સ્ટેટ GST વિભાગે બોગસ બીલિંગ કેસના મુખ્ય આરોપી મોહંમ્મદ ટાટાને ઝડપી લીધો, અંદાજે 140 કરોડ રૂપિયાનું હતુ કૌભાંડ
મૂળ ભાવનગરનો (Bhavnagar) મહોમ્મદ ટાટા 140 કરોડ રૂપિયાની ટેક્સ ચોરીના કેસમાં લાંબા સમયથી ફરાર હતા.. આરોપી ગરીબ વર્ગના લોકો પાસેથી ડોક્યુમેન્ટ મેળવીને બોગસ બીલ બનાવતો હતો..
જીએસટીની (GST) અમલવારી બાદ રાજ્યમાં બોગસ બીલિંગથી ખોટી વેરાશાખ કૌભાંડની માત્રામાં વધારો થઈ રહ્યો છે. બોગસ બીલિંગ કૌભાંડના (Bogus billing scam) માસ્ટરમાઈન્ડ અને ઘણા સમયથી નાસતા ફરતા મોહંમ્મદ ટાટાની અમદાવાદથી (Ahmedabad) જીએસટી વિભાગે ધરપકડ કરી છે. મૂળ ભાવનગરનો (Bhavnagar) મોહંમ્મદ ટાટા 140 કરોડ રૂપિયાની ટેક્સ ચોરીના કેસમાં લાંબા સમયથી ફરાર હતો. મોહંમ્મદ ટાટાએ 739.29 કરોડના બોગસ બીલ બનાવી 134.98 કરોડની વેરાશાખ મેળવી હતી. જીએસટી વિભાગે કુલ 60 કરોડથી વધુની વેરાશાખ રીકવર કરી છે.
નાણાંકીય પ્રલોભન આપી ગરીબો પાસેથી દસ્તાવેજ મેળવ્યા
સ્ટેટ જી.એસ.ટી. વિભાગ દ્વારા જૂન-2021 દરમિયાન મોબાઇલ સ્કવોર્ડ દ્વારા 2 વાહન જપ્ત કરવામાં આવ્યો છે. બંન્ને વાહનોમાં લઇ જવાઇ રહેલો સામાન જે પેઢીઓનો દર્શાવવામાં આવ્યો હતો તે પ્રાથમિક ચકાસણીમાં બોગસ હોવાનું જાણવા મળ્યુ હતુ. વિગતોના આધારે સમગ્ર કેસ ડેવલપ કરવામાં આવ્યો અને જુલાઈ મહિનામાં અને તે બાદ ભાવનગર તેમજ સંલગ્ન સ્થળોએ એસ.જી.એસ.ટી. વિભાગે દરોડા પાડ્યા હતા. જેમાં અમદાવાદ ખાતેના એક રહેણાંકના સ્થળે ખુબ મોટા પ્રમાણમાં ડિજિટલ ડેટા મળી આવેલા. આ ડિજિટલ ડેટાની ચકાસણી દરમિયાન બોગસ બિલિંગ કરનાર ઇસમો અને તેમની પાસેથી બોગસ બિલો મેળવનાર પેઢીઓ/કંપનીઓની મોટા પ્રમાણમાં નાણાકીય વ્યવહારો અને તેને સંલગ્ન વિગતો મળી આવી હતી. જેમાં આ કૌભાંડનો માસ્ટરમાઈન્ડ મોહંમ્મદ અબ્બાસ શબ્બીર અલી સવજાણી ઉર્ફે મોહંમ્મદ ટાટા હોવાનું ધ્યાને આવેલુ.
મોહંમ્મદ ટાટા તથા અન્ય સહષડયંત્રકારો દ્વારા જરૂરીયાતમંદ વ્યક્તિઓને નાણાંકીય પ્રલોભન આપી તેમના ડોકયુમેન્ટ્સનો દુરુપયોગ કરીને જુદી-જુદી અલગ પેઢીઓના નામે રજીસ્ટ્રેશન નંબર મેળવીને, માલની ભૌતિક હેર-ફેર વિના માત્ર બીલો ઈસ્યુ કરવામાં આવતા. તેની ખોટી વેરાશાખ પાસ-ઓન કરીને કે વેરો ભરવાનુ ટાળીને બોગસ બીલીંગનું કૌભાંડ આચરવામાં આવતું. આ ઉપરાંત આરોપીએ અન્યો સાથે મળી જે તે ઉભી કરેલી બોગસ પેઢીઓના બેન્ક ખાતાઓમાં જમાં થતા નાણાં અન્ય ખાતાઓ કે અન્ય બેંકના ખાતાઓમાં ચેનલાઇઝ કરી રોકડમાં નાણાં ઉપાડતા હતા અને ઉપાડેલા રોકડ નાણા સીધે સીધા બેનીફીશીયરી વેપારીઓને કે તેમના માલતીયાઓને આપતા કે આંગડિયા મારફતે મોકલી આપતા હોવાનું સામે આવ્યું છે.
રૂપિયા 134.98 કરોડનું પકડાયું કૌભાંડ
મોહંમ્મદ ટાટા માત્ર 10 ધોરણ જ ભણેલો છે પરંતુ 140 કરોડ રૂપિયાનું જીએસટી કૌભાંડ તેના દ્વારા આચરવામાં આવ્યું છે. જીએસટી વિભાગે આ કેસમાં જ અત્યાર સુધી 10 આરોપીઓની ધરપકડ કરી ચુકી છે અને મોહંમ્મદ ટાટા સાથે સંકળાયેલ અન્ય મદદગારો સુધી પણ સ્ટેટ જીએસટીની ટીમ પહોંચી રહી છે. મોહંમ્મદ ટાટા અને તેના મળતિયાઓની કંપનીઓ સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા 1639 લોકો સામે તપાસ ચાલુ છે અને જીએસટી વિભાગેએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ તમામ સુધી પહોંચશે. આરોપીને ઝડપવા માટે 3 ડેપ્યુટી કક્ષાના અધિકારીની ટીમ અને 6 આસિસ્ટન્ટ કક્ષાના અધિકારીની ટીમ કામે લાગી હતી.