AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jagannath Rath Yatra 2025 LIVE : આનંદ ઉલ્લાસ સાથે સંપન્ન થઈ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2025 | 10:19 PM

આજે અષાઢી બીજનો અવસર એટલે નાથની નગરચર્યાનો દિવસ.ભગવાન જગન્નાથ આજે ભક્તોને દર્શન દેવા માટે નગરચર્ચાએ નીકળવાના છે ત્યારે ભાવિ ભક્તો પણ પ્રભુને આવકારવા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

Jagannath Rath Yatra 2025 LIVE : આનંદ ઉલ્લાસ સાથે સંપન્ન થઈ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા

ભગવાન જગન્નાથજીની આજે 148મીં રથયાત્રા નીકળવાની છે. જગતના નાથ તેમના ભક્તોને દર્શન દેવા માટે સામે ચાલીને નગરચર્યાએ નીકળવાના છે ત્યારે વ્હાલાના વધામણા કરવા માટે તમામ નગરજનોનો ઉત્સાહ ક્યાંય સમાતો નથી. ભગવાન જગન્નાથનું સ્વાગત કરવા માટે નગરજનોમાં અનેરો થનગનાટ છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી આજે નગરચર્યાએ નીકળવાના છે. આ દરમિયાન અમદાવાદના અનેક માર્ગો પરથી આ રથયાત્રા નીકળવાની છે. રથયાત્રાને લઈને સુરક્ષામાં પણ કોઈ ચૂક ન રહી જાય તેના માટે પૂરતી તકેદારી રખાઈ છે. આ વખતેની રથયાત્રામાં ખાસ બાબત એ છે તે AI ટેકનોલોજીથી સજ્જ Drone દ્વારા સમગ્ર રથાયાત્રાનું મોનિટરીંગ કરવામાં આવી રહ્યુ છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 27 Jun 2025 08:29 PM (IST)

    Jagannath Rath Yatra 2025 : ત્રણેય રથ માણેક ચોકથી પસાર થયા

    પ્રથમ રથ માણેકચોક પહોચ્યો છે. દર વર્ષ કરતા આ વર્ષે એક કલાક મોડી ચાલી રહી છે રથયાત્રા. નિશાન ડંકા મંદિરે પરત ફર્યા છે.

  • 27 Jun 2025 08:16 PM (IST)

    Jagannath Rath Yatra 2025 : ધીકાંટા વિસ્તારમાં પહોંચ્યા રથ, નિયત સમય કરતા યાત્રા મોડી

    ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભ્રાતા બલરામના રથ કોટ વિસ્તારના ધીકાંટામાં પહોચ્યા છે. આ વર્ષે રથયાત્રાના દર્શન કરવા માટે  માનવ મહેરામણ ઉમટ્યુ છે. જેના કારણે રથયાત્રા તેના નિયત સમય કરતા મોડી દોડી રહી છે.

  • 27 Jun 2025 06:59 PM (IST)

    ત્રણેય રથ દિલ્લી ચકલા પાસેથી પસાર થયા

    ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન ત્રણેય રથ, દિલ્હી ચકલા વિસ્તારમાંથી પસાર થઈ ગયા છે. ત્રણેય રથ ધીમે ધીમે પરંપરાગત માર્ગે આગળ વધી રહ્યાં છે.

  • 27 Jun 2025 06:22 PM (IST)

    Jagannath Rath Yatra 2025 : દરિયાપુર તંબુચોકી પાસેથી ત્રણેય રથ પસાર

    સરસપુરથી નિજ મંદિરે પરત ફરી રહેલ રથયાત્રામાં સામેલ ટ્ર્ક, અખાડા, ભજન મંડળી વગેરે દરિયાપુર, દિલ્હી ચકલા, શાહપુરથી પસાર થઈને પરત થઈ રહ્યા છે. જ્યારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભ્રાતા બલરામના રથ, દરિયાપુર તંબુચોકી ખાતેથી પસાર થઈને દિલ્હી ચકલા તરફ આગળ વધ્યા છે.

  • 27 Jun 2025 04:59 PM (IST)

    Jagannath Rath Yatra 2025 : નિજમંદિરે પરત ફરતા પહેલો રથ કાલુપુર બ્રિજ પહોંચ્યો

    મોસાળ સરસપુરથી નિજ મંદિરે પરત ફરતી રથયાત્રામાં પહેલો રથ કાલુપુર બ્રિજ પહોંચ્યો છે. હવે પ્રેમ દરવાજા, તંબુચોકી, દરિયાપુર, દિલ્હી ચકલા, શાહપુર દરવાજા, રંગીલા પોલીસ ચોકી, રેટિંયાવાડી, ધીકાંટા, પાનકોરનાકા, જુમ્મા મસ્જિદ, ચાંલ્લા ઓળ, માણેકચોક, દાણીપીઠ થઈને પરત મ્યુ. કોર્પોરેશન, જમાલપુર થઈને મંદિર પરત પહોચશે.

  • 27 Jun 2025 04:39 PM (IST)

    Jagannath Rath Yatra 2025 : ગજરાજ શાહપુર દરવાજા પહોચ્યા

    ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા ધીમે ધીમે નિજમંદિર તરફ પ્રયાણ કરી રહી છે. રથયાત્રાના પ્રારંભે રહેલા ગજરાજ, આ સમાચાર લખાય છે તે સમયે, શાહપુર દરવાજા ખાતે પહોંચી ચૂક્યા છે.

  • 27 Jun 2025 04:13 PM (IST)

    ભરૂચ જિલ્લામાં પણ બહાર આવેલા મનરેગા કૌભાંડમાં હીરા જોટવાના પુત્ર દિગ્વિજયની કરાઈ ધરપકડ

    ભરૂચ જિલ્લામાં પણ બહાર આવેલા મનરેગા કૌભાંડમાં ત્રીજી વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. હીરા જોટવાના પુત્ર દિગ્વિજય જોટવાની પોલીસે ધરપકડ કરી છે. દિગ્વિજયને લઈ પોલીસ ભરૂચ આવવા રવાના છે. ગઇકાલે હીરા જોટવા અને ક્લાર્ક રાજેશ ટેલરની ધરપકડ કરાઈ હતી.

