Valsad Rain : વલસાડમાં આભ ફાટ્યુ! બે કલાકમાં 6 ઈંચથી વધુ વરસાદ, શાળા-કોલેજોમાં રજા જાહેર, જુઓ Video
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 26 કલાક દરમિયાન જિલ્લામાં 10 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે માત્ર બે કલાકમાં જ 6 ઈંચથી વધુ વરસાદ ખાબકતાં શહેર અને ગ્રામ્ય વિસ્તારો જળબંબાકાર બની ગયા છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા, અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા અને જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે.

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 26 કલાક દરમિયાન જિલ્લામાં 10 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે માત્ર બે કલાકમાં જ 6 ઈંચથી વધુ વરસાદ ખાબકતાં શહેર અને ગ્રામ્ય વિસ્તારો જળબંબાકાર બની ગયા છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા, અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા અને જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે.
મુખ્ય માર્ગો અને સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાતાં લોકો પરેશાન
વલસાડ શહેરના તીથલ રોડ, એમ.જી. રોડ, હાલાર, ભાંગડાવાડા સહિત અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. સિવિલ હોસ્પિટલ પરિસરમાં પણ પાણી ભરાઈ જતાં દર્દીઓ અને તેમના સ્વજનોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. મુખ્ય માર્ગો પર પાણી ભરાવાને કારણે અનેક વાહનચાલકો રસ્તામાં અટવાઈ ગયા હતા, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. સતત વરસાદને પગલે વલસાડ નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે.
વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી શાળા-કોલેજો બંધ
ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રે વલસાડ, ધરમપુર અને કપરાડા તાલુકાની તમામ શાળા-કોલેજો બંધ રાખવાનો આદેશ જાહેર કર્યો છે. જ્યારે વાપી, ઉમરગામ અને પારડી તાલુકામાં વરસાદની સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાળા ચાલુ રાખવી કે બંધ રાખવી તેનો નિર્ણય લેવાની જવાબદારી સંબંધિત શાળાના આચાર્યોને સોંપવામાં આવી છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તંત્રે જણાવ્યું છે.
સમગ્ર જિલ્લામાં વરસાદનો કહેર, તંત્ર એલર્ટ મોડ પર
જિલ્લાના પારડી, કપરાડા, નાન પોંઢા, વાપી, ધરમપુર સહિતના તાલુકાઓમાં પણ સાર્વત્રિકથી ભારે વરસાદ વરસ્યો છે. અનેક ગામોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવને કારણે ગ્રામજનોની હાલત કફોડી બની છે. સતત વરસી રહેલા વરસાદને કારણે નદીઓ અને નાળાઓમાં પાણીની આવક વધી રહી છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ મોડ પર છે અને લોકોને અનાવશ્યક બહાર ન નીકળવા તેમજ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો- Breaking News : જૂનાગઢમાં જળબંબાકાર, માંગરોળમાં 10 ઈંચ વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત, નદીઓમાં ઘોડાપૂર