Gujarati Video: બારડોલીની કન્યા છાત્રાલયમાં હજુ ભુવાઓના ભરોસે ઈલાજ થાય છે? વિદ્યાર્થીનીની તબિયત બગડી તો ગૃહમાતાએ ભૂવો બોલાવ્યો! જુઓ Video
આશ્રમની ગૃહમાતાએ વિદ્યાર્થીનીને હોસ્પિટલમાં લઈ જવાની જગ્યાએ ગામના ભૂવાને બોલાવ્યો હતો અને ભૂવાએ કહ્યું હતું કે વિદ્યાર્થિની ઉપર ભૂતનો પડછાયો છે. જેથી તેની પીંછી નાંખી વિધિ કરવી પડશે
આધુનિક અને વિકસતા જતા હાલના સમયમાં દિવસે દિવસે અંધશ્રદ્ધા વધુ જીવલેણ બની રહી છે. તેનો જીવંત પુરાવો સુરતના બારડોલી તાલુકામાંથી સામે આવ્યો છે જયાં એક વિદ્યાર્થિની બિમાર પડી તો દવા કરવાની જગ્યાએ ભૂવાને બોલાવ્યો હતો અને વિદ્યાર્થિનીને લાલ દોરો બાંધીને પીછી ફેરવી ભૂવાએ વિધિ કરી હતી.
તમામ વિદ્યાર્થીનીઓ ઉપર કરી વિધી
ઘટના છે મઢી ગામના વાત્સલ્યધામ કન્યા છાત્રાલય આશ્રમ શાળાની. જયાં એક વિદ્યાર્થિનીની રાત્રે અચાનક તબિયત બગડી હતી અને બૂમો પાડી ધમાલ કરવા લાગી હતી તો આ સમયે તેની સાથે રહેતી અન્ય વિદ્યાર્થિનીઓ આ દ્રશ્ય જોઇ ડરી ગઇ હતી. આશ્રમશાળામાં ધો. 9 થી 12ની લગભગ 140 જેટલી વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે.
ત્યારે આ ઘટના બાદ આશ્રમની ગૃહમાતાએ વિદ્યાર્થીનીને હોસ્પિટલમાં લઈ જવાની જગ્યાએ ગામના ભૂવાને બોલાવ્યો હતો અને ભૂવાએ કહ્યું હતું કે વિદ્યાર્થિની ઉપર ભૂતનો પડછાયો છે. જેથી તેની પીંછી નાંખી વિધિ કરવી પડશે.આમ કહ્યા બાદ ભૂવાએ વિદ્યાર્થિનીની પીછી નાખી વિધિ કરી દોરા બાંધ્યા હતાં. સાથે સાથે ત્યાં હાજર તમામ વિદ્યાર્થિનીઓ ઉપર પીછી ફેરવી હતી અને હાથે લાલ દોરા બંધાવ્યા હતા.
વિદ્યાર્થીઓનો દોરા બાંધવામાં આવતા ઉભા થયા પ્રશ્નો
આ રીતે વિદ્યાર્થીનીઓના હાથે લાલ દોરા બાંધવામાં આવતા શિક્ષણ વિભાગમાં ચકચાર મચી છે. ઉત્તર બુનિયાદી કન્યા છાત્રાલયમાં ધોરણ 9થી 12માં લગભગ 140 વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે. કન્યા છાત્રાલયમાં અંધશ્રદ્ધાના દોરા બાંધવામાં આવતા અહીં સવાલ ઉભા થાય છે કે ગુજરાતમાં અંધશ્રદ્ધાની ઘટનાઓ કયારે અટકશે? લોકો કયાં સુધી અંધશ્રદ્ધામાં માનશે?
અંધશ્રદ્ધામાંથી લોકો કયારે બહાર આવશે? શું અંધશ્રદ્ધામાં ભૂવાની વિધિ કરાવી તે ઉકેલ છે?.વિદ્યાર્થિનીઓને કેમ લાલ દોરા બાંધ્યા?. આશ્રમશાળામાં કેમ બોલાવ્યા ભૂવાને?. વિદ્યાર્થિનીની દવા કરવાની જગ્યાએ ભૂવાની વિધિ કેમ?. છાત્રાના ગૃહમાતા સામે કાર્યવાહી થશે? અંધશ્રદ્ધામાં લોકો કયાં સુધી ભોગ બનશે? વિદ્યાર્થિનીઓને દોરા બાંધનાર ભૂવા સામે કાર્યવાહી થશે આવા અનેક સવાલ થાય છે.