UP Assembly Election: નવા વર્ષે અખિલેશ યાદવનો પહેલો ચૂંટણી વાયદો, 300 યુનિટ વીજળી મફત આપવાની કરી જાહેરાત
અખિલેશ યાદવે કહ્યું નવું વર્ષ સમાજવાદી પાર્ટી અને તેના કાર્યકર્તાઓ માટે તે દિવસથી રહેશે, જ્યારે યુપીમાં વિધાનસભા ચૂંટણી બાદ સરકાર બદલાશે.
ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી (UP Assembly Election) નજીક છે. તમામ રાજકીય પક્ષો મતદારોને પોતાની તરફ ખેંચવાના પ્રયાસમાં વ્યસ્ત છે. દરમિયાન, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપાના વડા અખિલેશ યાદવે (Akhilesh Yadav) જનતાને મફત વીજળી (Free Electricity) આપવાની જાહેરાત કરી છે. અખિલેશ યાદવે શનિવારે કહ્યું કે, જો 2022ની વિધાનસભા ચૂંટણી પછી સમાજવાદી પાર્ટી સત્તામાં આવે છે તો યુપીના તમામ વીજ ગ્રાહકોને 300 યુનિટ મફત ઘરેલું વીજળી આપવામાં આવશે.
અખિલેશ યાદવે કહ્યું કે ખેડૂતોને (Farmers) પણ સિંચાઈ માટે મફત વીજળી આપવામાં આવશે. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ પાર્ટી કાર્યાલયમાં મોટી સંખ્યામાં એકત્ર થયેલા કાર્યકર્તાઓને સંબોધિત કરતા તેમણે કહ્યું, “આ પહેલું વચન છે જે પાર્ટીના મેનિફેસ્ટોમાં સામેલ કરવામાં આવશે અને યુપીના લોકો જાણે છે કે સપાએ તેના મેનિફેસ્ટોમાં જે વચન આપે છે, તે તમામ વચનો પૂરા કરે છે.”
નવું વર્ષ ત્યારે આવશે જ્યારે સરકાર બનશે
તેમણે કહ્યું કે નવું વર્ષ સમાજવાદી પાર્ટી અને તેના કાર્યકર્તાઓ માટે તે દિવસથી રહેશે જ્યારે યુપીમાં વિધાનસભા ચૂંટણી બાદ સરકાર બદલાશે. સત્તાધારી ભાજપે (BJP) તેના કુશાસનને કારણે સમાજના તમામ વર્ગોનું જીવન મુશ્કેલ બનાવવાનો પ્રયાસ કર્યો છે. આવો, ભાજપ સરકાર દ્વારા પેદા કરાયેલી નકારાત્મકતાને પાછળ છોડીને નવું વર્ષ સૌ માટે સુખ, આરોગ્ય અને સમૃદ્ધિ લઈને આવે તેવી આશા સાથે આગળ વધીએ.
પ્રતિભાવના આધારે નિર્ણય લેવાયો
પાર્ટી કાર્યકર્તાઓના પ્રતિસાદના આધારે આ જાહેરાત કરવામાં આવી છે, જેમાં પાયાના સ્તરે લોકોની માંગણીઓને સામેલ કરવાની માગ કરવામાં આવી હતી. એક અહેવાલ અનુસાર, પાર્ટીએ જુલાઈમાં એક વિશાળ ઝુંબેશ શરૂ કરી હતી, જેમાં પાર્ટીના કાર્યકર્તાઓને સૂચન કરવાનું કહેવામાં આવ્યું હતું કે પાર્ટીએ તેના મેનિફેસ્ટોમાં શું સામેલ કરવું જોઈએ.
સૌથી સામાન્ય માગ એવી હતી કે વીજળીના પ્રતિ યુનિટ દરમાં ઘટાડો કરવામાં આવે અથવા સમગ્ર રાજ્યમાં ઘરેલું ગ્રાહકો માટે મફત વીજળી મર્યાદિત કરવામાં આવે અને ખેડૂતોને સિંચાઈ માટે મફત વીજળી આપવામાં આવે. જેના પગલે એસપી વડાએ વીજળી વિભાગના નાણાકીય પાસાઓને ધ્યાનમાં રાખીને આવી માગની શક્યતા નક્કી કરવા આર્થિક નિષ્ણાતો સાથે આ મુદ્દા પર ચર્ચા કરી હતી. અંતે, સપા સરકાર બન્યા પછી, યુપીના તમામ ઘરોમાં 300 યુનિટ મફત વીજળી આપવાની જાહેરાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
આ પણ વાંચો : વૈષ્ણોદેવી મંદિર ઘટના: તમામ મૃતકોની થઈ ઓળખ, 11 લોકોના મૃતદેહ સ્વજનોને સોંપાયા, બે કરાયા એરલિફ્ટ
આ પણ વાંચો : બાળકોને વેક્સિન : 15 થી 18 વર્ષના બાળકો માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ, આ રીતે સ્લોટ બુક કરો