PSM100: પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં ભાગ લેનારા મહેમાનો માટે અમદાવાદની હોટેલોમાં બૂકિંગ ફુલ
PSM100: પ્રમુખસ્વામી મહારાજના 100માં વર્ષને લઈને સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં ન મનાવાયો હોય તેવો સૌથી મોટો શતાબ્દી મહોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. આ મહોત્સવમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ દુબઈના પ્રિન્સ સહિત દેશ અને વિદેશના વિવિધ મહેમાનો હાજર રહેવાના છે.
15 ડીસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી શહેરના સરદાર પટેલ રીંગ રોડ ઉપર ઓગણજ સર્કલ પાસે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનુ આયોજન કરવામા આવ્યુ છે. 14 ડિસેમ્બરે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શતાબ્દી મહોત્સવની શરૂઆત કરાવવાના છે. જે શતાબ્દી મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિવિધ દેશના પ્રતિનિધિઓ પણ હાજર રહેવાના છે. જેને લઇને અમદાવાદ શહેરમાં શતાબ્દી મહોત્સવ સ્થળ પર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. તો મહેમાનોને લઈને અમદાવાદમાં હોટલો ફૂલ થઈ ચૂકી છે. જેના કારણે મહેમાનો માટે મકાનો પણ બુક કરવાયા છે.
વડાપ્રધાન સહિતના મહેમાનો રહેશે હાજર
પ્રમુખસ્વામી મહારાજના 100માં વર્ષને લઈને સંસ્થા દ્વારા અત્યાર સુધીના ન મનાવાયો હોય તેવો સૌથી મોટો શતાબ્દી મહોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. 600 એકરમાં મનાવવામાં આવી રહેલા મહોત્સવમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ દુબઈના પ્રિન્સ સહિત દેશ અને વિદેશના વિવિધ મહેમાનો હાજર રહેવાના છે. જેને જોતા તૈયારીઓમાં કોઈ ચૂક ના રહી જાય તેના પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
તેમાં પણ દેશ વિદેશથી લોકો આવવાના હોઈ સ્વાભાવિક છે કે તેમના રહેવાની સગળતા પર પણ ધ્યાન આપવામાં આવ્યું હોય. મળતી માહિતી પ્રમાણે શતાબ્દી મહોત્સવને લઈને અમદાવાદ શહેર અને તેની આસપાસ આવેલ સામાન્યથી લઈને 5 સ્ટાર હોટેલ ફૂલ ચાલી રહી છે. કેમ કે મહોત્સવના મહિનાઓ પહેલા સંતો મહંતો અને મહેમાનો માટે હોટેલ બુક કરાવી દીધી છે. સાથે જ મહોત્સવ સ્થળ આસપાસ લોકોના મકાનો પણ ભાડે રખાયા છે. તો સાથે જ 1 હજાર જેટલા આવાસના મકાનો પણ તંત્ર દ્વારા સંસ્થાને ફળવાયા છે.
શતાબ્દી મહોત્સવને લઇને બૂકિંગ ફુલ
અમદાવાદ શહેરમાં અંદાજે નાની મોટી થઈને 2 હજાર જેટલી હોટેલો આવેલી છે. જેમાં 5 સ્ટાર 20 જેટલી હોટેલ, 4 સ્ટાર 6 જેટલી હોટેલ, 3 સ્ટાર 30 જેટલી હોટેલ, બાકી અન્ય હોટેલ આવેલી છે. જેમાં બ્રાન્ડેડ હોટેલ હાલ શતાબ્દી મહોત્સવને લઈને ફૂલ થઈ ગઈ છે. જેના કારણે મહેમાનોને અગવડતા ન પડે માટે શહેરમાં 1 હજાર આવાસના મકાનો સ્વયંસેવકો સહિત 10 હજાર ફ્લેટ મકાનો પણ બુક કરાવાયા છે.
એટલું જ નહીં પણ કોરોના બાદ હોટેલ ઇન્ડસ્ટ્રીમાં 20 ટકા ભાડું વધારો પણ નોંધાયો છે. જોકે તેમ છતાં લોકો તેનો લાભ લઇ રહ્યા છે. તો હોટેલ અને રેસ્ટોરન્ટના પ્રમુખની વાત માનીએ તો શતાબ્દી મહોત્સવ સ્થળની આસપાસ 10 કિલો મીટરમાં બ્રાન્ડેડ હોટેલો હાલ ફૂલ થઈ ચૂકી છે.
શતાબ્દી મહોત્સવ ખૂબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે અને માટે જ તે પ્રકારની તૈયારીઓ પણ કરાઈ છે. જેથી શતાબ્દી મહોત્સવમાં આવનાર કોઈ પણ મહેમાનને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે. ત્યારે તમામ લોકો એ જ ઇચ્છી રહ્યા છે કે આ ભવ્ય શતાબ્દી મહોત્સવ વગર વિઘ્ને પાર પડી જાય.