અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો વિધિવત પ્રારંભ, અંબાજીના પ્રવેશદ્વાર પાસે માતાજીનો રથ ખેંચી કરાયુ પ્રસ્થાન- Video
યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજથી વિધિવત પ્રારંભ થયો છે. ત્યારે માતાજીની પ્રતિમા સમક્ષ દીપ પ્રગટાવી મેળાનો શુભારંભ કરવામાં આવ્યો છે. એ પહેલા મંદિરમાં સવારે મંગળા આરતી કરાઈ હતી અને પ્રથમ દિવસે જ હજારો ભાવિ ભક્તો મા ના દર્શનના સહભાગી થવા પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં માઈભક્તોએ મંગળા આરતીનો લાભ લીધો હતો.

અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મહામેળાનો શુભારંભ થઈ ગયો છે ત્યારે લાખો ભાવિકો અહીં પદયાત્રા કરીને પહોંચી રહ્યા છે. આજે સવારે અંબાજીના પ્રવેશદ્વાર પાસે માતાજીનો રથ ખેંચી પૂનમના 7 દિવસ સુધી ચાલનારા મેળાનો પ્રારંભ કરાયો છે. માતાજીની પ્રતિમા સમક્ષ દીપ પ્રગટાવી મેળાનો વિધિવત આરંભ થયો છે. મેળાના પહેલા દિવસે જ યાત્રિકોનો ધસારો જોવા મળી રહ્યો છે. અંબાજીમાં સવારે 6 કલાકે મંગળા આરતી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં માઈભક્તોએ મંગળા આરતીનો લાભ લીધો હતો.
મા અંબા પ્રત્યે કેટલી અતૂટ શ્રદ્ધા રહેલી છે તે આ ભક્તોની ભીડ જ બતાવી રહી છે. પાંચ પાંચ દિવસ સુધી સતત પદયાત્રા કરીને લોકો અંબાજી પહોંચી રહ્યા છે અને મા ના ચરણોમાં શિશ નમાવી રહ્યા છે. આ ભાવિકો સ્પષ્ટપણે માને છે કે માની કૃપા હોય અને મા નો આદેશ હોય તો જ આ પ્રકારે પદયાત્રા કરીને પહોંચી શકાય છે. માતાજી પ્રત્યેની શ્રદ્ધા એવી અડગ છે કે તેમને રસ્તામાં કોઈપણ મુશ્કેલી નડતી નથી અને બોલ માડી અંબે.. જય-જય અંબેના જયઘોષ સાથે તેમના ડગ આગળ ધપાવી રહ્યા છે.
અમદાવાદથી નીકળેલા સોનલબેન પટેલ માથા પર ગરબો લઈને જઈ પદયાત્રા કરી રહ્યા છે. ગરબામાં અખંડ જ્યોત પ્રજવલિત છે અને તેઓ તેમની શ્રદ્ધા સાથે આગળ લધી રહ્યા છે. આવા અનેક ભક્તોનું ઘોડાપૂર અમદાવાદથી અંબાજી જતા માર્ગ પર જોવા મળી રહ્યુ છે. મા અંબાના જયઘોષ સાથે લાખો ભાવિકો અરવલ્લીની ગીરીમાળામાંથી પસાર થઈને અંબાજી તરફ આગળ વધી રહ્યા છે. આ ભક્તિમય યાત્રામાં ગાંધીનગરથી એક મહિલા અધિકારી સોનલ બહેન પટેલ પણ માથા પર ગરબો મુકી પદયાત્રા પર નીકળી પડ્યા છે. તેમનુ કહેવુ છે કે પાંચ દિવસ તેઓ જાણે માતાજી માટે જ જીવી રહ્યા હોય તેવી અનુભૂતિ થઈ રહી છે.
પગપાળા ચાલતા આ તમામ યાત્રિકોના ચહેરા પર થાક નહીં પરંતુ એક અલગ જ પ્રકારનુ જોમ અને માના દર્શનની આતુરતા જોવા મળી રહી છે. આખા માર્ગ પર બોલ માડી અંબેનો જયઘોષ સાંભળવા મળી રહી છે. સનાતન સંસ્કૃતિની આ જ સુંદરતા છે અને શ્રદ્ધાના જોરે ભક્તો જોજનોનું અંતર કાપી નાખે છે અને જીવનમાં ગમે તેવી સમસ્યાઓ આવે માતાજી પ્રત્યેની આ અતૂટ શ્રદ્ધા જ તેમને તૂટવા નથી દેતી અને હિંમત આપે છે.
Input Credit- Atul Trivedi- Banaskantha
