02 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર :રાજકોટ: જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન કાર્યવાહી પર હાઈકોર્ટે લગાવ્યો ત્રણ મહિનાનો વચગાળાનો સ્ટે
Gujarat Live Updates આજ 02 ફેબ્રુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 02 ફેબ્રુઆરીને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
પુત્રના ટેનિસ કોચ પર વિશ્વાસ મૂકવો ભારે પડ્યો
અમદાવાદમાં પુત્રના ટેનિસ કોચ પર વિશ્વાસ મૂકવો ભારે પડ્યો. ટેનિસ કોચિંગ માટે પુત્રને ઘરે લેવા માટે આવેલા કોચે દાગીના સહિત 12 લાખની ચોરી કર્યાની ઘટના સામે આવી છે. સાયન્સસીટી વિસ્તારમાં રહેતા ફરિયાદી ગૌરવ દીક્ષિતે પુત્ર માટે વૈદિક મનસોને ટેનિસ કોચ તરીકે રાખ્યા હતા. જેથી ફરિયાદીના પુત્રને લેવા તેના ઘરે આવતો અને આજ મોટી ભુલ સાબિત થઈ. એક દિવસ કોચ વૈદિકએ ઘરમાં બાથરૂમ જવાના બહાને 12 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે કોચ વૈદિકે આ દાગીના તેની પત્નીના છે અને રૂપિયાની જરૂર હોવાનું કહીને તેના મિત્રને વેચવા માટે આપ્યા હતા અને તે દાગીના વેચી 10 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયો છે. ત્યારે સોલા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે…
-
જૂનાગઢઃ મેંદરડાના TDO 80 હજારની લાંચ લેતા ઝડપાયા
જૂનાગઢઃ મેંદરડાના TDO 80 હજારની લાંચ લેતા ઝડપાયા. વર્ગ-૨ના અધિકારી તુષાર રાદડિયા લાંચ લેતા પકડાયા. એટીવીટીના કામના વર્ક ઓર્ડર અને બાકી બિલ માટે લાંચ માંગી હતી. ટીડીઓએ કુલ 1.65 લાખ રૂપિયાની માગણી કરી હતી. 80 હજાર રૂપિયા આપવા જતા એસીબીએ રંગે હાથ ઝડપ્યો. ACBએ છટકૂ ગોઠવી પંચોની હાજરીમાં ટીડીઓને ઝડપ્યો
-
-
વલસાડઃ પૂરઝડપે દોડતી બાઈકે બાળકીને લીધી અડફેટે
વલસાડઃ પૂરઝડપે દોડતી બાઈકે બાળકીને અડફેટે લીધી. વાપીના મુક્તાનંદ માર્ગ પર અકસ્માત સર્જાયો. બાળકી અચાનક દોડીને રસ્તો ક્રોસ કરતા ગંભીર અકસ્માત સર્જાયો. પૂરઝડપે આવતા બાઈકચાલકે બાળકીને ટક્કર મરી હતી. બાળકી ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાઈ હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
-
ગીર સોમનાથઃ કોડીનાર પંથકના વાતાવરણમાં પલટો
ગીર સોમનાથઃ કોડીનાર પંથકના વાતાવરણમાં પલટો આવતા અનેક ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે. સિંધાજ, અરણેજ, આનંદપુર સહિતના ગામોમાં માવઠાની સ્થિતિ છે. જેના કારણે કેરી પકવતા ખેડૂતોને નુકસાનની ભીતિ સતાવી રહી છે.
-
મહેસાણાઃ ખેરાલુ: ચૂંટણી મામલે બોર્ડ ઓફ નોમિનીઝ કોર્ટનો નિર્ણય
મહેસાણાઃ ખેરાલુ નાગરિક બેન્કની ચૂંટણી મામલે બોર્ડ ઓફ નોમિનીઝ કોર્ટે ચૂંટણી અધિકારીને ફોર્મ ચકાસણી અંગે ફરી નિર્ણય લેવા આદેશ કર્યો છે. બે ટર્મ પૂરી કરેલા ડિરેક્ટરો ફરી ચૂંટણી લડી શકે તે અંગે વિવાદ છે. ત્યારે સરકારી કર્મચારીના ચૂંટણી લડવાને લઈને પણ વિવાદ છે. જેમના સંબંધીઓની લોન બાકી હોય તેવા ઉમેદવારો અંગે પણ નિર્ણય લેવાશે. સમગ્ર મામલે 4 ફેબ્રુઆરી સુધીમાં કોર્ટમાં સોગંદનામુ રજૂ કરાશે.
