Gujarat: ચિત્ર-સંગીત વિષય નિષ્ણાંતો માટે સારા સમાચાર, શિક્ષકોની માનદ વેતનથી પ્રાથમિક શાળાઓમાં અપાશે નિમણૂંક
રાજ્યમાં ચિત્ર અને સંગીત શિક્ષકોને હવે અંશકાલીન નિમણૂંક આપવામાં આવી છે. જિલ્લા અને શહેરની પગાર કેન્દ્ર શાળાઓમાં માનદ વેતનથી શિક્ષકોને નિમણૂંક આપવામાં આવી છે.
![Gujarat: ચિત્ર-સંગીત વિષય નિષ્ણાંતો માટે સારા સમાચાર, શિક્ષકોની માનદ વેતનથી પ્રાથમિક શાળાઓમાં અપાશે નિમણૂંક](https://images.tv9gujarati.com/wp-content/uploads/2023/08/Good-news-for-art-and-music-experts.jpg?w=1280)
રાજ્યમાં ચિત્ર અને સંગીત શિક્ષકોને હવે અંશકાલીન નિમણૂંક આપવામાં આવી છે. જિલ્લા અને શહેરની પગાર કેન્દ્ર શાળાઓમાં માનદ વેતનથી શિક્ષકોને નિમણૂંક આપવામાં આવી છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આ અંગેનો નિર્ણય કરતા રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષણાધીકારીઓ અને શાસનાધિકારીઓને પરિપત્ર કરીને જાણ કરવામાં આવી છે. હવે પે-સેન્ટરો ખાતે અંશકાલીન ચિત્ર અને સંગીત શિક્ષકો માનદ વેતનથી ફરજ બજાવશે અને શિક્ષણકાર્ય ચલાવશે.
શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં તમામ વિષયોમાં વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહે એ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેને લઈ હાલમાં રાજ્યની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ચિત્ર અને સંગીતના વિષયોનુ જ્ઞાન અને શિક્ષણ મળી રહે એ માટે માનદ વેતનથી હાલમાં શિક્ષકોનૂ નિમણૂંક આપવામાં આવનાર છે. જેનાથી પ્રાથમિક શિક્ષણમાં વિષય નિષ્ણાંત શિક્ષકો હંગામી ધોરણે મળી રહેશે. આ નિમણૂંક આગામી 31 માર્ચ સુધીની રહેશે.
માસિક 9000 મહેનતાણુ મળશે!
પ્રાથમિક શાળાઓમાં અંશકાલીન ચિત્ર-સંગીત શિક્ષકોની નિમણૂંક પગાર કેન્દ્ર શાળા કક્ષાએ કરવામાં આવશે. આ માટે જાહેરાત આપવાને બદલે કે નિમણૂંક પત્ર આપવાને બદલે સીધુ જ નોટીસ બોર્ડ પર વિગતો દર્શાવીને નિમણૂંક આપવાની રહેશે. આ માટે 18 વર્ષ થી 38 વર્ષની વયના સંગીત અને ચિત્ર વિશારદ લાયકાત ધરાવતા ઉમેદવારોને નિમણૂંક આપી શકાશે. નિમણૂંક માટે પ્રાથમિકતા શાળા વિસ્તારના તાલુકાના ઉમેદવારને આપવાની રહેશે.
આ માટે ચિંત્ર અને સંગીત શિક્ષકોને માનદ ઉચ્ચક વેતન તરીકે પ્રતિ તાસ દીઠ 50 રુપિયા લેખે વેતન ચૂકવણી કરવામાં આવશે. વધુમાં વધુ 9 હજાર રુપિયા સુધીનુ મહેનતાણુ આપવાનુ રહેશે. આ શિક્ષકો ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ એટલે કે ધોરણ 6 થી 8માં તાસ લેશે. આ માટે જરુરિયાત મુજબ શિક્ષકોની નિમણૂંક કરવાની હેશે અને તેની સત્તા પગાર કેન્દ્ર શાળાના આચાર્ય અને ફાળવેલ શાળાના આચાર્યે કામગીરી કરવાની રહેશે.
સૌથી વધારે વિદ્યાર્થીઓ ધરાવતી શાળામાં નિમણૂંક કરવામાં આવશે. રાજ્યના સંયુક્ત શિક્ષણ નિયામકે કરેલા પત્ર મુજબ જે શાળામાં વધારે વિદ્યાર્થીઓ ધરાવતા હોય એવી શાળાઓમાં અંશકાલીન શિક્ષકોની ભરતી કરવામાં આવનાર છે. આ અંગે સતત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારી દ્વારા નજર રાખવામા આવશે.