મોરબી દુર્ઘટના : રિનોવેશન છતાં ઝુલતા બ્રિજના કેબલ પર કાટ જામેલ હતો ! પ્રાથમિક તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો
મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટનામાં ફોરેન્સિક લેબોરેટરીની પ્રાથમિક તપાસના અહેવાલમાં બહાર આવ્યું છે કે, છેલ્લા સાત મહિનાના રિપેરિંગ અને રિનોવેશન દરમિયાન માત્ર ફેબ્રિકેશનનું જ કામ હાથ ધરવામાં આવ્યું હતુ.
ઝુલતા પુલની ઘટનાની તપાસ તેજ કરવામાં આવી છે. અને પ્રાથમિક તપાસમાં ઘટના અંગે અનેક ખુલાસા કરવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, પુલના રિનોવેશનના કામમાં ખુબજ બેદરકારી દાખવામાં આવી હતી. મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટનામાં ફોરેન્સિક લેબોરેટરીની પ્રાથમિક તપાસના અહેવાલમાં બહાર આવ્યું છે કે, છેલ્લા સાત મહિનાના રિપેરિંગ અને રિનોવેશન દરમિયાન માત્ર ફેબ્રિકેશનનું જ કામ હાથ ધરવામાં આવ્યું હતુ.
મોરબી ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું અવલોકન
ગુજરાતમાં મોરબી બ્રિજ દુર્ઘટના માટે જવાબદાર કંપની ઓરેવાએ બ્રિજના સમારકામના નામે માત્ર ફેબ્રિકેશનનું કામ કર્યું છે. પોલીસ રિપોર્ટના આધારે, કોર્ટે સ્વીકાર્યું કે મોટી ક્ષતિ થઈ છે. આ સાથે કોર્ટે આ કેસની ગંભીર તપાસ માટે ધરપકડ કરાયેલ નવ પૈકી ચાર આરોપીઓને દસ દિવસના રિમાન્ડ પર મોકલી દીધા છે.
મંગળવારે પોલીસે આ કેસમાં ધરપકડ કરાયેલા તમામ નવ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. આ દરમિયાન પોલીસે બ્રિજના રિનોવેશનમાં રહેલી ખામીઓને ગણીને વધુ પૂછપરછ માટે તમામ આરોપીઓના રિમાન્ડની માંગણી કરી હતી. મોરબી પોલીસના ડેપ્યુટી એસપી પી.એ.ઝાલાએ કોર્ટમાં જણાવ્યું હતું કે, સમારકામ બાદ પણ ગુણવત્તાની કાળજી લેવામાં આવી ન હતી. જેના કારણે આ દુર્ઘટના ઘટી હતી.