  • 27 Jun 2025 04:00 PM (IST)

    સુરત રેલવે સ્ટેશનેથી નીકળી રથયાત્રા, ઈસ્કોન આયોજીત ભગવાન જગન્નાથની રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

    સુરતમાં અષાઢી બીજને લઈને સુરતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી. સુરત રેલવે સ્ટેશન ખાતેથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી. સુરતના મેયર દક્ષેશ માવાણીના હસ્તે પહીન્દ વિધિ કરવામાં આવી હતી. ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ રથયાત્રામાં જોડાયા છે.

  • 27 Jun 2025 03:58 PM (IST)

    પોરબંદરના દરિયામાં તોફાની મોજામાં તણાઈ જવાથી એક યુવકનુ મોત

    પોરબંદરના સમુદ્રના તોફાની મોજામા એક યુવકનું તણાઈ જવાથી મોત થયું છે. પોરબંદરના ખાપટ વિસ્તારના ચાર જેટલા યુવકો તોફાની સમુદ્રમાં નાહવા માટે પડ્યા હતા. ઉંચા મોજાના કારણે અશોક કાના ભોગેસરા નામના 30 વર્ષીય યુવક તોફાની મોજામાં ડૂબી ગયો હતો. સાથે નાહવા ગયેલ અન્ય ત્રણેય યુવાનોએ જીવ બચાવવા કોશિશ કરી પરંતુ અશોકનું ઘટના મોત થયું હતું. સાથી મિત્રો અને આસપાસના લોકોએ 108ની મદદ માંગી પરંતુ પાણીમાં ગયેલ અશોક કાના ભોગસર મૃત્યુ પામ્યો હતો. થોડા દિવસ પહેલા પણ અન્ય એક યુવક તોફાની મોજામાં તણાઈ ને મોતને ભેટ્યો હતો. ત્યાં આજે વધુ એક યુવકનું તોફાની મોજામાં ડૂબી જવાથી મોત થયું છે.

  • 27 Jun 2025 03:38 PM (IST)

    શહેરના સંવેદનશીલ વિસ્તારમાં રથયાત્રા પ્રવેશે તે પૂર્વે, ગૃહપ્રધાન- પોલીસ કમિશનર દરિયાપુર પહોચ્યાં

    અમદાવાદ શહેરના સંવેદનશીલ એવા જોર્ડન રોડ ઉપરથી રથયાત્રા પસાર થાય તે પૂર્વે ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી, દરિયાપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા પ્રેમ દરવાજા ખાતે પહોચ્યા હતા. આ અગાઉ શહેર પોલીસ કમિશ્નર દરિયાપુર પોલીસ મથકની હદમાં આવેલા પ્રેમદરવાજા-લીમડીચોક- તંબુચોકી ખાતે આવી પહોંચ્યા હતા.

  • 27 Jun 2025 03:31 PM (IST)

    Jagannath Rath Yatra 2025 : મોસાળ સરસપુરથી પ્રસ્થાન કરેલ ગજરાજ પ્રેમ દરવાજા પહોંચ્યા

    રથયાત્રાના પ્રારંભે ચાલતા ગજરાજ મોસાળ સરસપુરથી નિજ મંદિર તરફ રવાના થઈ ચૂક્યા છે. ગજરાજ શહેરના પ્રેમ દરવાજામાં પ્રવેશ્યા છે.

  • 27 Jun 2025 03:12 PM (IST)

    Jagannath Rath Yatra 2025 : સરસપુરથી નિજમંદિર તરફ ગજરાજનું પ્રસ્થાન શરૂ

    સરસપુરથી નિજમંદિર તરફ ગજરાજનું પ્રસ્થાન શરૂ થયું છે. ગજરાજના પ્રસ્થાન બાદ, ધીમે ધીમે ટ્ર્ક, અખાડા, ભજન મંડળી અને રથ નિજમંદિર તરફ પ્રયાણ કરશે.

  • 27 Jun 2025 02:51 PM (IST)

    Jagannath Rath Yatra 2025 : સરસપુરમાં ભગવાનનું કરાયું ભવ્ય મામેરુ

    ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભ્રાતા બલરામનું, મોસાળ સરસપુરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત બાદ, ત્રણેયનુ ભારે ઉત્સાહભેર મામેરુ કરવામાં આવ્યું હતું.  મોસાળમાં મામેરા માટે સૌ કોઈમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.

  • 27 Jun 2025 01:45 PM (IST)

    સરસપુરમાં ભગવાન જગન્નાથનું થયું આગમન

    સરસપુરમાં ભગવાન જગન્નાથનું આગમન છે. 10 વર્ષની રાહ જોયા બાદ ભગવાનનુ મામેરુ કરવાનો અવસર ત્રિવેદી પરિવારને મળ્યો છે. ત્યારે ભગવાનને 56 ભોગ ધરાવાશે. અહીં ભગવાન થોડો સમય આરામ કરીને ત્યાંથી પરત ફરશે.

  • 27 Jun 2025 01:32 PM (IST)

    કાલુપુર રેલવે સ્ટેશન પાસે ભગવાન બળભદ્રના રથના પૈડમાં ખામી સર્જાઈ

    કાલુપુર રેલવે સ્ટેશન પાસે ભગવાન બળભદ્રના રથના પૈડમાં ખામી સર્જાઈ છે. મળતી માહિતી અનુસાર પૈડાનો બોલ્ટ નીકળી જતા રથ અટવાયો હતો.  જો કે રથમાં નવુ પૈડુ નાખવામાં આવ્યું છે.

  • 27 Jun 2025 01:19 PM (IST)

    બોટાદ: રાણપુરના કાંકરિયા ચોરા પાસે કાચું મકાન ધરાશાયી

    બોટાદના રાણપુરના કાંકરિયા ચોરા પાસે કાચું મકાન ધરાશાયી થયું છે. જર્જરિત મકાનના બીજા માળે કામ કરતા ત્રણ મજૂરો પટકાયા છે. એક મહિલા અને બે પુરુષને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા છે. કામગીરી સમયે અચાનક લાકડાનો સ્લેબ પડતા દુર્ઘટના બની હતી. જો કે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

  • 27 Jun 2025 01:00 PM (IST)

    મેઘરજ તાલુકામાં મકાન ધરાશાયી, વૃદ્ધનું મોત

    મેઘરજ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદી માહોલને લઈને કાચુ મકાન ધરાશાયી થતા વૃદ્ધનું મોત નિપજ્યું છે.  કંટાળુના ખાનપુર ફળીયામાં રહેતા 70 વર્ષિય ડામોર સવજીભાઈનું મોત નિપજ્યુ છે. મૃતકને પીએમ અર્થે ઈસરી સામુહિક આરોગ્ય કચેરી ખાતે ખસેડાયો છે.

