે.
-
વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને મહત્વની આગાહી જાહેર કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં કોઈ મજબૂત હવામાન પ્રણાલી (સિસ્ટમ) સક્રિય નથી, જેના કારણે આગામી દિવસોમાં અતિભારે વરસાદની શક્યતા ઓછી છે. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. અમદાવાદ જિલ્લામાં પણ 16 જુલાઈ સુધી સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વિભાગના આંકડા મુજબ અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધી 217 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે આ સમયગાળા દરમિયાન આશરે 162 મીમી વરસાદ થવો જોઈએ હતો. જોકે લાંબા ગાળાની સરેરાશની સરખામણીએ રાજ્યમાં કુલ વરસાદ હજુ પણ સરેરાશ કરતાં અંદાજે 25 ટકા ઓછો નોંધાયો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.
-
વડોદરા:કટરથી પત્નીનું ગળું કાપી પતિએ ગળેફાંસો ખાધો
વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં આવેલી ઉમા પાર્ક સોસાયટીમાં ઘરકંકાસને કારણે ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, પતિએ પત્ની પર કટરથી ગળાના ભાગે હુમલો કર્યો હતો, જેમાં પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. હુમલા બાદ પતિએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. ગંભીર હાલતમાં પત્નીને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલુ છે. લગભગ 15 વર્ષના લગ્નજીવનનો આ કરુણ અંત બનતાં સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
-
સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
ગુજરાત હાઈકોર્ટે સિરિયલ બ્લાસ્ટ કેસમાં ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ચુકાદો આપતાં 2223 પાનાનો વિગતવાર હુકમ જાહેર કર્યો છે. હાઈકોર્ટની બેન્ચે આ હુમલો પૂર્વનિયોજિત આતંકી ષડયંત્રનો ભાગ હોવાનું નોંધ્યું છે અને દેશને ગંભીર અસર પહોંચાડવાના ઇરાદાથી આ હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે. કોર્ટે સમગ્ર તપાસને વ્યાપક, નિષ્પક્ષ અને વિશ્વસનીય ગણાવી છે. ચુકાદામાં 56 નિર્દોષ લોકોના મોત અને 240થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું નોંધવામાં આવ્યું છે. સાથે જ સિરિયલ બ્લાસ્ટ કેસમાં 38 દોષિતોને ફટકારાયેલી ફાંસીની સજાને યથાવત રાખતાં હાઈકોર્ટે આતંકવાદ સામે કડક વલણનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે.
-
દેવભૂમિ દ્વારકામાં સ્ટંટબાજો સામે પોલીસનો કડક એક્શન
દેવભૂમિ દ્વારકામાં હાઈવે પર બેફામ ગતિએ બાઈક ચલાવી જોખમી સ્ટંટ કરનારા યુવકો સામે પોલીસે લાલ આંખ કરી છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં સ્ટંટબાજોની ઓળખ કરી તેમની ચારેય બાઈક ડિટેઈન કરવામાં આવી હતી. ઓવરસ્પીડિંગ અને જાહેર માર્ગ પર જોખમી સ્ટંટબાજી બદલ મોટર વાહન અધિનિયમ હેઠળ દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા તેમજ પોતાની અને અન્ય લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જાહેર રસ્તાઓ પર સ્ટંટ ન કરવા અપીલ કરી છે.
-
મિડલ ઈસ્ટના તણાવથી કાચા તેલના ભાવમાં ઉછાળો
-
વડોદરા: ફરીવાર હિટ એન્ડ રનની ઘટનામાં 2ને ઈજા
વડોદરામાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અમિતનગરથી L&T જવાના માર્ગ નજીક બેફામ ગતિએ દોડી રહેલી કારે ટુ-વ્હીલર ચાલકને જોરદાર ટક્કર મારતા બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને ફરાર કારચાલકને શોધવા માટે આસપાસના CCTV ફૂટેજ સહિતના પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
-
મિસૂરીમાં ઐતિહાસિક પૂરથી ભારે તબાહી
અમેરિકાના મિસૂરી રાજ્યમાં એક જ દિવસમાં 12 ઈંચથી વધુ વરસાદ વરસતા ઐતિહાસિક પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ પૂરને “એક હજાર વર્ષમાં એક વખત આવતું પૂર” માનવામાં આવી રહ્યું છે. બ્લેક રિવર વિસ્તારની આસપાસ આવેલા અનેક ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જ્યારે પૂરથી ફસાયેલા 300થી વધુ કેમ્પરોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે મોટા પાયે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બચાવ અભિયાન દરમિયાન 8 બ્લેક હોક હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી, જેના કારણે તમામ કેમ્પરોને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી.
-
મોન્સૂન ટ્રફ ખસતા વરસાદમાં વિરામ, ઉકળાટમાં વધારો
ભર ચોમાસાના સમયમાં જ દેશના અનેક વિસ્તારોમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાની શક્યતા છે. આગામી સાત દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતના મોટા ભાગમાં નોંધપાત્ર વરસાદની સંભાવના નથી. મોન્સૂન ટ્રફ હિમાલયની તળેટી તરફ સરકી જતા વરસાદી પ્રવૃત્તિમાં ઘટાડો થયો છે, જેના કારણે ભેજનું પ્રમાણ વધતાં ગરમી અને ઉકળાટ વધુ અનુભવાશે. ગુજરાતમાં પણ આગામી દિવસોમાં ગરમીનું જોર વધી શકે છે, જેના કારણે લોકોને બફારાભર્યા વાતાવરણનો સામનો કરવો પડી શકે છે.
-
મેઘરાજાના વિરામથી ખેતી પર સંકટ
રાજ્યમાં મેઘરાજાએ વિરામ લેતા ખેડૂતોની ચિંતા વધી છે. ઘણા વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ખરીફ પાકની વાવણીની ગતિ ધીમી પડી છે, જ્યારે કેટલાક જિલ્લામાં હજુ સુધી 50 ટકા કરતાં પણ ઓછી વાવણી થઈ છે. હાલ રાજ્યમાં અંદાજે 39 લાખ 72 હજાર 905 હેક્ટર વિસ્તારમાં જ ખરીફ પાકનું વાવેતર નોંધાયું છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વાવેતર થયું છે, જેમાં કપાસનું વાવેતર પ્રથમ સ્થાને અને ત્યારબાદ મગફળીનું વાવેતર નોંધાયું છે. બીજી તરફ, લાંબા વિરામને કારણે કેટલાક વિસ્તારોમાં પહેલેથી વાવેલો પાક પણ સુકાવા લાગતા ખેડૂતો માટે આર્થિક નુકસાનની આશંકા વધી રહી છે.
Published On - Jul 14,2026 7:51 AM