-
-
ભાવનગરઃ નવનીત બાલધીયા પર થયેલ હુમલાનો કેસ
ભાવનગરઃ નવનીત બાલધીયા પર થયેલ હુમલામાં મહુવા કોર્ટે 8 આરોપીના જામીમ મંજૂર કર્યા. બગદાણા પોલીસે 8 લોકો સામે ગુનો નોંધ્યો હતો. જયરાજ આહીર સહિત 14 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.
-
અમદાવાદઃ એસપી રિંગ રોડ પર ભયાનક અકસ્માત
અમદાવાદઃ એસપી રિંગ રોડ પર ભયાનક અકસ્માત સર્જાયો. એક્ટિવા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં ATSના ASI અજીત નાંદેનું મોત થયુ છે. વાહનો અથડાતા ASI ડમ્પર નીચે પડ્યા. ડમ્પર સાથે 100 મીટર સુધી ઢસડાતા મોત થયુ છે. ટ્રાફિક પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ATSમાં MT સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા ASI અજીત નાંદેનું મોત થયુ છે. ફરજ પૂર્ણ કરી નરોડા ઘરે પરત ફરતા અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં ડમ્પર નીચે પડતાં ASIનું કરૂણ મોત થયુ છે. ડમ્પર ચાલકની કોઈ બેદરકારી સામે આવી નથી
-
મોરબી: વીજ લાઈન મુદ્દે ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાઈ
મોરબીના ખેડૂતો વીજ લાઈન મુદ્દે રેલી યોજવાના હતા જેની લેખિત રજૂઆત કરવામાં આવી હતી.. રેલી મામલે મંજૂરી મળી ગયા બાદ અચાનક મંજૂરી રદ કરવામાં આવતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે.. ત્યારે પાલ આંબલિયાએ પણ તંત્ર પર આકરા પ્રહાર કરીને ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારતા રાજકારણ ગરમાયું છે..
-
જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન કાર્યવાહી પર લાગી રોક
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન કાર્યવાહી પર હાઈકોર્ટે ત્રણ મહિનાનો વચગાળાનો સ્ટે આપ્યો છે. આ નિર્ણયથી 1358 પરિવારોને મોટી રાહત મળી છે. હાઈકોર્ટે GRT ને અપીલ પર ત્રણ મહિનામાં નિર્ણય લેવા અને અરજદારોના પુનર્વસન માટે વિચારણા કરવા નિર્દેશ આપ્યો છે. હાઈકોર્ટના આ નિર્ણયથી સ્થાનિકોમાં સ્થાનિકોમાં આનંદનો માહોલ છે અને તેઓ સરકાર પાસે વિસ્તારને નિયમિત કરવાની માંગ કરી રહ્યા છે.
-
રાહુલ ગાંધીએ સંસદમાં ઉઠાવ્યો ડોકલામનો મુદ્દો, મચી ગયો હોબાળો, રાજનાથ સિંહે કહ્યું- જેના આધારે વાતો કરે છે એ પુસ્તક જ નથી
રાહુલ ગાંધીએ આજે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચા નો પ્રારંભ કર્યો હતો. પોતાના સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ સંસદમાં ડોકલામનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેના કારણે સંસદ ગૃહમાં ભારે હોબાળો મચી ગયો હતો. રાહુલ ગાંધીએ એક પુસ્તકનો ઉલ્લેખ કરીને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. રાજનાથસિંહે ગૃહમાં જણાવ્યું કે રાહુલ જે પુસ્તક પર આરોપ લગાવી રહ્યા છે તે પ્રકાશિત પણ થયું નથી.
-
સ્પાની આડમાં ચાલતા અનૈતિક દેહ વ્યાપાર પર દરોડા બાદ લાયસન્સ રદ કરી દેવાયા
ભાવનગર શહેરમાં સ્પાની આડમાં ચાલતા અનૈતિક દેહ વ્યાપાર ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાવનગર પોલીસએ ત્રણ માસ પહેલા દરોડા પાડી સંચાલકો અને માલિકો વિરુદ્ધ કરી હતી કાર્યવાહી. ચાર સ્પાના લાયસન્સ રદ્દ કરવામાં આવ્યા છે છે. નીલમબાગ પોલીસના રિપોર્ટના આધારે મ.ન.પા એ કરી લાયસન્સ રદ્દ કરવાની કાર્યવાહી. સીટી સ્પા, ઓસીયન, આઇકોનીક, આવેડા નામના ચાર સ્પાના લાઇસન્સ રદ્દ કરવામાં આવ્યા છે. નીલમબાગ પોલીસ દ્વારા ત્રણેય સ્પાના લાયસન્સ રદ્દ કરવા કર્યો હતો રિપોર્ટ જેને લઈ કાર્યવાહી કરવામાં આવી છે.