  • 27 Jun 2025 12:54 PM (IST)

    બોટાદમાં આનંદ-ઉત્સાહ સાથે ભગવાન જગન્નાથની 28મી રથયાત્રા નીકળી

    બોટાદ શહેરમાં આનંદ-ઉત્સાહ સાથે ભગવાન જગન્નાથની 28મી રથયાત્રા નીકળી છે. પાળિયાદ રોડ પરના ગીરનારી આશ્રમથી ભવ્ય રથયાત્રાનો પ્રારંભ થયો હતો. નગરચર્યાએ નીકળેલા નાથના દર્શન કરવા મોટી સંખ્યમાં ભક્તો ઉમટ્યા હતા. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. એમ.ડી.શાળા, બસ સ્ટેન્ડ રોડ, હવેલી ચોક,મહિલા મંડળ રોડ, મસ્તરામ મંદિર સહિતના વિસ્તારમાં રથયાત્રાએ ભ્રમણ કર્યું.

  • 27 Jun 2025 12:28 PM (IST)

    ભાવનગરમાં નીકળી ભગવાન જગન્નાથની રથયાત્રા

    ગુજરાતમાં બીજા નંબરની ભવ્ય ગણાતી ભાવનગરની રથયાત્રાનું પ્રસ્થાન થઇ ચૂક્યું છે. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે નગરચર્યાએ નીકળ્યા છે. 17 કિલોમીટરના રૂટ પર ફરશે. રથયાત્રામાં માર્ગો પર રંગોળી રથની આગળ હાથી 100 ટ્રક, 5 જીપ, 20 ટ્રેક્ટર, 14 છકરડા, અખાડા મંડળીઓ અને વિવિધ રાસમંડળીઓ સામેલ થઇ છે. આ સિવાય, ઓપરેશન સિંદૂરના વિવિધ ફ્લોટ્સ, ટ્રેન, ઉછળતો વાનર, વિવિધ કાર્ટૂને પણ આકર્ષણ જમાવ્યું છે.  તો, સત્સંગ મંડળી ભજન-કીર્તન કરી રહી છે.

  • 27 Jun 2025 12:20 PM (IST)

    ભગવાનના આગમન પહેલા રાયપુરમાં થયા અમી છાંટણા

    રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે. આ શુભ પ્રસંગે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે ભગવાનના જગન્નાથના આગમન પહેલા રાયપુરમાં અમી છાંટણા થયા છે.

  • 27 Jun 2025 12:14 PM (IST)

    રાજકોટમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં સાધુ-સંતો અને ભક્તો જોડાયા

    અષાઢી બીજ નિમિત્તે રાજકોટના નાના મવામાં કૈલાશધામ પરિવારમાં આવેલા જગન્નાથજી મંદિરેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી. સતત 18 માં વર્ષે નીકળેલી આ રથયાત્રામાં સાધુ સંતો ભજન મંડળીઓ અને ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. રાજવી પરિવારના માંધાતાસિંહ જાડેજા દ્વારા પહિંદ વિધિ કરવામાં આવી હતી અને રથ ખેંચીને યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. રથયાત્રામાં રાસ મંડળીઓની રમઝટ પણ જોવા મળી હતી. અઘોરી પંથીઓ દ્વારા શિવ તાંડવની લીલાની ઝાંખી આ રથયાત્રાનું મુખ્ય આકર્ષણ બન્યું હતું. રૂટ દરમ્યાન અનેક સ્થળોએ રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકો તેના દર્શન માટે જોડાયા હતા.

  • 27 Jun 2025 12:07 PM (IST)

    અમદાવાદ રથયાત્રામાં દેશભક્તિનો ટેબલો આકર્ષણનું કેન્દ્ર બન્યો

    અમદાવાદમાં યોજાયેલી રથયાત્રામાં આ વર્ષે દેશભક્તિ પર કેન્દ્રિત ટેબલોએ લોકોનું ખૂબ ધ્યાન ખેંચ્યું છે. સરસપુર વિસ્તારમાં યોજાયેલા આ ઉત્સવમાં ભગવાન રામની ઝાંખી, કાર્ટુન પાત્રો અને ઓપરેશન સિંદૂર જેવા દેશભક્તિને પ્રતિબિંબિત કરતા ટેબલો જોવા મળ્યા. આ ઉપરાંત, બાળકો માટે ચોકલેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. લોકોમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધા જોવા મળી. સ્વયંસેવકો દ્વારા શાંતિપૂર્ણ માહોલ જાળવવા માટે પુરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રથયાત્રામાં ભાગ લેનારા લોકોએ આ ઉત્સવને ખૂબ માણ્યો.

  • 27 Jun 2025 11:44 AM (IST)

    ઢાળની પોળ પહોંચી ભજન મંડળી, મોટી સંખ્યામાં ઉમટ્યા ભક્તો

    રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો છે. ત્યારે  ભજન મંડળીઓ ઢાળની પોળ પાસેથી પસાર થઈ રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર દર વર્ષ કરતા અંદાજિત એક કલાક રથયાત્રા મોડી ચાલી રહી છે.

  • 27 Jun 2025 11:36 AM (IST)

    સરસપુરમાં ભવ્ય ભંડારાનું આયોજન

    રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે. ત્યારે સરસપુરમાં ભાવિ ભક્તો માટે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. સરસપુરમાં મહાકાળી ધામના લોકો 25 વર્ષથી હજારો લોકોને નિસ્વાર્થ ભાવે રથયાત્રાના દિવસે જમાડે છે. આજે 15000થી પણ વધારે લોકો આજે પ્રસાદનો લ્હાવો લેશે.

