Modi Cabinet : મોદી કેબિનેટ 3.0માં હશે ગત મોદી સરકારના આટલા મંત્રીઓ, મોટા અને મહત્વના મંત્રાલયો ભાજપ પાસે
PM Modi Oath Ceremony : મોદી સરકારના બીજા કાર્યકાળમાં કેબિનેટનો હિસ્સો રહેલા અનેક પ્રધાનો, એનડીએની મોદી સરકારમા પણ પ્રધાન હશે. અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, મનસુખ માંડવિયા, અશ્વિની વૈષ્ણવ, નિર્મલા સીતારમણ, રાવ ઈન્દ્રજીત સિંહ, પીયૂષ ગોયલ, જિતેન્દ્ર સિંહ વગેરે ફરી મંત્રી બનવા જઈ રહ્યા છે.
![Modi Cabinet : મોદી કેબિનેટ 3.0માં હશે ગત મોદી સરકારના આટલા મંત્રીઓ, મોટા અને મહત્વના મંત્રાલયો ભાજપ પાસે](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/PM-Modi-Oath-Ceremony-20-ministers-of-previous-Modi-government-will-be-in-Modi-Cabinet-3.jpg?w=1280)
મોદી કેબિનેટનો ભાગ બનનારા સંભવિત મંત્રીઓને ફોન કરાયા હતા. આ તમામે તમામ આજે હોદ્દા અને ગુપ્તતાના શપથ લે તે પૂર્વે નરેન્દ્ર મોદી સાથે બેઠક યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠકમાં આગામી 100 દિવસની રૂપરેખા ઘડી કાઢવામાં આવી છે. મોદીના બીજા કાર્યકારની સરકારના કામોની પ્રગતિની સમિક્ષા કરી હતી. નરેન્દ્ર મોદીની ત્રીજા કાર્યકાળની સરકારમાં, અગાઉની એનડીએ સરકારના 20 મંત્રીઓ હિસ્સો હશે. જેમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ રાજનાથ સિંહ, અમિત શાહ નીતિન ગડકરી, પીયૂષ ગોયલ, નિર્મલા સિતારમણ, જ્યોતિરાદિત્ય સિંધિયા સહીત બીજા અનેક પ્રધાનોના નામ સામેલ છે.
જ્યારે, જેઓ પ્રથમ વખત મંત્રી બન્યા તેમના નામ છે શિવરાજ સિંહ ચૌહાણ, હર્ષ મલ્હોત્રા, રવનીત બિટ્ટુ, સી આર પાટીલ, નિમુબહેન બાંભણીયા, અન્નામલાઈ, સુરેશ ગોપી, અન્નપૂર્ણા દેવી, રક્ષા ખડસે, કમલજીત સેહરાવત વગેરેનો સમાવેશ થાય છે.
નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. શપથ ગ્રહણ સમારોહ આજે રવિવાર 9 જૂન 2024ની સાંજે 7.15 કલાકે યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મોદી કેબિનેટ 3.0માં જીતેન્દ્ર સિંહ, સર્બાનંદ સોનોવાલ, નિર્મલા સીતારમણ, એસ જયશંકર, ગિરિરાજ સિંહ, નિત્યાનંદ રાયના નામ પણ સામેલ છે.
આ ઉપરાંત કિરેન રિજિજુ, અશ્વિની વૈષ્ણવ, મનસુખ માંડવિયાને મંત્રી બનાવવામાં આવનાર છે. આ તમામ સાંસદો વડાપ્રધાન સાથેની બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ વખતે લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપ એકલા હાથે બહુમતીનો આંકડાને સ્પર્શી શક્યું નથી. તેથી તેણે એનડીએના સહયોગી પક્ષોને પણ પુરતા પ્રમાણમાં પ્રતિનિધિત્વ આપ્યું છે. જો કે તે ભાજપ 240 બેઠકો જીતવાની સાથે સાથે એનડીએની સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. જેડીયુ અને ટીડીપી જેવી પાર્ટીઓએ ભાજપને સહકાર આપવાનો નિર્ણય કર્યો છે.