-
ગુજરાતમાંથી વાહનો ચોરીને મધ્યપ્રદેશ રાજસ્થાનમાં વેચી મારતા બે આરોપી ઝડપાયા, 8 ગુનાનો ભેદ ઉકેલાયો
સુરતમાં ચોરીના આઠ વાહનો સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. અલગ અલગ રાજ્યોના વાહનો વેચી મારવાનું કૌભાંડ કરાતુ હોવાનું સામે આવ્યું. કાનું કામળીયા અને અંકુર વાટલિયાની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી ચોરીના આઠ વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. રૂપિયા 2.06 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આરોપીઓ વાહનો ચોરી કરીને અન્ય રાજ્યોમાં વેચી મારતા હતા. રાજસ્થાન અને મધ્યપ્રદેશથી દસ વાહનો કબ્જે કર્યા છે. વરાછાના 7 અને અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશન નો 1 ગુનો ઉકેલાયો છે. બંને આરોપીઓ ભાવનગર જિલ્લાના વતની છે. વધુ તપાસ વરાછા પોલીસે હાથ ધરી છે.
-
સુરત જિલ્લાના માંડવીમાં તુટી પડેલી પાણીંની ટાંકી મામલે તપાસ તેજ, કોન્ટ્રાક્ટરે અન્ય 13 ટાંકી પણ બાંધી હતી, તમામ ટાંકીની ટેકનિકલ તપાસ હાથ ધરાઈ
સુરત જિલ્લાના માંડવીમાં, ગુજરાત સરકારની આબરુ લેનાર પાણીંની ટાંકી તુટી પડવાની ઘટના મુદ્દે તપાસ તેજ થવા પામી છે. તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે, કોન્ટ્રાક્ટરે અન્ય 13 ટાંકી પણ બાંધી હતી, હવે આ કોન્ટ્રારક્ટરે બાંધેલી તમામ પાણીની ટાંકીની ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે આ કોન્ટ્રાક્ટરના હિસાબ કીતાબ ચકાસવા માટે ચાર્ટ્ડ એકાઉન્ટન્ટને રાખ્યાં છે. ટેકનિકલ ખામીઓની સાથે સાથે હવે આર્થિક વ્યવહારોમાં થયેલી ગેરરીતિઓને પકડવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA)ની વિશેષ નિમણૂક કરવામાં આવી છે. આ સાથે જ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ સાઉથ ઝોનમાં અન્ય 13 જેટલી ટાંકીઓનું પણ નિર્માણ કર્યું છે. જે તમામ હવે શંકાના દાયરામાં આવી ગઈ છે.
માંડવી ટાંકી કૌભાંડની તપાસ કરી રહેલી ખાસ એસઆઈટી (SIT) ટીમે હવે આર્થિક પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. CA કોન્ટ્રાક્ટ સાથે સંકળાયેલા તમામ નાણાકીય વ્યવહારો, બેંક ડિટેલ્સ અને ટેન્ડર પ્રક્રિયામાં થયેલા ખર્ચની ઝીણવટભરી તપાસ કરશે. પોલીસનું માનવું છે કે આ કૌભાંડ માત્ર નબળા બાંધકામ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેમાં મોટા પાયે નાણાકીય હેરાફેરી પણ થઈ હોઈ શકે છે. તપાસ દરમિયાન એક ચોંકાવનારી વિગત સામે આવી છે કે આ કૌભાંડના આરોપીઓએ સાઉથ ઝોન વિસ્તારમાં અન્ય 13 જેટલી પાણીની ટાંકીઓ બનાવી છે. તડકેશ્વરની ઘટના બાદ હવે આ 13 ટાંકીઓની ગુણવત્તા સામે પણ સવાલો ઉભા થયા છે. શું આ ટાંકીઓમાં પણ ભ્રષ્ટાચાર આચરીને નબળું મટીરીયલ વાપરવામાં આવ્યું છે? તે જાણવા માટે પોલીસ અને વિજિલન્સની ટીમો સક્રિય થઈ છે. આ તમામ ટાંકીઓના સેમ્પલ લઈને ટેકનિકલ તપાસ કરવામાં આવે તેવી શક્યતા છે.