  • 27 Jun 2025 11:20 AM (IST)

    ગજરાજ બેકાબૂ થતા એક ઇજાગ્રસ્ત, સારવાર અર્થે svp હોસ્પિટલમાં ખસેડ્યો

    રથયાત્રા દરમિયાન ખાડિયા પાસે ગજરાજ બેકાબૂ બન્યા હતા. જેના પગલે 1 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. જેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે SVP હોસ્પિટલમાં ખસેડાયો છે.   3 ગજરાજને શાંત સ્થળ પર સલામત રાખવામાં આવ્યા છે. વધુ અવાજના કારણે ગજરાજ બેકાબૂ બન્યા હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

  • 27 Jun 2025 11:15 AM (IST)

    રથયાત્રામાં મંજૂરી વિના ઉડતા ડ્રોનને એન્ટી ડ્રોન ગનથી તોડી પાડ્યું

    અમદાવાદમાં રથયાત્રા દરમિયાન શહેર પોલીસ સતર્ક છે. મંજૂરી વિના ઉડતા ડ્રોનને એન્ટી ડ્રોન ગનથી તોડી પાડ્યું છે. એન્ટી ડ્રોન કિલર ગનની બે કિલોમીટર સુધીની રેન્જ હોય છે. પોલીસ દ્વારા બિનઅધીકૃત ડ્રોન વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાધુનિક ટેકનોલોજી થકી પોલીસની ચાંપતી નજર રાખી રહી છે. રથયાત્રા દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

  • 27 Jun 2025 10:54 AM (IST)

    3 ગજરાજને શાંત સ્થળ પર સલામત રાખવામાં આવ્યા, CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ સ્થિતિની કરી સમીક્ષા

    રથયાત્રા દરમિયાન ખાડિયા પાસે ગજરાજ બેકાબૂ બન્યા હતા. જેના પગલે ભક્તોમાં નાસભાગ મચી હતી. 3 ગજરાજને શાંત સ્થળ પર સલામત રાખવામાં આવ્યા છે. વધુ અવાજના કારણે ગજરાજ બેકાબૂ બન્યા હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જો કે ડોક્ટર અને વન વિભાગ દ્વારા ગજરાજને કંટ્રોલ કરવામાં આવ્યો હતો. CM અને હર્ષ સંઘવી સ્થિતિ પર સતત સમીક્ષા કરી રહ્યા છે. ભાજપ નેતા ભૂષણ ભટ્ટ તાત્કાલિક ઘટનાસ્થળે પહોચ્યા હતા.

  • 27 Jun 2025 10:44 AM (IST)

    મહંત પાંચકુવા પહોચ્યા, મુસ્લિમ આગેવાનો દ્વારા કરાયું સ્વાગત

    મહંત પાંચકુવા પહોચ્યા છે. જ્યાં  મુસ્લિમ આગેવાનો દ્વારા મહંત અને રથયાત્રાનું  સ્વાગત કરવામાં આવ્યું છે.

  • 27 Jun 2025 10:17 AM (IST)

    ઢાળની પોળ પાસે રથયાત્રાના ટ્રકો આગળ વધ્યા

    ખાડિયા પાસે ગજરાજ બેકાબૂ થતા ભક્તોમાં નાસભાગ મચી હતી.  ગજરાજે સંતુલન ગુમાવતા  ઢાળની પોળ પાસે રથયાત્રાના ટ્રકો થંભ્યા છે. છેલ્લી 10-15 મિનિટથી ટ્રકો એક જ જગ્યા પર અટક્યા બાદ ધીમે ધીમે રથયાત્રા આગળ વધી રહી છે.  ભક્તો સમગ્ર રૂટ પર ભગવાનના રથની રાહ જોઈ રહ્યા છે.

  • 27 Jun 2025 09:48 AM (IST)

    ખાડિયાના ગોલ્ડવાડ પાસે ગજરાજે સંતુલન ગુમાવ્યું

    ખાડિયાના ગોલ્ડવાડ પાસે ગજરાજ ભીડ જોઈને બેકાબૂ થયો હોવાનું સામે આવ્યુ છે. ગજરાજ બેકાબુ થતા લોકો નાસભાગ મચી છે. ગજરાજને ડોક્ટરની ટીમે ઇન્જેક્શન આપી કંટ્રોલ કર્યો છે.

  • 27 Jun 2025 09:42 AM (IST)

    ગાંધીનગરમાં ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાનું મેયરે કરાવ્યું પ્રસ્થાન

    ગાંધીનગરમાં ભગવાન શ્રી જગન્નાથજીની 41મી રથયાત્રાનું મેયરે પ્રસ્થાન કરાવ્યું છે. મેયરે ભગવાનની આરતી ઉતારી સૌના મંગલમય જીવનની પ્રાર્થના કરી છે.

  • 27 Jun 2025 09:39 AM (IST)

    જામનગર: જામજોધપુરમાં ખાડામાં ફસાઇ કાર

    જામનગરના જામજોધપુરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેના કારણે ખાડામાં કાર ફસાઈ હોવાનું સામે આવ્યુ છે. અઢી ઇંચ વરસાદ બાદ રસ્તા પર પાણી ભરાયા છે. જળભરાવના કારણે ખાડો નહીં દેખાતા કાર ખાબકી હતી.

  • 27 Jun 2025 09:33 AM (IST)

    AMC ખાતે મહંત દિલીપ દાસજી મહારાજનું કરાયું સ્વાગત

    રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે. ભગવાન જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી મહારાજ AMC પહોંચ્યા છે. ત્યારે AMC ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે.

  • 27 Jun 2025 09:31 AM (IST)

    સરસપુરમાં બેન્ડ વાજા સાથે મામેરાનું આગમન

    સરસપુરમાં યજમાન પરિવાર પણ ભગવાનને આવકારવા આતુર છે. 10 વર્ષની રાહ જોયા બાદ ત્રિવેદી પરિવારને ભગવાનનું મામેરું ભરવાનો અવસર મળ્યો. ત્રિવેદી પરિવાર ભગવાનનું મામેરૂ ભરવાને લઈ ઉત્સાહમાં જોવા મળ્યો. ત્યારે સરસપુરમાં બેન્ડ વાજા સાથે મામેરાનું આગમન થયું છે.

  • 27 Jun 2025 09:16 AM (IST)

    બનાસકાંઠા: ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પર ભરાયા પાણી

    બનાસકાંઠામાં ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા છે. પાલનપુર-અમદાવાદ હાઈવે પર છાપી નજીક 3 ફૂટ પાણી ભરાયા છે. હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોને હાલાકી એક તરફ ઓવરબ્રિજની કામગીરીને કારણે મુશ્કેલી સર્જાઈ છે. બીજી તરફ વરસાદી પાણી ભરાવવાની સમસ્યાથી લોકો ત્રસ્ત થયા છે.  વહેલીતકે પાણીનો નિકાલ કરાય તેવી માગ લોકો દ્વારા કરવામાં આવી છે.