કોણ બનશે ફરી મંત્રી?
અમિત શાહ, મનસુખ માંડવિયા, અશ્વિની વૈષ્ણવ, નિર્મલા સીતારમણ, રાવ ઈન્દ્રજીત સિંહ, પીયૂષ ગોયલ, જીતેન્દ્ર સિંહ, હરદીપ સિંહ પુરી, નીતિન ગડકરી, રાજનાથ સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરેન રિજિજુ, ગિરિરાજ, જેઓ બીજી ટર્મમાં મંત્રીમંડળનો ભાગ હતા. જી કિશન રેડ્ડી, અર્જુન રામ મેઘવાલ, પ્રહલાદ જોશી, સોનોવાલ, અનુપ્રિયા પટેલ, શોભા કરંદલાજે, રામદાસ આઠવલે ફરી મંત્રી બનવા જઈ રહ્યા છે.
ભાજપ ચાર મુખ્ય મંત્રાલયો જાળવી રાખશે
સૂત્રોના જણાવ્યા અનુસાર બહુમતી ન મળ્યા પછી પણ ચાર મોટા મંત્રાલયો ભાજપ પાસે રહેશે. અગાઉની સરકારમાં આ મંત્રાલયો ગૃહ, સંરક્ષણ, નાણા અને વિદેશ મંત્રાલય હતા. અગાઉની સરકારમાં ગૃહ મંત્રાલય અમિત શાહ પાસે હતું. જ્યારે રાજનાથ સિંહ સંરક્ષણ પ્રધાન હતા. આ સિવાય નિર્મલા સીતારમણ નાણા મંત્રી હતા અને એસ જયશંકર વિદેશ મંત્રી હતા. આ ચાર મંત્રાલય ભાજપના નેતાઓ પાસે જ રહેશે.
તમિલનાડુ બીજેપી ચીફ અન્નામલાઈ પણ મંત્રી બનશે
આ લોકસભા ચૂંટણીમાં ભાજપે તમિલનાડુ અને કેરળ જેવા રાજ્યોમાં જોરદાર પ્રવેશ કર્યો છે. જ્યારે કેરળમાં એક સીટ જીતી હતી, જ્યારે તમિલનાડુમાં એક પણ સીટ જીતી શકી નથી, પરંતુ વોટ શેરમાં નોંધપાત્ર હિસ્સો અંકે કર્યો છે. ગત લોકસભા ચૂંટણીમાં તમિલનાડુમાં માત્ર 3.6 ટકા મત મેળવનાર ભાજપ આ વખતે 11.24 ટકા પર પહોંચી ગયો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ અન્નામલાઈને પણ આનો શ્રેય આપવામાં આવી રહ્યો છે. આ કારણથી મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં અન્નામલાઈને પણ મંત્રી બનાવવામાં આવી રહ્યા છે. આવનારા સમયમાં ભાજપ અન્નામલાઈને રાજ્યસભા દ્વારા સંસદ સભ્ય બનાવશે.
સી આર પાટીલ, જિતિન પ્રસાદનું પણ નામ
ગુજરાત ભાજપના અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટીલ આ વખતે મોદી કેબિનેટનો ભાગ બનવા જઈ રહ્યા છે. આ સિવાય જિતિન પ્રસાદનું નામ પણ સામેલ છે. આ સિવાય રક્ષા ખડસે, રાવ ઈન્દ્રજીત સિંહ, મનોહર લાલ ખટ્ટર, શાંતનુ ઠાકુર, જી કિશન રેડ્ડી, હરદીપ સિંહ પુરી, બંડી સંજય, શોભા કરંદલાજે, નિમુબહેન બાંભણિયા, રામદાસ અઠાવલે, હર્ષ મલ્હોત્રા, લાલન સિંહ, અનુપ્રિયા પટેલ, જયંત ચૌધરી, ચિરાગ પાસવાન. સુરેશ ગોપી, જીતનરામ માંઝી, રામનાથ ઠાકુર, પ્રહલાદ જોશી, રવનીત સિંહ બિટ્ટુ વગેરેના નામ સામેલ છે.