-
સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીના ત્રાસથી કંટાળીને એક યુવકે કર્યો આપઘાત
અમદાવાદમાં સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીના ત્રાસથી કંટાળીને એક યુવકે આપઘાત કર્યો છે. છેલ્લા 6 મહિનાથી પાણીનું બિલ ના ભરતા મૃતક યુવાનને, આરોપીઓ હેરાન કરતા હતા. પાણીનું બિલ ભરી ન શકતા હોવ તો જીવાય જ નહીં તેમ કહી કરતા હતા હેરાન પરેશાન. ભાવેશ પટેલ નામના 42 વર્ષીય યુવકે કેનાલના ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું છે. આપઘાત પહેલા સોશિયલ મીડિયા પર વીડિયો કર્યો હતો પોસ્ટ. વીડિયોમાં આરોપીઓ સામે કર્યા હતા ગંભીર આક્ષેપ. કૃષ્ણનગર પોલીસે સંજય બાલધા અને ગિરીશ બાલધા સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
-
રાજકોટમાં કલેકટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ફરી એકવાર મળી ધમકી
રાજકોટજિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. ઇ મેઇલ મારફતે આવી હતી ધમકી. ધમકીને પગલે સ્થાનિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચ્યા. કચેરીમાં તપાસ હાથ ધરાઇ.
-
NDAના સંસદીય પક્ષની આવતીકાલે PM મોદીની અધ્યક્ષતામાં યોજાશે બેઠક
NDA સંસદીય પક્ષની બેઠક આવતીકાલે સવારે 9:30 વાગ્યે યોજાશે. PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ, BJP અધ્યક્ષ નીતિન નવીન, NDAના તમામ મંત્રીઓ અને સાંસદો હાજર રહેશે. PM મોદી NDA સંસદીય પક્ષની બેઠકને સંબોધિત કરશે.
-
કેમિકલ માફીયાઓએ કલોલ તાલુકાના વાયણા નજીક નર્મદા કેનાલમાં કેમિકલયુક્ત પાણી છોડતા ખેડૂતોમાં રોષ
ગાંધીનગરના કલોલ તાલુકાના વાયણા નજીક નર્મદા કેનાલમાં કેમિકલ માફીયાઓ ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત પાણી છોડાતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. કેનાલને જોડતા 8 જેટલા ગામની ખેતીને કેમિકલવાળા પાણીથી પાક અને જમીનને ભારે નુકસાનની ભીતી સેવાઈ રહી છે. પ્રાઇવેટ કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી ઠાલવવામાં આવતા ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. કેનાલના પાણીમાં ગેરકાયદેસર કેમિકલ ઠાલવવાથી વાયણા, ચેખલા, વિરમગામ, અમનગર, વાસણા તથા અન્ય ગામોના ખેતી વિસ્તારમાં ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. કેનાલ મારફતે ફેલાયેલા પ્રદૂષિત પાણીથી જનજીવન અને જમીનને પણ નુકસાનની ભીતિ. સ્થાનિક અસરગસ્ત ખેડૂતોએ સાતેજ પોલીસમાં પણ લેખિત ફરિયાદ આપી છે.
ખેડૂતો દ્વારા આ આ કેમિકલ ઠાલવતી કંપની સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવાની પણ માગ ઉઠાવવામાં આવી છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ(GPCB)દ્વારા ફક્ત કાગળો ઉપર નિયમો બનાવી આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા હોવા છતાંય કોઈજ નક્કર કામગીરી કરાઇ રહી નથી. ભૂતકાળમાં પણ આવી અનેક ઘટનાઓ સામે આવી છે છતાંય તંત્ર દ્વારા આંખ આડા કાન કરી આવા કેમિકલ માફીયાઓ ને છાવરી રહ્યા હોવાનું ખેડૂતો આક્ષેપ લગાવી રહ્યા છે.
-
સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગજેરાબંધુને ત્યાં IT વિભાગનુ છઠ્ઠા દિવસે સર્ચ ઓપરેશન યથાવત
સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગજેરાબંધુને ત્યાં IT વિભાગનુ છઠા દિવસે સર્ચ ઓપરેશન યથાવત રહ્યું છે. અડાજણના વધુ એક હવાલા સાથે સંકળાયેલા વ્યક્તિના ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. વિદેશમાં હવાલા રેકેટ મોટું બહાર આવાની શક્યતા રહેલી છે. 30 પૈકી પાંચ સ્થળે સર્ચની કાર્યવાહી પૂર્ણ કરાઈ છે. વિદેશના વ્યવહારો સહિતનો તાગ મેળવવા આઇટીની સર્ચ કામગીરી યથાવત રહેવા પામી છે. સર્ચ દરમિયાન 20 કરોડની રોકડ કરોડો રૂપિયાની જ્વેલરી સીઝ કરવામાં આવી. ભાગેડુ મેહુલ ચોકસીના કરોડો રૂપિયાનું પગેરું મેળવવા આઇટી ની તપાસ હાથ ધરી છે તેવી ચર્ચાઓ થઈ રહી છે. ED ની સાથે CBI પણ તપાસ થવાની શક્યતાઓ.