  • 27 Jun 2025 09:03 AM (IST)

    રથયાત્રામાં વિવિધ અખાડાઓએ જમાવ્યું આકર્ષણ

    રથયાત્રામાં વિવિધ અખાડાઓએ આકર્ષણ જમાવ્યું છે.  રથયાત્રામાં 30 જેટલા અખાડા ચાલુ વર્ષની રથયાત્રામાં જોડાયા. તેમજ રથયાત્રામાં વિવિધ કરતબો કરી રહ્યા છે. એક અખાડમાં 100 લોકોને સમાવેશ થાય છે.

  • 27 Jun 2025 08:59 AM (IST)

    રથયાત્રાનું રાયપુર ચકલા ખાતે આગમન

    રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે. ત્યારે ભગવાન જગન્નાથનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. રથયાત્રાનું અને ગજરાજનું રાયપુર ચકલા ખાતે આગમન થયું છે.

  • 27 Jun 2025 08:49 AM (IST)

    વનતારા થીમ પર નો ટ્રક લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું

    રથયાત્રામાં વિવિધ થીમ પર ટ્રક જોવા મળ્યા છે. ત્યારે વનતારા થીમ પરનો ટ્રક લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

  • 27 Jun 2025 08:48 AM (IST)

    ધોધમાર વરસાદથી હરણાવ નદીમાં પૂરની સ્થિતિ

    ખેડબ્રહ્મા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ છે. ધોધમાર વરસાદથી હરણાવ નદીમાં પૂરની સ્થિતિ છે. કલોલકંપા પાસે માલધારીઓ અને પશુઓ નદીના પટમાં ફસાયા છે. ફાયર વિભાગે માલધારીઓનું રેસ્ક્યૂ કર્યું. હિંમતનગર, ઇડર અને ખેડબ્રહ્મા ફાયર ટીમો દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવ્યુ, કુલ 62 પશુ પૂરના પ્રવાહમાં તણાયાની આશંકા છે.

  • 27 Jun 2025 08:47 AM (IST)

    રાજ્યના 215 તાલુકાઓમાં વરસ્યો વરસાદ

    રાજ્યના 215 તાલુકાઓમાં વરસ્યો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ જૂનાગઢના માળીયા હાટીનામાં 6.18 ઈંચ વરસાદ ખાબક્યો છે. સાબરકાંઠાના વડાલીમાં નોંધાયો 6 ઈંચ, ગીરના તાલાલા સહિત 4 તાલુકામાં 5 ઈંચથી વધુ,  નવસારીના ખેરગામ સહિત 6 તાલુકામાં 4 ઈંચ, 8 તાલુકામાં 3 ઈંચ જ્યારે 31 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.  રાજ્યના 40 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો  છે.

  • 27 Jun 2025 08:37 AM (IST)

    સરસપુરમાં યજમાન પરિવારનું આગમન

    સરસપુરમાં યજમાન પરિવારનું આગમન થયું છે. 10 વર્ષની રાહ પછી ત્રિવેદી પરિવાર ભગવાનનું મામેરુ કરશે.

  • 27 Jun 2025 08:33 AM (IST)

    ગજરાજ ઢાળની પોળ પાસે પહોંચ્યા

    રથયાત્રા ધીરે ધીરે આગળ વધી રહી છે. રથયાત્રા સાથે જોડાયેલા ગજરાજ ઢાળની પોળ પાસે પહોંચ્યા છે.

  • 27 Jun 2025 08:28 AM (IST)

    CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યવાસીઓને રથયાત્રાના પર્વની પાઠવી શુભચ્છા

    CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યવાસીઓને રથયાત્રાના પર્વની શુભચ્છા પાઠવી છે.

  • 27 Jun 2025 08:05 AM (IST)

    રથયાત્રામાં ઓપરેશન સિંદૂર અને બ્રહ્મોસ મિસાઈલ થીમના ટ્રક બન્યા આકર્ષણનું કેન્દ્ર

    રથયાત્રામાં ઓપરેશન સિંદૂર અને બ્રહ્મોસ મિસાઈલ થીમના ટ્રક આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.  રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અને ભજન મંડળીઓ જોડાયા છે.

  • 27 Jun 2025 07:57 AM (IST)

    જમાલપુરમાં રાહેબર સ્કૂલ પાસે ગજરાજ અને ટ્રકો પહોંચ્યા

    જમાલપુરમાં આવેલી રાહેબર સ્કૂલ પાસે ગજરાજ અને ટ્રકો પહોંચ્યા છે. આ સાથે રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તોની ભીડ ઉમટી છે.

  • 27 Jun 2025 07:44 AM (IST)

    સરસપુરમાં રથ ઉભો રહે તે રસ્તા પર પાણી છાંટી કરવામાં આવે છે ઠંડા

    ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન સરસપુરમાં જ્યાં રથ ઊભા રહે તે રસ્તા પર પાણી છાંટી ઠંડા કરવાની પ્રથા છે.  આ કાર્ય મોટા ભાગે મહિલાઓ દ્વારા કરવામાં આવે છ. પ્રભુને ઠંડક મળે અને આખું વર્ષ બાળકો નિરોગી રહે તેવી માન્યતા છે.

  • 27 Jun 2025 07:39 AM (IST)

    Jagannath Rath Yatra 2025 : જમાલપુરથી ગજરાજે કર્યું પ્રસ્થાન

    ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા આજથી અમદાવાદમાં ભવ્ય રીતે શરૂ થઈ રહી છે. સવારથી જ ભક્તોની ભીડ મંદિર નજીક ઉમટવા લાગી છે. ત્યારે નગરયાત્રા માટે ગજરાજે જમાલપુરથી પ્રસ્થાન કર્યું છે.

  • 27 Jun 2025 07:14 AM (IST)

    પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે રથયાત્રાનો પ્રારંભ, ત્રણેય રથ મંદિરમાંથી થયા પ્રસ્થાન

    ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા છે. ત્રણેય રથ મંદિરમાંથી પ્રસ્થાન થયા છે. રથયાત્રામાં મોટી સંખ્યા ભાવિ ભક્તો ઉમટ્યાં છે.

  • 27 Jun 2025 07:05 AM (IST)

    ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા, બહેન સુભદ્રાનો રથ મંદિરમાંથી થયો પ્રસ્થાન

    ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા છે. પ્રથમ રથ મંદિરથી પ્રસ્થાન કરાયું છે.  બહેન સુભદ્રાજીના રથનું મંદિર પરિસરથી પ્રસ્થાન કરવામાં આવ્યું છે.

