જો NOTA ને સૌથી વધુ મત મળે, તો કોને વિજેતા જાહેર કરવામાં આવશે? ‘કાલ્પનિક ઉમેદવાર’ ના વાંચો નિયમો
NOTA નો અર્થ None of the above છે. આ એટલા માટે લાવવામાં આવ્યું હતું કે, તે રેકોર્ડ કરી શકાય કે કેટલા ટકા લોકોએ કોઈને મત આપવાનું યોગ્ય નથી માન્યું. ચાલો સમજીએ કે ચૂંટણીમાં NOTA ની ભૂમિકા શું છે અને જો NOTA ને વધુમાં વધુ મતો મળે તો શું થાય છે.
લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કામાં 102 બેઠકો પર મતદાન થશે. રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. હવે 19મી એપ્રિલે મતદાનમાં તેમના ભાવિનો નિર્ણય થશે. પરંતુ જો મતદારને તેના મતવિસ્તારમાં ઊભેલા ઉમેદવારોમાંથી કોઈ પસંદ ન હોય તો? આવા મતદારો માટે ચૂંટણી પંચે NOTA નો વિકલ્પ લાવ્યો હતો. ચાલો સમજીએ કે ચૂંટણીમાં NOTA ની ભૂમિકા શું છે અને જો NOTA ને મહત્તમ મતો મળે તો શું થાય છે.
પ્રથમ વાર આ ચૂંટણીમાં થયો નોટાનો ઉપયોગ
NOTA નો અર્થ ઉપરોક્તમાંથી કોઈ નથી. EVM મશીનો લાંબા સમયથી ઉપયોગમાં છે, પરંતુ છેલ્લા દાયકાથી તેમાં NOTA બટન જ સામેલ કરવામાં આવ્યું છે. 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં 2013માં પહેલીવાર NOTA લાગુ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ 2013થી જ તમામ ચૂંટણીઓમાં મતદારોને NOTAનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. આ બટન EVMના છેલ્લે આપવામાં આવેલું હોય છે.
લોકશાહીમાં NOTAનું શું મહત્વ છે?
લોકશાહીમાં નાગરિકોએ મોટી સંખ્યામાં ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવો જરૂરી છે. તે જીવંત લોકશાહીનું પ્રતીક છે. પરંતુ મતદારોને કોઈ ઉમેદવાર લાયક ન જણાય તો? આ બાબતને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે એક એવી સિસ્ટમ વિકસાવી કે જેના દ્વારા એ નોંધી શકાય કે કેટલા ટકા લોકોએ કોઈને મત આપવો યોગ્ય ન ગણ્યો. કમિશને તેને NOTA નામ આપ્યું છે.
NOTA ચૂંટણીમાં સામાન્ય લોકોની રાજકીય ભાગીદારી વધારે છે. આ વિકલ્પ દ્વારા મતદાર પોતાનો અણગમો વ્યક્ત કરી શકે છે. આનાથી પક્ષોને એક સંદેશ પણ જાય છે કે લોકો તેમના દ્વારા ઉભા કરાયેલા ઉમેદવારોને સ્વીકારતા નથી અને તેઓએ વધુ સારા ઉમેદવારો ઉભા રાખવાની જરૂર છે. NOTA પહેલા જો કોઈ મતદારને કોઈ ઉમેદવાર લાયક ન લાગતો તો તેનો વોટ વેડફાઈ જતો હતો.
જો NOTA ને સૌથી વધુ મત મળે તો શું થાશે?
NOTAના નિયમોમાં સમયાંતરે ફેરફાર કરવામાં આવ્યા છે. શરૂઆતમાં NOTA ને ગેરકાયદેસર મત માનવામાં આવતો હતો. એટલે કે જો NOTA ને અન્ય તમામ ઉમેદવારો કરતા વધુ મત મળે, તો બીજા નંબરના સૌથી વધુ મત મેળવનાર ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવ્યો.
છેવટે, 2018 માં, દેશમાં પ્રથમ વખત, NOTA ને ઉમેદવારોને સમાન દરજ્જો આપવામાં આવ્યો. હકીકતમાં ડિસેમ્બર 2018માં હરિયાણાના પાંચ જિલ્લાઓમાં યોજાયેલી મ્યુનિસિપલ ચૂંટણીઓમાં NOTAને સૌથી વધુ મત મળ્યા હતા. આવી સ્થિતિમાં તમામ ઉમેદવારોને અયોગ્ય જાહેર કરાયા હતા. આ પછી ચૂંટણી પંચે ફરીથી ચૂંટણી કરાવવાનો નિર્ણય લીધો હતો.
જો NOTA ફરીથી ચૂંટણીમાં જીતે તો શું થશે?
મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચના 2018ના આદેશમાં, NOTAને ‘કાલ્પનિક ચૂંટણી ઉમેદવાર’નો દરજ્જો આપવામાં આવ્યો છે. આદેશ અનુસાર જો કોઈ ઉમેદવાર ‘કાલ્પનિક ઉમેદવાર’ એટલે કે NOTAના સમાન મત મેળવે છે, તો ચૂંટણી લડનારા વાસ્તવિક ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવશે.
જો NOTA ને અન્ય તમામ કરતા વધુ મત મળે છે તો ફરીથી ચૂંટણી યોજવામાં આવશે. પરંતુ જો ચૂંટણી યોજ્યા પછી પણ કોઈ ઉમેદવાર NOTA કરતા વધુ મત મેળવી શકશે નહીં, તો ત્રીજી વખત ચૂંટણી યોજાશે નહીં. આવી સ્થિતિમાં NOTA પછી સૌથી વધુ મત મેળવનારા ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવે છે. આદેશ અનુસાર મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચના આ નિયમો રાજ્યમાં ચૂંટણી સુધી મર્યાદિત છે.