-
રાજકોટના ગોંડલમાં જૂની અદાવતમાં તોફાન, રિક્ષા સળગાવી પથ્થરમારો કરાયો
રાજકોટના ગોંડલમાં જૂની અદાવતમાં તોફાન, રિક્ષા સળગાવી પથ્થરમારો કરાયો. ગોંડલના આંબેડકર ચોક પાસે પાર્ક કરેલી રિક્ષા (GJ03AZ 3346) ને અજાણ્યા શખ્સે આગ ચાંપી. આગ બાદ તોફાની તત્વોએ પથ્થરમારો કરી ગાળાગાળી કરતા બજારો ટપોટપ બંધ થઈ ગયા હતા. ફાયર બ્રિગેડે આગ બુઝાવી, જ્યારે કડિયા લાઈન વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સ્થાનિકોનો આરોપ છે કે સાંજે એક યુવકનું અપહરણ થયું હોવા છતાં પોલીસે ફરિયાદ નોંધી ન હતી, જેના કારણે મામલો બિચક્યો હતો. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ કરી રહી છે.
-
MCX પર સિલ્વર મિની ફેબ્રુઆરી મહિનાના ફ્યુચર્સ કોન્ટ્રેક્ટમાં 10% નીચી સર્કિટ લાગી
MCX પર સિલ્વર મિની ફેબ્રુઆરી મહિનાના ફ્યુચર્સ કોન્ટ્રેક્ટમાં 10% નીચી સર્કિટ લાગી છે. એક પણ ખરીદનાર નથી. બધા વેચાઈ રહ્યા છે.

-
સોવરેન ગોલ્ડ બોન્ડ ના ભાવમાં 10% સુધીનો ઘટાડો
SGB (સોવરેન ગોલ્ડ બોન્ડ) ના ભાવમાં 10% સુધીનો ઘટાડો થયો છે. 2028 થી 2031 શ્રેણીમાં SGB ખરીદવાની શ્રેષ્ઠ તક રહેલી છે.

-
આજે નિફ્ટીની સંભવિત દિશા – ઘટાડો રહેવાની ધારણા
નિફટીમાં આજે ઘટાડો રહેવાની ધારણા છે. આજે કેમ નિફટી નીચે રહેશે તેના માટે જાણો.

-
અમદાવાદ મહેસાણા હાઈવે કલોલ અંબિકા પાસે અકસ્માતની ઘટના
અમદાવાદ મહેસાણા હાઈવે કલોલ અંબિકા પાસે અકસ્માતની ઘટના બની છે. મરઘા ભરેલી પિક વાન આગળ જતાં આઇશરમાં ઘૂસી જતા સર્જાયો અકસ્માત. અંબિકા હાઈવે બસ સ્ટેન્ડ આગળ આઇશર ચાલકને અંધારાના કારણે સ્પીડ બ્રેકર ના દેખાતા અચાનક બ્રેક મારતા પાછળ આવતી પિક વાન ઘૂસી જતા સર્જાયો અકસ્માત. અક્સ્માતમાં પિક અપ વાન ચાલકને પહોંચી ઇજાઓ. અમદાવાદ મહેસાણા હાઈવે ઉપર વધતા અકસ્માત ખુબજ ચિંતાનો વિષય. GRICL કપનીની રોડ સેફ્ટી અંગેની ગંભીર બેદરકારીને લીધે રોજ વધી રહ્યા છે અકસ્માત. માર્ગ મકાન વિભાગના અધિકારીઓ રોડની સ્થિતિ અંગે જાણકારી હોવા છતાંય ભેદી મોન ધરી બેઠા છે. GRICL અને માર્ગ મકાન વિભાગની લાલિયાવાડીથી રોજ નિર્દોષ લોકો અકસ્માત નો ભોગ બની રહ્યા છે.
-
કાશ્મીરમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.6 ની તીવ્રતા
જમ્મુ અને કાશ્મીરમાં આજે વહેલી સવારે 4.6 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ કાશ્મીરના હાંજીવેરાથી 5 કિલોમીટર દૂર નોંધાયું હતું.
Published On - Feb 02,2026 7:23 AM