  • 27 Jun 2025 06:58 AM (IST)

    CM ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથના આશિર્વાદ લઈને કરી પહિંદ વિધિ

    CM ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથના આશિર્વાદ લઈને પહિંદ વિધિ કરી છે.  CM ભૂપેન્દ્ર પટેલની સાથે અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અને સાધુ સંતો એ ભગવાન જગન્નાથના આશીર્વાદ લીધા.

  • 27 Jun 2025 06:55 AM (IST)

    CM ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ જગન્નાથ મંદિરે પહોંચ્યા

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિરે પહોંચ્યા છે. થોડી વારમાં મુખ્ય પ્રધાન પહિંદ વિધિ કરશે. પહિંદ વિધિ બાદ રથયાત્રાનો પ્રારંભ થશે.

  • 27 Jun 2025 06:35 AM (IST)

    જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને અપાઈ ઉચ્ચ પદવી

    જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને ઉચ્ચ પદવી આપવામાં આવી છે. રામાનંદ પંથના નવા જગદ્ ગુરુ દિલીપ દાસજી મહારાજ બન્યા છે. ભગવાનને રથમાં બિરાજમાન કરતા પહેલા જગદ્ ગુરુ તરીકે તિલકની વિધી કરવામાં આવી છે.  હવેથી જગદ્ ગુરુ રામાનંદાચાર્ય દિલીપદેવાચાર્યથી ઓળખાશે.

  • 27 Jun 2025 06:23 AM (IST)

    નગરયાત્રા માટે ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાને રથમાં બિરાજમાન કરાયા

    નગરયાત્રા કરવા માટે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને રથમાં બિરાજમાન કરાયા છે.

  • 27 Jun 2025 06:19 AM (IST)

    જગન્નાથ ભગવાનને ખીચડી અને ગવાર કોળાના શાકનો ભોગ ધરાવાયો

    ભગવાન જગન્નાથને ખીચડી અને ગવાર કોળાના શાકનો ભોગ ધરાવ્યો છે.  ભગવાનને ભોગ ધર્યા બાદ નગરજનોને પ્રસાદમાં  ખીચડી અપાશે. 2000 કિલો ચોખા, 1500 કિલો તુવેરની દાળ, 3000 કિલો સુકોમેવો અને 80 ડબ્બા શુદ્ધ ઘી નો ઉપયોગ કરી ખીચડી બનાવવામાં આવે છે.

  • 27 Jun 2025 06:02 AM (IST)

    AI ટેકનોલોજીના ઉપયોગથી કોઈ અનિચ્છનિય ઘટના નિવારી શકાશે

    આ વર્ષે પ્રથમવાર રથયાત્રામાં આર્ટિફિશ્યિલ ઈન્ટેલિજન્સ AI નો ક્રાઉડ કંટ્રોલ અને ફાયર એલર્ટ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. AI ના ઉપયોગથી રથયાત્રા રૂટ પર વધુ પડતા લોકો એક્ઠા થઈ ગયા હોય તો સરળતાથી વ્યવસ્થાપન થઈ શકશે અને ભીડને નિયંત્રણમાં રાખી શકાશે. તેમજ કોઈ અનિચ્છનિય ઘટના બનતી પણ નિવારી શકાશે. એટલુ જ નહીં કોઈ આગની દુર્ઘટના કદાચ બને તો પણ ફાયર બ્રિગેડ અને પોલીસ તાત્કાલિક બચાવ માટે પહોંચી શકે એ માટે ફાયર એલર્ટ ઉપયોગી બનશે.

  • 27 Jun 2025 05:56 AM (IST)

    ભગવાન જગન્નાથજીને અપાયુ ગાર્ડ ઓફ ઓનર 

    ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી જમાલપુર જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ પોલીસ કમિશનર સાથે ગાર્ડ ઓફ ઓનર આપવા અંગેની માહિતી મેળવી રહ્યા હતા. ત્રણેય ભગવાનને રથમાં બિરાજમાન કરાયા બાદ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ હતુ.

  • 27 Jun 2025 05:50 AM (IST)

    આ વખતે પ્રથમવાર AI થી સજ્જ ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરવામાં આવશે

    ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થવાને બસ હવે ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે રથયાત્રાની સુરક્ષાને લઈને અમદાવાદ શહેર પોલીસે તડામાર તૈયારીઓ કરી છે. પોલીસ દ્વારા મોબાઈલ કોમ્યુનિકેશન ઓફિસ વ્હીકલ દ્વારા સર્વેલન્સ કરવામાં આવી છે. આ વ્હીકલની ખાસીયત છે કે એક સાથે 15 ડ્રોન કેમેરાનું સંચાલન કરી શકાય છે અને આ કોઈ સામાન્ય ડ્રોન કેમેરા નથી. આ વખેત પ્રથમવાર AI થી સજ્જ ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરવામાં આવશે.  આ કેમેરાની વિશેષતા છે કે તેમાં ભીડની સંખ્યાનો અંદાજ લગાવી શકાય છે. એટલે કે ભીડ નિયંત્રણ માટે ડ્રોન કેમેરા ખૂબ ઉપયોગી થશે.

  • 27 Jun 2025 05:43 AM (IST)

    ભગવાન જગન્નાથજીને નંદીઘોષ રથમાં બિરાજમાન કરાયા

    સૌપ્રથમ ભગવાન જગન્નાથજીને નંદીઘોષ રથમાં, ભાઈ બલરામને તાલધ્વજ રથમાં અને બહેન સુભદ્રાજીને દેવદલન રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે. ત્રણેય રથમાં ભગવાનને બિરાજમાન કરી દેવામાં આવ્યા છે. ત્યારે જગતના નાથની એક ઝલક મેળવવા જમાલપુર મંદિકે ભાવિ ભક્તો ઉમટી પડ્યા છે. રથમાં બિરાજમાન ભગવાનનો ફોટો લેવા લોકો પડાપડી કરતા જોવા મળ્યા હતા.

  • 27 Jun 2025 05:34 AM (IST)

    રથયાત્રાને પગલે BRTS બસોના રૂટમાં કરાયો ફેરફાર

    રથયાત્રાને પગલે BRTS બસોના રૂટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. RTO સર્કલનો સરક્યુલર રૂટ નંબર 101 સંપૂર્ણપણે બંધ રહેશે. જ્યારે 4 રૂટમાં આંશિક ફેરફાર કરાયા છે. રથયાત્રા રૂટ પરના 18 BRTS બસ સ્ટેશનો પણ આજના દિવસે બંધ રહેશે.

  • 27 Jun 2025 05:30 AM (IST)

    રથયાત્રાને પગલે આ વિસ્તારો રહેશે No Parking Zone 

    રથયાત્રાના રૂટમાં આવતા વિસ્તારો નો-પાર્કિંગ ઝોન જાહેર કરાયા છે. જેમા જગન્નાથ મંદિરથી શરૂ થઈ માણેકચોક, દાણાપીઠ, ખમાસા થી જગન્નાથ મંદિર સુધીનો સમગ્ર રૂટ નો-પાર્કિંગ ઝોન રહેશે.

  • 27 Jun 2025 05:25 AM (IST)

    જગન્નાથ મંદિરના મહંત દિલિપદાસજીને અપાઈ જગદગુરુની પદવી

    જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજી મંદિરના મહંત દિલિપ દાસજીને આજે અષાઢી બીજના પાવન અવસરે જગદગુરુની પદવી આપવામાં આવી છે. મહંત 1008 મહામંડલેશ્વર દિલિપદાસજીને તમામ સાધુ સંતો દ્વારા વૈષ્ણવ સંપ્રદાયના જગતપતિ જગદગુરુની પદવી આપવામાં આવી છે. મહંત દિલિપદાસજી હવે મહામંડલેશ્વરની જગ્યાએ જગદગુરુ દિલીપદાસજી તરીકે ઓળખાશે.

  • 27 Jun 2025 05:20 AM (IST)

    ભગવાનની આંખેથી પાટા ખોલવાની વિધિ સંપન્ન

    ભગવાનની આંંખેથી પાટા ખઓલવાની વિધિ કરવામાં આવી. મોસાળમાંથી આવ્યા બાદ ભગવાનને આંખ આવતા ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે. નેત્રોત્સવ વિધિ બાદ ભગવાનની આંખે પાટા બાંધવામાં આવ્યા હતા. આજે ભગવાનની આંખેથી આ પાટા ખોલી નાખવામાં આવ્યા છે. આજે ભગવાન નગરચર્યા એ નીકળવાના છે ત્યારે ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જગન્નાથ મંદિરે પહોંચ્યા છે.

  • 27 Jun 2025 05:17 AM (IST)

    ભગવાનને ધરાવાયો વિશિષ્ટ ખીચડાનો ભોગ

    ભગવાન જગન્નાથજીને વર્ષમાં એકવાર ખીચડાનો ભોગ ધરાવવામાં આવે છે. 5000 કિલો ખીચડાનો પ્રસાદ ધરાવવામાં આવે છે.  ભગવાનને વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો. આ ખીચડાનો પ્રસાદ ભાવિ ભક્તોને પણ આપવામાં આવશે.

  • 27 Jun 2025 05:14 AM (IST)

    ભગવાન જગન્નાથને ધરાવાયો વિશિષ્ટ ભોગ

    આજે  જગતના નાથને વિશિષ્ટ ભોગ ધરાવવામાં આવ્યો છે. ભગવાન જગન્નાથ ને ખીચડી અને ગવાર કોળાના શાકનો ભોગ લાગ્યો છે. ભગવાનને ભોગ ધર્યા બાદ નગરજનોને પ્રસાદમાં ખીચડી આપવામાં આવશે. આ ખીચડીનો પ્રસાદ બનાવવા 2000 કિલો ચોખા, 1500 કિલો તુવેરની દાળ, 3000 કિલો સુકોમેવો અને 80 ડબ્બા શુદ્ધ ઘી નો ઉપયોગ થાય છે.

  • 27 Jun 2025 04:33 AM (IST)

    મંગળા આરતી બાદ ભગવાનના આંખના પાટા ખોલવાની વિધિ કરાઈ

    સવારે 4 વાગ્યે મંગળા આરતી બાદ ભગવાન જગન્નાજીની આંખેથી પાટા ખોલવાની વિધિ ચાલી રહી છે. ભગવાન મોસાળમાંથી આવ્યા બાદ તેમને આંખ આવી હોય છે. આથી ભગવાનને આંખોને પાટા બાંધવામાં આવ્યા છે. આરતી બાદ હાલ ભગવાનના આ પાટા ખોલવાની વિધિ કરવામાં આવી રહી છે.

  • 27 Jun 2025 04:30 AM (IST)

    અમિત શાહે ભગવાન જગન્નાથજીની મંગળા આરતી કરી સાધુ સંતોના લીધા આશિર્વાદ

    ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથજીની મંગળા આરતીના દર્શન કર્યા. અમિત શાહે ભગાવાનની આરતી ઉતારી મંદિરમાં ઉપસ્થિત તમામ સાધુ સંતોના આશિર્વાદ લીધા હતા.

  • 27 Jun 2025 04:24 AM (IST)

    કેટલા વાગ્યે ક્યાં પહોંચશે જગન્નાથજીની રથયાત્રાના રથ- જાણો સમગ્ર રૂટ

    • રથયાત્રાનો રૂટ, કેટલા વાગ્યે ક્યા સ્થળે હશે?
    • સવારે 7:30 વાગ્યે: જમાલપુર મંદિર
    • સવારે 9:00 વાગ્યે: મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ
    • સવારે 9:45 વાગ્યેઃ રાયપુર ચકલા
    • સવારે 10:30 વાગ્યે: ખાડિયા ચાર રસ્તા
    • સવારે 11:15 વાગ્યે: કાલુપુર સર્કલ
    • સવારે 12:00 વાગ્યે: સરસપુર (મામાનું ઘર)
    • બપોરે 1:30 વાગ્યે: સરસપુરથી પરત પ્રસ્થાન
    • બપોરે 2:00 વાગ્યે: કાલુપુર સર્કલ
    • બપોરે 2:30 વાગ્યે: પ્રેમ દરવાજા
    • બપોરે 3:15 વાગ્યે: દિલ્હી ચકલા
    • બપોરે 3:45 વાગ્યે: શાહપુર દરવાજા
    • સાંજે 4:30 વાગ્યે: શાહપુર હાઈસ્કુલ
    • સાંજે 5:00 વાગ્યે: ઘી કાંટા
    • સાંજે 5:45 વાગ્યે: પાનકોર નાકા
    • સાંજે 6:30 વાગ્યે: માણેકચોક
    • રાત્રે 8:30 વાગ્યે: નિજ મંદિર પરત
  • 27 Jun 2025 04:14 AM (IST)

    રથયાત્રા પહેલા ગજરાજ અને ત્રણેય રથની પૂજન વિધિ કરાઈ

    રથયાત્રા પહેલા ભગવાન જે રથમાં બેસીને નગરચર્યાએ નીકળવાના છે એ ત્રણેય રથની પૂજનવિધિ  કરવામાં આવી હતી, વિધિવત રીતે રથયાત્રા પહેલા તમામ ગજરાજ અને રથની પૂજન વિધિ કરવામાં આવે છે, વ્હાલાની શાહી સવારી એવા રથને મંદિરના પ્રાંગણમાં લાવવામાં આવ્યા હતા  અને રથ પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ઢોલ નગારાના તાલ સાથે હર્ષોલ્લાસ સાથે રથને મંદિર પ્રાંગણમાં લાવવામાં આવ્યા હતા.  આ દરમિયાન રથની પૂજાવિધિ સાથે ભગવાનને અતિપ્રિય એવુ આદિવાસી નૃત્ય કરવામાં આવ્યુ હતુ.

  • 27 Jun 2025 04:06 AM (IST)

    ગૃહમંત્રી અમિત શાહે ભગવાન જગન્નાથજીની મંગળા આરતીના કર્યા દર્શન

    અમદાવાદમાં જમાલપુર સ્થિત આવેલા જગન્નાથ મંદિરે ભગવાન જગન્નાથની મંગળા આરતીનો પ્રારંભ થઆ ગયો છે. મંગળા આરતીના દર્શન કરવા ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે ઉપસ્થિત છે.  અમિત શાહે ભગવાન જગન્નાથજીના આરતીને લ્હાવો લેતા નજરે પડ્યા હતા.

  • 27 Jun 2025 03:56 AM (IST)

    1200 ખલાસીઓ દ્વારા રથયાત્રાનો રથ ખેંચવામાં આવશે

    આ વર્ષે રથયાત્રામાં 18 ગજરાજ, 18 ભજન મંડળીઓ, અંગ કસરતના પ્રયોગો સાથે  30 અખાડા તેમજ 3 બેન્ડબાજાવાળા જોડાશે. ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રકો રથયાત્રામાં જોડાશે. રથયાત્રામાં ભાગ લેવા સમગ્ર ગુજરાત ઉપરાંત હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન અને જગન્નાથપુરીમાંથી કુલ 2 હજાર 500 જેટલાં સંતો પધારશે. પરંપરા મુજબ લગભગ 1200 ખલાસી ભાઈઓ દ્વારા પ્રભુ જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાજીનો રથ ખેંચવામાં આવશે. રથયાત્રા માટે મંદિર દ્વારા વિશેષ પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

  • 27 Jun 2025 03:51 AM (IST)

    સવારે 4 વાગ્યે મંગળા આરતીમાં ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે રહેશે ઉપસ્થિત

    આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નીકળવાની છે ત્યારે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. સવારે 4 વાગ્યા મંગળા આરતીથ થશે. જેમા ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે દર્શન માટે ઉપસ્થિત રહેશે. ત્યારબાદ 4.30 વાગ્યા ભગવાનને વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવવામાં આવશે. સવારે 5 વાગ્યે રથમાં ભગવાનનો પ્રવેશ કરાવાશે. આ દરમિયાન નૃત્ય અને રાસગરબાની રમઝટ બોલશે. જે બાદ સવારે 7 વાગ્યે રથના પ્રસ્થાન પહેલા મુખ્યમંત્રી પહિંદવિધિ કરશે. પહિંદવિધિ બાદ રથયાત્રાનો વિધિવત પ્રારંભ થશે.

Published On - Jun 27,2025 3:39 AM

Follow Us:
તંત્રએ રેસ્ક્યૂ વાહન ખસેડ્યા વીના ગંભીરા બ્રિજ પર દિવાલ ચણી લીધી !
તંત્રએ રેસ્ક્યૂ વાહન ખસેડ્યા વીના ગંભીરા બ્રિજ પર દિવાલ ચણી લીધી !
અમૃતિયા-ઈટાલિયાના વિવાદને લઈને ગાંધીનગરમાં હાઇવોલ્ટેજ ડ્રામા-Video
અમૃતિયા-ઈટાલિયાના વિવાદને લઈને ગાંધીનગરમાં હાઇવોલ્ટેજ ડ્રામા-Video
કઈ રાશિના જાતકોને ભોગવવું પડશે નુકસાન અને કોને મળશે સફળતા?
કઈ રાશિના જાતકોને ભોગવવું પડશે નુકસાન અને કોને મળશે સફળતા?
અરે આની શરણાઈએ તો હુબહુ IPLની ટોનનો અવાજ કાઢ્યો- જુઓ Video
અરે આની શરણાઈએ તો હુબહુ IPLની ટોનનો અવાજ કાઢ્યો- જુઓ Video
સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ, નદી-વોકળા બેકાંઠે વહેતા ટ્રેકટર તણાયુ
સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ, નદી-વોકળા બેકાંઠે વહેતા ટ્રેકટર તણાયુ
ડીસામાં રાત્રે વરસ્યો ધોધમાર વરસાદ, ઘરોમાં પાણી સાથે કાદવ-કીચડ ભરાયો
ડીસામાં રાત્રે વરસ્યો ધોધમાર વરસાદ, ઘરોમાં પાણી સાથે કાદવ-કીચડ ભરાયો
બનાસકાંઠાના પાલનપુરમાં ખાબક્યો 5 ઈંચ વરસાદ, ઠેર-ઠેર ભરાયા પાણી
બનાસકાંઠાના પાલનપુરમાં ખાબક્યો 5 ઈંચ વરસાદ, ઠેર-ઠેર ભરાયા પાણી
આજનો દિવસ કઈ રાશિના જાતકો માટે 'સુખદ સમાચાર' લાવશે?
આજનો દિવસ કઈ રાશિના જાતકો માટે 'સુખદ સમાચાર' લાવશે?
ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી !
ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી !
ચેલેન્જ વોરમાં હવે કોંગ્રેસ પણ કુદી પડી, અમૃતિયાને આપી ચેલેન્જ
ચેલેન્જ વોરમાં હવે કોંગ્રેસ પણ કુદી પડી, અમૃતિયાને આપી ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">